Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ'વેક્સિનથી હાર્ટએટેકના સમાચાર મળતાં જ હટી ગયો મોદીનો ફોટો': જાણો કઈ રીતે...

    ‘વેક્સિનથી હાર્ટએટેકના સમાચાર મળતાં જ હટી ગયો મોદીનો ફોટો’: જાણો કઈ રીતે AAPના ગોપાલ ઈટાલિયાએ એક જ પોસ્ટમાં બે જુઠ્ઠાણાં ફેલાવ્યાં- Fact Check

    આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ તો હવે દેશભરમાં જૂઠ ફેલાવવા અને ખોટા દાવાઓ કરવા માટે પંકાઈ ગયેલા છે. હવે તે જ શ્રેણીમાં AAP ગુજરાતના નેતાઓ પણ લાગી પડ્યા છે. જૂઠ ફેલાવવામાં અવ્વલ નંબર પામવાની રેસમાં ગોપાલ ઈટાલિયા ખુબ આગળ નીકળી ગયા છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ તો હવે દેશભરમાં જુઠ્ઠાણાં ફેલાવવા અને ખોટા દાવાઓ કરવા માટે પંકાઈ ગયેલા છે. હવે તે જ શ્રેણીમાં AAP ગુજરાતના નેતાઓ પણ લાગી પડ્યા છે. જૂઠ ફેલાવવામાં અવ્વલ નંબર પામવાની રેસમાં ગોપાલ ઈટાલિયા ખૂબ આગળ નીકળી ગયા છે. મંગળવારે એસ્ટ્રાજેનેકા વેક્સિન બાબતે કંપનીએ UKની કોર્ટમાં આપેલા જવાબ લઈને ઊંધો પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે આજે તેને જોડીને AAP નેતાએ પોસ્ટ કર્યું છે કે વેક્સિનથી હાર્ટએટેકના સમાચાર મળતાં જ વેક્સિન સર્ટિફિકેટમાંથી PM મોદીનો ફોટો ગાયબ થઈ ગયો છે.

    X પર પોતાની તાજી પોસ્ટમાં ગોપાલ ઈટાલિયાએ લખ્યું છે, “દેશભરમાં હાર્ટ એટેકનું કારણ બનેલી રસીના સમાચાર મળતાં જ મોદીનો ફોટો તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો હતો.” તેઓએ આ પોસ્ટ વેક્સિન સર્ટિફિકેટને અનુલક્ષીને લખી હતી અને સાથે પોતાના વેક્સિન સર્ટિફિકેટનો ફોટો પણ જોડ્યો હતો.

    જો ધ્યાનથી જોઈએ તો તેમની આ એક જ પોસ્ટમાં તેઓ 2-2 જુઠ્ઠાણાં ફેલાવતા જોવા મળી રહ્યા છે. આપણે તે બંનેનું સત્ય જાણીશું.

    - Advertisement -

    જુઠ્ઠાણું 1: દેશભરમાં હાર્ટ એટેકનું કારણ છે કોરોના રસી

    આ વિષય તાજેતરમાં ત્યારે ચર્ચાવાનો શરૂ થયો જયારે બ્રિટીશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકાએ બ્રિટનની હાઇકોર્ટમાં નિવેદન આપ્યું કે તેમની રસીથી રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં થ્રોમ્બોસાઈટોપેનીયા સિન્ડ્રોમ (TTS) જેવી આડઅસર થઈ શકે છે. જેના કારણે હ્રદય રોગ થતો હોય છે. ભારતમાં મોટા પાયે અપાયેલ કોવિશિલ્ડ વેક્સિન આ કંપની સાથે મળીને જ બનાવવામાં આવેલી હતી. જેથી મીડિયા અને તેમાંય ખાસ કરીને સરકાર વિરોધીઓએ જોયા-જાણ્યા વગર સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું.

    આ બાબતે ઑપઇન્ડિયાએ મંગળવારે જ ફેક્ટચેક કરીને સાચી માહિતી મૂકી હતી. જે અનુસાર કંપનીએ કોર્ટ સમક્ષ મૂકેલા જવાબમાં કહેવાયું છે કે આ આડઅસરની સંભાવના ખૂબ જ ઓછી છે. લગભગ 10 લાખ વ્યક્તિઓમાંથી એકને આવી અસર થઈ શકે છે. આમ ઈટાલીયાનો પહેલો દાવો ખોટો સાબિત થાય છે કે દેશભરમાં થતા હાર્ટએટેકનું કારણ આ વેક્સિન છે.

    જુઠ્ઠાણું 2: તે સમાચારના કારણે વેક્સિન સર્ટિફિકેટમાંથી મોદીનો ફોટો હટાવાયો

    પોતાના એક જૂઠ સાથે જોડીને ઈટાલિયાએ કહ્યું કે વેક્સિનથી હાર્ટ ટેક થાય છે એ સમાચાર બહાર આવ્યા એટલે કોરોના વેક્સિનના સર્ટિફિકેટમાંથી PM મોદીનો ફોટો હટાવવામાં આવ્યો છે.

    પણ કદાચ તેઓ એ ભૂલી ગયા લાગે છે કે હાલ દેશમાં લોકસભા ચૂંટણી અંતગર્ત આચારસંહિતા લાગુ છે. જે અનુસાર હાલ PM મોદીનો ફોટો તે સર્ટિફિકેટ પર રાખી ના શકાય. આ પહેલી વાર નથી કે આ બાબતે વાંધો ઊઠ્યો હોય. 2021માં જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે જ હાલ AAP સાથે INDI ગઠબંધનનો ભાગ રહેલી TMCએ ચૂંટણી કમિશનમાં ફરિયાદ કરી હતી કે આચારસંહિતાને અનુલક્ષીને વેક્સિન સર્ટિફિકેટ પરથી PM મોદીનો ફોટો હટાવી લેવામાં આવે. બાદમાં કમિશનના આદેશથી ફોટો હટાવી પણ લેવામાં આવ્યો હતો.

    તે જ રીતે હવે જ્યારથી દેશમાં લોકસભા ચૂંટણી 2024ની આચારસંહિતા લાગુ પડી છે ત્યારથી વેક્સિન સર્ટિફિકેટમાંથી ફરી તે ફોટો હટાવી લેવામાં આવ્યો છે, જેથી વિરોધીઓને પ્રલાપ કરવાનું નવુ બહાનું ના મળે. પણ હવે AAP નેતા ફોટો હટાવવા બાબતે પણ પ્રલાપ કરીને ખોટો પ્રચાર કરવામાં લાગી ગયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં