કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓનો પોલીસ પાર્ટી પર ગોળીબાર, એક જવાન વીરગતિને પ્રાપ્ત: સર્ચ ઑપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં એક પોલીસ પાર્ટી પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં એક જવાન વીરગતિ પામ્યા છે. ઘટના બુધવારે (22 જુલાઈ) 12:30 કલાકે બની હતી.

અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં અચાનક આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં એક જવાનને ગોળી વાગી ગઈ. જેમની ઓળખ આશિક હુસૈન તરીકે થઈ છે.

જવાનને અનંતનાગની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બચાવી ન શકાયા. ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

હુમલા બાદ સુરક્ષાબળોએ વિસ્તાર કોર્ડન કરી લઈને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. ઉપરાંત વધારાનાં બળો પણ માગવી લેવામાં આવ્યાં છે. વિસ્તારમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઘટના એવા સમયે બની જ્યારે કાશ્મીરમાં અમરનાથ યાત્રાના કારણે સુરક્ષા વ્યવસ્થા પહેલેથી વધારવામાં આવી છે અને સુરક્ષાબળો પણ એલર્ટ છે. હાલ આતંકવાદીઓને શોધવાની કામગીરી ચાલી રહી છે.