Wednesday, May 8, 2024
More
    Home Blog

    ‘પહેલાં દિવસભર અદાણી-અંબાણીને આપતા હતા ગાળો, ચૂંટણીની ઘોષણા બાદ નામ પણ નથી લઈ રહ્યા: PM મોદીએ પૂછ્યું- શેહઝાદા જણાવો, કેટલામાં કર્યો છે સોદો

    દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે, જ્યારે હજુ પણ કેટલીક જગ્યાએ મતદાન યોજાવાનું છે. તેવામાં PM મોદી પણ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. તેમણે તેલંગાણાના કરીમનગરમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. PM મોદીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમણે પ્રશ્ન પૂછતાં કહ્યું કે, પહેલાં અદાણી-અંબાણીને ગાળો આપતા હતા, હવે અચાનક નામ લેવાનું કેમ બંધ કરી દીધું? આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, આ બધા પ્રશ્નોના જવાબ દેશને આપવા જ પડશે.

    બુધવારે (8 મે, 2024) વડાપ્રધાન મોદીએ તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણીલક્ષી જાહેર જનસભાને સંબોધી છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. જાહેર સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, “કોંગ્રેસના શેહઝાદા છેલ્લા પાંચ વર્ષથી સવારે ઊઠીને માળા જપવાનું ચાલુ કરી દેતા હતા. જ્યારથી તેમનો રાફેલવાળો મામલો ગ્રાઉન્ડેડ થઈ ગયો, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કર્યું હતું. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગપતિ.. પાંચ ઉદ્યોગપતિ.. પાંચ ઉદ્યોગપતિ. પછી ધીરે-ધીરે કહેવા લાગ્યા અદાણી-અંબાણી.. અદાણી-અંબાણી.. અદાણી-અંબાણી.”

    PM મોદીએ વધુમાં કહ્યું કે, “પરંતુ જ્યારથી ચૂંટણીની ઘોષણા થઈ છે. ત્યારથી તેમણે અદાણી-અંબાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શેહઝાદા એ જાહેર કરે કે, આ ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી તેમણે કેટલો માલ ઉઠાવ્યો છે. બ્લેકમનીની કેટલી બોરી ભરીને પૈસા લીધા છે? શું ટેમ્પો ભરીને નોટો કોંગ્રેસ માટે પહોંચી છે? શું સોદો થયો છે? તમે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું.”

    PM મોદીએ વધુમાં કહ્યું કે, “જરૂર દાળમાં કઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત બંધ થઈ ગયા. એટલે કોઈને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી-ભરીને મેળવ્યો છે. તેનો જવાબ તમારે દેશને આપવો પડશે.” આ સાથે એ પણ નોંધવું જરૂરી છે કે, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી અને ઇન્ડી ગઠબંધનના નેતાઓ PM મોદી પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને લાભ પહોંચાડવાનો આરોપ લગવતા રહેતા હતા. પરંતુ છેલ્લા 2-3 મહિનાથી તેમણે સદંતર તેમ કરવાનું બંધ કરી દીધું છે.

    ‘ભગવાન શ્રીકૃષ્ણનો રંગ પણ આપણા જેવો જ હતો’: કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાના ભારતીયોના રંગને લઈને સામે આવેલ વિવાદિત નિવેદન પર PM મોદીનો પલટવાર

    દેશમાં લોકસભા ચૂંટણી હવે અંતિમ ચરણો તરફ આગળ વધી રહ્યું છે. બધા પક્ષોના મુખ્ય નેતાઓ પ્રચારમાં લાગી પડેલા છે. તેવામાં આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના વડા સેમ પિત્રોડાના તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ ભારતીયોને તેમના રંગ અને દેખાવાના આધારે વર્ગીકૃત કરી રહ્યા છે અને તેમને ચીની, આફ્રિકન અને અરબી ગણાવી રહ્યા છે. તો હવે તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી સભામાં PM મોદીએ પલટવાર કર્યો છે અને કહ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણનો રંગ પણ આપણા જેવો હતો.

    પોતાના નિવેદનમાં PM મોદીએ સેમ પિત્રોડાને ટાંકીને કહ્યું, “અમેરિકામાં શહેઝાદાના (રાહુલ ગાંધી) એક અંકલ રહે છે. તેઓ તેમના ફિલોસોફર અને ગાઇડ પણ છે. ક્રિકેટમાં જેમ થર્ડ એમ્પાયર હોય એમ શેહઝાદા ક્યાંય ફસાય એટલે અમેરિકાના આ અંકલ પાસે જ્ઞાન લેતા હોય છે.”

    તેઓએ આગલા કહ્યું કે, “આ ફિલોસોફર અંકલે કહ્યું કે ભારતમાં જેમનો ચામડીનો રંગ કાળો હોય તેઓ આફ્રિકન હોય છે. એટલે કે આપણને સૌને ચામડીના રંગના આધારે આટલી મોટી ગાળ આપી દીધી. હવે મને ખબર પડી કે તેમણે લાગ્યું હશે કે દ્રૌપદી મૂર્મૂ પણ આફ્રિકન હશે એટલે તેનો રંગ કાળો છે અને એટલે તેમણે હરાવવા જોઈએ.”

    ‘અમે શ્રીકૃષ્ણને પૂજનારા લોકો છીએ, જેમનો રંગ અમર જેવો છે’- મોદી

    PM મોદીએ આગળ કહ્યું કે, “અરે ચામડીનો રંગ કોઈ પણ હોય, આપણે તો શ્રીકૃષ્ણની પૂજા કરવાવાળા લોકો છીએ, જેમની ચામડીનો રંગ આપણા સૌ જેવો હતો.”

    પિત્રોડાનું વિવાદિત નિવેદન

    આ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં સેમ પિત્રોડા ભારતની વિવિધતા વિશે વાત કરતાં જોવા મળી રહ્યા હતા. જેમાં તેઓ વાતવાતમાં ભારતમાં વસતા લોકોના દેખાવને લઈને બોલવા લાગ્યા હતા. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “આપણે ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશને એકસાથે રાખી શકીએ છીએ. જ્યાં નોર્થ ઈસ્ટના લોકો ચીની જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો ગોરા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકા જેવા દેખાય છે.”

    જે બાદ હવે PM મોદીનું આ નિવેદન સામે આવતા હવે દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે જ્યારે લોકસભા ચૂંટણી અંત તરફ આગળ વધી રહી છે ત્યારે આ નિવેદનની અસર શું થાય છે તે જોવાનું રહેશે.

    ‘નોર્થ ઈસ્ટ ભારતના લોકો ચીની જેવા, દક્ષિણના આફ્રિકા અને પશ્ચિમના આરબ જેવા દેખાય’: ભારતની વિવિધતા સમજાવવાના બહાને કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ આપ્યું વિવાદિત નિવેદન, ચારેબાજુ ટીકા

    કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા પોતાના નિવેદનોને કારણે કાયમ વિવાદમાં ઘેરાયેલા જોવા મળે છે. તાજેતરમાં જ તેમણે વિરાસત કાયદાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમેરિકા વિરાસત કાયદો છે, તે ભારતમાં પણ લાગુ થવો જોઈએ. આ સાથે તેમણે એવું પણ કહી દીધું હતું કે, જો ભારતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ભારતમાં પણ વિરાસત કાયદો લાગુ થશે. ત્યારબાદ હવે સેમ પિત્રોડાએ ભારતની વિવિધતા સમજવવાના બહાને ભારતના લોકોના દેખાવ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે.

    સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં સેમ પિત્રોડા ભારતની વિવિધતા વિશે વાત કરતાં જોવા મળી રહ્યા છે. જેમાં તેઓ વાતવાતમાં ભારતમાં વસતા લોકોના દેખાવને લઈને બોલવા લાગ્યા હતા. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “આપણે ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશને એકસાથે રાખી શકીએ છીએ. જ્યાં નોર્થ ઈસ્ટના લોકો ચીની જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો ગોરા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકા જેવા દેખાય છે.”

    સેમ પિત્રોડાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઘણા લોકોએ સેમ પિત્રોડાને સોશિયલ મીડિયા પર હાંસીપાત્ર બનાવ્યા છે તો ઘણા લોકોએ આ નિવેદનને ભારતની વિવિધતા અને અખંડિતતામાં બાધારૂપ બનનારું નિવેદન ગણાવ્યું છે. ભારતમાં વિવિધતાથી એકતાની વાત પર પણ ભિન્નતા પેદા કરીને સેમ પિત્રોડાએ દેશને જોડવાની જગ્યાએ વિખવાદ ઊભું કરનારું નિવેદન આપ્યું છે.

    વિરાસત કાયદા અંગે પણ આપ્યું હતું વિવાદિત નિવેદન

    આ કોઈ પહેલીવાર નથી કે, સેમ પિત્રોડાએ આવું વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલાં તાજેતરમાં જ તેમણે વિરાસત કાયદાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. USના શિકાગોમાં મીડિયા સાથે વાત કરતી વખતે ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાએ કહ્યું હતું કે, “અમેરિકામાં એક વિરાસત કર (Inheritance Tax) છે. જો કોઈ વ્યક્તિની પાસે 100 મિલિયન ડોલર છે અને તે જ્યારે મૃત્યુ પામે છે, તો તે માત્ર સંપત્તિના 45% જ પોતાનો બાળકોને આપી શકે છે, બાકીના 55% સરકારી તિજોરીમાં જાય છે.” એટલે બાકીના સરકાર જપ્ત કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, “આ કાયદા અનુસાર, તમે તમારા સમયમાં સંપત્તિ બનાવી અને હવે તેને જનતા માટે છોડી દો. પુરી નહીં તો ઓછામાં ઓછી અડધી સંપત્તિ તો છોડી જ દો. મને આ એકદમ યોગ્ય લાગે છે.”

    તે પછી, આ કાયદાની વકીલાત કરતાં સેમ પિત્રોડાએ કહ્યું કે, “ભારતમાં આવો કોઈ કાયદો નથી. ભારતમાં જો કોઇની પાસે 10 બિલિયન ડોલર (લગભગ ₹82,000 કરોડ) છે અને તે મૃત્યુ પામે છે તો તેના બાળકોને આખા 10 બિલિયન ડોલર મળી જાય છે. જનતાને તેમાંથી કઈ નથી મળતું. આ કેટલીક બાબતો છે જેના પર ચર્ચા અને વિચાર કરવામાં આવશે. જ્યારે અમે સંપત્તિના પુનઃવિતરણ વિશે વાત કરીશું તો તેનો અર્થ એ થશે કે, નવા કાયદા અને નીતિઓ પર વાત કરવામાં આવશે.” આ સાથે તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આ વિશે ચોક્કસ વિચારશે.

    ‘મતદાન પૂર્ણ થયું, હવે કોઈ રાજનીતિ નથી, છતાંય માફી માંગું છું’: મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાની પ્રેસ કૉન્ફરન્સ, કહ્યું- મારી કારકિર્દીનો સૌથી કપરો સમય હતો આ

    7 મે, 2024ના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કે મતદાન યોજાયું હતું. લોકસભાની 25 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન યોજાયા બાદ હવે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે. ક્ષત્રિય સમાજ તેમના એક નિવેદનને કારણે તેમનો વિરોધ કરી રહ્યો છે. જે અનુસંધાને તેમણે પત્રકાર પરિષદ સંબોધી છે. દરમિયાન તેમણે કહ્યું કે, હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે કોઈ રાજનીતિ નથી. તેમ છતાં તેઓ નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગે છે. તેમણે કહ્યું કે, આ સમયગાળો તેમની કારકિર્દીનો સૌથી અઘરો સમય હતો.

    બુધવારે (8 મે, 2024) રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે. તેમણે ક્ષત્રિય સમાજની માફી માંગી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે રૂપાલાએ પહેલીવાર ખૂલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, “મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. હવે મારા મનોભાવો શેર કરવા માંગુ છું. મારા જીવવની 40 વર્ષની કારકિર્દીના અઘરા સમયમાં હું ચૂંટણી લડ્યો. મારે આપ સૌ વચ્ચે કહેવું છે કે, મારા જીવની કારકિર્દીના સૌથી અઘરા સમયમાંથી હું પસાર થયો છું.”

    તેમણે કહ્યું કે, “મતદાન શાંતિપૂર્ણ થયું. હવે હું તમારી સામે મારી લાગણીઓ ખોલવા માટે આવ્યો છું. મારા એક નિવેદનના કારણે આખી ચૂંટણીમાં વમળો સર્જાયા. તેના કારણે હું મારા જાહેરજીવનના પીડાદાયક સમયમાંથી પસાર થયો. મારી ભૂલ હતી. મારાથી ભૂલ થઈ હતી. પરંતુ થયું એવું કે, મારી આખી પાર્ટી તેમાં લપેટાઈ. મારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું. જે મારા માટે ખૂબ જ કષ્ટદાયક છે. મારુ એક નિવેદન મારી પાર્ટીને દ્વિધામાં મુકનારું થયું, તેનો પણ હું સ્વીકાર કરું છું અને તેની સઘળી જવાબદારી મારી છે.”

    ‘હું પણ માણસ છું… રાજનીતિ નથી, છતાં માફી માંગુ છું’- રૂપાલા

    તેમણે વધુમાં કહ્યું કે, “મારા નિવેદનને કારણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ માફી માંગી હતી. તેનું નિમિત્ત માત્ર હું જ છું. પરંતુ હું હવે કહેવા માંગુ છું કે, હું પણ માણસ છું. માણસ માત્ર ભૂલને પાત્ર. શરૂઆત સમયે પણ મારા મનમાં કશું હતું નહીં, તેથી મે ત્યારે જ માફી માંગી લીધી હતી. આગળ જતાં સમાજની વચ્ચે પણ માફી માંગી હતી. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે મતવાળો કોઈ વિષય નથી અને રાજનીતિ પણ નથી. હવે હું પરષોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના તમામ લોકોની નમ્રતાપૂર્વક માફી માંગુ છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું.”

    તેમણે કહ્યું કે, “હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ વિનંતી કરું છું. હવે આ મારુ નિવેદન રાજકારણ પ્રેરિત નથી. ચૂંટણી સમયે એવું લાગ્યું હશે કે, મત માટે કરે છે. પરંતુ હવે મતદાન પૂર્ણ થયું છે. આ ઘટનાના કારણે વડાપ્રધાન મોદીને પણ સાંભળવ્યું પડ્યું હશે. એમને પણ કશું થયું હશે તે પણ મારા માટે પીડાદાયક વિષય છે. ફરીથી હું આપ સૌના માધ્યમથી નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરું છું કે, રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે, ક્ષત્રિય સમાજ પણ અગ્રેસર રહીને યોગદાન આપીને ભૂમિકા ભજવે એવી નમ્ર અપીલ છે.”

    અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજે કર્યો દાવો: કહ્યું- તે સ્થળ પર સંસ્કૃત મહાવિદ્યાલય હતું અને તે પહેલાં મંદિર પણ હતું

    રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહની પાસે આવેલી ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજે પણ પોતાનો દાવો કર્યો છે. હિંદુઓ તરફથી પહેલાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તે સ્થળ પર સંસ્કૃત મહાવિદ્યાલય હતું અને હવે જૈન સમાજના સુનિલ સાગર મહારાજે એવો દાવો કર્યો છે કે, સંસ્કૃત મહાવિદ્યાલયની સાથે ત્યાં એક જમાનામાં જૈન મંદિર પણ હતું. જૈન મુનિએ પોતાના સંઘની સાથે અજમેરની તે મસ્જિદનું નિરીક્ષણ કર્યા બાદ આ દાવો કર્યો છે. તે સમયે ત્યાં હિંદુ સંગઠનોના પદાધિકારીઓ પણ હાજર હતા.

    મંગળવારે (7 મે, 2024) જૈન સમાજના સંઘ સાથે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના પદાધિકારીઓએ અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદની મુલાકાત લીધી હતી. તે સમયે જૈન મુનિ સુનિલ સાગર મહારાજે મીડિયા સાથે વાત કરી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મસ્જિદ સ્થળ પર એક સમયે સંસ્કૃત મહાવિદ્યાલ હતું અને એક જમાનામાં ત્યાં જૈન મંદિર પણ હતું. દાવાને લઈને તેમણે પુરાવાઓ પણ આપ્યા હતા. આ સાથે એ પણ નોંધવું જોઈએ કે, ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદમાં અનેક મૂર્તિઓ પણ જોવા મળી છે.

    ‘કોઈ જમાનામાં ત્યાં હતું મંદિર’

    મસ્જિદનું નિરીક્ષણ કર્યા બાદ જૈન મુનિ સુનિલ સાગર મહારાજે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. જેમાં ભગવાન રામ અને મહાવીર સ્વામીએ અહિંસાનો સંદેશ આપ્યો છે. મૈત્રીભાવ રાખવો જરૂરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઇતિહાસમાં વાંચતાં હતા ઢાઈ દિન કા ઝોપડા વિશે. ત્યાં સંસ્કૃત મહાવિદ્યાલય પણ હતું અને કોઈ જમાનામાં ત્યાં મંદિર પણ હતું.”

    આ ઉપરાંત તેમણે કહ્યું કે, તેઓ જ્યારે નિરીક્ષણ કરી રહ્યા હતા. તો ત્યાં 100થી વધુ મૂર્તિઓ પણ જોવા મળી હતી. જૈન મુનિએ તે વિશે પૂછતાં જણાવાયું હતું કે, ઝોપડામાં ખોદકામ દરમિયાન મૂર્તિઓ નીકળી અને ઘણી અન્ય વૃદ્ધ વ્યક્તિઓએ આપી. આ સાથે તેમણે કહ્યું કે, તેનો અર્થ એ છે કે, અહીં એક સમયે જૈન મંદિર પણ હતું. પરસ્પર સમજદારીથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. મંદિરો પ્રાચીનરૂપમાં પરત આવવા જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે, સંતોના ઝોપડામાં પ્રવેશ દરમિયાન સ્થાનિક મૌલવી દ્વારા તેમને અટકાવવામાં પણ આવ્યા હતા. સાથે મૌલવીએ કારણ દર્શાવતા કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ નગ્ન અવસ્થામાં મસ્જિદમાં પ્રવેશી શકે નહીં. જેના પર હિંદુ સંગઠનના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને હસ્તક્ષેપ કર્યો હતો. હિંદુ સંગઠનના પદાધિકારીઓએ કહ્યું કે, અમારા સંતો આવી રીતે જ રહે છે. તે તેમના જીવન અધ્યાત્મનો એક ભાગ છે. હિંદુ સંગઠનના નેતાઓ સાથે પોલીસ પણ હાજર હતી.

    પૂંછ હુમલાનો ભારતીય સેનાએ લીધો બદલો: લશ્કરના ચીફ કમાન્ડર બાસિત અહેમદ સહિત ત્રણ આતંકી ઠાર, કાશ્મીરી હિંદુઓનો હતો હત્યારો, 10 લાખનું હતું ઈનામ

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પૂંછ હુમલા બાદથી જ સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે કુલગામમાં લશ્કર-એ-તૈયબાના ચીફ કમાન્ડર અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠન TRFના વડા આતંકી બાસિત અહેમદ ડાર સહિતના ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળોને આતંકવાદીઓની માહિતી મળી હતી, જેના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ડાર અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો.

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીને ઠાર કર્યા છે. તેમાનો એક લશ્કરનો ચીફ કમાન્ડર આતંકી બાસિત અહેમદ ડાર પણ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાના સંયુકત અભિયાનમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. બાસિત પર NIAએ 10 લાખનું ઈનામ પણ ઘોષિત કર્યું હતું અને તે કાશ્મીરમાં અનેક લોકોની હત્યામાં પણ સામેલ રહી ચૂકેલો હતો. ઠાર મરેલા બીજા આતંકીનું નામ ફહીમ અહમદ છે. તે ઓવર ગ્રાઉન્ડ વર્કર હતો. જે આતંકીઓને મદદ પહોંચાડવાનું કામ કરતો હતો.

    કાશ્મીરી પંડિતોની હત્યામાં હતો સંડોવાયેલો

    બાસિત અહેમદને ઠાર કરવાની બાબત સુરક્ષાદળો માટે મોટી સફળતા છે. કારણ કે, આ એ આતંકી છે જેણે ઘાટીમાં કાશ્મીરી પંડિતો સહિત અનેક પ્રવાસીઓનું ટાર્ગેટ કિલિંગ કર્યું હતું અને અનેક હત્યામાં તે સંડોવાયેલો હતો. બાસિત ડારના નેતૃત્વમાં TRFએ છેલ્લા 5 વર્ષમાં ઘાટીમાં અનેક આતંકી હુમલા કર્યા હતા. જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકી ડાર સુરક્ષદળોનો મોસ્ટ વોન્ટેડ હતો અને તેના માથે 10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેને આતંકીઓની A++ શ્રેણીમાં નાખવામાં આવ્યો હતો.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાસિત અનેક હત્યાઓમાં માસ્ટરમાઇન્ડ હતો. રેડવાની કુલગામનો રહેવાસી ડાર તેનું ઘર છોડીને જતો રહ્યો હતો અને ત્યારબાદ તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાઈ TRFમાં સામેલ થયો હતો. તે ભારતના અન્ય રાજ્યોમાંથી કાશ્મીર જતાં નાગરિકોની તથા કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ તેને ઘણા સમયથી શોધી રહી હતી. સાથે એ પણ નોંધવા જેવુ છે કે, ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા હુમલામાં સેનાના કર્નલ મનપ્રિત સિંઘ, બટાલિયન કમાન્ડિંગ મેજર આશિષ ધોનેક અને કાશ્મીર પોલીસના DSP હુમાયું ભટ્ટ વીરગતિ પામ્યા હતા. આ હુમલાની જવાબદારી પણ TRFએ લીધી હતી.

    ઉલ્લેખનીય છે કે, 4 મે, 2024ના રોજ પૂંછના સૂરનકોટ વિસ્તારમાંથી વાયુસેનાના જવાનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકવાદીઓએ બે વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાનોને ઈજા પહોંચી. તેમને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક જવાન વીરગતિને પામ્યા હતા. ઘટના બાદ તાત્કાલિક એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને કાઉન્ટર-ટેરર ઑપરેશન શરૂ કરી દીધું હતું.

    બે દિવસ પહેલાં ભાજપને 10 બેઠકો પર હરાવવાની વાત કરતી ક્ષત્રિય સંકલન સમિતિ હવે 7 પર આવીને અટકી: દાવો સાચો પડે તેની શક્યતા કેટલી?

    પહેલાં પરષોત્તમ રૂપાલા અને પછી ભારતીય જનતા પાર્ટી સામે પડેલી ક્ષત્રિય સંકલન સમિતિએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયા બાદ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી રાજ્યની 26માંથી 7 બેઠકો ગુમાવશે. મતદાન પૂર્ણ થયા બાદ સમિતિના હોદ્દેદારોએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી, જેમાં સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ આ વાત કહી. 

    કરણસિંહે એવો પણ દાવો કર્યો કે ક્ષત્રિય પ્રભુત્વવાળા વિસ્તારોમાં 8૦%થી વધુ મતદાન થયું છે. આગળ કહ્યું, અમારા આકલન મુજબ ભાજપ 7 બેઠકો ગુમાવે છે અને 4 બેઠકો પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખની નહીં પણ ઓછી લીડથી જીતશે તેમ પણ તેમણે દાવો કરી દીધો. સાથે એમ પણ કહ્યું કે, ક્ષત્રિય સમાજને અન્ય સમાજોનો પણ સહકાર મળ્યો છે. 

    અહીં નોંધવું જોઈએ કે માત્ર 2 દિવસ પહેલાં આ જ સંકલન સમિતિના આ જ કરણસિંહ ચાવડા ભાજપને 10 બેઠકો પર હરાવવાની વાત કરતા હતા. 5 મેના રોજ યોજેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 10 ઉપરાંત બેઠકો ગુમાવી રહી છે. સાથે એવું પણ કહ્યું હતું કે અમે ગુજરાતભરમાં ભ્રમણ કરીને સંમેલનો કર્યાં, તેના આધારે આ કહી રહ્યો છું. માત્ર 2 દિવસમાં સમિતિના નેતાએ ત્રણ બેઠકોનો આંકડો ઘટાડી દીધો છે અને હવે મતદાન બાદ દાવો કર્યો છે કે ભાજપ 7 બેઠકો ગુમાવશે. 

    ક્ષત્રિય સંકલન સમિતિ આ આંકડાકીય માહિતી ક્યાંથી લાવી અને કયા આધારે આ દાવો કર્યો એ તો ખબર નથી, પણ હાલનો માહોલ અને જે રીતે મતદાન થયું છે તેને જોતાં ભાજપ 7 બેઠકો ગુમાવશે તેમ કહેવું જરા વધારે પડતું છે. 

    ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, એટલે જ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠકો મળી. આ વખતે ક્ષત્રિય સંકલન સમિતિના વિરોધને કારણે પાર્ટીએ થોડોઘણું નુકસાન ભોગવવું પડી શકે છે. પરંતુ પહેલા દિવસથી એ વાત સ્પષ્ટ છે કે આ આંદોલનથી પાર્ટી કોઇ બેઠક ગુમાવશે તેવી શક્યતાઓ ઓછી છે. વિધાનસભા ચૂંટણી હોત તો અલગ વાત હતી, આ લોકસભા ચૂંટણી છે, જેમાં વોટનાં માર્જિન પણ મોટાં રહે છે. આમ તો કઈ જાતિની વસતી કેટલી છે અને ક્યાં વધુ-ક્યાં ઓછી છે તેના કોઇ સત્તાવાર આંકડા નથી, પરંતુ એ વાત તો સર્વવિદિત છે કે કોઇ લોકસભા બેઠક પર ક્ષત્રિય મતદારો બાજી પલટાવી શકે એટલી સંખ્યામાં નથી.

    વધુમાં નોંધવાનું એ પણ રહે કે સંકલન સમિતિએ આંદોલનની શરૂઆતમાં ભાજપવિરોધી માહોલ થોડોઘણો બનાવ્યો હતો, પણ જેમ-જેમ સમય ગયો તેમ અનેક કારણોના લીધે આંદોલનની તીવ્રતા ઘટતી ગઈ અને છેલ્લી ઘડીએ તો ઘણોખરો માહોલ ભાજપ અને મોદીના પક્ષે પણ થઈ ગયો હતો. ખાસ કરીને પીએમ મોદીની ગુજરાત મુલાકાત અને જામસાહેબ સાથેની મુલાકાત બાદ માહોલમાં પરિવર્તન આવ્યું હતું. 

    ગુજરાતમાં નરેન્દ્ર મોદી પણ એક મોટું ફેક્ટર છે. મોદીના નામે જ દર ચૂંટણીમાં મત પડે છે અને ભાજપને આ મોદીના નામનો ફાયદો પણ ઘણો થાય છે. પીએમ મોદીની સભાઓની પણ અસર પડી. બીજી તરફ, રામ મંદિરથી માંડીને મોદી સરકારનાં અમુક કામો અને લાભાર્થી યોજનાઓના નામે પણ મતદાન થયું જ હશે. આવા મતદાનનો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. 

    અસર લીડ સુધી સીમિત રહે તેની શક્યતાઓ પ્રબળ

    ક્ષત્રિય વસ્તી ધરાવતી બેઠકો પર મતદાન વધુ થયું છે, જેથી ત્યાં અસર પડશે પરંતુ તે અસર લીડ પૂરતી જ સીમિત રહે તેની શક્યતાઓ વધારે છે. તે બેઠક ગુમાવવામાં પરિવર્તિત થાય તેમ લાગતું નથી. વધુમાં, ભૂતકાળમાં પણ ગુજરાતે જોયું છે કે જ્યારે-જ્યારે કોઇ એક સમુદાય ભાજપની સામે પડે છે ત્યારે બાકીના સમુદાયો એક થઈને પાર્ટીને સમસ્યામાંથી ઉગારી લે છે. 

    આ આંદોલનમાં ક્ષત્રિય સંકલન સમિતિ વિરુદ્ધ છેલ્લે-છેલ્લે જે ‘કોંગ્રેસ પ્રેરિત’ હોવાના આરોપ લાગ્યા, તેના કારણે ઘણુખરું નુકસાન થયું. તેનાં વ્યાજબી કારણો પણ હતાં. આંતરિક વિખવાદ અને અન્ય બીજાં થોડાં કારણોસર આંદોલન થોડું લાંબું પણ ખેંચાયું, જેથી તેની અસરકારકતા ધીમેધીમે ઘટતી ગઈ અને છેલ્લે તો માત્ર નામ પૂરતું જ રહી ગયું. 

    ઉપરાંત, આ આંદોલનને અન્ય સમાજનો સહકાર મળ્યો હોવાની વાતમાં પણ બહુ તથ્ય નથી. કદાચ ઔપચારિક સહકાર અપાયા પણ હોય તોપણ મતદાનમાં તેની નહિવત અસર જોવા મળે. બીજું, આ આંદોલનથી જાણ્યે-અજાણ્યે અન્ય સમુદાયના મતદારોને એક થઈ ગયા એમ કહીએ તોપણ ખોટું નથી. 

    ભાજપ 7 બેઠકો ગુમાવી પણ દે તો મળે કોને? કોંગ્રેસને?

    જોવાનું એ પણ રહે કે ભાજપ 7 બેઠકો ગુમાવશે તો સામે મળશે કોને? કોંગ્રેસને? જ્યાં અમુક બેઠકો પર તો પાર્ટીમાંથી કોણ લડી રહ્યું છે એ પણ ક્યાંય ચર્ચામાં નથી એવી પાર્ટી? 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અત્યંત કંગાળ પ્રદર્શન કર્યું હતું. તેમાંથી હાલ કોઇ સુધારો જોવા મળ્યો હોય તેમ લાગતું નથી. બે-ત્રણ બેઠકો સિવાય કોઇ કોંગ્રેસી ઉમેદવારો ક્યાંય ચર્ચામાં પણ રહ્યા નહીં. આ પરિસ્થિતિમાં માત્ર એક આંદોલનના જોરે કોંગ્રેસ આખી સીટ જીતી લાવે એ વાતમાં દમ નથી. જો કોંગ્રેસ દરેક બેઠકો મજબૂત હોત અને આવી કોઇ સમિતિ કે સમાજનો સાથ મળ્યો હોત તો આવા દાવામાં કોઇ વાસ્તવિકતા પણ રહી હોત, પણ આમાં તો કોંગ્રેસ જ લડવા ખાતર લડી હોય તેમ લાગી રહ્યું હતું. 

    ધ્યાનમાં રાખવાનું એ પણ રહે કે ક્ષત્રિય સંકલન સમિતિના સમર્થનમાં રહીને 100% ક્ષત્રિય મતદારોએ મતદાન કર્યું તેમ માનવાનું પણ કોઇ કારણ નથી. ઘણખરા એવા પણ હશે, જેમણે આ મુદ્દાને (જેની ઉપર આંદોલન ચાલે છે) ભૂલીને મતદાન કર્યું હશે. 

    આ સંજોગો જોતાં ભાજપ 2019નું પુનરાવર્તન કરશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ક્ષત્રિય આંદોલનની અસર જરૂર થશે, પરંતુ તે લીડ સુધી સીમિત રહેશે. જો વિધાનસભા ચૂંટણી હોત તો વાત અલગ હતી, પરંતુ લોકસભા ચૂંટણીમાં આંકડાઓનો ખેલ બદલાય જાય છે. એટલે સંકલન સમિતિના ભાજપને 7 બેઠકો પર હરાવવાના દાવામાં હાલ તો કંઈ તથ્ય દેખાતું નથી, 1-2 બેઠકોની વાત કરી હોત તો માન્યામાં પણ આવી હોત. બાકી તો સ્પષ્ટ ચિત્ર 4 જૂને જ ખબર પડશે. 

    ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 5 વાગ્યા સુધીમાં અંદાજિત સરેરાશ 55.22% મતદાન: વલસાડ બેઠક પર સૌથી વધુ, અમરેલીમાં સૌથી ઓછું

    લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. સાંજે 6 વાગ્યે નિયમાનુસાર મતદાન બંધ કરવામાં આવ્યું. મતદાન પૂર્ણ થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને મતદાન પૂર્ણ થયું હોવાની ઔપચારિક ઘોષણા કરીને આંકડાકીય માહિતીઓ આપી હતી. 

    તેમણે જણાવ્યું કે,  રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક (સુરત બિનહરીફ જાહેર થઈ હોવાના કારણે ત્યાં ચૂંટણી ન થઈ) પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મોડી રાત્રે 12 વાગ્યા સુધીમાં ચોક્કસ ટકાવારી જાણી શકાશે.

    પાંચ વાગ્યા સુધીમાં થયેલા મતદાનની વાત કરવામાં આવે તો, સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર નોંધાયું છે. અહીં 68.12% મતદાન થયું. જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 45.59% મતદાન નોંધાયું. બનાસકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ અને બારડોલી એવી બેઠકો છે, જ્યાં 60%થી વધુ મતદાન નોંધાયું. 50%થી નીચેમાં અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી અને ભાવનગર બેઠકોનો સમાવેશ થાય છે. બાકીની બેઠકો પર 50થી 60 ટકા વચ્ચે સરેરાશ મતદાન નોંધાયું. 

    નોંધનીય છે કે આ મતદાનના સરેરાશ અંદાજિત આંકડાઓ 5 વાગ્યા સુધીના છે. મતદાન 6 વાગ્યા સુધી ચાલ્યું હતું, જેથી આમાં હજુ સુધારો જોવા મળશે. વધુમાં, ત્યારબાદ પણ અંતિમ અને ચોક્કસ આંકડો જાણવા હજુ થોડા કલાક રાહ જોવી પડશે.

    મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે  0.23 % BU,   114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યાં હતાં. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

    તા. 7 મે ના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 3 એલર્ટ્સ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ્સ હતી. c-VIGILના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી છે. National Grievance Service Portal માધ્યમથી મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે તેમ તેમણે જણાવ્યું હતું. 

    જાણકારી આપવામાં આવ્યા અનુસાર, મતદાનના દિવસે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તા. 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે. 

    પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.

    પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.

    મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો. 

    રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.

    થાળી વગાડતા મતદાન મથક પહોંચ્યા આઈ. કે જાડેજા, પોર્ટલે વિડીયો મૂકીને લખ્યું- ઓછા મતદાનના ભયથી આમ કર્યું: ભાજપ નેતાની પોસ્ટથી જ થઈ ગયું ‘ફેક્ટચેક’

    કોઇ પણ ઘટના સમયે પોતાની રીતે જ અર્થઘટન કરીને જ્ઞાન વહેંચવાની ગુજરાતી મેઈનસ્ટ્રીમ મીડિયાને જૂની આદત છે. આવી આદત પોતાને ન્યૂઝ ચેનલ માનતી અમુક યુ-ટ્યુબ ચેનલોને પણ છે. તાજેતરમાં જ ‘નિર્ભય ન્યૂઝ’ નામની એક યુ-ટ્યુબ ચેનલે x પર ભાજપ નેતા આઈ. કે જાડેજાનો વિડીયો મૂકીને દાવો કર્યો કે ઓછા મતદાનના ડરના લીધે તેઓ થાળી વગાડીને મતદાન મથકે જઈ રહ્યા છે. 

    7 મેં, 2024ના રોજ 12:49 વાગ્યે X પર ભાજપ નેતા આઈ. કે જાડેજાનો 10 સેકન્ડનો એક વિડીયો પોસ્ટ કરીને નિર્ભય ન્યૂઝના હેન્ડલ પરથી લખવામાં આવ્યું- ‘લોકસભા ચૂંટણી: ઓછા મતદાનના ભયથી આઈ. કે જાડેજાએ થાળી વગાડી.’ 

    વિડીયોમાં આઈ. કે જાડેજા, તેમની પત્ની અને પરિવાર ચાલતા જતા જોવા મળે છે. તેઓ સંભવતઃ મતદાન મથકે મતદાન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન આઈ. કે જાડેજા હાથમાં થાળી લઈને તે વગાડતા જોવા મળે છે. તેમણે ક્યાંય એવું કહ્યું નથી કે મતદાન ઓછું થવાના ડરથી તેઓ આમ કરી રહ્યા છે કે ન કોઇ ખુલાસા આપ્યા છે. 10 સેકન્ડના વિડીયો પરથી ધારી લેવામાં આવ્યું કે તેમણે આમ ઓછા મતદાનના ડરે કર્યું છે. 

    પીએમ મોદીએ કરી હતી અપીલ

    અહીં મૂળ વાત એ છે કે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં તેમણે મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદાનના અવસરને એક ઉત્સવની જેમ ઉજવવાની અપીલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કાર્યકર્તાઓ થાળી કે ઢોલક વગાડીને કે પછી રામધૂન બોલાવતા મતદાન મથક સુધી પહોંચી શકે છે. 

    પીએમ મોદીની ચેનલ પર પણ આ વાતચીતનો વિડીયો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેમની આસપાસ પાર્ટીના કાર્યકરો ઊભેલા જોવા મળે છે. જેમને પીએમ કહે છે કે, “ચૂંટણીના દિવસે એક તહેવાર જેવું વાતાવરણ હોવું જોઈએ. ઘરે-ઘરે ઉત્સાહ હોવો જોઈએ. જે દિવસે મતદાન હોય તે દિવસે આપણો એક કાર્યકર્તા અને તેની સાથે 30 વોટ, પોતાના મહોલ્લાથી થાળી વગાડતાં કે ઢોલક વગાડતાં મતદાન કરવા જવું જોઈએ.”

    ટૂંકમાં અહીં આઈ. કે જાડેજા માત્ર પીએમ મોદીએ સૂચવેલી પદ્ધતિથી અલગ રીતે મતદાન અંગે જાગૃતિ લાવવા માટે થાળી વગાડતા જઈ રહ્યા હતા. મતદાન ઓછું થવાનો ભય હોય તેવું ક્યાંય નથી અને અમુક ‘પત્રકારો’ની મગજની ઉપજ છે. 

    ભાજપ નેતાની પોસ્ટથી થઈ ગયું સ્પષ્ટ

    પછીથી આઈ. કે જાડેજાએ X પર એક પોસ્ટ કરીને જાણકારી આપી, જેમાં પણ થાળી વગાડીને મતદાન મથકે પહોંચવાનું કારણ સ્પષ્ટ થયું. તેમણે લખ્યું કે, “લોકશાહીના મહાપર્વમાં આજે યોગદાન આપીને સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રમાં ધ્રાંગધ્રા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું. સમગ્ર દેશના સૌ મતદાતાઓને દેશમાં સ્થિર અને મજબૂત સરકાર બનાવવા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા થાળી વગાડી મતદાનને ઉત્સવ તરીકે ઉજવી વધુ મતદાન કરવા અપીલ કરી.”

    અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે એક ઈકોસિસ્ટમ છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં ભાજપવિરોધી માહોલ બનાવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલન અને અન્ય અમુક મુદ્દાઓના જોરે એવું સાબિત કરવાનાં પ્રયાસ કરવામાં આવે છે કે હવે ગુજરાતમાં ભાજપનો ગઢ તૂટી રહ્યો છે. પરંતુ જમીન પરની વાસ્તવિકતા તદ્દન જુદી છે અને જે સ્થિતિ 2022માં હતી, તે હજુ પણ બદલાઈ નથી. આવા સમયે ‘ભાજપ નેતાઓમાં મતદાન ઓછું થવાનો ડર’વાળો નેરેટિવ અસર કરી શકે તેમ છે. જોકે, સત્ય એ પણ છે કે મોટાભાગના વાચકો અને દર્શકો હવે સરળતાથી એજન્ડામાં ફસાઈ જતા નથી. 

    ‘મોદીને 400 બેઠકો એટલા માટે જોઈએ, જેથી કોંગ્રેસ રામ મંદિર પર બાબરી તાળું ન લગાવી દે’: બોલ્યા PM- સેક્યુલરિઝમના નામે ભારતની ઓળખ ભૂંસવાના પ્રયાસ સફળ નહીં થવા દઉં

    વડાપ્રધાન મોદીએ 7 મે, 2024ના રોજ અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું. જે બાદ PM મોદી ચૂંટણી પ્રચારમાં અલગ-અલગ રાજ્યોની મુલાકાતે ગયા છે. તે જ અનુક્રમે તેમણે મધ્ય પ્રદેશના ધારમાં પણ એક જાહેર સભાને સંબોધિત કરી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરને અપમાનિત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો એટલા માટે જોઈએ છે કે, જેથી કોંગ્રેસ રામ મંદિર પર બાબરી તાળું ન લગાવી દે અને કાશ્મીરમાં આર્ટિકલ 370 પરત ન લઇ આવે.

    મધ્ય પ્રદેશમાં ધારમાં PM મોદી જાહેર સભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સભાને સંબોધતાં કહ્યું કે, દેશના લોકોએ એ જાણવું ખૂબ મહત્વનું છે કે, ભાજપના નેતૃત્વવાળા NDA પાસે પહેલાંથી જ સંસદમાં 400થી વધુ બેઠકો છે. તેમણે કહ્યું કે, “મોદીને 400 બેઠકો જોઈએ છે, જેથી કોંગ્રેસ અને INDI ગઠબંધનનાં તમામ ષડયંત્રોને રોકી શકાય, જેથી કોંગ્રેસ કાશ્મીરમાં ફરીથી કલમ 370 લાગુ ન કરી શકે. મોદીને 400 સીટો જોઈએ, જેથી કોંગ્રેસ અયોધ્યાના રામ મંદિર પર બાબરી તાળું ન લગાવી દે, જેથી કોંગ્રેસ દેશની ખાલી જમીન, ખાલી દ્વીપ બીજા દેશોને ન સોંપી દે, જેથી SC/ST/OBCને મળેલા અનામતમાંથી કોંગ્રેસ વોટ બેન્ક માટે ચોરી ન કરે. જેથી કોંગ્રેસ પોતાના વોટબેન્કની તમામ જાતિઓને રાતોરાત OBC જાહેર ન કરી દે.”

    તેમણે કહ્યું કે, “NDA પાસે પહેલાંથી જ 400 બેઠકો છે. અમે તે સંખ્યાનો ઉપયોગ કલમ 370 નાબૂદ કરવા માટે કર્યો હતો. SC/ST અનામતને 10 વર્ષ આગળ વધારવા માટે કર્યો હતો. એક આદિવાસી દીકરીને પહેલીવાર દેશના રાષ્ટ્રપતિ બનાવવા માટે કર્યો હતો અને મહિલાઓને અનામત આપવા માટે કર્યો હતો.” સાથે તેમણે કહ્યું કે, “કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકર અને બંધારણની પીઠ પર ઘા કર્યો છે. તે તુષ્ટિકરણના રાજકારણમાં એટલી હદે ફસાઈ ગઈ છે કે, હવે તેને બીજું કઈ નજરે જ નથી પડી રહ્યું.”

    તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસનું ચાલે તો કોંગ્રેસ એવું પણ કહી દેશે કે, ભારતમાં જીવવાનો પહેલો અધિકાર તેમની વોટબેન્કનો છે. પરંતુ જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી નકલી સેક્યુલરિઝમના નામ પર ભારતની ઓળખ ભૂંસવાના કોઈપણ પ્રયાસને સફળ નહીં થવા દે અને આ હજારો વર્ષ પ્રાચીન ભારતને તેના સંતાનની ગેરંટી છે. હવે આખા દેશે નક્કી કરી લીધું છે કે, ફરી એકવાર મોદી સરકાર.” આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા.