Monday, May 6, 2024
More
    Home Blog Page 952

    ‘ચોર-ચોર’ : મદીનામાં પાકિસ્તાની પ્રધાનમંત્રીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળને જોઈને લોકોએ નારા લગાવ્યા

    પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ, જે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સાઉદી અરેબિયામાં છે, જ્યારે તેઓ મદીનામાં મસ્જિદ-એ-નબવીમાં પ્રવેશ્યા ત્યારે તેમનું “અદ્ભુત સ્વાગત” કરવામાં આવ્યું હતું. લોકોએ ‘ચોર-ચોર’ નારા લગાવ્યા એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ઘટના બાદ પોલીસે પવિત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ સૂત્રોચ્ચાર કરનારા લોકોની ધરપકડ કરી હતી. એક વીડિયોમાં માહિતી મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહઝૈન બુગતી અન્ય લોકો સાથે જોવા મળ્યા હતા.

    પાકિસ્તાની અખબાર અનુસાર, ઔરંગઝેબે લોકોએ ‘ચોર-ચોર’ નારા લગાવ્યા એ પાછળ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે.

    “હું આ પવિત્ર ભૂમિ પર આ વ્યક્તિનું નામ નહીં આપું કારણ કે હું આ જમીનનો ઉપયોગ રાજકારણ માટે કરવા માંગતો નથી. પરંતુ તેઓએ [પાકિસ્તાની] સમાજને નુકસાન પહોંચાડ્યું છે,” એક્સપ્રેસ ટ્રિબ્યુને ઔરંગઝેબને ટાંકીને જણાવ્યું હતું.

    પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ સાઉદી અરેબિયાની તેમની પ્રથમ ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે ત્યારે જ આ આ ઘટના બની છે. ડઝનબંધ અધિકારીઓ અને રાજકીય નેતાઓ પાકિસ્તાનના વડાપ્રધાનની આ મુલાકાતમાં તેમની સાથે છે.

    ટ્વિટર પર આ વીડિયો શેર કરીને, એક યુઝરે લખ્યું, “ગૌરવિત પાકિસ્તાનીઓ, સાઉદી અરેબિયામાં આપણાં પીએમ અને તેમની પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) ગેંગનું કેવું અદ્ભુત સ્વાગત થયું તે જોઈને કૃપા કરીને ખુશ થાઓ.”

    અન્ય એક ટ્વિટર યુઝર મુહમ્મદ ઈબ્રાહિમ કાઝીએ કહ્યું કે સાઉદી અરેબિયાના નાગરિકો પદભ્રષ્ટ PM ઈમરાન ખાનને બોલાવી રહ્યા છે. “સાઉદી અરેબિયાના નાગરિકો હાંકી કાઢવામાં આવેલા PM ઈમરાન ખાનને મદીનામાં પ્રોફેટની મસ્જિદમાં નૈતિક અશ્લીલતાની નિકાસ કરવા માટે બોલાવે છે. તેઓ સાઉદીના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનીઓની પણ નિંદા કરી રહ્યા છે.” કાઝીએ લખ્યું હતું.

    પાક PM સાઉદી અરેબિયા પાસે $3.2 બિલિયનની માંગ કરશે

    ઉલ્લેખનીય છે કે, 11 એપ્રિલે શરીફે પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ મુલાકાત દરમિયાન શરીફ સાઉદી અરેબિયા પાસેથી $3.2 બિલિયનના વધારાના પેકેજની માંગ કરશે. પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં વધુ ઘટાડો અટકાવવા માટે તે આ વિનંતી કરશે.

    સાઉદી અરેબિયાએ ઈમરાન ખાનના કાર્યકાળ દરમિયાન 3 બિલિયન ડૉલરની ડિપોઝિટ પર અને USD 1.2 બિલિયનની વિલંબિત ચુકવણી પર પહેલેથી જ દેવામાં ડૂબેલા દેશને તેલની સુવિધા આપી હતી.

    ડીજી વણઝારાએ કરેલા બદનક્ષી કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો: પૂર્વ આઈપીએસને 15 કરોડ ચૂકવવા દૈનિક ‘સંદેશ’ને કોર્ટનો આદેશ  

    ગુજરાતના જાણીતા અખબાર ‘સંદેશ’ સામે પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા દ્વારા કરવામાં આવેલ બદનક્ષીના દાવા મામલે અમદાવાદની કોર્ટે ચુકાદો આપ્યો છે. ગઈકાલે અમદાવાદની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે દૈનિક ‘સંદેશ’માં છપાયેલા કેટલાક લેખોના કારણે પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી વણઝારાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું અને જે બાદ કોર્ટે ‘સંદેશ’ને બદનક્ષીના વળતર પેટે આગામી એક મહિનામાં પૂર્વ આઈપીએસ અધિકારીને રૂ. 15 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

    શું છે કેસ?  

    ફરિયાદ અનુસાર, નિવૃત્ત પોલીસ અધિકારી ડી. જી વણઝારા ડિસેમ્બર 1996 થી મે 1998 દરમિયાન જૂનાગઢમાં ડીએસપી તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન સપ્ટેમ્બર 1997 માં અખબાર ‘સંદેશ’ની રાજકોટ આવૃત્તિમાં છપાયેલા એક લેખમાં તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.  

    જે બાદ ડી. જી વણઝારાએ જૂનાગઢ ખાતે સંદેશના તંત્રી અને અન્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આઈપીસી અને પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ હેઠળ કેસ પણ દાખલ થયો હતો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કેસ નોંધાયા બાદ આરોપીઓ દ્વારા ફરીયાદીની કારકિર્દી ખતમ કરી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેમણે કેસ પરત ખેંચ્યો ન હતો કે સમાધાન કર્યું ન હતું.

    ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મામલો થાળે પાડવાના અનેક પ્રયાસો કરવા છતાં સમાધાન ન થતાં અખબારે અન્ય એક કેસમાં વણઝારા વિરુદ્ધ કથિત અપમાનજનક સામગ્રી પ્રકાશિત કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા.

    જે બાદ ડી. જી વણઝારાના સબંધીઓના પારિવારિક મામલાને લઈને છપાયેલા એક લેખમાં તેમની વિરુદ્ધ લેખ છપાયા હતા અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વણઝારાએ તેમની સાળીના પતિને પાઠ ભણાવવા માટે મુંડન કરીને માર માર્યો હતો. પરંતુ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આક્ષેપો બાદ થયેલી પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે ઉક્ત ઘટનામાં પૂર્વ આઈપીએસની કોઈ સંડોવણી ન હતી.

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આ લેખ છપાયા બાદ આરોપીઓએ ફરીયાદીને તેમની સામેનો કેસ પરત ખેંચી લેવા માટે કહ્યું હતું અને તેમ ન કરવા પર આ જ પ્રકારની સામગ્રી પ્રકાશિત કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. તેમજ તે બાદ પણ કેટલાક લેખો છપાયા હતા, જેમાં ડી. જી વણઝારા અંગે અપમાનજનક ભાષા વાપરવામાં આવી હતી.

    પૂર્વ આઈપીએસ ડી. જી વણઝારાએ ફરિયાદમાં કહ્યું છે કે, પ્રેસની સ્વતંત્રતા વ્યક્તિગત સ્વાતંત્ર્યથી ઉપર હોય શકે નહીં. તેમણે ફરિયાદમાં કહ્યું કે, આ અપમાનજનક શબ્દોનો ઉપયોગ જાણીજોઈને તેમને બદનામ કરવા માટે કરવામાં આવ્યો હતો અને જેનાથી તેમની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન પહોંચ્યું હતું, જેની ભરપાઈ પૈસાથી થઇ શકે નહીં.

    બીજી તરફ, બચાવમાં આરોપીઓએ ફરિયાદીએ કરેલા આરોપો નકારી દીધા હતા અને લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રકાશિત થયેલા સમાચાર લેખો તેમના પત્રકારો કે રિપોર્ટરો દ્વારા ભેગી કરવામાં આવેલ માહિતી આધારિત હતા અને જેને જે-તે જિલ્લાના નિવાસી તંત્રી દ્વારા સંપાદિત કરવામાં આવ્યા હતા. તેમણે જૂનાગઢમાં નોંધાયેલા કેસ અંગે સ્વીકાર કર્યો હતો પરંતુ બીજી તરફ જણાવ્યું હતું કે તે કેસને વર્તમાન કેસ સાથે કોઈ સબંધ નથી.

    વધુમાં, કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદીએ લીગલ નોટીસ પાઠવીને પૂરતો સમય આપ્યો હતો અને પ્રયત્નો કર્યા હતા, તેમ છતાં કોઈ સંતોષકારક કે ઠોસ કદમ ઉઠાવવામાં આવ્યા ન હતા અને પ્રકાશિત થયેલા લેખોના કારણે તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. જે બાદ કોર્ટે ચુકાદો આપી વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

    ચૂકાદો આવ્યા બાદ ડીજી વણઝારાનું નિવેદન

    પોતાના હક્કમાં આવેલા ચુકાદા બાદ ડીજી વણઝારાએ પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરી હતી (ફોટો સાભાર: ડીજી વણઝારા સોશિયલ મીડીયા)

    દહેજ અને હેરાનગતિને લઈને સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરનાર આયશાના પતિ આરીફ ખાનને 10 વર્ષની જેલ

    ફેબ્રુઆરી 2021માં સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યા કરીને મૃત્યુ પામનાર અમદાવાદી મહિલા આયશાના પતિ આરીફ ખાનને અમદાવાદ સેશન્સ કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે. આયશાએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદતા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. તે સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આયશાએ તેના પતિ અને તેના પરિવાર પર દહેજ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આયશા આત્મહત્યા કેસ વિષે સૌને એ વાઇરલ વિડીયો દ્વારા જાણકારી મળી હતી.

    અહેવાલો મુજબ, અદાલતે તેના ઉપરોક્ત વિડિયો સંદેશને સજા સંભળાવવાના પુરાવા તરીકે ગણ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ઘરેલુ હિંસા જેવા સામાજિક દુષણને રોકવા માટે આરોપીઓને બક્ષવામાં ન આવે. આરીફનો વોઈસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જેને મહત્વનો પુરાવો માનવામાં આવ્યો હતો.

    સાબરમતી નદીમાં ઝંપલાવતા પહેલા આયશાએ તેના પતિને ફોન પણ કર્યો હતો. પોલીસે આયશા અને આરીફ વચ્ચે 70 મિનિટનું કોલ રેકોર્ડિંગ કબજે કર્યું હતું જેમાં બાદમાં તેને બૂમો પાડતો અને કહેતો સંભળાયો હતો કે, “મરી જા અને મને તારા મૃત્યુનો વીડિયો મોકલ.”

    આયશાના મૃત્યુના એક અઠવાડિયા પછી વધુ વિગતો બહાર આવી હતી જેમાં ખુલાસો થયો હતો કે તેના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે લગ્નેત્તર સંબંધો હતા. આયશાનો પતિ આરીફ તેની હાજરીમાં પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરતો અને આયશાની હાજરીમાં જ તેની સાથે અભદ્ર વાતચીત પણ કરતો હતો, અહેવાલોમાં જણાવાયું છે. તેના પતિ દ્વારા હેરાનગતિ હોવા છતાં, આયશાએ શાંત રહેવાનું અને તેના પતિનો સામનો ન કરવાનું નક્કી કર્યું હતું.

    અહેવાલ મુજબ, આરીફે આયશા સમક્ષ કબૂલાત કરી હતી કે તેના જીવનમાં બીજી સ્ત્રી છે અને તેણે કહ્યું હતું કે તે આયશા માટે તેને છોડશે નહીં. અગાઉ 2020માં, આયશાએ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં આરીફ અને તેના પરિવાર વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ પણ નોંધાવ્યો હતો.

    તેણે આત્મહત્યા કરતા પહેલા તેના માતા-પિતાને પણ ફોન કર્યો હતો. તેના માતા-પિતાએ આયશાને પોતાનો નિર્ણય બદલવા માટે સમજાવવાનો સખત પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. તેણે તેની માતાને કહ્યું, “જે બધું તેના સાથે થયું છે, હું નિરાશ છું, હું હવે સહન કરી શકતી નથી, તે (તેનો પતિ આરીફ) સ્વતંત્રતા માંગે છે, હું તેને સ્વતંત્રતા આપીશ.”

    આયશા આત્મહત્યા કેસ વિષે સોશિયલ મીડિયા પર ઘણી ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. અધિકારીઓએ મૃતદેહને કબજે લીધો હતો અને આ મામલે તેના પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં માર્ચ 2021માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

    જ્યારે મોટા ભાગના લોકો 23 વર્ષની આયશા સાથે થયેલ આ ઘટનાક્રમ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હતા, ત્યારે કેટલાક એવા હતા જેમણે ફરિયાદ કરી હતી કે આયશાને ધર્મ વિષે ખબર નથી એટલે એણે હલાલ કરતાં હરામને પસંદ કર્યું હતું એમ કહીને આયશાને જ ગુનેગાર બનાવી દીધી હતી.

    આયશાને ધર્મની ખરબ્ર નથી એટલે એણે હરામ પસંદ કર્યું એવું કહેતો એક ટ્વિટર યુઝર (ફોટો : ટ્વિટર સ્ક્રીનશૉટ)

    અન્ય એક ટ્વિટર યુઝરે તો આરીફને દોષમુક્ત કરતાં ત્યાં સુધી કહી દીધું કે “આયશાના પતિએ આમ ખોટા આરોપો પર સરેંડર નહોતું કરવું જોઈતું. આમાં આયશાની જ ભૂલ છે. આયશાએ જ એના પતિને એક તરફી પ્રેમ કર્યો હશે અને લગ્ન પહેલાથી જે એ જાણતી હશે કે એનો પતિ એને પ્રેમ નહિ કરે. તો હવે એના મૃત્યુ માટે એનો પતિ જવાબદાર કેમ?”

    આયશાના પતિને દોષમુક્ત કરાર કરતો એક ટ્વિટર યુઝર (ફોટો : ટ્વિટર સ્ક્રિનશોટ)

    ‘હિન્દુઓએ માત્ર એક પત્ની સાથે સમાધાન કરવું પડશે અથવા તેઓને આનંદીબેનની જેમ ત્યજી દેવામાં આવશે’: મસૂદ હાશ્મીએ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનો અનાદર કરવા બદલ ટીવી ચર્ચામાંથી બહાર કઢાયા

    મુસ્લિમ ઇત્તિહાદ ફાઉન્ડેશનના રાજકીય વિશ્લેષક મસૂદ હાશ્મીને 27મી એપ્રિલ 2022ના રોજ ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલનો અનાદર સાથે ઉલ્લેખ કરવા બદલ એન્કર મીનાક્ષી જોશી દ્વારા હોસ્ટ કરવામાં આવેલી ઇન્ડિયા ટીવી પરની ચર્ચામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ચર્ચા સમાન નાગરિક સંહિતાના વિષય પર ચાલી રહી હતી. મુસ્લિમ વિદ્વાન મૌલાના સાજિદ રશીદી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શહઝાદ પૂનાવાલા અને રાજકીય વિશ્લેષક શિવમ ત્યાગી ચર્ચામાં સામેલ અન્ય પેનલિસ્ટ હતા.

    જ્યારે પૂછવામાં આવ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવામાં આવે અને સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ તેનો વિરોધ શા માટે કરે છે, ત્યારે મસૂદ હાશ્મીએ કહ્યું, “હિંદુઓ કહે છે કે અમે ગરીબ હિંદુઓ ફક્ત એક જ વાર લગ્ન કરી શકીએ છીએ અને જો અમારી સાથે ઝઘડો થાય તો પત્નીથી અલગ થવા માટે અમારે કોર્ટમાં જવું પડશે. તેથી હું એવા યુનિફોર્મ સિવિલ કોડનું સ્વાગત કરું છું જે હિંદુઓને એક સમયે ચાર પત્નીઓ રાખવાની છૂટ આપે છે.”

    મસૂદ હાશ્મીની હાસ્યાસ્પદ દલીલ અહીં અટકી ન હતી. તેણે ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલનો અનાદર કર્યો. તેમણે કહ્યું, “હિંદુઓની વાસ્તવિક સમસ્યા એ છે કે તેઓને લાગે છે કે એક મુસ્લિમને ચાર પત્નીઓ હોઈ શકે છે પરંતુ અમારે માત્ર એક પર જ સમાધાન કરવું પડે છે અને પછી તેમની પાસે દેવી અને બાસી અને દાસી જેવી વિભાવનાઓ છે. અથવા તેઓ આનંદીબેનની જેમ જ ત્યજી દેવામાં આવે છે. જો તમને માત્ર એક જ પત્ની સાથે સમસ્યા છે, તો આગળ વધો, ચાર લગ્ન કરો. તમને એમ કરતા કોણ રોકે છે?”

    તેમણે વધુમાં કહ્યું કે, “હિન્દુ સમાજને માત્ર એક પત્નીથી પણ સમસ્યા છે. આનંદીબેન લગ્ન સંભાળી શક્યા ન હોવાથી તેમને છોડી દેવામાં આવ્યા હતા. તેમનાથી વિપરીત, મોદીજી આનંદ માણી રહ્યા છે, પરંતુ કમનસીબે આનંદીબેન બાકાત છે.”

    ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ તેમની ટિપ્પણીની નિંદા કરી અને કહ્યું કે માનનીય રાજયપાલ આનંદીબેન પટેલનો અનાદર કરતી આવી ટિપ્પણી સહન કરી શકાય તેવી નથી. એન્કર મીનાક્ષી જોશીએ તરત જ મસૂદ હાશ્મીને ચર્ચામાંથી હાંકી કાઢતા કહ્યું, “બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિ અથવા તેના પરિવારના સભ્યો માટે કોઈપણ પ્રકારની અનાદરપૂર્ણ ટિપ્પણી આવકાર્ય નથી. આવી ટિપ્પણી કરનાર માટે ઇન્ડિયા ટીવી પાસે કોઈ સ્થાન નથી.

    આ પહેલીવાર નથી જ્યારે મસૂદ હાશ્મીને આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ટીવી શોમાંથી બહાર કાઢવામાં આવ્યો હોય. અગાઉ 23મી સપ્ટેમ્બર 2021ના રોજ, મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને બળજબરીથી ધર્માંતરિત કરવા અંગે ચર્ચા કરતી વખતે, મસૂદ હાશ્મીએ ઝી હિન્દુસ્તાન દ્વારા પ્રસારિત થતા એક શોમાં કહ્યું હતું કે, “હિંદુ માતા-પિતા તેમની દીકરીઓને મુસ્લિમ પુરુષો સાથે ફસાવે છે. કારણ કે હિંદુઓ દહેજ લે છે જ્યારે મુસ્લિમો નથી લેતા. તેથી, તેઓ તેમની પુત્રીઓને હિન્દુઓ કરતાં મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરવાનું કહે છે.”

    તે શોને હોસ્ટ કરી રહેલા રોહિત રંજને હાશમીને અટકાવ્યો અને તેને શોમાંથી બહાર નીકળી જવા કહ્યું. મસૂદ હાશ્મીને શોમાંથી બહાર કરતાં તેણે કહ્યું હતું કે, “આવા કુટિલ વિચારો ધરાવતા લોકોનું ક્યાંય સ્વાગત નથી. હિંદુ ધર્મ પર સવાલ ઉઠાવનાર તમે કોણ છો?

    સચિન પાયલોટની સોનિયાને ચીમકી: મને સીએમ બનાવો નહીં તો પંજાબ જેવા હાલ થશે

    આ ઉનાળામાં રાજસ્થાનમાં ફરીથી રાજકારણે ગરમી પકડવાનું શરુ કરી દીધું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતના સત્તા સંભાળ્યા સાથે જ મુખ્યમંત્રી પદ માટે શરુ થયેલી લડાઈ જે વચ્ચે વચ્ચે ઠંડી પડી જતી હતી તેણે ફરીથી માથું ઊંચક્યું છે. સુત્રોએ દાવો કર્યો છે કે રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલોટે સોનિયા ગાંધીની મુલાકાત કરીને સ્પષ્ટ શબ્દોમાં અશોક ગહેલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગણી કરી દીધી છે. બીજી તરફ એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં પ્રશાંત કિશોરનું ન આવવું તેની પાછળ મુખ્ય કારણ પણ અશોક ગહેલોત જ છે.

     ન્યૂઝ ચેનલ NDTVએ સુત્રોના હવાલેથી જણાવ્યું છે કે સચિન પાયલોટે છેલ્લા અમુક દિવસો દરમ્યાન ગાંધી પરિવાર સાથે ત્રણ વખત ચર્ચા કરી છે. એવું કહેવાય છે કે આ ચર્ચા દરમ્યાન પાયલોટે હાઈકમાન્ડને સ્પષ્ટ કહ્યું છે કે ગહેલોતને હટાવવામાં જો હજી પણ વિલંબ કરવામાં આવશે તો રાજસ્થાનમાં પંજાબ જેવી સ્થિતિ ઉભી થઇ જશે. સુત્રોએ એમ પણ કહ્યું છે કે સચિન પાયલોટે ગહેલોતના સ્થાને પોતાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી પણ કરી છે.

    પાયલોટે એમ પણ કહ્યું હોવાનું જાણવા મળે છે કે જો રાજસ્થાનમાં કોંગ્રેસને સતત બીજી ટર્મ જોઈતી હશે તો અશોક ગહેલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવા જ પડશે. પાયલોટ અગાઉ સોનિયા ગાંધીએ અશોક ગહેલોતને નવી દિલ્હી મુલાકાત માટે બોલાવ્યા હતા. 23 એપ્રિલે રાજસ્થાનના પાટનગર જયપુરમાં રાજસ્વ સેવા પરિષદને એક કાર્યક્રમમાં અશોક ગહેલોતે કહ્યું હતું કે એમનું રાજીનામું તો સોનિયા ગાંધી પાસે 1998થી કાયમી ધોરણે સોનિયા ગાંધી પાસે રાખી મુકવામાં આવ્યું છે. આથી જ્યારે પણ રાજ્યનો મુખ્યમંત્રી બદલવાનો હશે તો કોઈને પણ ખબર નહીં પડે અને રાતોરાત આ કામ પતી પણ જશે. આ બાબતે કોઇપણ પ્રકારનું ચિંતન કે ચર્ચા નહીં થાય કારણકે સોનિયા ગાંધી એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, આથી અફવાઓ પર ધ્યાન ન આપવું.

    પ્રશાંત કિશોરે પોતાના 600 સ્લાઈડ લાંબા પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે પાર્ટીએ યુવાન ચહેરાઓને આગળ કરવા જોઈએ અને આમ જો કોંગ્રેસ તેમના આ સૂચનનો અમલ કરત તો સચિન પાયલોટને પણ ફાયદો થાત આથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ન આવે એ અશોક ગહેલોતના લાભમાં હતું અને આથી અશોક ગહેલોતને જ ‘પીકે’ને કોંગ્રેસથી દૂર રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ગણવામાં આવે છે. રાજસ્થાનના ટેક્નિકલ શિક્ષણ મંત્રી ડૉ. સુભાષ ગર્ગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “કોઈ પણ સંગઠનને મજબુત કે તાકાત આપવાનું કાર્ય ફક્ત નેતૃત્ત્વ અને કાર્યકર્તા જ કરી શકે છે. કોઈ સલાહકાર કે પ્રોફેશનલ નહીં. નેતૃત્વને ચાણક્યની જરૂર હોય છે વેપારીની નહીં.” ડૉ. ગર્ગને અશોક ગહેલોતના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે.

    આ તરફ સચિન પાયલોટના સમર્થકો કહી રહ્યા છે કે પાયલોટ લડવાનું બંધ નહીં કરે, તેઓ કોઇપણ ‘લોલીપોપ’ માટે પોતાનું રાજનૈતિક સ્થાન નહીં છોડે. 2023ના ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. આવા સંજોગોમાં સચિન પાયલોટે પોતાની વાત પક્ષના પ્રમુખ સામે રાખી છે. અત્રે એ નોંધનીય છે કે બે વર્ષ પહેલા પણ સચિન પાયલોટે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે પોતાનો દાવો આગળ ધર્યો હતો અને તેમને 18 વિધાનસભ્યોનું સમર્થન મળ્યું હતું. આ જ સમયે મુખ્યમંત્રી અશોક ગહેલોતને દિવસો સુધી પોતાના સમર્થક વિધાનસભ્યોને લઈને એક રિસોર્ટમાં રહેવું પડ્યું હતું.

    કોંગ્રેસ માટે ગુજરાત એ ગુડ ગવર્નન્સની નહીં પરંતુ લઘુમતિઓના લોહીથી લથપથ કટ્ટર હિન્દુત્વની ભૂમિ છે

    ગત બુધવારે સીપીઆઈ(એમ)ના નેતૃત્ત્વવાળી કેરળની એલડીએફ સરકારે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગુડ ગવર્નન્સ સિસ્ટમનો અભ્યાસ કરવા માટે બે વ્યક્તિઓની હાઈલેવલ ઓફિશિયલ ટીમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેરળના ચીફ સેક્રેટરી વીપી જોય અને તેમના સ્ટાફ ઓફિસર ઉમેશ એનએસકે ગઈકાલથી 29 એપ્રિલ સુધી આ બંને અધિકારીઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઓફિસમાં આવેલા ઈ-ગવર્નન્સની તમામ એપ્લીકેશન્સ એક જ પ્લેટફોર્મ પરથી કેવી રીતે ઓપરેટ થાય છે તેનો અભ્યાસ કરશે.

    કેરળ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ કે સુરેન્દ્રને કેરળના ચીફ સેક્રેટરીને ગુજરાતમાં આ ડેશબોર્ડનો અભ્યાસ કરવા માટે મોકલવાના કેરળ સરકારના નિર્ણયને વધાવી લીધો છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી વિજયનને ખ્યાલ આવી ગયો છે કે ગુજરાત મોડલ જ સાચું મોડલ છે. “છેવટે કેરળ સરકારે એ નિર્ણય લીધો છે કે ગુજરાતના વિકાસના મોડલનો અભ્યાસ કરવામાં આવે. આપણા રાજ્યે ગુજરાત પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે, ખાસ કરીને વહીવટી, ઔદ્યોગિક અને ઉર્જા ક્ષેત્રોમાં. કેરળ ભ્રષ્ટાચાર, વધુ પડતા ખર્ચા અને ભાઈ-ભત્રીજાવાદનો અંત લાવીને જ ટકી શકશે.” તેમ તેમણે ઉમેર્યું હતું.

    તેમણે આગળ જણાવતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજયને ‘નિષ્ફળ કેરળ મોડલને’ તાળું મારી દેવું જોઈએ અને આ દક્ષિણી રાજ્યમાં સફળ ગુજરાત ગુડ ગવર્નન્સ મોડલનું અમલીકરણ કરવું જોઈએ. ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ એપી અબ્દુલ્લાકુટ્ટીએ પણ કેરળ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું છે કે રાજ્યે ઉત્તર પ્રદેશમાં પણ એક ટીમ મોકલીને એ અભ્યાસ કરવો જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા ચાલતી બસો કેવી રીતે સફળતાપૂર્વક ચલાવી શકાય છે.

    પરંતુ કેરળની લેફ્ટ સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય કોંગ્રેસ તેમજ મુસ્લિમ લીગને પસંદ નથી આવ્યો અને તેમણે રાજ્ય સરકારની આ બાબતે આકરી ટીકા કરી છે. કેરળ કોંગ્રેસના પ્રમુખ કે સુધાકરને સરકાર પર હુમલો બોલાવતાં પ્રશ્ન કર્યો હતો કે શું કેરળ ગુજરાતમાં ચાલી રહેલા મોડલને અનુસરવાનું નક્કી કરી રહ્યું છે?

    તેમણે ગુજરાતને લઘુમતિઓના લોહીથી લથપથ એવી કટ્ટર હિન્દુત્વની વિચારધારાનું જન્મસ્થાન ગણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે કેરળના અધિકારીઓની ગુજરાત મુલાકાતને ભાજપ અને સીપીઆઈ(એમ)ના ગવર્નન્સ સ્તરે વધેલા સંબંધ તરીકે જોવામાં આવવો જોઈએ. જ્યારે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા અને ધારાસભ્ય પીકે કુન્હાલીકુટ્ટીએ જણાવ્યું હતું કે કેરળે ગુજરાત પાસેથી શીખવા જેવું કશું જ નથી.

    સીપીઆઈના કેરળ રાજ્યના સેક્રેટરી કણમ રાજેન્દ્રનના માનવા અનુસાર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય નોંધપાત્ર છે અને જણાવ્યું હતું કે નવી બાબતો શીખવા વચ્ચે રાજકારણ ન આવવું જોઈએ.

    ગુજરાત સરકારના ગુડ ગવર્નન્સ માટે સ્થાપિત ડેશબોર્ડની વ્યવસ્થા એ પ્રકારની છે કે ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યની તમામ ઈ-ગવર્નન્સની એપ્લીકેશન્સનો તમામ ડેટા આ એક સિસ્ટમમાંથી મેળવી શકે છે. આ ડેટાનો ઉપયોગ કરીને સીએમ ઓફિસ વ્યસ્વ્સ્થાપનમાં જ્યાં પણ તકલીફ છે તેને પારખી શકે છે અને છેક નીચેના સ્તરના અધિકારીનો સીધો સંપર્ક સાધીને જે-તે તકલીફને દૂર કરી શકે છે. આ સિસ્ટમ દરરોજ સરકારના 20 અલગ અલગ ક્ષેત્રોની ઈ-ગવર્નન્સ એપ્સમાંથી 3000થી પણ વધુ સૂચકો મેળવી શકે છે, અને એક જ પ્લેટફોર્મ પર તમામ અધિકારીઓનું સંકલન પણ કરે છે.

    છેલ્લા એક અઠવાડિયામાં કેરળ સરકાર આ જ પ્રકારના મુદ્દા પર બીજી વખત વિવાદમાં આવી છે. થોડા દિવસ અગાઉ કેરળના અધિકારીઓ કથિતરૂપે દિલ્હી મોડલનો અભ્યાસ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ એવો દાવો કર્યો હતો કે કેરળના શિક્ષણ વિભાગના અધિકારીઓ દિલ્હી રાજ્યની શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવા આવી છે. પરંતુ કેરળ સરકારે આ દાવાને નકાર્યો હતો અને કહ્યું હતું કે તેમણે દિલ્હીમાં કોઇપણ બાબતનો અભ્યાસ કરવા તેના એક પણ અધિકારીને મોકલ્યો નથી.

    જગદગુરૂ પરમહંસાચાર્યનો આરોપ: “ભગવો ધારણ કર્યો હોવાના કારણે તાજમહેલ પરિસરમાં પ્રવેશ ન આપવામાં આવ્યો”

    અયોધ્યાના તપસ્વી છાવણીના જગદગુરૂ પરમહંસાચાર્ય સાથે નવો વિવાદ સામે આવ્યો છે. તેમને આગરાના તાજમહેલમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. તેમનો આરોપ છે કે તેઓ અહીં દફનાવવામાં આવેલી ભગવાન શિવની પિંડી જોવા માટે આગ્રા પહોંચ્યા હતા. ભગવા કપડા અને બ્રહ્મ દંડને કારણે સુરક્ષાકર્મીઓએ તેમને અંદર જવા દીધા ન હતા. તેમની ટિકિટ અન્ય પ્રવાસીઓને વેચ્યા બાદ તેમને પૈસા પરત કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ પાછા જવા લાગ્યા ત્યારે સુરક્ષામાં તૈનાત કેટલાક પોલીસકર્મીઓએ તેમની માફી પણ માંગી હતી.

    પરમહંસાચાર્યએ જણાવ્યું હતું કે અલીગઢના એક ધર્મનિષ્ઠ પરિવારની એક મહિલા બીમાર હતી જેમને આશીર્વાદ આપવા તેઓ અલીગઢ આવ્યા હતા. ત્યારબાદ તેઓ તેમના 3 શિષ્યો સાથે આગ્રા પહોંચ્યા. અહીં એમને તાજમહેલ જોવો હતો. તેમની સાથે સરકારી ગનર પણ હાજર હતો. તેઓ સ્મશાનભૂમિથી તાજમહેલ જવા રવાના થયા હતા. ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેમનો પરિચય જાણીને તેને ગોલ્ફ કારમાં બેસાડીને પશ્ચિમના દરવાજા તરફ મોકલી દીધા હતા.

    જગદગુરુને પશ્ચિમી દરવાજે મોકલતા પોલીસકર્મીઓ (ફોટો : દૈનિક ભાસ્કર)

    સાંજે 5.35 કલાકે તેઓ પોતાના શિષ્યો સાથે તાજમહેલમાં પ્રવેશવા લાગ્યા. જેથી ત્યાં હાજર CISFના જવાનોએ તેમને રોક્યા હતા. તેમના ભગવા વસ્ત્રો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અહીં વાત કર્યા બાદ તેમની ટિકિટ લઈ લેવામાં આવી હતી. આરોપ છે કે જ્યારે તેમના શિષ્યએ તેમનો ફોટો લેવાનો પ્રયાસ કર્યો તો તેમનો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો અને ફોટા ડિલીટ કરી દેવામાં આવ્યા.

    મથુરા, અયોધ્યા અને કાશીમાં બ્રહ્મદંડને કોઈએ રોક્યો નહીં

    જગદગુરૂ પરમહંસાચાર્ય સાથે હાજર શિષ્ય પરમહંસએ દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘મથુરા, અયોધ્યા અને કાશી જેવા સ્થળોએ જ્યાં મોબાઈલની પણ પરવાનગી નથી ત્યાં પણ કોઈએ ક્યારેય બ્રહ્મદંડને રોક્યો નથી. બ્રહ્મદંડ લોખંડનો નથી પણ લાકડાનો છે. આ સાથે ભગવા પહેરીને પ્રવેશ અટકાવનારનો વિજય થયો છે. જેઓ રોકાયા તેનો ફોટો લેવામાં આવ્યો ત્યારે મોબાઈલ છીનવીને ફોટો કેમ ડીલીટ કરવામાં આવ્યો. તાજમહેલની વ્યવસ્થા માટે જવાબદાર લોકો બહાના બનાવીને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

    ત્યાં ઊભેલા એક દક્ષિણ ભારતીય પ્રવાસીએ મજાકમાં કહ્યું કે “તમારી દાઢી તો છે જ, જો તમે કેપ પહેરશો, તો તે કામ કરશે.” જ્યારે પ્રશ્ન પૂછાયો કે ‘ભગવો પહેરીને કેમ આવ્યા છો?’ તો પરમહંસચાર્યએ કહ્યું કે “આ તેજોમહલ છે. અહીં ભગવાન શિવની પિંડી દફનાવવામાં આવી છે. તેથી જ તે આજે અહીં જોવા માટે આવ્યા હતા. મને અહીં પ્રવેશવા પણ દેવામાં આવ્યો ન હતો. તેમના શિષ્ય પરમહંસએ કહ્યું કે અમને દ્વાર પર કહેવામાં આવ્યું હતું. યોગીજીને પણ ભગવો પહેરવા માટે રોકી દેવામાં આવ્યા હતા. તાજમહેલમાં પણ ભગવાને પ્રવેશ મળવો જોઈએ. અમારી માગણી છે કે જેઓ દોષિત છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.”

    આ પહેલા પણ અનેક વાર આવા વિવાદ થઈ ચૂક્યા છે તાજમહેલ પરિસરમાં

    તાજમહેલ પર કોઈપણ પ્રકારના પ્રચાર પર પ્રતિબંધ છે. ટોપી, કેટલાક લખાણ લખેલા વસ્ત્રો અને કોઈપણ સ્થળના પોશાક જેવા ધાર્મિક વસ્ત્રો પર કોઈ પ્રતિબંધ નથી. આમ છતાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ભૂતકાળમાં મોડલ્સના રામનામી અને ગાયત્રી મંત્ર લખેલા દુપટ્ટાને હટાવવાના મામલે ઘણો વિવાદ થયો હતો.

    આ સમગ્ર ઘટના અંગે પુરાતત્વ વિભાગના અધિક્ષક આર.કે.પટેલે જણાવ્યું હતું કે તેઓ તેમની સાથે લોખંડનો સળિયો લઈ ગયા હતા અને તેમને તેમની સાથે લઈ જવાની મનાઈ હતી. સુરક્ષાકર્મીઓએ તેને લાકડી ત્યાં જ રાખવા કહ્યું હતું પરંતુ તે તૈયાર ન હતા.

    સંજય રાઉતે રાણા દંપતીને 20 ફૂટ ઊંડે દાટવાના તેમના નિવેદનને સ્વીકાર્યું, હનુમાન ચાલીસના પાઠ કરવા અંતિમક્રિયાની તૈયારી સાથે આવવું એમ પણ કહ્યું

    શિવસેનાના નેતા સંજય રાઉતે મુંબઈમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાના વિવાદમાં સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાને 20 ફૂટ ઊંડે દાટવાના તેમના નિવેદનને યોગ્ય ગણાવ્યું છે. રવિવારે, રાણા દંપતીએ સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની સામે વિરોધ તરીકે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કર્યા પછી, સંજય રાઉતે ટિપ્પણી કરી હતી, “માતોશ્રી સાથે ગડબડ કરવાની હિંમત ન કરો. તને 20 ફૂટ જમીન નીચે દાટી દઈશ.”

    સોમવારે, એક ઇન્ટરવ્યુમાં બરખા દત્ત સાથે વાત કરતી વખતે, રાઉતે ખુલ્લેઆમ સ્પષ્ટતા કરી હતી કે રાણાને ‘જાનથી મારી નાખવાની ધમકી’ આપતી વખતે તેણે જે કીધું એ બરાબર જ કીધું હતું. જ્યારે તેમની 20 ફૂટ-દફન ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું તો ‘જો કોઈએ માતોશ્રીને પડકારવાનો પ્રયાસ કર્યો, તો તેઓએ તેમના અંતિમ સંસ્કાર માટેની સામગ્રી તૈયાર રાખવી જોઈએ’, સંજય રાઉતે જોરથી સ્મિત સાથે જવાબ આપ્યો. રાઉતે જવાબ આપ્યો, “હાહાહા…હા, આ જાનથી મારી નાખવાની ધમકી હોઈ શકે છે. હું નકારતો નથી.”. જ્યારે દત્તે સંજય રાઉતને નકારી કાઢ્યું કે તેઓ (રાજ્યસભા) સંસદસભ્ય તરીકે આ વાતને કેવી રીતે ન્યાયી ઠેરવી શકે, ત્યારે તેમણે કહ્યું, “આ મારા સંસદસભ્ય તરીકે નહીં, આ મારી શિવસૈનિક હોવા અંગેની વાત છે. મેં મારું આખું જીવન બાળાસાહેબ ઠાકરે સાથે વિતાવ્યું છે અને તેથી મને ખબર છે કે કેવી રીતે અને શું બોલવું. મેં જે કહ્યું તેના પર હું કાયમ છુ.”

    સંજય રાઉતે કહ્યું, “હું જાણું છું કે આ લોકશાહી છે અને તમને વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ જ્યારે માતોશ્રીની વાત આવે છે ત્યારે તે અમારા માટે આસ્થાની વાત છે. જો તમે તેને પડકારવાનો પ્રયાસ કરશો તો મારા જેવા નેતાઓ તેને સ્વીકારશે નહીં.” જ્યારે રાઉતને તેની ભાષા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં ઘણી વાર દુર્વ્યવહાર અને હિંસા હોય છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તે ભાગ્યે જ આવી ભાષાનો ઉપયોગ કરે છે અને માત્ર ત્યારે જ જ્યારે વિરોધી તે જ સમજે છે.

    સીએમના ઘરની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાના આયોજન માટે રાણા દંપતી પર લગાવવામાં આવેલા રાજદ્રોહના આરોપો વિશે પૂછવામાં આવતાં, સંજય રાઉતે આ કેસનો બચાવ કરતા કહ્યું, “આ કેસ મુંબઈ પોલીસે દાખલ કર્યો છે. તેઓ સ્વતંત્ર સંસ્થાઓ છે. કોર્ટ તેની કાયદેસરતા પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ ધર્મ, રાજ્યના આધારે રાષ્ટ્ર અથવા રાજ્યને તોડવા માંગે છે અને વિભાજન કરવા માંગે છે, તો આવા લોકોને કડક સજા થવી જોઈએ.

    શનિવારે, સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધાનસભ્ય રવિ રાણાની મુંબઈ પોલીસે સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કર્યા પછી ધરપકડ કરી હતી. જ્યારે નવનીત રાણાએ આવું કરવાની પોતાની યોજના જાહેર કરી, ત્યારે શિવસેનાના કાર્યકરોએ તેના ઘરની સામે ઊઘ્ર વિરોધ કર્યો. બંને હાલમાં મુંબઈની સંબંધિત જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો સામનો કરી રહ્યા છે.

    વિવાદિત એમએલએ જીગ્નેશ મેવાણીને પાંચ દિવસની પોલીસ કસ્ટડી : મહિલા પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરવાના આરોપસર થઇ છે ધરપકડ

    ગુજરાતના કોંગ્રેસ સમર્થક ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગઈકાલે બીજા એક કેસમાં પકડાયા બાદ તેમને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ગઈકાલે બારપેટા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    પોતાનાં ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ આસામ પોલીસે ગત 21 એપ્રિલે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી મેવાણીની ધરપકડ કરી હતી અને આસામ લઇ ગઈ હતી.

    આસામ લઇ ગયા બાદ મેવાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ સોમવારે મેવાણીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે, ત્યારબાદ તરત અન્ય એક કેસમાં આસામની બારપેટા પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

    જીગ્નેશ મેવાણી વિરુદ્ધ 21 એપ્રિલે બારપેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમની ઉપર મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂંક કરવાનો અને ધમકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં મહિલા પોલીસકર્મીએ જણાવ્યું છે કે, એક સ્થાનેથી બીજી જગ્યાએ લઇ જતી વખતે જીગ્નેશ મેવાણીએ તેમની સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કર્યો હતો અને જ્યારે તેમણે મેવાણીને રોકવાના પ્રયત્નો કર્યા તો તેમણે ધમકી આપી હતી.

    રિપોર્ટ અનુસાર, મહિલા પોલીસ કર્મચારીએ ફરિયાદમાં કહ્યું છે કે, ‘બારપેટાના સિમલગુડી પાસેથી પસાર થતી વખતે, ધરપકડ થયેલા આરોપી વ્યક્તિએ મને અપશબ્દો કહ્યા હતા. મેં તેમને ટોક્યા તો તેમણે વધુ અપશબ્દો વાપર્યા હતા અને મારી સામે આંગળીઓ ઉઠાવીને મને ધમકાવવાના પ્રયત્નો કર્યા હતા અને મને બળજબરીથી સીટ તરફ ધકેલી દીધી હતી.’

    આ ફરિયાદ બારપેટા પોલીસ સ્ટેશન ખાતે ગત 21 એપ્રિલના રોજ નોંધાઈ હતી. અહીં નોંધનીય છે કે બારપેટા ઉપરાંત આસામના ગોલપરા પોલીસ મથકે પણ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, તે કયા મામલે છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

    બીજી તરફ, જીગ્નેશ મેવાણીના વકીલે કહ્યું છે કે, આવતીકાલે બારપેટાની કોર્ટમાં તેઓ જામીન માટે રજૂઆત કરશે.

    જીગ્નેશ મેવાણીએ થોડા દિવસો પહેલાં પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી કેટલાંક ટ્વીટ કર્યાં હતા, જેમાં તેમણે પીએમ મોદીને ગોડસેના સમર્થક ગણાવી દીધા હતા. આ વિવાદાસ્પદ ટ્વીટ બાદ આસામમાં એક વ્યક્તિએ મેવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આસામ પોલીસ ગુજરાત આવીને મેવાણીને ઉંચકી ગઈ હતી. ત્યારથી તેઓ આસામમાં જ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણી ગુજરાતની વડગામ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. વર્ષ 2021 માં તેમણે કોંગ્રેસ પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું અને પોતે 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી લડશે તેમ પણ જણાવ્યું હતું. જોકે, હાલ તેઓ અપક્ષ ધારાસભ્ય હોવાથી કોંગ્રેસમાં વિધિવત જોડાયા ન હતા. કારણ કે અપક્ષ ધારાસભ્યો પાર્ટીમાં જોડાય તો ગૃહનું સભ્યપદ ગુમાવવું પડે છે.

    ફિલ્મ સેટ પર અંગ્રેજીના વધુ પડતા ઉપયોગને લઈને નવાઝુદ્દીન સિદ્દીકીએ બોલિવુડ પર પ્રહારો કર્યા, ઇન્ડસ્ટ્રીનું નામ બદલવાની કરી માંગ

    બોલિવુડમાં અંગ્રેજી ભાષાને અપાતા વધુ પડતા મહત્વ અને હિંદીને અવગણવાને લઈને અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પ્રહારો કર્યા છે. ટાઈમ્સ નાઉ દ્વારા આયોજિત એક કોન્કલેવમાં બોલતી વખતે નવાઝુદ્દીન સિદ્દીકી આ બાબતોને લઈને બોલ્યા હતા.

    બોલિવુડના બેવડાં ધોરણો અંગે વાત કરતા નવાઝુદ્દીન સિદ્દીકી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ડાયરેક્ટરો અને પ્રોડ્યુસરો ફિલ્મ હિંદીમાં બનાવે છે પરંતુ સેટ પર વાત અંગ્રેજીમાં કરે છે. એટલું જ નહીં, સ્ક્રીપ્ટ રાઈટર, કોસ્ચ્યુમ ડિઝાઈનર, પ્રોડક્શન ડિઝાઈનર અને સ્ક્રીન રાઈટર પણ અંગ્રેજીમાં વાતો કરે છે. ઘણીવાર તેઓ એક જ મુદ્દાને લઈને ચર્ચા કરતા હોવા છતાં એકબીજાને સમજી શકતા નથી. તેમાં અભિનેતા પણ મૂંઝાઈ જાય છે અને આખરે તેના કામ પર પણ અસર પડે છે.

    આ ઉપરાંત, તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવા ફેરફારો ઈચ્છે છે ત્યારે તેમણે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિએ સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ તેને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કહેવાનું કરવું જોઈએ. વ્યવહારિક જીવનમાં જ જો કોઈ હિંદી બોલતું ન હોય તો હિંદી ફિલ્મ બનાવવાનો શો અર્થ છે?” અભિનેતાના ઇન્ટરવ્યૂનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    તેમણે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સરખામણી તમિલ કે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કરી હતી અને કહ્યું હતું કે, આ ફિલ્મો સારું પ્રદર્શન કરી શકે છે કારણ કે તેઓ પોતાની સ્થાનિક ભાષામાં સંવાદ કરે છે. ડાયરેક્ટર, પ્રોડ્યુસર, મેક-અપ આર્ટિસ્ટથી માંડીને સ્ક્રીનરાઈટર વગેરે જે ભાષામાં ફિલ્મ બનતી હોય તે જ ભાષામાં વાતો કરે છે. જેના કારણે જે-તે પ્રોજેક્ટ પર કામ કરતા દરેક વ્યક્તિને પ્રોજેક્ટની વિગતો સમજવામાં સરળતા રહે છે. જેના કારણે સર્જનાત્મકતાની દ્રષ્ટિએ પણ ફિલ્મ સારું પ્રદર્શન કરે છે.

    નવાઝુદ્દીને કહ્યું કે, હિંદી ફિલ્મોના અભિનેતાઓને અપાતી સ્ક્રીપ્ટ રોમન અક્ષરોમાં છપાયેલી હોય છે. તેમણે કહ્યું કે, તેના સ્થાને દેવનાગરીમાં લખાયેલી સ્ક્રીપ્ટ હોવી જોઈએ કારણ કે તે ભારતની ઘણી ભાષાઓ માટે સામાન્ય લિપી છે.

    તેમણે એમ પણ જણાવ્યું કે, થીએટરોમાંથી આવતા કે શહેરી પૃષ્ઠભૂમિમાંથી ન આવતા ઘણા પ્રતિભાશાળી કલાકારો આધુનિક અંગ્રેજી બોલી શકતા નથી. જો સેટ પર દરેક વ્યક્તિ હિંદીમાં જ વાતચીત કરે તો અભિનેતા માટે અભિનયની દ્રષ્ટિએ તેના માટે શું જરૂરી છે તે સમજવું સરળ રહેશે.

    ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે ફિલ્મો રાજકીય સાધન બની ગઈ છે કે નહીં તે પ્રશ્ન અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, ફિલ્મ એ ફિલ્મ છે. વિવિધ પ્રકારની ફિલ્મો બનતી રહી છે અને ભવિષ્યમાં પણ બનશે. પ્રેક્ષકો પર આધાર રાખે છે કે તેઓ ફિલ્મને કઈ રીતે લે છે અને સમજે છે. તેમણે એમ પણ કહ્યું કે, તાજેતરમાં જે ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી છે તેનાથી તેઓ નિરાશ છે.

    અહીં નોંધવું જોઈએ કે, ગૃહમંત્રી અમિત શાહે પણ ગત 9 એપ્રિલના રોજ અંગ્રેજીને સ્થાને હિંદીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમને કહ્યું હતું કે, વિવિધ રાજ્યોના લોકોએ એકબીજા સાથે અંગ્રેજીને સ્થાને હિંદીમાં વાતચીત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે રાજ્યોના લોકો એકબીજા સાથે વાતચીત કરે ત્યારે તે ભારતીય ભાષામાં થવી જોઈએ.”