હોમપેજસ્પેશ્યલતાહિર હુસૈનને બચાવવા કોણ-કોણ મેદાનમાં ઊતર્યું હતું? અંકિત શર્મા હત્યા કેસના ચુકાદા...

તાહિર હુસૈનને બચાવવા કોણ-કોણ મેદાનમાં ઊતર્યું હતું? અંકિત શર્મા હત્યા કેસના ચુકાદા બાદ જાણો 2020થી શરૂ થયેલો લેફ્ટ-ઇસ્લામી ઇકોસિસ્ટમનો આખો ખેલ

આ આખી ઇકોસિસ્ટમ માટે પીડિત હિંદુઓ ક્યારેય માનવાધિકારના દાયરામાં આવતા જ નથી, તેમના માટે ન્યાય માત્ર અને માત્ર કટ્ટરપંથી હિંસાખોરોને કાયદાના સકંજામાંથી વ્હાઇટવોશ કરીને બહાર કાઢવામાં જ રહેલો છે. આ પહેલાં પણ આતંકી અજમલ કસાબને નિર્દોષ અને બુરહાન વાનીને ‘વિદ્યાર્થી’ સાબિત કરવાના પ્રયાસોથી દેશ અજાણ્યો નથી.

- Advertisement -

વર્ષ 2020ના દિલ્હી રમખાણોના મુખ્ય કાવતરાખોર અને આમ આદમી પાર્ટીના (AAP) પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને અદાલતે અંકિત શર્મા હત્યાકાંડ મામલે દોષિત જાહેર કરી દીધો છે. આ ચુકાદો માત્ર એક ગુનેગારને તેના પાપની સજા આપવા પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારતીય ન્યાય પ્રણાલીની એ મોટી જીત છે જે દેશવિરોધી તત્વોના મોઢા પર સણસણતા તમાચા સમાન છે. કોર્ટના આ ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે કાયદાની નજરમાં ગુનો એ ગુનો જ રહે છે, પછી ભલે તેને બચાવવા માટે ગમે તેટલી મોટી લેફ્ટ ઇકોસિસ્ટમ મેદાનમાં કેમ ન ઉતરી હોય.

સમગ્ર મામલો વર્ષ 2020નો છે. 25 ફેબ્રુઆરી 2020ના રોજ CAAની આડમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ભયાનક હિંદુવિરોધી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડની ઘટનાઓમાં કુલ 53 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. આ ભયાનક રમખાણો દરમિયાન જ આઇબી અધિકારી અંકિત શર્મા ગુમ થયા હતા અને તેમની ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

અંકિત શર્માના પિતા રવિન્દર કુમારે દયાલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અંકિત 25 ફેબ્રુઆરીએ નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ બહાર ગયા હતા અને પાછા આવ્યા નહોતા. સ્થાનિક લોકોએ પરિવારને માહિતી આપી હતી કે અંકિતની હત્યા કરીને તેમની લાશને ચાંદ બાગ પુલિયા વિસ્તારમાં એક મસ્જિદ નજીક ખજૂરી ખાસના ગંદા નાળામાં ફેંકી દેવામાં આવી છે. ત્યારબાદ નાળામાંથી તેમની ક્ષત-વિક્ષત લાશ મળી આવી હતી.

- Advertisement -

રવિન્દર કુમારે પોતાની ફરિયાદમાં સ્પષ્ટ આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન AAP કાઉન્સિલર તાહિર હુસૈન અને તેના ગુંડાઓએ જ અંકિતની હત્યા કરી છે. હત્યા પહેલાં આ તમામ બદમાશો તાહિર હુસૈનની ઑફિસે ભેગા થયા હતા અને ગુનો આચર્યા બાદ લાશને નાળામાં ફેંકીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલી ભયાનક કરપીણ હત્યાને પણ આ ઇકોસિસ્ટમ સામાન્ય ઘટના ગણાવી રહી હતી. આ આખી જમાતે સોશિયલ મીડિયા પર તો તાહિરને નિર્દોષ સાબિત કરી જ દીધો હતો. જોકે ન્યાયતંત્રએ વાસ્તવિકતાના આધારે નિર્ણય લઈને તેને દોષી જાહેર કર્યો છે.

દિલ્હીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ પ્રવીણ સિંઘે આ કેસની સુનાવણી કરતા તાહિર હુસૈન સહિત નાઝિમ, કાસિમ, જાવેદ અને અનસને હત્યા, રમખાણો ભડકાવવા, બે ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવી અને વ્યક્તિને અપમાનિત કરવા માટે ફોજદારી બળ વાપરવા જેવી ગંભીર કલમો હેઠળ દોષિત જાહેર કર્યા છે. જોકે, પુરાવાના અભાવે અન્ય છ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.

કેસની શરૂઆત અને ઇકોસિસ્ટમની કાગારોળ

આ કેસની શરૂઆતથી જ લેફ્ટિસ્ટ પત્રકારો, કથિત બૌદ્ધિકો, બોલિવૂડ કલાકારો અને ઇસ્લામવાદીઓની આખી જમાત એક થઈને તાહિર હુસૈનના ડિફેન્સમાં ઊતરી પડી હતી. જ્યારે ઉત્તર-પૂર્વ દિલ્હી સળગી રહ્યું હતું અને નિર્દોષ હિંદુઓ પોતાના જીવ બચાવવા ભાગી રહ્યા હતા ત્યારે આ આખી ઇકોસિસ્ટમ રમખાણોની આડમાં હિંદુઓ પર જ દોષનો ટોપલો ઢોળવા અને તાહિર હુસૈનને ‘બલિનો બકરો’ સાબિત કરવાના નિકૃષ્ટ ષડયંત્રમાં વ્યસ્ત હતી.

આ ઇકોસિસ્ટમનું મુખ્ય હથિયાર હંમેશાથી ‘વ્હાઇટવોશ પ્રોપગેન્ડા’ રહ્યું છે, જેમાં તેઓ હિંદુ સમાજના પીડિતોના અવાજને કચડી નાખે છે અને મુસ્લિમ સમુદાયના ખૂની ગુનેગારોને પણ લાચાર દર્શાવીને રજૂ કરે છે. તાહિર હુસૈનના મામલામાં પણ તેમણે એ જ જુની સ્ક્રીપ્ટ વાપરી હતી. ઇકોસિસ્ટમે કાગારોળ મચાવી દીધી હતી કે ભાજપ સરકાર અને દિલ્હી પોલીસ જાણીજોઈને એક મુસ્લિમ નેતાને ટાર્ગેટ કરી રહી છે.

આ બચાવ મંડળીમાં સૌથી મોખરે આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય અમાનતુલ્લા ખાન હતો. અમાનતુલ્લા ખાને તાહિર હુસૈનની ધરપકડના દિવસથી જ તેની છબી સુધારવાના હવાતિયાં શરૂ કર્યા હતા. તાજેતરમાં જ્યારે કોર્ટે પુરાવાઓના આધારે તાહિરને ગુનેગાર સાબિત કર્યો ત્યારે પણ અમાનતુલ્લા ખાને કોર્ટના નિર્ણય સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરીને સાબિત કરી દીધું કે તેની વફાદારી બંધારણ સાથે નહીં પરંતુ પોતાના મજહબી કટ્ટરપંથીઓ સાથે છે.

પ્રોપગેન્ડા મશીનરી અને ફેક્ટ-ચેકિંગના નામે છેતરપિંડી

આ કેસમાં સૌથી વધુ નફ્ફટાઈ ઑલ્ટ ન્યુઝના કથિત ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબૈરે બતાવી હતી. જ્યારે તાહિર હુસૈનની ફેક્ટરી અને ઘરની અગાશી પરથી હિંદુઓ પર એસિડ બૉમ્બ, પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ ફેંકવાના વિડીયો વાયરલ થયા, ત્યારે મોહમ્મદ ઝુબૈરે તાહિરનો એક સ્ક્રિપ્ટેડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ઝુબૈરે એવું સાબિત કરવાનો ભારે પ્રયત્ન કર્યો હતો કે તાહિર હુસૈન તો હિંસા દરમિયાન પોતે અસહાય હતો અને જીવ બચાવવા માટે પોલીસની મદદ માંગી રહ્યો હતો.

પછીથી આ જ વિડિયોનો ઉપયોગ કરીને આખી જમાત તાહિરને બાપળો-બિચારો-પીડિત-નિર્દોષ સાબિત કરવા મથતી રહી.આ એડિટેડ નરેટિવ પાછળનો હેતુ બહુ સ્પષ્ટ હતો, લોકોનું ધ્યાન તાહિર હુસૈનની અગાશી પર રહેલા એસિડ મશીનો, ગુલેલ અને પથ્થરોના ઢગલા પરથી હટી જાય. મોહમ્મદ ઝુબૈર અને તેની ‘ઑલ્ટ ન્યુઝ’ ફેક્ટરીએ આખા રમખાણમાં ઇસ્લામી કટ્ટરપંથી માનસિકતાને છુપાવવા અને હિંદુઓને આક્રમણખોર બતાવવા માટે પોતાની કલમ અને પ્લેટફોર્મનો ભરપૂર દુરુપયોગ કર્યો હતો.

આ જ ગેંગની સક્રિય સભ્ય એવી ‘અભિનેત્રી’ સ્વરા ભાસ્કરે પણ હંમેશાની જેમ ભડકાઉ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા તપાસ એજન્સીઓની કાર્યવાહી પર કાદવ ઉછાળ્યો હતો. તેણે તાહિર હુસૈનની ધરપકડનો વિરોધ કરીને તેને નિર્દોષ સાબિત કરવા માટે આખી કાયદાકીય તપાસને જ એક ‘રાજકીય ષડયંત્ર’ જાહેર કરી દીધી હતી. જોકે તેણે રમખાણ પીડિત હિંદુ પરિવારોના આક્રંદ અને અંકિતની હત્યા સામે આંખ આડા કાન કરી દીધા હતા. આ ઉપરાંત સ્વરાએ પણ ઑલ્ટ ન્યુઝનો જ વિડીયો મૂકીને બદમાશી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ગેંગના નેરેટિવને સમર્થન આપતા કટ્ટરપંથીઓએ આ વિડિયોને સોશિયલ મીડિયા પર મોટી માત્રામાં વાયરલ કર્યો હતો અને એવો પ્રોપગેન્ડા ઘડવાનો પૂરતો પ્રયાસ થયો હતો કે રમખાણો સમયે તાહિર પોતે પોલીસ બોલાવી રહ્યો હતો. જોકે નેટિઝન્સે તેનું આ જૂઠ પકડી પાડ્યું હતું અને વિડિયોનું ફેક્ટચેક કરી નાખ્યું હતું.

આ ઉપરાંત લેફ્ટ ઇકોસિસ્ટમની ઇસ્લામવાદી ‘પત્રકાર’ આરફા ખાનમ શેરવાનીએ પણ લેફટાઓના મુખપત્ર ‘ધ વાયર’ના માધ્યમથી તાહિરની ધરપકડને ‘મુસ્લિમો પરનો અત્યાચાર’ ગણાવીને રોદણા રડ્યા હતા. આરફા ખાનમ અને તેની ટોળકીએ આ કેસને એવી રીતે રજૂ કર્યો હતો કે જાણે ભારતમાં મુસ્લિમો માટે કોઈ ન્યાય જ બચ્યો નથી. તેમણે ઇન્ટેલિજન્સ બ્યુરોના યુવાન અધિકારી અંકિત શર્માની હત્યાની કરપીણતાને સંપૂર્ણપણે અવગણી દીધી હતી.

‘ધ વાયર’ અને તેના જેવાં અન્ય લેફ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ્સે હિંદુવિરોધી રમખાણોની ચાર્જશીટને જ અપ્રમાણિક સાબિત કરવા માટે અગણિત પ્રોપગેન્ડા ફેલાવતા અહેવાલો છાપી માર્યા હતા. જોકે આ બધી જ આ વાર્તાઓ પાછળ એક જ હેતુ હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે એવો માહોલ બનાવવો કે ભારતમાં કાયદાકીય સંસ્થાઓ અને પોલીસ તંત્ર નિષ્પક્ષ નથી રહ્યું, જેથી વૈશ્વિક સ્તરે ભારતની છબીને નુકસાન પહોંચાડી શકાય.

લિબરલ ઇકોસિસ્ટમનું કૂણું વલણ અને બૌદ્ધિક બદમાશી

માત્ર બની બેઠેલા પત્રકારોની ગેંગ જ નહીં પણ બોલિવૂડના સ્વયંભૂ બૌદ્ધિક ગીતકાર જાવેદ અખ્તરે પણ આ મામલે પોતાનો વાસ્તવિક ચહેરો જાહેર કર્યો હતો. તેમણે તાહિર હુસૈનના ઘરને સીલ કરવા અને તેના પર થયેલી ત્વરિત કાયદાકીય કાર્યવાહી સામે સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે શા માટે માત્ર તાહિરના ઘર પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જાવેદ અખ્તરે ચતુરાઈપૂર્વક ઘટનાને કોમી ચશ્માથી રજૂ કરી જેથી કાવતરાખોર તાહિરને સહાનુભૂતિ મળી રહે.

આ સિવાય મ્યુઝિક ડાયરેક્ટર વિશાલ દદલાની પણ આ વ્હાઇટવોશ પ્રોજેક્ટમાં પાછળ નહોતો. તેણે પણ X પર સવાલો ઉઠાવીને દિલ્હી પોલીસના કામ પર શંકા વ્યક્ત કરી હતી. વિશાલ દદલાની જેવા કલાકારો જ્યારે આવા દેશદ્રોહી અને રમખાણખોરોના બચાવમાં ઊભા રહે છે ત્યારે તે સાબિત કરે છે કે આ કલ્ચરલ લેફ્ટ ઇકોસિસ્ટમના મૂળ કેટલા ઊંડા ગયેલા છે અને તેઓ દેશની આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડનારા તત્વોના બચાવમાં કેવા તત્પર રહે છે.

વોટબેંકની ગંદી રાજનીતિ અને કાયદા સામે પડકાર

રાજકીય મોરચે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ તાહિર હુસૈનના ગુનાઓ પર ઢાંકપિછોડો કરવા માટે રમખાણોની તપાસને જ એકતરફી કહી દીધી હતી. ઓવૈસીએ દિલ્હી પોલીસના ઇરાદાઓ પર વારંવાર સવાલ ઉઠાવ્યા હતા જેથી પોતાના ઇસ્લામી કટ્ટરપંથી સમર્થકોને ખુશ રાખી શકાય. જોકે, કાયદાકીય પુરાવાઓ સામે લઘુમતી હોવાનું વિકટીમ કાર્ડ રમવું અને પોતાને પીડિત છે એવું દર્શાવવું એ ઓવૈસીની જૂની આદત રહી છે અને તાહિરનો કેસ તેનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.

જોકે AIMIMના અસદુદ્દીન ઓવૈસી માત્ર બચાવ કરીને અટક્યાં નહોતા. તેમણે 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જેલમાં રહેલા તાહિરને તેમની પાર્ટીમાં સામેલ કર્યો હતો અને એટલું જ નહીં મુસ્તફાબાદ વિધાનસભા સીટની ટિકિટ પણ આપી હતી.

આ ઉપરાંત ‘વરિષ્ઠ પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ પણ પોતાનાં કથિત ‘તટસ્થ’ પત્રકારત્વની આડમાં આ આખી ઇકોસિસ્ટમને બૌદ્ધિક પીઠબળ પૂરું પાડ્યું હતું. તે સીધા વિરોધમાં દેખાવાને બદલે શંકાના વાદળો ઊભા કરીને તપાસની દિશાને ભટકાવવાના પ્રયત્નો કરતો હતો, જેથી તાહિર હુસૈન જેવા ગુનેગારોને કોર્ટમાં નબળી ચાર્જશીટનો ફાયદો મળી શકે.

આ ઉપરાંત વિશ્વ સમક્ષ ભારત સરકારની છબી ધૂમિલ કરવા માટે કુખ્યાત લેફ્ટ એક્ટિવિસ્ટ અને ઇસ્લામવાદી રાણા અય્યુબે પશ્ચિમી મીડિયા પ્લેટફોર્મ્સ પર ભારત સરકાર અને દિલ્હી પોલીસ વિરુદ્ધ ઝેર ઓકવાનું ચાલુ રાખ્યું હતું. રાણા અય્યુબે તાહિર હુસૈનને પીડિત અને બાપળા-બિચારા તરીકે રજૂ કર્યો હતો. ગુનાહિત કાવતરાના નક્કર પુરાવાઓ હોવા છતાં આ ઇકોસિસ્ટમ સતત મજહબની આડમાં ગુનેગારને રક્ષણ આપતી રહી.

જોકે આ કોઈ પહેલી ઘટના પણ નથી. લિબરલ ઇકોસિસ્ટમનું આ માળખું એટલું સુવ્યવસ્થિત છે કે જ્યારે પણ હિંદુઓ વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર ઘડાય છે ત્યારે આખી સિસ્ટમ સક્રિય થઈ જાય છે. લેફ્ટ મુખપત્રો પ્રોપગેન્ડા અને નેરેટિવ સેટ કરતા અહેવાલો છાપે છે, એ જ ગેંગના વકીલો મફતમાં કોર્ટમાં હાજર થઈ જાય છે, એક્ટિવિસ્ટો રસ્તા પર ઉતરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના લોકશાહી માળખા પર માછલાં ધોવાનું શરૂ કરી દેવામાં આવે છે. જો કોઈ આ ગેંગ સામે તથ્ય મૂકવાનો પ્રયાસ પણ કરે તો તેને ‘ભક્ત’ ગણાવી દેવામાં આવે છે.

હિંદુ નરસંહાર અને ઇસ્લામી ગુનેગારોના વ્હાઇટવોશનો કાળો ઇતિહાસ

પરંતુ આ કોઈ આકસ્મિક અથવા નવી ઘટના નથી. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ દેશમાં હિંદુઓનો નરસંહાર થયો છે ત્યારે-ત્યારે આ લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમે હંમેશા ઇસ્લામવાદી આક્રમણખોરો અને ગુનેગારોને નિર્દોષ સાબિત કરવા માટે પોતાની એડી-ચોટીનું જોર લગાવી દીધું છે. આ ઇકોસિસ્ટમ પીડિત હિંદુઓ પર જ હિંસા ભડકાવવાનો આરોપ મઢી દેવામાં પાવરધી છે. આવા ઘણા મામલા ઇતિહાસમાં સામે આવી ચૂક્યા છે.

જ્યારે કાશ્મીરમાં 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર અત્યાચારના કોરડા વીંઝાયા, હિંદુ બહેન-દીકરીઓ પર બળાત્કાર ગુજારાયા અને તેમને પોતાના જ ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યાં, અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યા ત્યારે આ જ ઇકોસિસ્ટમે આ ભયાનક નરસંહારને ‘બેરોજગારી અને ગરીબીનો આક્રોશ’ કહીને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. બેશરમીની હદ તો એ છે આ જ ગેંગે આતંકવાદી યાસીન મલિક જેવા હત્યારાઓને ‘યુથ આઇકોન’ તરીકે રજૂ કર્યા હતા.

એ જ રીતે 1946ના ‘ડાયરેક્ટ એક્શન ડે’ના કાળા ઇતિહાસને પણ આ ગેંગે ઇતિહાસનાં પુસ્તકોમાંથી ગાયબ કરી દીધો અથવા તેને વિકૃત કરીને રજૂ કર્યો. મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગ દ્વારા કલકત્તામાં કરવામાં આવેલા હિંદુઓના કત્લેઆમને પણ બચાવવા માટે આ જ પ્રકારના નરેટિવ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ગેંગ હંમેશાં હિંદુ પીડિતોના દર્દને ભૂંસી નાખવા અને ઇસ્લામી આતતાયીઓને બચાવવા માટે મોખરે રહી છે.

કાશ્મીરની વાત હોય કે ડાયરેક્ટ એક્શન ડેની કે પછી મોપલા કાંડ હોય, ગોધરા કાંડ હોય, 26/11નો હુમલો હોય કે દિલ્હીમાં થયેલ હિંદુવિરોધી રમખાણો હોય. જ્યારે પણ ગુનેગાર કે આરોપી તરીકે મુસ્લિમોના નામ સામે આવે છે ત્યારે આ આખી ઇકોસિસ્ટમ એ રીતે સક્રિય થઈ જાય છે જાણે કે ગુનેગારો તેમના સગા થતાં હોય. દર વખતે એવું સાબિત કરવાનો પ્રયાસ થાય છે કે મુસ્લિમ ગુનેગારો તો સદંતર નિર્દોષ છે અને તેમને માત્ર એક પદ્ધતિસરના કાવતરાના ભાગરૂપે ફસાવવામાં આવી રહ્યા છે.

આ લેફ્ટ-લિબરલ-ઇસ્લામી ગેંગ ગુનાની ભયાનકતા ભૂલીને ગુનેગારનો મજહબ જોઈને તેની ઢાલ બની જાય છે. કાશ્મીરમાં હિંદુઓના નરસંહારને તેમણે ‘ગરીબી અને આક્રોશ’નું નામ આપ્યું, 26/11ના પાકિસ્તાની આતંકી હુમલાને ‘RSSનું ષડયંત્ર’ કહીને ‘ભગવા આતંકવાદ’ અને ‘હિંદુ આતંકવાદ’નો નવો નરેટિવ ઘડવાનો નીચ પ્રયાસ કર્યો, ગોધરામાં કારસેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના પર પડદો નાખવા માટે સાયન્ટિફિક થીયરીઓ શોધી લાવ્યા અને મોપલા કાંડના હિંદુ નરસંહારને ‘ખેડૂત આંદોલન’માં ખપાવી દીધો.

આ આખી ઇકોસિસ્ટમ માટે પીડિત હિંદુઓ ક્યારેય માનવાધિકારના દાયરામાં આવતા જ નથી, તેમના માટે ન્યાય માત્ર અને માત્ર કટ્ટરપંથી હિંસાખોરોને કાયદાના સકંજામાંથી વ્હાઇટવોશ કરીને બહાર કાઢવામાં જ રહેલો છે. આ પહેલાં પણ આતંકી અજમલ કસાબને નિર્દોષ અને બુરહાન વાનીને ‘વિદ્યાર્થી’ સાબિત કરવાના પ્રયાસોથી દેશ અજાણ્યો નથી. જોકે તાહિર હુસૈન મામલે આવેલો કોર્ટનો ચુકાદો આ બૌદ્ધિક બદમાશી કરતી દેશવિરોધી મશીનરીના ગાલ પર તમાચા સમાન છે.

દિલ્હીની અદાલતે તાહિર હુસૈનને દોષિત ઠેરવીને આ આખી લેફ્ટ-લિબરલ અને કટ્ટરપંથી ઇકોસિસ્ટમના વાસ્તવિક ચહેરાને ઉઘાડો પાડી દીધો છે. આ ચુકાદો દેશના નાગરિકો માટે એક ઉદાહરણ સમાન છે કે આપણે માત્ર કાયદાકીય લડત નથી લડવાની, પરંતુ આવા બૌદ્ધિક નરેટિવ્સ સામે પણ સતત ઊભા રહેવાનું છે, જેથી ફરીથી જો આ ઇકોસિસ્ટમ મજહબના આધારે કોઈને પીડિત સાબિત કરવાનો પ્રયાસ કરે તો તેમાં ભોળવાઈ ન જવાય.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં