Sunday, April 27, 2025
More
    હોમપેજદેશઇસ્લામી આતંકવાદીઓએ હિંદુઓને ધર્મ પૂછીને મારી નાખ્યા, પણ યુટ્યુબર પ્રશાંત દયાળ ઈચ્છે...

    ઇસ્લામી આતંકવાદીઓએ હિંદુઓને ધર્મ પૂછીને મારી નાખ્યા, પણ યુટ્યુબર પ્રશાંત દયાળ ઈચ્છે છે કે આપણે તેની ચર્ચા ન કરીએ…કારણ કે તેનાથી ‘માહોલ બગડશે’!

    પ્રશાંત દયાળ કહે છે કે, આપણાં દેશમાં વિવિધતામાં એકતા છે અને સેક્યુલરિઝમ છે પણ પાકિસ્તાન ઝેર ભેળવે છે. આ સેક્યુલરિઝમની સુફિયાણી વાતો છે, પણ હકીકતો જુદું જ કહે છે. પાછલા વર્ષોમાં હિંદુ યાત્રાઓ પર હુમલાઓ થયા, હિંદુઓના નરસંહાર થયા, કન્હૈયાલાલ અને ઉમેશ જેવાઓની હત્યા થઈ અને અનેક મજહબી હિંસાઓ થઈ તેનું શું?

    - Advertisement -

    દેશમાં કે દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી હુમલો થાય ત્યારે આપણે ત્યાંની લિબરલ-સેક્યુલર ટોળકી તરત જ વ્હાઇટવૉશ કરવાનું કામ ઉપાડી લે છે અને કહેવા લાગે છે કે આતંકીઓનાં નામ ભલે મુસ્લિમ હોય, પણ ખરેખર તો આતંકવાદનો કોઈ મજહબ નથી હોતો. પણ આ વખતે કાશ્મીરના પહલગામમાં ઇસ્લામી આતંકવાદીઓએ સાબિત કરી દીધું કે આતંકવાદનો મજહબ હોય છે અને આ આતંકવાદ ‘કાફિરોનાં’ નામ પૂછીને ગોળી મારે છે. પહલગામની આ ઘટનાના પડઘા વિશ્વભરમાં પડ્યા છે કારણ કે સરજાહેર નિઃશસ્ત્ર હિંદુઓની હત્યા થઈ. હિંદુ હોવાના કારણે હત્યા થઈ.

    પહલગામમાં હિંદુઓને નામ પૂછીને ગોળી મારવામાં આવી, એ સાબિત થઈ ગયું કે નિર્દોષોને ધર્મના આધારે ટાર્ગેટ કરવામાં આવ્યા, એટલે હવે આ ટોળકી એક નવું તૂત લઈને આવી છે– આપણને તેની ચર્ચા કરતા અટકાવવા માટે. કારણ કે આ વિષયની ચર્ચા જેટલી વધારે થશે તેટલો વર્ષોથી જે વાહિયાત પ્રોપગેન્ડા ચલાવવામાં આવ્યો છે એ ખુલ્લો પડતો જશે. આ ગેંગ કહે છે કે પાકિસ્તાન એવું જ ઈચ્છે છે કે આપણે હિંદુ-મુસ્લિમ કરીએ, જેથી તણાવ વધે અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય. અમુક નેતાઓ પણ તમને આવી વાતો કરતા જોવા મળશે. આવી જ દલીલો નવજીવન ન્યૂઝ ચલાવતા યુટ્યુબર પ્રશાંત દયાળે કરી છે. આ વખતે તેમણે પાકિસ્તાનની આડશ પાથરીને હિંદુઓને ચર્ચા કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો છે.

    પણ અહીં પૂછવાનું એ થાય છે કે સત્ય હકીકતની ચર્ચા કરવામાં કોઈને તકલીફ કેમ થવી જોઈએ? દર વખતે હિંદુઓ જ્યારે સત્ય બોલવા માટે બહાર આવે છે ત્યારે આ ગેંગ આવી સુફિયાણી વાતો કરીને બેસાડી દે છે અને કહે છે કે તેનાથી ‘માહોલ બગડશે’. પણ પ્રશ્ન એ છે કે સત્ય હકીકત બહાર આવતી હોય તો તેનાથી માહોલ બગાડવા માટે ઉશ્કેરાય જવાની કેમ જરૂર છે?

    - Advertisement -

    શું મુસ્લિમ આતંકવાદીઓએ હિંદુઓને વીણીવીણીને માર્યા એમ કહેવાથી માહોલ બગડી જશે? તો એ માહોલ બગાડનારાને પકડીને સમજાવવાના હોય કે સાચી હકીકતની ચર્ચા કરતા હોય તેમને? હકીકત એ પણ છે કે આ ગેંગ દર વખતે હિંદુઓને સમજાવવા માટે નીકળી પડે છે પણ ક્યારેય માહોલ બગાડનારાઓને પ્રશ્ન કરતી નથી. ઝારખંડનો એક મુસ્લિમ જાહેરમાં પાકિસ્તાની આતંકીઓનો આભાર માને છે અને બજરંગદળ-RSS પર હુમલો કરવાનું આમંત્રણ આપે છે ત્યારે માહોલ નથી બગડતો? માહોલ હિંદુઓ જ્યારે સત્ય હકીકતની વાત કરે ત્યારે જ કેમ બગડે છે?

    વાસ્તવમાં ઇકોસિસ્ટમ ઈચ્છે છે કે આપણે આ ચર્ચા ન કરીએ, તેને એક સામાન્ય આતંકવાદી હુમલા તરીકે જ જોઈએ, કારણ કે જો હકીકત સામે આવશે તો વર્ષોથી આ ગેંગ જે ‘આતંકવાદનો મજહબ હોતો નથી’નો પ્રોપગેન્ડા ચલાવે છે એ સામે આવી જશે. આ પ્રોપગેન્ડા સામે ન આવે તેથી આ ગેંગ સુફિયાણી વાતો કરે છે અને એક નવો નેરેટિવ સેટ કરીને હિંદુઓને સત્ય હકીકતની વાત કરતા અટકાવે છે.

    બીજું, પ્રશાંત દયાળ કહે છે કે, આપણાં દેશમાં વિવિધતામાં એકતા છે અને સેક્યુલરિઝમ છે પણ પાકિસ્તાન ઝેર ભેળવે છે. આ સેક્યુલરિઝમની સુફિયાણી વાતો છે, પણ હકીકતો જુદું જ કહે છે. પાછલાં વર્ષોમાં હિંદુ યાત્રાઓ પર હુમલાઓ થયા, હિંદુઓના નરસંહાર થયા, કન્હૈયાલાલ અને ઉમેશ જેવાઓની હત્યા થઈ અને અનેક મજહબી હિંસાઓ થઈ તેનું શું? પ્રશાંતની વાત પરથી લાગે છે કે જાણે આ દેશમાં મજહબના નામે હિંસા થતી જ ન હતી અને પાકિસ્તાને પહેલી વખત આ બધુ કરાવ્યું છે. પણ ઉપર કહી એ બધી ઘટનાઓમાં તો ભારતીય કટ્ટરપંથી મુસ્લિમો સામેલ હતા.

    વળી ‘પાકિસ્તાન ધર્મયુદ્ધ કરાવવા માંગે છે’ એવી વાતો પણ પીરસવામાં આવી છે. ધર્મ પૂછીને ગોળી મારવાનો આ પ્રથમ બનાવ હોવાનું તેઓ કહે છે પણ આ વાત સદંતર ખોટી છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. 2021માં કાશ્મીરમાં એક શાળામાં ઘૂસી ગયેલા આતંકવાદીઓએ શિક્ષકોમાંથી આઇડી પૂછીને તેમનાં નામ જોઈને માત્ર હિંદુઓને માર્યા હતા એ આ ભાઈને કાં ખબર નહીં હોય અથવા ખબર હશે તો જાણીજોઈને આંખ આડા કાન કરે છે. બાકી હકીકત એ છે કે આવું અગાઉ પણ થયું છે. મેઇનસ્ટ્રીમ મીડિયાએ હકીકતો આપણા સુધી પહોંચવા ન દીધી, કારણ કે આપણે એ જાણીએ એ તેઓ ઇચ્છતા નથી. પણ તેનાથી હકીકત બદલાઈ જતી નથી. પશ્ચિમ બંગાળમાં થયેલી હત્યાઓ પણ એક તાજું ઉદાહરણ છે. તેમાં હિંદુઓને મારનારાઓ કોણ હતા? તેની ચર્ચા કરીશું તોપણ દેશનો માહોલ બગડશે? પાકિસ્તાનને તેના ઇરાદાઓમાં ફાયદો થશે?

    તે સિવાય પ્રશાંત દયાળ પોતાના વિડીયોમાં કાશ્મીરી મુસ્લિમોના ગુણગાન ગાઈને તેમને શાબાશી આપે છે. આપવી પણ જોઈએ, પણ એ પ્રશ્ન કરવાનું ચૂકી જાય છે કે આતંકવાદી ગતિવિધિઓ શું ખરેખર સ્થાનિકોના લોજિસ્ટિકલ સપોર્ટ વગર શક્ય છે? હકીકત એ છે કે પહલગામ હુમલા બાદ 15 કાશ્મીરી સ્થાનિકો રડાર પર છે. આરોપ છે કે તેમણે પાકિસ્તાની આતંકીઓને મદદ પૂરી પાડી હતી. ઘણા શકમંદોની ધરપકડ પણ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ કાશ્મીરના સરકારી કર્મચારીઓ બરખાસ્ત થયા હતા, જેમના તાર આતંકવાદ સાથે જોડાયેલા હતા. આ બધી બાબતોની વાત કર્યા વગર એકતરફી વાતો અને શાબાશી ગળે ઉતરતી નથી.

    કહેવાની વાત માત્ર એટલી છે કે દર વખતે સેક્યુલરિઝમ અને માહોલ સાચવવાનો ઠેકો માત્ર હિંદુઓએ લઈ રાખ્યો નથી. કોઈ પત્રકાર કે પછી યુટ્યુબરને લાગતું હોય કે તેનાથી કથિત રીતે માહોલ બગડશે, તેટલા ખાતર સત્ય હકીકતોની ચર્ચા કરવાનું બંધ કરી શકાતું નથી. હકીકત છે એને સાંભળતાં શીખવું પડશે. આ યુટ્યુબરોએ પણ અને ભારતીય મુસ્લિમોએ પણ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં