એક એવા સમાચાર જેની જોઈએ તેટલી ચર્ચા ન થઈ કે બીજા સમાચારોમાં પડેલા મીડિયાએ પણ બહુ ધ્યાન ન આપ્યું એ એ છે કે સુપ્રીમ કોર્ટે હમણાં જ એક અરજી પર સુનાવણી કરતી વખતે વિપક્ષ નેતા અને કોંગ્રેસીઓના પ્રિય નેતા રાહુલ ગાંધીને કડક શબ્દોમાં સૂચના આપતાં કહ્યું કે તેઓ ઇતિહાસ જાણ્યા-મૂક્યા વગર સ્વાતંત્ર્ય સેનાનીઓનું, વીર સાવરકરનું અપમાન કરવાનું બંધ કરે અન્યથા કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરવી પડશે.
આમ તો દેશની સર્વોચ્ચ અદાલતે વચ્ચે પડવું પડે અને માત્ર રાજકીય ગોલ સેટ કરવા માટે ઇતિહાસના મહાપુરુષોને કાયમ અપમાનિત કર્યા કરતા વિપક્ષ નેતાને ફટકાર લગાવવી પડે એ તે નેતા અને તેની પાર્ટી બંને માટે શરમજનક વાત કહેવાય. પણ કોંગ્રેસીઓ હવે ટેવાઈ ગયા છે. શરમ ને એવું બધું તેમની ડિક્શનરીમાં આવતું નથી એટલે એમાં બહુ પડવા કરતાં વાત આગળ વધારીએ.
આ ટિપ્પણીઓ પાછળનું થોડું બેકગ્રાઉન્ડ સમજીએ તો મૂળ વાત એમ છે કે એકાદ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ઉશ્કેરાટમાં આવીને દર વખતે કરે છે તેમ વિનાયક સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી દીધી હતી. 2022માં મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં બોલતી વખતે રાહુલે સાવરકરને ‘બ્રિટિશના સર્વન્ટ’ ગણાવ્યા હતા. જેના માટે તેમણે સાવરકરના પત્રોનો હવાલો આપ્યો હતો, અને કહ્યું હતું કે તેમાં સાવરકરે લખ્યું હતું- આઈ બેગ ટૂ રિમેન યોર મોસ્ટ ઓબિડિયેન્ટ સર્વન્ટ.
પછીથી લખનૌમાં તેમની સામે ફરિયાદ થઈ અને કેસ ચાલુ થયો. આ કેસમાં લખનૌની મૅજિસ્ટ્રેટ કોર્ટે તેમને હાજર થવા માટે આદેશ આપ્યો હતો, પણ તેની સામે તેઓ હાઇકોર્ટ ગયા. હાઇકોર્ટે રાહત આપવાની ના પાડીને તગેડી મૂક્યા તો સુપ્રીમ કોર્ટ આવ્યા. સુપ્રીમ કોર્ટે જોકે આજે સ્ટે તો મૂકી દીધો પણ બે શિખામણ પણ આપી.
કોર્ટે કહ્યું કે, શું રાહુલ ગાંધી નથી જાણતા કે મોહનદાસ ગાંધી પણ અંગ્રેજોને લખેલ પત્રોમાં ‘યોર ફેથફુલ સર્વન્ટ’ શબ્દોનો ઉપયોગ કરતા હતા. તો શું તેનાથી તમે તેમને પણ બ્રિટિશના સર્વન્ટ કહેશો? સાથે પ્રશ્ન કર્યો કે શું તેઓ નથી જાણતા કે તેમનાં દાદીએ પણ એક પત્રમાં સાવરકરને ઉચિત સન્માન આપ્યું હતું. જજોએ ટકોર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી આ રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરવાથી છેટા રહે અન્યથા કોર્ટ બીજી વખત જાતે જ સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરવા માંડશે.
હવે ઇતિહાસ જોઈએ તો આ વાત સાબિત થાય છે. મોહનદાસ ગાંધીએ લખેલા અનેક પત્રો જોશો તો તેમાં આ બાબત જોવા મળશે. એક તો આપણને ઇતિહાસ એ રીતે ભણાવવામાં આવ્યો છે, જેનાથી એવો ભ્રમ સર્જાય શકે કે આ બધા 24*7 અંગ્રેજો સામે લડવાના મૂડમાં જ રહેતા હતા અને અંગ્રેજો સામે મોરચો માંડીને બેઠા હતા. જ્યારે હકીકત એ હતી કે અનેક પ્રસંગોએ ગાંધી-નહેરુ વગેરેએ અંગ્રેજો સાથે મંત્રણાઓ પણ કરી હતી, બેઠકો પણ કરી હતી અને પત્રોની આપ-લે પણ કરી હતી.

આવા અનેક પત્રોમાં જોશો તો ત્યાં મોહનદાસ ગાંધીએ અંતે ‘યોર મોસ્ટ ઓબિડિયેન્ટ સર્વન્ટ’ કે ‘યોર ફેથફુલ સર્વન્ટ’ લખેલું વંચાશે. હવે રાહુલ ગાંધી અને કૉંગ્રેસીઓનું લૉજિક વાપરીએ તો ગાંધીને પણ અંગ્રેજોના સેવક કહેવા પડે અને એવા દરેક નેતાને પણ, જેમણે આ રીતે પત્રવ્યવહાર કર્યા હોય.
મોહનદાસ ગાંધીનાં લખાણોના સંગ્રહ ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ ખોલીને વાંચશો તો આવા અનેક પત્રો મળશે. જેમાં અંતે લખવામાં આવ્યું હતું- ‘આઈ બેગ ટૂ રિમેન, યોર હાઇનેસીસ ફેથફૂલ સર્વન્ટ.’ કોઈક લેટરમાં લખ્યું હતું– યોર એક્સેલન્સીસ ઓબિડિયેન્ટ સર્વન્ટ.
આમાં સાવરકર અને ગાંધી બંને ખોટા નથી. ખોટા કોંગ્રેસીઓ અને રાહુલ ગાંધી છે, જેઓ માત્ર સાવરકરના પત્રો બતાવીને પોતાનો એજન્ડા ચલાવી રહ્યા છે. વાસ્તવમાં આ ત્યારે એક સામાન્ય પ્રેક્ટિસ હતી, જેમ આપણે અત્યારે કોઈને લખેલા પત્રના અંતે ‘આપનો વિશ્વાસુ’ કે ‘ભવદીય’ લખીએ છીએ. એ જ રીતે જે-તે સમયે જેલમાંથી પીટીશનો દાખલ કરવાની પણ પ્રથા હતી, જે રીતે હાલ જામીન અરજીઓ દાખલ કરવામાં આવે છે. જેને આ કોંગ્રેસીઓ ‘માફીની અરજીઓ’ કહેતા ફરે છે. જ્યારે આ જ અરજીઓમાં સાવરકરે બહુ સ્પષ્ટ લખ્યું હતું કે તેમને ભલે મુક્ત કરવામાં ન આવે પણ તેમના સાથીઓને છોડી દેવાય.
ગાંધી, સાવરકર કે બીજા નેતાઓ આવું લખતા હતા કારણ કે એ પ્રથા હતી. તેનો અર્થ એ ન કાઢી શકાય કે સાવરકર અંગ્રેજોના સેવક હતા કે ગાંધી અંગ્રેજોના સેવક હતા. આટલી સામાન્ય વાત સમજાવવા માટે સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવી પડે તો રાહુલ ગાંધી અને તેમના ચેલાઓએ થોડું થોભીને વિચારવું જોઈએ કે તેઓ કયા રસ્તે જઈ રહ્યા છે.