વીર સાવરકર (Veer Savarkar) પર કરેલી ટિપ્પણીઓ મામલે ઉત્તર પ્રદેશમાં ચાલતા એક કેસ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાહુલ ગાંધીને (Rahul Gandhi) ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીએ આ પ્રકારે સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે બિનજવાબદારીભર્યાં નિવેદનો ન આપવાં જોઈએ.
વાસ્તવમાં ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ વિનાયક સાવરકર પર અપમાનજનક ટિપ્પણીઓ કરવા મામલે કેસ નોંધાયો હતો, જે મામલે પછીથી મૅજિસ્ટ્રેટ કોર્ટે તેમને સમન્સ મોકલ્યું. આ સમન્સના આદેશ વિરુદ્ધ તેઓ અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યા હતા, પણ હાઇકોર્ટે પણ સમન્સ રદ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેઓ આખરે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
Justice Datta: Even I have seen chief justices of our high courts write the same way. This way you will say mahatma Gandhi is servant of Britishers. You have a good point on law and you will get a stay. But any further statement by him will be taken up suo motu. No words on our… pic.twitter.com/mxqCTWroIB
— Bar and Bench (@barandbench) April 25, 2025
શુક્રવારે (25 એપ્રિલ) મામલા પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના વકીલ તરીકે હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું– ‘તમારા અસીલ જાણે પણ છે કે મહાત્મા ગાંધીએ પણ ‘યોર ફેથફૂલ સર્વન્ટ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.’ ઉલ્લેખનીય છે કે સાવરકર પર આ શબ્દોનો ઉપયોગ કરીને બ્રિટીશોનો સાથ આપવાનો આરોપ રાહુલ ગાંધી કરતા રહ્યા છે.
આગળ કોર્ટે કહ્યું કે, “શું તેઓ જાણે છે કે તેમનાં દાદીએ પણ સ્વાતંત્ર્ય સેનાનીને (સાવરકર) પત્ર લખ્યો હતો. સ્વતંત્રતા સેનાનીઓ વિશે આવાં બિનજવાબદારીભર્યાં નિવેદનો ન આપવા જોઈએ. ઇતિહાસ જાણ્યા વગર આ પ્રકારનાં નિવેદનો ન આપી શકાય.”
જસ્ટિસ દીપાંકર દત્તાએ આગળ કહ્યું, “મેં હાઇકોર્ટના અમુક મુખ્ય ન્યાયાધીશોને પણ આ રીતે લખતા જોયા છે. આ રીતે તો તમે એમ પણ કહેશો કે મહાત્મા ગાંધી પણ બ્રિટિશના સર્વન્ટ હતા. કાયદાકીય રીતે તમારો હાથ ઉપર છે અને સ્ટે પણ મળી જશે પણ જો તેઓ (રાહુલ) આવાં વધુ નિવેદનો આપશે તો અમે સ્વતઃ સંજ્ઞાન લઈશું. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે આવા શબ્દો ન વાપરી શકાય. તેમણે આપણને સ્વતંત્રતા અપાવી અને આપણે તેમના વિશે આવા શબ્દો વાપરીશું?”
કોર્ટે ત્યારબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકીને નોટિસ પાઠવી હતી.