Thursday, May 15, 2025
More
    હોમપેજગુજરાતચંડોળામાં બુલડોઝર ચાલ્યાં તો પ્રશાંત દયાળને દેખાયો પહલગામ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ:...

    ચંડોળામાં બુલડોઝર ચાલ્યાં તો પ્રશાંત દયાળને દેખાયો પહલગામ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ: ઘૂસણખોરો માટે પણ યુટ્યુબરને જાગી સહાનુભૂતિ, બાલિશ સરખામણી સાથે કર્યા કુતર્ક

    શરૂઆતમાં જ પ્રશાંત દયાળ પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ ચંડોળા તળાવ ડિમોલિશન ડ્રાઇવને સરખાવીને કહે છે કે આ ડિમોલિશન એ પહેલગામ હુમલા પરથી ધ્યાન ભટકાવવાનો સરકારનો પ્રયાસ છે. અહીં અગત્યની વાત એ છે કે પ્રશ્ન કરનાર પણ તેમને એ જ એંગલ સાથે પ્રશ્ન કરે છે.

    - Advertisement -

    પહલગામમાં થયેલા ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ એક તરફ ચાલતી સેનાની તૈયારીઓ અને બીજી તરફ ગુજરાત સરકારે ગેરકાયદેસર ઘૂસણખોરો અને ખાસ કરીને બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ઉપાડેલા મહાભિયાનથી અમુકને ‘દુખે છે પેટમાં, ને કૂટે છે માથું’ જેવી હાલત થઈ છે. તેઓ સીધી રીતે આ કાર્યવાહી સામે બોલી શકતા નથી, વાંક કાઢી શકતા નથી, એટલે હવે કુતર્કનો સહારો લેવા માંડ્યા છે. આવા જ એક ઈસમનું નામ છે પ્રશાંત દયાળ. આ ભાઈ નવજીવન ન્યૂઝ નામની એક ચેનલ ચલાવે છે. 

    આ ચેનલ પણ તેમણે એકાદ બીજા શખ્સને સામે બેસાડીને, જેનું નામ જાણવામાં આપણને રસ નથી, પહલગામ હુમલા અને ચંડોળા તળાવ ડિમોલિશનની ચર્ચા કરતો એક વિડીયો બનાવ્યો છે અને ભરપૂર કુતર્ક કર્યા છે. આખા વિડીયોમાં ઠેકઠેકાણે ઝોલ છે. દરેકનો તોડ વિગતવાર, તર્ક સાથે કાઢીએ. 

    પહલગામ અને ચંડોળા ડિમોલિશનની બાલિશ સરખામણી 

    શરૂઆતમાં જ પ્રશાંત દયાળ પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ ચંડોળા તળાવ ડિમોલિશન ડ્રાઇવને સરખાવીને કહે છે કે આ ડિમોલિશન એ પહેલગામ હુમલા પરથી ધ્યાન ભટકાવવાનો સરકારનો પ્રયાસ છે. અહીં અગત્યની વાત એ છે કે પ્રશ્ન કરનાર પણ તેમને એ જ એંગલ સાથે પ્રશ્ન કરે છે. તેઓ કહે છે– “પહલગામથી સીધી વાત ચંડોળા પર શિફ્ટ થઈ ગઈ છે અને હવે તેની વાત નથી થઈ રહી. કેમ ચંડોળાને આટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે?” હવે આ બંને સવાલો પણ નક્કી કરીને જ બેઠા હતા કે કેમ એ પ્રશ્નનો જવાબ તેઓ જ આપી શકે. 

    - Advertisement -

    જવાબમાં દયાળ કહે છે કે, પહેલગામમાં જે ઘટના ઘટી એ સલામતીની ચૂક છે એ મામલે કોઈ બોલતું નથી અને ભારત સરકારે પણ કહેવું જોઈએ પણ તેઓ પણ ચૂપ છે.

    આ વાત વાહિયાત છે. કારણ કે સરકારે સર્વપક્ષીય બેઠકમાં જ એ સ્વીકાર્યું હતું કે ચૂક થઈ છે અને ચૂક થઈ છે તો જ તેઓ આ બેઠકમાં પણ બેઠા છે, બાકી શું કામ બેઠા હોત? વાત જ્યાં સુધી ઇન્ટેલિજન્સ ફેલ્યોરની છે તો કોંગ્રેસના જ નેતા શશિ થરૂરના શબ્દો છે કે ફુલરપ્રૂફ ઇન્ટેલિજન્સ ક્યાંય હોતું નથી. ઇઝરાયેલ કે અમેરિકા જેવા દેશ પાસે પણ નથી. હકીકત એ છે કે અનેક આવા હુમલાઓ ઇન્ટેલિજન્સની મદદથી જ ટાળી દેવાતા હોય છે પણ તેની વાત આપણા સુધી પહોંચતી નથી, જ્યાં નિષ્ફળ જાય છે એ જ પહોંચે છે. એટલે અહીં એવું સાબિત કરવાનો પ્રયાસ છે કે સરકાર નિષ્ફળ ગઈ છે અને પોતે કશું બોલતી નથી. પણ હકીકત જુદી છે એ આ ભાઈ કહેતા નથી. 

    ત્યારબાદ તેઓ હુમલા બાદ ગૃહમંત્રીએ આખા દેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને વિદેશીઓને હટાવવા માટે આદેશ આપ્યા હતા એ બાબતનો ઉલ્લેખ કરીને કહે છે કે– “વાત પાકિસ્તાનીઓ માટેની હતી અને પકડાઈ ગઈ બાંગ્લાદેશીઓ માટે. અમિત શાહે તમામ રાજ્યના ગૃહમંત્રીઓ કે મુખ્યમંત્રીઓ સાથે કરી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યાં ભાજપશાસિત અન્ય રાજ્યોમાં આ રીતે ગેકાયદેસર ઘુસણખોરો રહે છે ત્યાં આવાં ઑપરેશન ન થયાં અને ગુજરાતમાં જ કેમ થયાં? અહીં આવી ડ્રાઇવ શરૂ કરી એટલે તમે પહેલગામની વાત ભૂલી જાઓ છો અને વાત બાંગ્લાદેશીઓ પર આવે છે.”

    આગળ કુતર્ક કરતાં એક બાલિશ વાત એવી કરે છે કે અત્યારે આપણું ફોકસ પહેલગામ હુમલાનો જવાબ આપવાનું છે. પરંતુ નબળા હોઈએ અને બૈરાં પર શૂરા થઈએ એ રીતે જેઓ ગરીબ બાંગ્લાદેશીઓ છે તેમની ઉપર શૂરાતન બતાવી રહ્યા છીએ. આગળ કહે છે– “આખું ફોકસ આપણું બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આપણને મૂળ પ્રશ્નથી ભટકાવવાની વાત છે અને આપણને બેધ્યાન કરવાનો પ્રયાસ છે.”

    હવે આમાં આમ તો જેનામાં સામાન્ય બુદ્ધિ હોય એ સમજી જાય કે ગુજરાતમાં બાંગ્લાદેશીઓને હટાવવાના હોય તો એ કામ ગુજરાતની સરકારનું, ગુજરાતની પોલીસનું અને અમદાવાદ પ્રશાસનનું છે. એ જ રીતે પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવાનું કામ કેન્દ્રની સરકારનું, ભારતીય સેનાનું છે. બંનેનાં ફોકસ જુદાં છે, તેમાં ધ્યાન ભટકાવવાની વાત ક્યાંથી આવી? શું પહલગામ હુમલાનો જવાબ આપવાનું કામ હર્ષ સંઘવીનું છે? ના. એ અમિત શાહનું કે નરેન્દ્ર મોદીનું છે. તો શું મોદી અને શાહ દિલ્હીનું કામ પડતું મૂકીને અહીં ચંડોળાનું ડિમોલિશન કરવા માટે દોડી આવ્યા છે? તો બંને ભિન્ન બાબતોને જોડીને આ ઈસમ શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી. 

    બીજું આ ચંડોળાનો મુદ્દો તો ગુજરાત પૂરતો જ ઘણોખરો સીમિત છે. બીજે બધે ચર્ચા ચાલી રહી છે પણ સીમિત પ્રમાણમાં. ગુજરાત એ દેશ નથી, એવાં બીજાં 27 રાજ્યો છે, તેમને આ ચંડોળા ડિમોલિશન સાથે બહુ લાગતું-વળગતું નથી. તો આમાં શું કેન્દ્ર સરકાર એક રાજ્યના એક ખૂણામાં આવી કાર્યવાહી કરીને આખા દેશનું ધ્યાન ભટકાવે? અને મૂળ વાત એ છે કે ધ્યાન ભટકાવવાની વાત ક્યાંથી આવી? સરકાર તો પાકિસ્તાનને જવાબ આપવા માટે, સંભવિત સૈન્ય કાર્યવાહી કરવા માટે એક અઠવાડિયાથી આકાશ-પાતાળ એક કરી રહી છે. બેઠકોનો દોર ચાલુ છે. માણસ કામ કરવાનો હોય તો શું કામ ઇચ્છે કે તેની ઉપરથી લોકોનું ધ્યાન ભટકે? 

    ગામને હિંદુ-મુસ્લિમ ન કરવાની સલાહ, પોતે કરવાનું એ જ!

    આમ તો આ ભાઈ દર બીજા-ત્રીજા વિડીયોમાં ગામને હિંદુ-મુસ્લિમ ન કરવાની સલાહ આપતા રહે છે પણ આગળ ચંડોળાને મુદ્દો બનાવીને પોતે જ હિંદુ-મુસ્લિમ કરવા પર ઉતરી આવે છે. તેમના કહેવાનો ભાવાર્થ એવો છે કે સરકાર કે અધિકારીઓને ચંડોળા કે અન્ય આવા વિસ્તારોમાં બ્યુટીફિકેશન કે વિકાસ કરવામાં બહુ રસ નથી, કારણ કે ત્યાં મુસ્લિમ વસ્તી રહે છે. 

    અહીં પણ બેવડાં ધોરણો ખુલ્લાં પડી જાય છે. એક તરફ કહેવામાં આવે છે કે સરકાર બ્યુટીફીકેશન કરતી નથી. પણ બ્યુટીફિકેશન કરવા માટે પહેલાં જગ્યા ખાલી કરવી પડે. જગ્યા મળે તો ત્યાં કશુંક વિકાસ કે નવસર્જન થશે. જગ્યા ખાલી કરવા માટે તમારે ડિમોલિશન કરવું પડે. પણ જેવી સરકાર બુલડોઝર લઈને ડિમોલિશન કરવા જાય છે એટલે આ જમાત કેમેરા ચાલુ કરીને વિડીયો બનાવવા મંડી પડે છે. એટલે કોઈ પણ રીતે સરકારને વાંકમાં દેખાડી દેવાની. આ રીતે કે પેલી રીતે! કારણ કે સાંભળનારાઓ તો મૂરખ છે અને દુનિયાનું બધું જ્ઞાન આ કેમેરા સામે બકલોલી કરનારાઓને જ મળ્યું છે. 

    ટ્રમ્પના ડિપોર્ટેશનને ચંડોળા સાથે સરખાવ્યું! હાઉ ક્યુટ!

    આગળ આ ભાઈ વધુ એક વાહિયાત સરખામણી કરે છે. તેઓ ટ્રમ્પના ડિપોર્ટેશન અભિયાનને આ બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઇવ સાથે સરખાવીને કહે છે કે ‘હ્યુમન રાઇટ્સ’નાં કાટલાં આપણાં અલગ છે. તેઓ કહે છે કે ટ્રમ્પે આ બધાને મોકલ્યા ત્યારે આપણે હોબાળો મચાવ્યો હતો તો ચંડોળામાં લોકોને દોરડાં બાંધીને લાવવામાં આવ્યા એ શું હતું? તેઓ કહે છે, અમેરિકામાં જે ટ્રમ્પ કરે છે એ તમે ગુજરાતમાં કરો છો.

    અહીં આ ભાઈ ભૂલે છે કે ટ્રમ્પના અભિયાનને પણ અહીંના મોટાભાગના લોકોએ સમર્થન આપ્યું જ હતું. જેઓ હોબાળો મચાવતા હતા એ સભ્યો તેમની જ ટોળકીના હતા. બાકી જેઓ ચંડોળાની કાર્યવાહીનું સમર્થન કરે છે તેમની એક સીધી લીટીની વાત એટલી છે કે જેઓ પણ જ્યાં પણ ગેરકાયદેસર રીતે રહેતા હોય તેમને ત્યાંથી હટાવવા જોઈએ. એટલે આડકતરી રીતે આ ભાઈ ઇકોસિસ્ટમની જ પોલ ખોલી રહ્યા છે. બાકી ટ્રમ્પની કાર્યવાહીનો ભારતમાં પણ ઘણાએ ટેકો કર્યો હતો. 

    ઓમર અબ્દુલ્લાનાં વખાણ, મોદી-શાહની વાત આવે ત્યાં મોં બંધ?

    વિડીયોમાં આગળ તેઓ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનાં ભરપૂર વખાણ કરે છે અને કહે છે કે તેમણે આ તમામ મૃતકોના પરિજનોની માફી માંગી અને વિશેષ સત્ર બોલાવીને ઉમદા વાતો કરી. સાથે એમ પણ કહ્યું કે પૂર્ણ રાજ્યની માંગ તેઓ આ ઘટનાનો આધાર બનાવીને નહીં કરે. તેમણે માફી માંગી હોવાની વાત કરીને ભરપૂર પ્રશંસા કરે છે. 

    ઉમર અબ્દુલ્લાની પ્રશંસા થવી પણ જોઈએ, કારણ કે તેમણે બીજા અમુક વિપક્ષી નેતાઓ કરતાં પરિપક્વ અને વ્યાજબી સ્ટેન્ડ લીધું છે. પણ અહીં વાત પ્રશાંતના દોગલાપનની છે. વિડીયોની શરૂઆતમાં તેઓ દોષ કેન્દ્ર સરકાર પર ઢોળી દે છે અને કહે છે કે તેઓ ચૂક થઈ હોવાનું સ્વીકારી રહ્યા નથી, જ્યારે હકીકત એ છે કે સરકાર પણ સ્વીકારી જ રહી છે. માત્ર તેમનું ધ્યાન હમણાં જે પગલાં લેવાનાં છે તેની ઉપર છે. એટલે જે સ્ટેન્ડ અબ્દુલ્લાએ લીધું એ જ સ્ટેન્ડ સરકારનું પણ છે. પણ એ મોદી અને શાહ છે, એટલે આ ભાઈનું મોં ત્યાં ઉઘડતું નથી અને શબ્દો ત્યાં બદલાય જાય છે. 

    બાંગ્લાદેશીઓ માટે સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસ 

    આગળ તેમની સહાનુભૂતિ ચંડોળામાંથી જે બાંગ્લાદેશીઓને તગેડી મૂકવામાં આવ્યા તેમના માટે જાગે છે. એક કુતર્ક એવો પણ કરે છે કે સ્વતંત્રતાનાં આટલાં વર્ષો પછી પણ આપણે તમામ માટે છત પૂરી નથી પાડી શક્યા. એ ન થાય ત્યાં સુધી ગેરકાયદેસર વસાહતો બનતી રહેશે! તો શું આ ભાઈ હવે સરકાર પાસે એવું કરવા ઈચ્છે છે કે તેઓ ગેરકાયદેસર ઘૂસણખોરોને પણ માથે છત આપે. સરકાર પ્રત્યેનો, સરકારમાં બેઠેલા માણસો પ્રત્યેનો દ્વેષ ક્યાં લઈ આવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. 

    આગળ દયાળની સાથે બેઠેલો ઇસમ કહે છે કે, મીડિયામાં માત્ર કાર્યવાહીની જ વાતો ચાલી રહી છે પણ ત્યાંના જે લોકો છે તેમની વાતો મીડિયામાં આવી રહી નથી. ગજબ વાત થઈ ગઈ! કાલે ઉઠીને ભારત પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓનો સફાયો કરવાનું ચાલુ કરે તો આ બંને વળી કેમેરાની સામે આવીને એમ ન કહે કે આતંકવાદીઓની વાત તો મીડિયામાં આવી જ નહીં! હશે. પ્રશાંત શું કહે છે એ સાંભળો. 

    તેઓ કહે છે, “મીડિયા એ જ ભાષા બોલે છે, જે સરકાર બોલે છે.” (અહીં એવું કહી શકાય કે અમુક યુટ્યુબરો એ જ ભાષા બોલે છે જે વિપક્ષો બોલે છે?) આગળ– “આપણે સરકાર જે કાર્યવાહી કરી રહી છે એ બતાવવું જોઈએ, પણ ત્યાંના લોકોની વાત છે એ તો કોઈ મૂકતું જ નથી. અત્યારે આપણે સરકારના ડ્રોન ફૂટેજ બતાવી રહ્યા છે, પણ ત્યાં ઝૂંપડામાં એક ગરીબ મા છે, કોઈ બાળક છે, તેનું શું, તેનો અવાજ પણ પહોંચાડવાનો છે.”

    આગળ શરમ નેવે મૂકીને કહે છે કે, એ ભલે ગેરકાયદેસર રહે છે પણ તેની વેદના આપણે પહોંચાડવી જોઈએ અને એ આપણું કામ છે!

    જેઓ પ્રશ્ન કરી રહ્યા હતા કે સરકારને આ વસાહતો હટાવવામાં કે ડિમોલિશન કરવામાં આટલો સમય કેમ લાગ્યો? તેનો જવાબ ઉપરનાં વાક્યોમાં છે. પત્રકારત્વના નામે ઘૂસણખોરોને આવું કવર પૂરું પાડનારાઓ જ્યાં મળી રહેતા હોય, આવી ડાહીડાહી અને સુફિયાણી વાતો કરીને આવા ઘૂસણખોરો માટે સહાનુભૂતિ ઊભી કરવાનો જ્યાં પ્રયાસ થતો હોય ત્યાં રાતોરાત આ કાર્યવાહીઓ થઈ શકતી નથી. 

    આવી જ ‘વેદનાઓ’ પર ધ્યાન આપવા જઈએ તો કાશ્મીરમાં અમુક આતંકવાદીઓનાં ઘરો બૉમ્બથી ઉડાવી દેવામાં આવ્યાં છે. હવે તેમના પરિવારો પાસે જઈને તમે વાત કરશો તો તેમની કહાનીઓ ઇટસેલ્ફ ‘કરુણ’ જ હશે, તો શું આપણે તેને પણ બતાવવા માંડીને એમ કહીએ કે આ બધાનું શું? ગેરકાયદેસર ઘૂસણખોરો જ્યાં આટલા મોટા પ્રમાણમાં હોય ત્યાં ગુનાખોરી વધે છે, અનેક પ્રકારનાં રેકેટ ચાલતાં થઈ જાય છે. આવી જ વેદનાઓની વાયડી વાતો કર્યે રાખીશું તો આની ઉપર નિયંત્રણ ક્યારેય નહીં મૂકાય અને ન મૂકાય તો આ જ પ્રશાંત જેવાઓ વિડીયો બનાવીને કહેશે કે સરકાર કશું કરી રહી નથી! 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં