હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભગવાન જગન્નાથની અલૌકિક રથયાત્રા: જ્યારે અચળ બ્રહ્મ ગતિમાન બને છે

ભગવાન જગન્નાથની અલૌકિક રથયાત્રા: જ્યારે અચળ બ્રહ્મ ગતિમાન બને છે

પુરીમાં દર વર્ષે માત્ર રથ આગળ વધતો નથી. આગળ વધે છે સનાતન. આગળ વધે છે મનુષ્યનું ચૈતન્ય અને આગળ વધે છે એ અખંડ વિશ્વાસ કે સત્ય સુધી પહોંચવા માટે માત્ર મનુષ્ય જ યાત્રા કરતો નથી, ક્યારેક પરમાત્મા પણ મનુષ્ય તરફ એક પગલું ભરે છે. એ જ પગલું… રથયાત્રા છે.

- Advertisement -

પુરીની રથયાત્રા વિશે દુનિયાએ ઘણું લખ્યું છે. કોઈએ તેને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ કહ્યો, કોઈએ કરોડો ભક્તોની આસ્થાનું મહાપર્વ ગણાવ્યું તો કોઈએ ‘ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને મળવા માટે ગર્ભગૃહની બહાર આવે છે’ એટલું કહીને વાત પૂરી કરી દીધી. આ બધી વાતો ખોટી નથી, પરંતુ આ બધું મળીને પણ રથયાત્રાનું સત્ય પૂરું થતું નથી. કારણ કે રથયાત્રા કોઈ ઘટના નથી જેને માત્ર આંખોથી જોઈ શકાય. આ એક એવું દર્શન છે, જેને સમજવા માટે પહેલાં સનાતનના હૃદય સુધી પહોંચવું પડે.

ભારતીય સંસ્કૃતિએ હજારો વર્ષથી મનુષ્યને એક જ માર્ગ શીખવ્યો છે કે પરમાત્મા સુધી પહોંચવાનો પ્રયત્ન તેણે પોતે કરવો પડશે. એટલા માટે તીર્થો બન્યાં, એટલા માટે મંદિરો ઊભાં થયાં, એટલા માટે ગર્ભગૃહ રચાયું. મનુષ્ય ચાલે છે, ભગવાન રાહ જુએ છે. મનુષ્ય થાકે છે, ભગવાન સ્થિર રહે છે. મનુષ્ય યાત્રા કરે છે, ભગવાન ધામ બને છે. આ માત્ર પરંપરા નથી, સનાતનના આધ્યાત્મિક દર્શનનો આધાર છે.

પુરીમાં પહોંચતાં જ આ આખું દર્શન જાણે એક ક્ષણ માટે થંભી જાય છે અને પછી એક એવો પ્રશ્ન આવીને ઊભો રહે છે જેનો જવાબ કદાચ આખું જીવન શોધવો પડે. જો પરમાત્મા સર્વવ્યાપી છે તો તેમને ચાલવાની જરૂર શું? જો તેઓ કાલાતીત છે તો તેમને યાત્રાની જરૂર શું? જો તેઓ ગર્ભગૃહમાં જ પૂર્ણ છે તો રથ પર આરુઢ થવાની જરૂર શું? અને જો તેઓ ખરેખર ગર્ભગૃહ છોડે છે તો શું સનાતન પોતાનો જ નિયમ તોડી રહ્યો છે?

- Advertisement -

આ પ્રશ્નોના ઉત્તર કોઈ શાસ્ત્રના એક શ્લોકમાં નથી. કોઈ એક પુરાણના એક અધ્યાયમાં પણ નથી. તે ઉત્તર પુરીના બડદાંડ પર છે. તે ઉત્તર લાખો હાથોથી ખેંચાતા દોરડામાં છે. તે ઉત્તર ભગવાનના રથમાં નથી, પરંતુ ભગવાને જે રથ પસંદ કર્યો તેમાં છે. આ લેખ એ ઉત્તર શોધવાનો પ્રયત્નમાત્ર છે.

ગર્ભગૃહ શું છે? માત્ર મંદિરનો ઓરડો નહીં, પરંતુ બ્રહ્માંડનું હૃદય

ભારતીય મંદિરને બહારથી જોનારને શિખર દેખાય છે, કળા દેખાય છે, સ્થાપત્ય દેખાય છે. પરંતુ ભારતીય ઋષિઓ માટે મંદિરનો સૌથી મહત્ત્વનો ભાગ શિખર નહોતો, ગર્ભગૃહ હતો. કારણ કે ગર્ભગૃહ માત્ર પથ્થરની ચાર દીવાલો નથી, તે એક એવી જગ્યા છે જ્યાં સીમિત અને અસીમ વચ્ચેનો સંવાદ શરૂ થાય છે.

પ્રાણપ્રતિષ્ઠા પછી મૂર્તિ માત્ર શિલ્પ રહેતી નથી. તે ઉપાસનાનો વિષય માત્ર રહેતી નથી. સનાતન પરંપરા તેને દેવત્વની ઉપસ્થિતિ તરીકે સ્વીકારે છે. એટલે જ ગર્ભગૃહને મંદિરનું હૃદય કહેવામાં આવ્યું છે. હૃદય શરીરમાંથી બહાર આવી શકે નહીં, કારણ કે તે બહાર આવ્યું એટલે શરીર નિર્જીવ થઈ જાય. એ જ રીતે ગર્ભગૃહમાંથી દેવતાને બહાર લાવવાનો પ્રશ્ન સામાન્ય પરંપરામાં ઊભો જ થતો નથી.

કદાચ એટલા માટે જ ભારતના પ્રાચીન મંદિરોમાં ભક્તો યાત્રા કરે છે. તેઓ કાશી જાય છે, કેદારનાથ જાય છે, રામેશ્વરમ જાય છે, દ્વારકા જાય છે. ભગવાન ક્યાંય જતા નથી. તેઓ પોતાની જગ્યાએ અચળ બિરાજે છે. કારણ કે પૂર્ણતાને ગતિની જરૂર નથી. જેને બધું પ્રાપ્ત છે, તેને ક્યાં પહોંચવાનું બાકી હોય?

આ જ કારણ છે કે પુરીનો પ્રશ્ન સામાન્ય નથી. જગન્નાથ વર્ષમાં એક વખત ગર્ભગૃહની બહાર આવે છે. પણ શું ખરેખર બહાર આવે છે? આ પ્રશ્નનો જવાબ ઉતાવળમાં આપવો સહેલો છે. પરંતુ જો થોડું રોકાઈને વિચારીએ તો સમજાશે કે જગન્નાથ પરંપરા ગર્ભગૃહનો ઇનકાર કરતી નથી, તે ગર્ભગૃહના અર્થને વિસ્તારે છે. જ્યારે ભગવાન રથ પર બિરાજે છે ત્યારે ગર્ભગૃહ ખાલી થતું નથી. ગર્ભગૃહ ચાલવા લાગે છે.

જ્યારે રથ બડદાંડ પરથી પસાર થાય છે, ત્યારે રસ્તો માત્ર રસ્તો રહેતો નથી. તે મંદિરના પ્રાંગણમાં ફેરવાઈ જાય છે. જ્યારે લાખો લોકો ભગવાનને ખુલ્લા આકાશ નીચે પ્રણામ કરે છે ત્યારે ગર્ભગૃહની પવિત્રતા ચાર દીવાલોમાં સીમિત રહેતી નથી, તે સમાજના હૃદયમાં પ્રવેશ કરે છે. આથી જ રથયાત્રા વિશે ‘ભગવાન બહાર આવે છે’ એટલું કહેવું અધૂરું છે.

સાચું વાક્ય કદાચ આ હશે કે ભગવાન ગર્ભગૃહ છોડતા નથી. તેઓ ગર્ભગૃહની સીમા વિસ્તારે છે અને અહીંથી જ શ્રીજગન્નાથને સમજવાની શરૂઆત થાય છે.

અચળ બ્રહ્મ રથ પર કેમ બેસે છે?

ભારતીય ઋષિઓએ જ્યારે પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે તેમના માટે એક નહીં, અનેક વિશેષણો વાપર્યાં. ક્યાંક તેમને અનંત કહ્યા, ક્યાંક નિર્ગુણ, ક્યાંક સગુણ, ક્યાંક અવિનાશી. પરંતુ એક ઉપનિષદીય વાક્ય એવું છે જે પ્રથમ વખત વાંચીએ ત્યારે જ ગૂંચવી નાખે છે. એ છે ‘તદેજતિ તન્નૈજતિ.’ અર્થાત્- ‘તે ચાલે પણ છે અને ચાલતો પણ નથી. તે દૂર પણ છે અને સૌથી નજીક પણ છે. તે સર્વત્ર પણ છે અને દરેક હૃદયમાં પણ છે.’

તર્ક માટે આ વિરોધાભાસ છે. દર્શન માટે આ પૂર્ણતા છે.

પરમાત્માને જો કોઈ એક વ્યાખ્યામાં બાંધી શકાય તો તેઓ પરમાત્મા રહેતા જ નથી. તેઓ માત્ર એક વિચાર બની જાય છે. સનાતન પરંપરાએ પરમાત્માને વિચાર નહીં અનુભવ માન્યો છે. એટલે જ ઉપનિષદો પરમાત્માને એકસાથે સ્થિર પણ કહે છે અને ગતિમાન પણ. સ્થિર એટલા માટે કે સત્ય ક્યારેય બદલાતું નથી. ગતિમાન એટલા માટે કે કરુણા ક્યારેય અટકતી નથી. ચૈતન્ય અચળ છે, પરંતુ તેની કૃપા સદાય પ્રવાહમાન છે.

આ જ જગન્નાથના પ્રથમ દર્શન છે. રથ પર બિરાજીને ચાલે છે એ માત્ર ભગવાન નથી. ચાલે છે તેમની કરુણા. ગર્ભગૃહમાં સ્થિર છે તેમનું બ્રહ્મસ્વરૂપ. રથ પર ગતિમાન છે તેમનું ભક્તવત્સલ સ્વરૂપ. આ બે અલગ ભગવાન નથી. આ એક જ પરમાત્માના બે આયામ છે. જેમ સૂર્ય આકાશમાં સ્થિર છે, પરંતુ તેનો પ્રકાશ સતત ગતિમાન છે, તેમ જગન્નાથ પોતાના સ્વરૂપે અચળ છે, પરંતુ તેમની કૃપા ક્યારેય સ્થિર નથી રહેતી. રથયાત્રા એ કૃપાની યાત્રા છે.

એટલે જ પુરીની રથયાત્રાને જોતી વખતે આંખો રથને જુએ છે, પરંતુ મન જો જાગૃત હોય તો તેને રથ દેખાતો નથી, તેને ઉપનિષદ રસ્તા પર ચાલતાં દેખાય છે. આથી જ આ યાત્રા સમજવા માટે ઇતિહાસ પૂરતો નથી. અહીં દર્શન જોઈએ. કારણ કે અહીં ભગવાન માત્ર દેખાતા નથી, તેઓ પોતાના સ્વરૂપ વિશેની મનુષ્યની ધારણાઓને પણ ધીમે-ધીમે બદલતા જાય છે.

કઠોપનિષદનો રથ અને પ્રભુ જગન્નાથનો રથ- બંને વચ્ચે શું સંબંધ છે?

ભારતીય દર્શનમાં રથ માત્ર પરિવહનનું સાધન ક્યારેય રહ્યો નથી. રાજાઓ માટે તે સામર્થ્યનું પ્રતીક હતો, યોદ્ધાઓ માટે યુદ્ધનું, પરંતુ ઋષિઓએ રથમાં મનુષ્યનું આખું જીવન જોઈ લીધું. કઠોપનિષદમાં યમ નચિકેતાને કહે છે કે શરીર રથ છે. આત્મા તેનો સ્વામી છે. બુદ્ધિ સારથિ છે. મન લગામ છે અને ઇન્દ્રિયો ઘોડા છે. જે મનુષ્યની બુદ્ધિ જાગૃત છે, જેનું મન નિયંત્રિત છે અને જેની ઇન્દ્રિયો સંયમિત છે, તેનો રથ યોગ્ય દિશામાં આગળ વધે છે. જેની લગામ હાથમાંથી છૂટી જાય તેનો રથ ગતિમાં હોવા છતાં માર્ગ ગુમાવી દે છે.

આ શ્લોક આપણે બાળપણથી સાંભળીએ છીએ. પરંતુ પુરીમાં પહેલીવાર સમજાય છે કે ઋષિઓએ આ રૂપક શા માટે રચ્યો હતો. વિચાર કરો… રથ ક્યારેય પોતે દિશા નક્કી કરતો નથી. ઘોડા પોતાની મરજીથી દોડે તો રથ ખીણમાં જાય. સારથિ ઊંઘી જાય તો ગતિ વિનાશ બની જાય. એટલે જીવનમાં પ્રશ્ન ઝડપનો નથી. પ્રશ્ન દિશાનો છે.

આજે મનુષ્ય પહેલા કરતાં વધારે દોડી રહ્યો છે. જ્ઞાન વધી રહ્યું છે, સાધનો વધી રહ્યાં છે, સુવિધાઓ વધી રહી છે. પરંતુ શું દિશા પણ એટલી જ સ્પષ્ટ થઈ છે? રથયાત્રા અહીં એક નિઃશબ્દ પ્રશ્ન પૂછે છે કે તારો રથ ક્યાં જઈ રહ્યો છે? તું દોડી રહ્યો છે, પરંતુ શું તને ખબર છે કે ક્યાં પહોંચવાનું છે?

કદાચ એટલા માટે જ જગન્નાથનો રથ હજારો વર્ષથી માત્ર લાકડાનો રથ નથી રહ્યો. તે મનુષ્યજીવનનો અરીસો બની ગયો છે. રથનાં પૈડાં ફરતાં રહે છે, કારણ કે કાળનું ચક્ર ક્યારેય અટકતું નથી. ઘોડા આગળ વધે છે, કારણ કે જીવન પાછું ફરતું નથી. પરંતુ રથ પર બિરાજેલા ભગવાન સ્થિર રહે છે. જાણે કહેતા હોય કે સમય બદલાશે, યુગ બદલાશે, સામ્રાજ્યો આવશે અને જશે, પરંતુ જો તારા જીવનના કેન્દ્રમાં સત્ય સ્થિર રહેશે તો કોઈ ગતિ તને ભટકાવી શકશે નહીં.

આ જ કારણ છે કે રથયાત્રા માત્ર ભગવાન જગન્નાથની નથી. આ મનુષ્યની યાત્રા છે. દર વર્ષે ભગવાન રથ પર બિરાજે છે, પરંતુ કદાચ દર વર્ષે તેઓ આપણને પોતાનો રથ જોવા નહીં આપણો પોતાનો રથ જોવા આમંત્રણ આપે છે અને પછી અચાનક એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જો રથ જીવન છે તો પછી લાખો લોકો એક જ દોરડું પકડીને શા માટે ઊભા રહે છે? શું તેઓ ભગવાનનો રથ ખેંચે છે કે પછી ભગવાન જ તેમની અંદર કશુંક ખેંચી રહ્યા હોય છે?

લાખો હાથ એક જ દોરડું કેમ પકડે છે?

રથયાત્રાનું સૌથી શક્તિશાળી દૃશ્ય કયું છે? ભગવાનના પ્રથમ દર્શન? ત્રણ ભવ્ય રથો? કે પછી એ ક્ષણ જ્યારે લાખો હાથ એક જ દોરડું પકડીને એકસાથે ખેંચવાનો પ્રયાસ કરે છે? કદાચ આ છેલ્લું દૃશ્ય જ રથયાત્રાનું સૌથી ગહન રહસ્ય છે. કારણ કે અહીં એક એવો પ્રશ્ન જન્મે છે, જેનો ઉત્તર માત્ર ભક્તિમાં નહીં દર્શનમાં છુપાયેલો છે.

પરમાત્માને કોણ ખેંચી શકે? જેના સંકલ્પથી ગ્રહો ગતિ કરે છે, જેને પવન દિશા પૂછે છે, જેના નિયમથી કાળ પોતે આગળ વધે છે, તેને મનુષ્યના બે હાથ આગળ લઈ જશે! આ વિચાર જ અસંગત લાગે. તો પછી લાખો લોકો રથ કેમ ખેંચે છે? શું ભગવાનને તેમની જરૂર છે?

કદાપિ નહીં. સનાતન પરંપરા ક્યારેય એવું નથી કહેતી કે મનુષ્ય ભગવાનને ગતિ આપે છે. ઊલટું, આખું ભારતીય દર્શન તો એક જ વાત કહે છે કે મનુષ્યમાં જે કંઈ શુભ છે તે બધું પરમાત્માની પ્રેરણાથી જ ગતિ પામે છે. તો પછી આ દોરડાનું રહસ્ય શું છે? કદાચ દોરડું ભગવાનને બાંધતું જ નથી. તે મનુષ્યને ભગવાન સાથે જોડે છે.

આ બહુ સૂક્ષ્મ ભેદ છે. રથ ખેંચતી વખતે ભક્તના હાથ દોરડાને સ્પર્શે છે, પરંતુ તેની અંદર બીજું જ કંઈક ઘટતું હોય છે. વર્ષભર જે હાથ ધન એકત્ર કરે છે, સત્તા પકડે છે, સંબંધોને પકડી રાખે છે, પોતાના અહંકારને મજબૂત કરે છે, એ જ હાથ એ દિવસે એક એવા દોરડાને પકડે છે જેના બીજા છેડે પોતે ભગવાન બિરાજમાન છે. જાણે સનાતન મનુષ્યને કહી રહ્યો હોય કે જીવનમાં ઘણું પકડ્યું, હવે એકવાર મને પણ પકડીને જો.

અહીં પણ એક વિરોધાભાસ છે. ભક્તને લાગે છે કે તે દોરડું ખેંચી રહ્યો છે. દર્શન કહે છે કે ખેંચાતો તો તે પોતે જ છે. ભગવાનનો રથ આગળ વધે છે પરંતુ સાથે જ મનુષ્યના અંતરમાં વર્ષોથી જામી ગયેલી જડતા પણ ધીમે-ધીમે ખસવા લાગે છે. અહંકાર થોડો ઢીલો પડે છે. ‘હું’ થોડું હળવું બને છે. અને જ્યાં ‘હું’ હળવું થાય છે, ત્યાંથી જ આધ્યાત્મ શરૂ થાય છે.

એટલે જ રથયાત્રામાં દોરડું ખેંચવું કોઈ ધાર્મિક વિધિ માત્ર નથી. તે એક જાહેર આત્મસમર્પણ છે. એક એવી ક્ષણ, જ્યાં રાજા અને રંક વચ્ચેનું અંતર ઓગળી જાય છે. જ્યાં કોઈનું નામ નથી, કોઈની પદવી નથી, કોઈનો ગર્વ નથી. માત્ર એક સંબંધ રહે છે– ભક્ત અને ભગવાનનો. આ જ કારણ છે કે રથનું દોરડું હજારો હાથોથી પકડાય છે, પણ તેને ખેંચનાર શક્તિ કોઈ એક મનુષ્યમાં નથી. એ શક્તિ સમૂહની નથી, સમર્પણની છે. અને આ જ કારણ છે કે રથ આગળ વધે છે. લાકડાનાં પૈડાંથી નહીં. સમર્પણના ભારથી.

નગરચર્યા એટલે શું?

રથયાત્રાને ઘણી વાર ‘નગરચર્યા’ કહેવામાં આવે છે. સામાન્ય અર્થમાં તેનો અર્થ થાય– ભગવાન નગરમાં ભ્રમણ કરવા નીકળે છે. પરંતુ જો આપણે આ શબ્દને માત્ર એટલા અર્થમાં સ્વીકારી લઈએ તો જગન્નાથ પરંપરાની સૌથી ઊંડી વાત હાથમાંથી સરકી જાય.

નગરચર્યા એટલે શું? શું ભગવાનને પોતાના જ શહેરને જોવા નીકળવાની જરૂર છે? શું સર્વજ્ઞ પરમાત્મા માટે કોઈ ગલી અજાણી હોય શકે? શું તેમને પોતાના ભક્તોની ખબર લેવા બહાર આવવું પડે? આ બધા પ્રશ્નો ત્યારે જ ઊભા થાય છે જ્યારે આપણે ભગવાનને મનુષ્યની મર્યાદામાં વિચારી રહ્યા હોઈએ.

જગન્નાથ પરંપરા અહીં ફરી એકવાર વિચારને ઊંધો કરી દે છે. ભગવાન શહેરમાં આવતા નથી. શહેર ભગવાનમાં પ્રવેશે છે. જ્યારે રથ બડદાંડ પરથી પસાર થાય છે ત્યારે રસ્તો રસ્તો રહેતો નથી. ધૂળ પણ સામાન્ય ધૂળ રહેતી નથી. ઘરો માત્ર ઘરો રહેતાં નથી. વેપાર, બજાર, ભીડ… આ બધું એક દિવસ માટે પોતાના સામાન્ય અર્થ ગુમાવી દે છે. કારણ કે પવિત્રતા ગર્ભગૃહમાં બંધ રહેતી નથી, તે સમાજના મધ્યમાં આવીને ઊભી રહે છે.

આ જ જગન્નાથ પરંપરાની સૌથી મોટી ક્રાંતિ છે. સનાતન અહીં મંદિરને સમાજથી અલગ કરતો નથી. સમાજને જ મંદિર બનાવી દે છે. આ વિચારને માત્ર ધાર્મિક વિધિ તરીકે સમજવો મુશ્કેલ છે. કારણ કે આ તો જીવનનું દર્શન છે. જો ભગવાન માત્ર મંદિરમાં જ મળે તો ધર્મ જીવનથી અલગ થઈ જાય. પરંતુ જો ભગવાન રસ્તા પર પણ એટલા જ પવિત્ર હોય તો પછી જીવનનો દરેક માર્ગ સાધના બની શકે.

કદાચ એટલા માટે જ રથયાત્રા વર્ષમાં માત્ર એકવાર થાય છે. જેથી મનુષ્ય ભૂલી ન જાય કે ગર્ભગૃહ માત્ર પથ્થરની ચાર દીવાલોમાં નથી. જ્યાં ભગવાનનું સ્મરણ છે, જ્યાં કરુણા છે, જ્યાં અહંકાર ઓગળે છે… ત્યાંથી જ ગર્ભગૃહ શરૂ થાય છે.

ગુંડિચા સુધી ભગવાન નથી જતા, મનુષ્યને પોતાના મૂળ સુધી પાછા લઈ જાય છે

દરેક યાત્રાનો એક આરંભ હોય છે અને એક અંત. પરંતુ ભારતીય દર્શન કહે છે કે જે યાત્રા માત્ર અંત સુધી પહોંચે તો તે અધૂરી છે. સાચી યાત્રા એ છે જે મનુષ્યને ફરી તેના મૂળ સુધી પરત લાવે. કદાચ એટલા માટે જ જગન્નાથની રથયાત્રા માત્ર શ્રીમંદિરથી ગુંડિચા સુધી જતી નથી, તે ફરી શ્રીમંદિર સુધી પરત પણ આવે છે. આ વાપસી વગર રથયાત્રા પૂર્ણ થતી નથી.

સામાન્ય રીતે ગુંડિચા મંદિરને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. આ લોકપરંપરાનું પોતાનું સ્થાન છે. પરંતુ જગન્નાથ પરંપરા માત્ર લોકકથાઓ પર ઊભી નથી. તેની પાછળનું દર્શન વધુ ગહન છે. કારણ કે પરમાત્માને ક્યાંય જવાનું નથી. જે સર્વવ્યાપી છે, તેને કોઈ સ્થાન બદલવાની જરૂર જ નથી. તો પછી આ આખી યાત્રા કોના માટે છે? જવાબ ધીમે-ધીમે ખુલવા લાગે છે. યાત્રા ભગવાનની નથી. યાત્રા મનુષ્યની છે.

ભગવાન તો માત્ર તેની સાથે ચાલે છે. મનુષ્યનું આખું જીવન પણ આવું જ છે. જન્મથી મૃત્યુ સુધી તે સતત દોડે છે. જ્ઞાન માટે, ધન માટે, સંબંધો માટે, પ્રતિષ્ઠા માટે, સફળતા માટે. તેને હંમેશાં લાગે છે કે તે આગળ વધી રહ્યો છે. પરંતુ એક દિવસ અચાનક સમજાય છે કે જેટલું બહાર ગયો, એટલો પોતાના અંતરથી દૂર થઈ ગયો.

ઉપનિષદો વારંવાર એક જ વાત કહે છે કે જેને તું બહાર શોધે છે, તે તારા અંતરમાં જ છે. જગન્નાથની ગુંડિચા યાત્રા જાણે આ જ વાક્યને રસ્તા પર ઉતારી દે છે. ભગવાન બહાર જાય છે. પછી પાછા ફરે છે. જાણે મનુષ્યને કહી રહ્યા હોય કે બહાર જા. જીવન જીવી લે. અનુભવ એકત્ર કર. સંઘર્ષ કર. પણ અંતે પાછો ફરવાનું ભૂલતો નહીં.

કારણ કે જે પોતાના મૂળ સુધી પાછો નથી ફરતો, તે આખું જીવન યાત્રામાં રહે છે, પરંતુ ક્યારેય ગંતવ્ય સુધી પહોંચતો નથી. એટલે જ બહૂડા યાત્રા રથયાત્રા જેટલી જ મહત્ત્વની છે. બહાર જવાનું જેટલું જરૂરી છે, પાછા આવવું એટલું જ જરૂરી છે.

કદાચ આ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિએ મોક્ષને ક્યાંય જવાનું નામ નથી આપ્યું. પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવાનું નામ આપ્યું છે. જગન્નાથનો રથ ગુંડિચાથી પાછો ફરે છે. જાણે મનુષ્યને યાદ અપાવે છે કે દરેક યાત્રા પછી ઘરે આવવું જરૂરી છે અને અંતે સૌથી મોટું ઘર પોતાનું અંતર છે.

રથયાત્રા પૂર્ણ થાય છે… પરંતુ એક પ્રશ્ન આખું જીવન પીછો છોડતો નથી

નવ દિવસ પછી રથો ફરી શ્રીમંદિર સામે ઊભા રહે છે. ભગવાન ફરી ગર્ભગૃહમાં બિરાજે છે. બડદાંડ પરની ભીડ ઓછી થવા લાગે છે. દુકાનો ફરી ખૂલે છે. જીવન ફરી સામાન્ય ગતિએ દોડવા લાગે છે. બહારથી જોનારને લાગે છે કે રથયાત્રા પૂરી થઈ ગઈ. પરંતુ શું ખરેખર પૂરી થઈ? જો રથ માત્ર લાકડાનો હતો. તો હા.

જો યાત્રા માત્ર પુરીની હતી, તો હા. પરંતુ જો રથ જીવન હતો, જો દોરડું સમર્પણ હતું, જો ગર્ભગૃહ ચૈતન્ય હતું, જો નગરચર્યા સમાજને પવિત્ર બનાવવાનો સંકલ્પ હતી તો પછી રથયાત્રા નવ દિવસમાં કેવી રીતે પૂરી થઈ શકે? સાચી રથયાત્રા તો એ દિવસે શરૂ થાય છે જ્યારે મનુષ્ય પ્રથમ વખત પોતાના અંદર બેઠેલા અહંકારને ઓળખે છે.

જે દિવસે તેને સમજાય છે કે આખું જીવન તે સત્યને (ભગવાન) શોધવા નીકળ્યો હતો, જ્યારે સત્ય તો સતત તેને જ શોધતું રહ્યું. જે દિવસે તેને સમજાય છે કે પરમાત્મા સુધી પહોંચવાની સૌથી મોટી અડચણ અંતર નથી, અહંકાર છે.

જે દિવસે આ અહંકારનો રથ ધીમે-ધીમે અટકી જાય છે તે દિવસે જગન્નાથનો રથ હૃદયમાં આગળ વધવા લાગે છે. કદાચ એટલા માટે જ પુરીની રથયાત્રા દર વર્ષે ફરી થાય છે. ભગવાનને યાદ કરાવવા માટે નહીં. મનુષ્યને જગાડવા માટે. એટલા માટે જ ભગવાન દર વર્ષે ગર્ભગૃહમાંથી બહાર આવે છે.

ભક્તોને દર્શન આપવા માટે નહીં. મનુષ્યને તેની અંદર જ સૂઈ ગયેલા દેવત્વની યાદ અપાવવા માટે અને કદાચ એટલા માટે જ તેમને ‘જગન્નાથ’ કહેવાયા છે. કારણ કે તેઓ માત્ર જગતના નાથ નથી. તેઓ એ ભગવાન છે, જે ગર્ભગૃહમાં સ્થિર રહીને પણ આખા વિશ્વમાં ફરી શકે છે અને આખા વિશ્વમાં ફરીને પણ દરેક ભક્તના હૃદયમાં સ્થિર રહી શકે છે.

એટલે રથયાત્રા પૂરી થતી નથી. દર વર્ષે પુરીમાં રથ નીકળે છે. પણ સાચી રથયાત્રા તો એ દિવસે શરૂ થાય છે જે દિવસે મનુષ્ય પોતાના હૃદયમાં ભગવાન માટે જગ્યા બનાવે છે અને કદાચ એ જ દિવસે તેને સમજાય છે કે ભગવાન ક્યારેય ગર્ભગૃહ છોડીને ગયા જ નહોતા. ગર્ભગૃહ તો આખરે તેનું પોતાનું હૃદય જ હતું.

એટલા માટે જ જગન્નાથ પરંપરા સનાતનને એક અદભુત સંદેશ આપે છે. પ્રાણપ્રતિષ્ઠા પછી દેવતા ગર્ભગૃહમાં જ બિરાજે છે– આ પરંપરા છે. જગન્નાથ વર્ષમાં એકવાર ગર્ભગૃહની બહાર આવે છે– આ પણ પરંપરા છે. બંનેમાં કોઈ વિરોધ નથી. કારણ કે પ્રથમ પરંપરા આપણને શીખવે છે કે પરમાત્મા ચિરંતન છે.

બીજી પરંપરા શીખવે છે કે એ જ ચિરંતન પરમાત્માની કરુણાને કોઈ દીવાલ બાંધી શકતી નથી. એટલે રથયાત્રામાં ભગવાન મંદિર છોડતા નથી. તેઓ મંદિરની મર્યાદા તોડતા નથી. તેઓ માત્ર એટલું કરે છે કે મંદિરની પવિત્રતાને સમગ્ર સમાજ સુધી વિસ્તારી દે છે.

આ જ રથયાત્રાનું સૌથી મોટું દર્શન છે અને કદાચ આ જ કારણ છે કે પુરીમાં દર વર્ષે માત્ર રથ આગળ વધતો નથી. આગળ વધે છે સનાતન. આગળ વધે છે મનુષ્યનું ચૈતન્ય અને આગળ વધે છે એ અખંડ વિશ્વાસ કે સત્ય સુધી પહોંચવા માટે માત્ર મનુષ્ય જ યાત્રા કરતો નથી, ક્યારેક પરમાત્મા પણ મનુષ્ય તરફ એક પગલું ભરે છે. એ જ પગલું… રથયાત્રા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં