વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ-હત્યા કેસમાં આરોપીનું એનકાઉન્ટર, હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો

આણંદના વાસદમાં એક ચાર વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના કેસમાં આરોપીનું ગુજરાત પોલીસે એનકાઉન્ટર કર્યું છે. આરોપી સુરેશ પરમારની ધરપકડ બાદ એલસીબીની ટીમ તેને આણંદ લાવી રહી હતી ત્યારે રસ્તામાં વાહન રોકાવ્યું અને પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓને ઈજા પણ થઈ. જવાબમાં પોલીસે ગોળીબાર કરતાં આરોપી મૃત્યુ પામ્યો હતો.

આરોપીને બે ગોળીઓ વાગી હતી. ત્યારબાદ તેને કરમસદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

ઘટના 18 જુલાઈની છે. અહીં રાત્રે એક ચાર વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ એક રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ દુષ્કર્મ આચર્યા બાદ તેને ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા છે.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરીને CCTV ફૂટેજ ચકાસતાં આરોપી સુરેશ પરમાર બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ બોરસદ રૂરલ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેને એલસીબીને સોંપાયા બાદ એલસીબી આણંદ લાવી રહી હતી ત્યારે તેનું એનકાઉન્ટર કરવામાં આવ્યું.

પોલીસે જણાવ્યું કે વાહન રોકાવીને આરોપીએ ચપ્પુ વડે હુમલો કરી દીધા બાદ પોલીસ અધિકારીઓએ વારંવાર ચેતવણી આપી હતી છતાં તે વધુ હિંસક બનતાં આખરે સ્વબચાવમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં આરોપીને ને ગોળી વાગી હતી.

હાલ આરોપીનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.