Saturday, July 27, 2024
More
    Home Blog

    ‘‘સંવિધાન હત્યા દિવસ’નું એલાન બંધારણનું અપમાન કે ઉલ્લંઘન નહીં’: દિલ્હી હાઈકોર્ટે ફગાવી PIL, મોદી સરકારના નિર્ણય પર મહોર

    25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ (Samvidhan Hatya Diwas) તરીકે ઘોષિત કરવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય વિરૂદ્ધ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારનું નોટિફિકેશન કોઇ પણ રીતે બંધારણનું ઉલ્લંઘન કરતું નથી કે ન તેનું અપમાન છે. નોંધનીય છે કે 25 જૂન, 1975ના રોજ જ ઈન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટી લાગુ કરી હતી, જે માર્ચ, 1977 સુધી લાગુ રહી હતી અને આ દરમિયાન ખુલ્લેઆમ મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવ્યું હતું.

    દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 13 જુલાઈએ બહાર પાડવામાં આવેલ ‘સંવિધાન હત્યા દિવસ’ અંગેની અધિસૂચના બંધારણની કલમ 352 હેઠળ કરવામાં આવેલી ઈમરજન્સીની ઘોષણા વિરુદ્ધ નથી, પરંતુ માત્ર સત્તાના દુરુપયોગ અને બંધારણીય જોગવાઈઓના દુરુપયોગ વિરુદ્ધ હતી.

    વાસ્તવમાં આ PIL સમીર મલિક નામના એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કટોકટી બંધારણની જોગવાઇ હેઠળ જ લાદવામાં આવી હતી, જેથી તેની જાહેરાત દ્વારા બંધારણની હત્યા કરવામાં આવી તેમ કહેવું એ ખોટું છે. તેમના પક્ષે વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતના બંધારણનો અનુચ્છેદ 352 રાષ્ટ્રપતિને કટોકટી લાગુ કરવા માટે સત્તા આપે છે, જેથી ઈમરજન્સીની ઘોષણાના દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કરવાનો નિર્ણય બંધારણીય જોગવાઈઓથી વિરુદ્ધ હતો.

    અરજદારે પોતાની અરજીમાં એમ કહ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ હેઠળ બંધારણનો અનાદર કરવો એ ગુનો છે અને સરકારને પણ તેના અંગત અને રાજકીય હેતુ માટે બંધારણ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી જતી નથી. પરંતુ દિલ્લી હાઈકોર્ટે અરજદારની બધી દલીલો સાથે અરજીને પણ ફગાવી દીધી છે.

    કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ન તો કેન્દ્ર સરકારનું નોટિફિકેશન બંધારણનું ઉલ્લંઘન કરે છે કે ન તેનું અપમાન થઈ રહ્યું છે. ‘હત્યા’ શબ્દનો ઉપયોગ એક સંદર્ભ સાથે કરવામાં આવ્યો છે, જેનાથી બંધારણની અવમાનના થતી નથી. સાથે એમ પણ કહ્યું કે, નેતાઓ ‘લોકતંત્રની હત્યા’ જેવા શબ્દોનો ઉપયોગ છાશવારે કરતા રહે છે. અમે આ અરજી સ્વીકારી રહ્યા નથી. નોંધવું જોઈએ કે આવી જ એક અરજી અલાહાબાદ હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે.

    ઇમરજન્સી વિશે વાત કરવામાં આવે તો, 25 જૂન, 1975ના રોજ તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહથી રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં આપતકાળ લાગુ કરી દીધો હતો. સત્તા બચાવવા માટેના ઈન્દિરાના આ નિર્ણયના કારણે દેશ અને દેશના લોકોએ ખૂબ ભોગવવું પડ્યું. આ કપરા કાળની સ્મૃતિ માટે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા 13 જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પાડીને 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવાની ઘોષણા કરવામાં આવી. જોકે, કોંગ્રેસને તે પસંદ આવ્યું ન હતું અને દર વખતની જેમ આ નિર્ણયનો પણ વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો.

    શું તમે જાણો છો: 2004થી 2009 સુધી કોંગ્રેસની આગેવાનીવાળી UPA સરકારે નહતો મનાવ્યો ‘કારગિલ વિજય દિવસ’, નેતાઓ કહેતા- ‘એ ભાજપનું યુદ્ધ, તેની ઉજવણી ન હોય’

    દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ એ દિવસ છે જ્યારે આજથી 25 વર્ષ પહેલાં 1999માં કાશ્મીરના કારગિલમાં ખેલાયેલા યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ત્રીજી વખત પછડાટ આપી હતી. આ પરાજય એવો હતો કે ત્યારબાદ પાકિસ્તાન ક્યારેય સામી છાતીએ ભારત સામે લાડવા આવ્યું નથી. આતંકવાદીઓ મોકલીને અવળચંડાઈ કરતું રહે છે, પરંતુ ભારતના જાંબાઝો તેમને ફાવવા દેતા નથી. ‘કારગિલ વિજય દિવસ’ સેનાના સાહસ અને પરાક્રમને બિરદાવવાનો દિવસ છે. તેમાં ક્યાંય પક્ષ-વિપક્ષ કે રાજકારણને સ્થાન હોતું નથી. પણ કોંગ્રેસે તેમાં પણ રાજકારણ શોધી કાઢ્યું હતું.

    ઉપર પહેલી લીટીમાં લખ્યું કે, દર વર્ષે 26 જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ મનાવવામાં આવે છે, પણ અહીં એક ફૂંદદી કરીને એટલું ઉમેરવું પડે કે 2004થી 2009ને બાદ કરતાં. કારણ કે આ વર્ષો દરમિયાન કારગિલ વિજય દિવસ નહતો મનાવાયો. તે સમયે કોંગ્રેસની આગેવાનીવાળી UPA સરકાર હતી. આજે તેઓ INDI નામનું એક ઝૂંડ બનાવીને ફરે છે. ત્યારે આ UPA નામ હતું. 

    જે કોંગ્રેસ આજે સેનાના નામે રાજકારણ કરવાનું ચૂકતી નથી તે કોંગ્રેસે પાંચ વર્ષ સુધી આટલો મહત્વપૂર્ણ દિવસ ઊજવ્યો ન હતો. કારણ એ હતું કે 1999માં કેન્દ્રમાં અટલ બિહારી બાજપાઈની આગેવાનીવાળી NDA સરકાર હતી. કોંગ્રેસના નેતાઓ માનતા હતા કે યુદ્ધ NDAના સમયમાં થયું હતું અને તેમણે વિજય મેળવ્યો હતો, એટલે તેઓ ભલે ઉજવણી કરે પરંતુ કોંગ્રેસ માટે તેનું મહત્ત્વ નથી. કોંગ્રેસ નેતા રાશીદ અલ્વીએ કહ્યું હતું કે, “કારગિલ કોઇ ઉજવણીની બાબત નથી. યુદ્ધ આપણી ભૂમિ પર લદાયું હતું. પાકિસ્તાની સેના સરહદપાર કરીને આવી ગઈ અને આપણી ભૂમિ પર બંકરો બાંધી દીધાં ત્યાં સુધી આપણને ખબર પણ ન હતી. NDA તેની ઉજવણી કરી શકે.”

    પાંચ વર્ષ આ મામલે ખૂબ ટીકા થયા બાદ અને ખાસ કરીને 2009માં રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખરે મુદ્દો ઉઠાવ્યો ત્યારબાદ કોંગ્રેસે ફરી આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું હતું. 2017માં તેમણે X પર પોસ્ટ કરીને તે સમયે તેમણે લખેલા પત્રોના ફોટો મૂક્યા હતા. 

    રાજ્યસભામાં તેમણે મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે, “કારગિલ વિજય દિવસ ન માત્ર એક ગર્વિત દેશ માટે વિજયનો દિવસ હતો, પરંતુ આ દિવસ સેનાના હજારો જવાનોનાં બલિદાનની પણ યાદ અપાવે છે. આ જવાનોનાં શૌર્ય અને સાહસ જ છે જેઓ આગલી પેઢીઓને રાષ્ટ્રવાદની પ્રેરણા આપતાં રહેશે. સેનાની આ બહાદુરીને આપણે સલામ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ તે જરૂરી છે.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “હું રક્ષા મંત્રાલય અને સરકારને વિનંતી કરું છું કે આ દિવસને દર વર્ષે ઉજવવામાં આવે. જેઓ આ યુદ્ધને ‘ભાજપનું યુદ્ધ’ કહીને મજાક ઉડાવે છે તેમને પણ તેમ ન કરવા માટે હું અપીલ કરું છું. આ પ્રકારની ટિપ્પણીઓ સેનાના બલિદાની જવાનોનું અપમાન છે. બલિદાનીઓના સન્માન માટે આ દિવસની ઉજવણી કરવી એ સમગ્ર રાષ્ટ્રની જવાબદારી છે.”

    2010થી ફરી થઈ હતી શરૂઆત

    આ મામલો 2009માં રાજ્યસભામાં ખૂબ ચગ્યો હતો. સંસદમાં અને દેશભરમાં ટીકા થયા બાદ આખરે 2010થી કોંગ્રેસ સરકારે ફરીથી ‘કારગિલ વિજય દિવસ’ ઉજવવાનું શરૂ કર્યું હતું. 16 જુલાઈ, 2010ના રોજ તત્કાલીન રક્ષા મંત્રી એ. કે એન્ટનીએ રાજીવ ચંદ્રશેખરને પત્ર લખીને જણાવ્યું હતું કે, અમર જવાન જ્યોતિ ખાતે બલિદાનીઓને યાદ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પછીથી ફરી દર વર્ષે ઉજવણી કરવામાં આવતી રહી છે. 

    નોંધનીય છે કે કારગિલ યુદ્ધ 3 મે, 1999થી 26 જુલાઈ, 1999 દરમિયાન ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે લડવામાં આવ્યું હતું. પાકિસ્તાને ભૂમિ કબજે કરવાના બદઇરાદે કારગિલમાં LOC (લાઈન ઑફ કન્ટ્રોલ) પાર કરીને સૈનિકો મોકલીને ઠેકાણાં સ્થાપવાનાં શરૂ કરી દીધાં હતાં. ભારતીય સેનાને જાણ થતાં જ ‘ઑપરેશન વિજય’ લૉન્ચ કરીને પાકિસ્તાનીઓને ખદેડી દીધા હતા. 84 દિવસના યુદ્ધ બાદ અંતે 26 જુલાઇના રોજ સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી. આ વિજયની યાદમાં દર વર્ષે ‘કારગિલ વિજય દિવસ’ મનાવાય છે. અપવાદ માત્ર કોંગ્રેસનાં શાસનનાં પાંચ વર્ષ રહ્યાં છે. 

    કર્ણાટકના ‘રામનગર’ જિલ્લાનું નામ હવે ‘બેંગલુરુ દક્ષિણ’, કોંગ્રેસ સરકારે આપી પ્રસ્તાવને મંજૂરી: ભાજપે કહ્યું- આ ભગવાન રામ અને રામમંદિર પ્રત્યે દ્વેષનું પરિણામ; JD(S)નો પણ વિરોધ

    કર્ણાટકની કોંગેસ સરકારે રાજ્યના એક જિલ્લાનું નામ બદલવા માટે મંજૂરી આપી છે. આ જિલ્લો પહેલાં ‘રામનગર’ નામથી ઓળખાતો, હવે નવું નામ ‘બેંગલુરુ દક્ષિણ’ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે જિલ્લાના રહેવાસીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, ભાજપે કહ્યું છે કે આ નિર્ણય રામ અને રામ મંદિર પ્રત્યે કોંગ્રેસી દ્વેષનું પરિણામ છે. 

    કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારની કેબિનેટ બેઠક શુક્રવારે (26 જુલાઈ) મળી હતી, જેમાં જિલ્લાનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આ અંગે માહિતી આપતાં કર્ણાટકના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ. કે પાટીલે કહ્યું કે, સ્થાનિક લોકો ઇચ્છતા હોવાથી ‘રામનગર’ જિલ્લાનું નામ બદલીને ‘બેંગલુરુ દક્ષિણ’ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે એવો પણ દાવો કર્યો કે, બ્રાન્ડ બેંગલુરુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    એચ.કે પાટિલે કહ્યું છે કે આગળની પ્રક્રિયાના ભાગરૂપે મહેસૂલ વિભાગ ટૂંક સમયમાં નામમાં ફેરફારની સૂચના આપશે. જોકે, તેમણે કહ્યું કે તાલુકાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, કારણ કે આ ફેરફાર જિલ્લાના નામ સાથે સંબંધિત છે. રામનગર જિલ્લામાં હાલમાં રામનગર, મગદી, કનકપુરા, ચન્નાપટના અને હરોહલ્લી તાલુકાઓનો સમાવેશ થાય છે, જે હવે બેંગલુરુ દક્ષિણ જિલ્લાનો ભાગ બનશે.  

    ઉલ્લેખનીય છે કે ગત 9 જુલાઈના રોજ નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમારની આગેવાની હેઠળના એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં રામનગર જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે રામનગરના વિકાસ અને ભવિષ્યના વિકાસ માટે તેનું નામ બદલવું જરૂરી છે. શિવકુમાર આ જિલ્લાના પ્રભારી મંત્રી છે. 

    ભાજપ, JD(S)નો વિરોધ

    કર્ણાટકમાં વિપક્ષ ભાજપ અને JD(S) દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને BJP સાંસદ પ્રહલાદ જોશીએ કર્ણાટક સરકારના આ નિર્ણય પર નિશાન સાધ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “’રામનગર’ જિલ્લાનું નામ બદલવાનો આ નિર્ણય રામ અને રામમંદિર પ્રત્યે તેમની નફરત દર્શાવે છે. હવે કોંગ્રેસને રામના નામથી પણ તકલીફ થવા લાગી છે.” વધુમાં કહ્યું કે, “અમારી સરકાર દરમિયાન જ્યારે રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ તેઓ આવું જ કરી રહ્યા હતા. આજે (26 જુલાઈ) રામગનરનું નામ બદલવાનો નિર્ણય લઈને કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સરકારે સાબિત કરી દીધું છે કે તેઓ રામની વિરુદ્ધ છે.”

    આગળ તેમણે કહ્યું કે, “કોઇએ માંગ કરી ન હતી. અમારા ત્યાંના સાંસદ છે તેમણે પણ લખ્યું હતું કે નામ બદલવું ન જોઈએ. પરંતુ વૉટબેન્કના રાજકારણ માટે અને રિયલ એસ્ટેટની લાલચમાં આમ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધારમૈયા (CM) કહે છે કે મારા નામમાં જ રામ છે. તો તેઓ આવું કેમ કરી રહ્યા છે? તેમણે તુરંત આ પ્રસ્તાવ પરત લેવો જોઈએ, નહીંતર ભાજપ તેનો પૂરજોર વિરોધ કરશે.” સાથે એમ પણ કહ્યું કે, ડી. કે શિવકુમાર આમાં પોતાનો વ્યક્તિગત એજન્ડા ચલાવી રહ્યા છે અને ત્યાં રિયલ એસ્ટેટના ધંધામાં વેલ્યુએશન વધારવા માટે આ કામ કરવામાં આવ્યું છે.

    આ પહેલાં જ્યારે નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અને JD(S)ના નેતા કુમારસ્વામીએ પણ અવાજ ઉઠાવ્યો હતો અને રામનગરનું નામ બદલવામાં આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. કુમારસ્વામીએ કહ્યું કે, “હું તેને એક પડકાર તરીકે લઉં છું, રામનગર જિલ્લા સાથે કોઈ વ્યવસાયિક સંબંધ નથી પરંતુ મારું ભાવનાત્મક જોડાણ છે … જો રામનગર જિલ્લાનું નામ બદલવામાં આવશે, તો મારી તબિયત ખરાબ હોવા છતાં, હું મારા જીવને જોખમમાં મૂકીને આમરણાંત ઉપવાસ પર બેસવા તૈયાર છું”.

    જરૂરિયાતના સમયે પોતાની ડીલથી પાછું હટ્યું અમેરિકા ત્યારે માત્ર ઇઝરાયેલે કરી હતી મદદ: ભારત-ઇઝરાયેલ મિત્રતાની સાક્ષી પૂરે છે ‘કારગિલ વિજય દિવસ’

    26 જુલાઇ આજનો દિવસ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે, આજથી 25 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતીય સેનાના વીર જવાનોએ જે પરાક્રમ કર્યું તે આજે પણ વંદનીય છે. વર્ષ 1999 ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલમાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વિપરીત પરિસ્થિતિમાં પણ 26 જુલાઇ 1999ના રોજ ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી હતી અને પાકિસ્તાન સામે યુદ્ધ જીતીને બીજો એક વિજય ભારતના નામે કર્યો હતો. કારગિલમાં વિજય મેળવ્યો તેથી આ દિવસ એટલે ‘કારગિલ વિજય દિવસ’. આ યુદ્ધ જીતવામાં ઈઝરાયેલે ભારતની મદદ કરી હતી.  

    ‘કારગિલ વિજય દિવસ’ (Kargil Vijay Diwas) એટલે કારગિલમાં થયેલ ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન હુતાત્મા થયેલ જવાનોને નમન કરવાનો દિવસ… પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી વિજય મેળવનાર સેનાને વધાવવાનો દિવસ… પોતાના વ્યક્તિગત જીવન, પરિવારની પરવા કર્યા વિના મા ભારતી માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરવાવાળા વીર સપૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ… નિરંતર 60 દિવસ સુધી અદમ્ય જંગ ખેલીને જીત ભારત માતાને ખોળે ધરનારા એ દરેક જવાનને વંદન કરવાનો દિવસ… આજનો દિવસ એટલે 2 મહિના સુધી ચાલેલા એ યુદ્ધની ગાથા જાણવાનો દિવસ.

    કેવી રીતે શરૂ થયું હતું યુદ્ધ

    વર્ષ 1971મા જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે ભારતની સેનાએ પાકિસ્તાનને તેનું સ્થાન બતાવી દીધું હતું. પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનમાંથી માત્ર પાકિસ્તાન રહી ગયું અને પૂર્વ પાકિસ્તાનનો બાંગલાદેશ તરીકે ઉદય થયો. આ વાતનું વેર વાળવા પાકિસ્તાન કોઈકને કોઈક રીતે ભારતની સીમાઓ પર અડપલાં કરતું જ હતું, પરંતુ વર્ષ 1998મા બંને દેશો દ્વારા જે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા તેના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ વધ્યો હતો.

    બંને દેશો વચ્ચેની પરિસ્થિતિને સામાન્ય કરવા માટે ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ (Atal Bihari Vajpayee) અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ (Nawaz Sharif) વચ્ચે 21 ફેબ્રુઆરી 1999ના રોજ લાહોર (Lahore) ખાતે એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જે ‘લાહોર ઘોષણપત્ર’ (The Lahore Declaration) તરીકે ઓળખાયું. આ ઘોષણા પત્રમાં કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાને આ કરારનું ઉલ્લંઘન કરીને પોતાના સૈનિકો અને અર્ધ-લશ્કરી દળોને કાશ્મીરમાં મોકલીને ઘુસણખોરી કરવાનું શરૂ કર્યું, આ ઘૂસણખોરીને પાકિસ્તાને ‘ઓપરેશન બદ્ર’ (Operation Badr) એવું નામ આપ્યું હતું.

    ફેબ્રુઆરી 1999 દરમિયાન, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાથી (LOC) ભારતની સીમામાં કેટલીક ચોકીઓ કબજે કરવા માટે સૈનિકો મોકલ્યા હતા. જેમણે ગુપ્ત અને જાહેર બંને રીતે ભારત નિયંત્રિત પ્રદેશમાં 132 અનુકૂળ સ્થળોએ તેમના ઠેકાણાઓ ઊભા કર્યા.

    જ્યારે કેટલાક પશુપાલકોએ ભારતીય સેનાને આ અંગે જાણ કરી ત્યારે સેનાને ખ્યાલ નહોતો કે સેંકડો પાકિસ્તાની સૈનિકોએ ખરેખર કારગિલમાં ઘૂસી ચૂક્યા છે અને ઘણોખરો વિસ્તાર કબજે કરી લીધો છે. ભારતીય સેનાને લાગ્યું કે કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હશે. તેની પુષ્ટિ કરવા માટે, લેફ્ટનન્ટ સૌરભ કાલિયાના નેતૃત્વમાં એક ટીમને કારગિલની ટોચ પર મોકલવામાં આવી હતી. સૌરભ કાલિયાએ સૌથી પહેલા ભારતીય સેનાને પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી અંગે ચોક્કસ માહિતી આપી હતી.

    લેફ્ટનન્ટ સૌરભ કાલિયાએ પોતાની ટુકડી સાથે દુશ્મનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું, પરંતુ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં ટુકડીના સૈનિકો હુતાત્મા થયા અને સૌરભ કાલિયાને પકડી લેવામાં આવ્યા.પાકિસ્તાની સેના દ્વારા ભારત અંગેની ગુપ્ત માહિતી મેળવવા માટે લેફ્ટનન્ટ પર ઘણા દિવસો સુધી જુલમ ગુજારવામાં આવ્યો હતો, તેમની આંખો પણ કાઢી લેવામાં આવી હતી. પરંતુ તેમણે કોઈ જ માહિતી આપી નહોતી. ઘણા દિવસો સુધી ત્રાસ સહન કર્યા પછી, કાલિયા આખરે દેશ માટે હુતાત્મા થયા.

    3 મે 1999ના રોજ ‘ઓપરેશન વિજય’ (Operation Vijay) શરૂ થયું. ભારતીય સેનાએ કારગિલ પર અલગ-અલગ જગ્યાએથી હુમલો કરવાનું શરૂ કર્યું. પરંતુ સૌથી મોટો પડકાર એ હતો કે પાકિસ્તાની ઘૂસણખોરો હજારો ફૂટની ઉંચાઈ પર હતા અને તેમના માટે નીચેથી આવતી ભારતીય સેના પર હુમલો કરવો ખૂબ જ સરળ હતું. આ જ કારણસર યુદ્ધની શરૂઆતમાં ભારતીય સેનાને ભારે નુકસાન થયું હતું.

    આ પછી ભારતીય સેનાએ પોતાની રણનીતિ બદલી અને ઘૂસણખોરો જ્યાં હતા તે જગ્યાના પાછળના ભાગથી સૈનિકો મોકલવામાં આવ્યા. કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ પાંડે, સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ અને અન્ય વીર સૈનિકોના કારણે ભારતે કારગીલના તમામ મોટા શિખરો કબજે કર્યા હતા. આ શિખરો કબજે કરવામાં ભારતીય વાયુસેનાએ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. વાયુસેનાને ઈઝરાયેલ દ્વારા મદદ કરવામાં આવી હતી. વર્ષ 2021માં ‘કારગિલ વિજય દિવસ’ નિમિતે ભારતમાં રહેલી ઈઝરાયેલની એમ્બેસી દ્વારા સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને જાહેરમાં ભારતને મદદ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

    ઈઝરાયેલે કેવી રીતે કરી ભારતને મદદ

    કારગિલ અને તેની આસપાસ દરિયાઈ સપાટીથી 17 હજાર ફૂટની ઊંચાઈએ બેઠેલા પાકિસ્તાની સૈનિકો સરળતાથી ભારતીય સૈનિકોને નિશાન બનાવી રહ્યા હતા. ત્યારે ભારત પાસે બોફોર્સ તોપ હતી જે શિખરો પર રહેલા દુશ્મનોને નિશાનો બનાવી રહી હતી, પરંતુ દુશ્મનનો બંકરમાં છુપાયેલા હતા તેથી સચોટ હુમલો કરવાનું મુશ્કેલ હતું. આ સમયે ભારતને જીપીએસ કો-ઓર્ડિનેટ્સ અને બોમ્બ્સની જરૂર હતી, જેની ડીલ ભારત-અમેરિકા વચ્ચે અગાઉથી થયેલી હતી. પરંતુ જરૂરિયાતના સમયે જ શસ્ત્રો આપવાનો અમેરિકાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

    અમેરિકા દ્વારા ડીલના ઉલ્લંઘન બાદ ઈઝરાયેલ ભારતની મદદે આવ્યું હતું. ઇઝરાયેલે ભારતીય વાયુસેનાને લિટનિંગ લેસર ડિઝિનેટર પોડ સાથેની લેસર ગાઇડેડ મિસાઇલો પૂરી પાડી હતી. આ પોડને ઇઝરાયેલના એન્જિનિયરોની મદદથી ભારતના મિરાજ 2000 ફાઇટર જેટમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ પોડ લક્ષ્ય પર અદ્રશ્ય બીમ છોડતા હતા, જેનાથી ઇઝરાયેલી બોમ્બ તેને ટ્રેક કરી શકે અને પછી સચોટતાથી તેનો નાશ કરી શકે. આ પોડથી ભારતીય વાયુસેનાની તકનીકી ક્ષમતામાં ઘણો વધારો થયો હતો.

    NDTVના રિપોર્ટ અનુસાર એર માર્શલ રઘુનાથ નામ્બિયાર જેમણે મિરાજ 2000 એરક્રાફ્ટ (Mirage 2000 Aircraft) ચલાવ્યું હતું તેમણે જણાવ્યુ હતું કે 27 મે, 1999 ના રોજ 2 વાગ્યે પ્રથમ વાર રાત્રી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મિરાજ 2000 ફાઇટર જેટમાં ઇઝરાયેલે ભારતીય વાયુસેનાને લેસર ગાઇડેડ મિસાઇલો સ્થાપિત કરી આપી હતી તેના દ્વારા કરવામાં આવ્યો હતો.

    ટાઈગર હિલ પર લેસર ગાઇડેડ બોમ્બ એટેક (ફોટો:NDTV)

    આંતરરાષ્ટ્રીય દબાણ છતાં, ઈઝરાયેલે કારગીલ યુદ્ધ પહેલા ઓર્ડર કરેલા હથિયારો ઝડપથી ભારતમાં પહોંચાડયા હતા. આ હથિયારોની સાથે ઇઝરાયલની સૌથી અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ હેરોન અનમેન્ડ એરિયલ વ્હીકલની (UAV) પણ ડિલિવરી કરવામાં આવી હતી. જેને ઓપરેટ કરવા માટે ઈઝરાયેલ દ્વારા ભારતીય સૈનિકોને વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેના માત્ર જમીન સ્તરેથી મળી રહેલી ગુપ્ત માહિતીના આધારે જ પાકિસ્તાની સૈનિકો સામે લડી રહી હતી. પરંતુ ઈઝરાયેલની મદદ બાદ ફ્રાન્સના મિરાજ 2000 ફાઇટર પ્લેન પર ઇઝરાયલી લેસર ગાઇડેડ બોમ્બ ફીટ કરીને, ભારતીય વાયુસેનાએ ટાઈગર હિલ (Tiger Hill) પર મજબૂત બંકરોમાં છુપાયેલા પાકિસ્તાની સૈન્યને નિશાન બનાવીને તેમનો નાશ કર્યો હતો અને વિજય મેળવ્યો હતો.

    નોંધનીય છે કારગિલ યુદ્ધ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ સંગઠનની મહાસચિવની જવાબદારી સંભાળી રહ્યા હતા ત્યારે તેઓ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે ઉદ્યમપૂર આર્મી હોસ્પિટલ ઘાયલ સૈનિકોને મળવા પહોંચ્યા હતા.

    પેરિસ ઓલમ્પિક્સના આરંભ પહેલાં જ ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલા, અનેક ઠેકાણે આગચંપી અને તોડફોડ….: સેંકડો ટ્રેન રદ, 8 લાખ યાત્રીઓ અટવાયા

    26 જુલાઇના રોજ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ‘2024 ઓલમ્પિક્સ’નો વિધિવત આરંભ થવા જઈ રહ્યો છે. તેના થોડા જ કલાક પહેલાં ફ્રાન્સમાં (France) અફરાતફરીનો માહોલ છે. અહીં હાઇસ્પીડ રેલવે લાઇન નેટવર્ક પર હુમલા (Attack on Railway Lines) કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સેંકડોની સંખ્યામાં ટ્રેન ડાઇવર્ટ અને રદ કરવી પડી છે અને લાખો લોકોને અસર પહોંચી છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે પેરિસ ઓલમ્પિક્સની ઓપનિંગ સેરેમનીને થોડા જ કલાક રહ્યા છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે લાઇન પર ક્યાંક તોડફોડ કરવામાં આવી છે તો ક્યાંક આગચંપીની પણ ઘટના બની છે. જેના કારણે પેરિસ જતી અનેક ટ્રેનને અસર પહોંચી છે અને લાખો યાત્રીઓ અટવાયા છે. 

    ફ્રાન્સની સરકારી રેલવે ઓપરેટર કંપની SNCF દ્વારા X પર એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું કે, “ફ્રાન્સમાં પૂર્વનિયોજિત કાવતરા સાથે થયેલાં કૃત્યોના કારણે અનેક હાઇસ્પીડ લાઈનને સર થઈ છે અને અનેક ટ્રેન કાં તો રદ કરવામાં આવી રહી છે અથવા ડાયવર્ટ થઈ રહી છે. અમારી ટીમ સ્ટેશનો અને કૉલ સેન્ટરો પર સક્રિય છે તેમજ ઓનબોર્ડ પણ તમામ યાત્રીઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને ઇમેઇલ, SMS અને વેબસાઈટના માધ્યમથી જાણકારી આપવામાં આવી રહી છે. તેઓ યાત્રા રદ કરી શકે છે, જેનો સંપૂર્ણ શુલ્ક રિફંડ કરી દેવામાં આવશે.”

    સોશિયલ મીડિયા પર વિડીયો અને તસવીરો ફરી રહ્યાં છે, જેમાં રેલવે સ્ટેશનો ઉપર મોટી સંખ્યામાં યાત્રીઓ જોવા મળે છે. ટ્રેન રદ થવાના કારણે મોટી સંખ્યામાં યાત્રીઓને અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારિક આંકડા અનુસાર કુલ 8 લાખ જેટલા યાત્રીઓ ઉપર આ અવ્યવસ્થાની અસર થઈ છે. 

    રેલવે કંપનીએ જણાવ્યું કે, મધ્ય રાત્રિએ ઉપદ્રવીઓએ તોડફોડ શરૂ કરી હતી અને અનેક સિગ્નલ બોક્સ અને ઇલેક્ટ્રિસિટી ઇન્સ્ટોલેશનને નુકસાન પહોંચાડ્યું હતું. અમુક ઠેકાણે આગ પણ લગાવી દેવામાં આવી હતી અને કેબલ સળગાવી દેવાયા હતા. હુમલા એવી રીતે કરવામાં આવ્યા છે, જેથી પેરિસ સાથે દેશનાં બાકીનાં શહેરોની રેલ કનેક્ટિવિટીને અસર થાય. અનેક ઠેકાણે આવા હુમલા થવાના કારણે ફ્રાન્સમાં રેલ નેટવર્ક પર અસર પડી છે. 

    બીજી તરફ, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ આ કૃત્યને અંજામ આપનારાઓને પકડવામાં લાગ્યા છે. વડાપ્રધાને એક પોસ્ટ કરીને કહ્યું કે, આ જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે અને એજન્સીઓ હાલ ગુનેગારોને શોધી રહી છે. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, રેલવેનું કામ પણ ચાલી રહ્યું છે પરંતુ કહેવાય છે કે સંપૂર્ણ રીતે સિસ્ટમને ઠીક થતાં હજુ એક-બે દિવસ લાગશે.

    ઓલમ્પિક્સમાં કોઇ અસર ન પહોંચે તે માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. ફ્રાન્સના રમત મંત્રીએ કહ્યું કે, મુસાફરો અને ખેલાડીઓને કેટલી અસર પહોંચી છે તેનું આકલન કરવામાં આવી રહ્યું છે અને સ્થળ સુધી પહોંચવા માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. બીજી તરફ, સુરક્ષામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. 

    હુમલા પાછળ કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, ફ્રાન્સ24ના રિપોર્ટમાં સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે હુમલા પાછળ વામપંથી ઉપદ્રવીઓ અથવા તો પર્યાવરણ એક્ટિવિસ્ટો હોય શકે છે. 

    મહિસાગરમાં આમ આદમી પાર્ટીના નેતાએ સરકારી જમીન પર તાણી બાંધ્યું મકાન, લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધરપકડ: ખોટા કેસ કર્યા હોવાનો AAP અને INDI ગઠબંધનનો દાવો

    મહિસાગર જિલ્લાના (Mahisagar) AAP પ્રમુખ અને પાર્ટીના જૂના નેતાઓની હરોળમાં આવતા બાબુ ડામોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તેમણે પહેલા સરકારી જમીન પર કબજો જમાવ્યો અને બાદમાં ત્યાં પોતાનું ઘર ઉભું કરી દીધું. ઘટનામાં ફરીયાદી મહિસાગર જિલ્લા પ્રશાસન પોતે છે. બીજી તરફ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પોતાના નેતાને બચાવવા મેદાને પડ્યા છે. INDI ગઠબંધનના નેતાઓએ ડામોરના ઘરે સભા કરીને તેમને ખોટા કેસ કરીને ફસાવવામાં આવ્યા હોવાની દલીલો આપી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર બાબુ ડામોર ગત વિધાનસભા ચૂંટણીમાં સંતરામપુર (Santrampur) બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને મહિસાગર જિલ્લાના પાર્ટી પ્રમુખ છે. તેમના પર આરોપ છે કે ડીટવાસ ખાતે તેમણે પોતાના રહેવા માટે જે ઘર બનાવ્યું છે તે જમીન સરકારી છે. માહિતી અનુસાર તેમણે સરવે નંબર 19માં આવેલી સરકારી જમીનમા ગેરકાયદેસર દબાણ કરીને ત્યાં પોતાના રહેવા માટે મસ-મોટું મકાન બનાવી નાખ્યું હતું. આ બાબત તંત્રને ધ્યાને આવતા મામલાની તપાસ કરવામાં આવી હતી.

    ફરિયાદ દાખલ થયા બાદથી પોલીસ શોધી રહી હતી

    તપાસમાં દબાણ કરાયા હોવાનું ખુલ્યું હતું. જે બાદ થોડા મહિનાઓ અગાઉ કડાણાના મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદથી જ બાબુ ડામોર ગાયબ હતા. ડીટવાસ પોલીસ સતત તેમને શોધી રહી હતી. તેવામાં ગત ગુરુવારે (25 જુલાઈ 2024) તેમના જ ગામમાં આમ આદમી પાર્ટીનો જાહેર કાર્યક્રમ હતો. પોલીસને બાતમી મળી હતી કે તેઓ આ સભામાં હાજરી આપવા આવવાના છે. માહિતી મળતાની સાથે જ કડાણા, ડીટવાસ અને સંતરામપુર પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું. તેવામાં રાતના સમયે AAPના નેતા લપાતા છૂપાતા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસના હાથે ચઢી ગયા હતા.

    હાલ પોલીસે તેમની લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે. તેમણે આ ગેરકાયદેસર કામ માટે કોની મદદ લીધી, તેમ જ સરકારી જમીન હડપ કરવા માટે તેમને કોણે-કોણે સાથ આપ્યો, પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.

    એક તરફ પ્રશાસનની તપાસમાં સ્પષ્ટ સામે આવી રહ્યું છે કે જે જમીન પર બાબુ ડામોરે મકાન બનાવ્યું છે, તે સરકારી જગ્યા છે અને ત્યાં ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના નેતાને છાવરતી જોવા મળી રહી છે. ધરપકડ બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને નેતા ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસી નેતાને સાથે રાખીને ડીટવાસમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજી હતી. આ સભામાં કેટલાક સ્થાનિક ગ્રામજનો AAPની ટોપીઓ પહેરીને બેસેલા જોવા મળ્યા હતા.

    ધરપકડના વિરોધમાં INDI ગઠબંધન

    સમગ્ર મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક મંચ પર જોવા મળ્યા હતા. ધરપકડ થયા બાદ INDI ગઠબંધન દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના નેતા ગોપાલ ઇટાલિયા (Gopal Italia), ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava), દાહોદના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા પ્રભાબેન તાવિયાડ, લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ (Gulabsingh Chauhan) અને બંને પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તમામે એક સૂરમાં બાબુ ડામોર નિર્દોષ હોવાનો રાગ આલાપ્યો હતો. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ બાબુ ડામોરના સમર્થનમાં એકત્ર થયા છે. સરકારે ખોટી ફરિયાદો કરી હોવાનનું કહીને તેમણે કેસ પાછા લેવાની માંગ કરી હતી.

    બીજી તરફ ગોપાલ ઈટાલીયાએ પણ મીડિયા સાથે વાત કરતા બાબુ ડામોરને ગરીબ ખેડૂત ગણાવતા કહ્યું હતું કે, તેઓ બે-પાંચ એકર જમીનના ટુકડામાં ખેતી કરીને ગુજરાન ચલાવે છે અને ભાજપને તેની તકલીફ છે. નાના ખેડૂત ઉપર બહુ મોટી FIR કરી અને જાણે મોટું મીર માર્યો હોય એટલી બધી તાનાશાહી કરવામાં આવી રહી છે તેમ કહીને તેમણે પણ બાબુ ડામોરનું સમર્થન કર્યું હતું. ઑપઇન્ડિયાએ આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે કોઈ કારણોસર સંપર્ક સાધી શકાયો નહતો.

    દબાણ બાબુભાઈએ નહીં, તેમના પિતાજીએ કર્યું હશે: કોંગ્રેસી MLA ગુલાબસિંહ ચૌહાણ

    ઉલ્લેખનીય છે કે આ મામલે યોજાયેલી સભામાં લુણાવાડાના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ હાજર હતા. ઑપઇન્ડિયાએ તેમનો સંપર્ક કરતા તેમણે પણ એક જ સૂર આલાપ્યો હતો કે મહિસાગરના AAP જિલ્લા પ્રમુખ બાબુ ડામોર નિર્દોષ છે અને ભાજપે પ્રેશર કરીને ફરિયાદ કરાવી છે. તેમણે ઑપઇન્ડિયાને કહ્યું કે, “બાબુભાઈનું પરિવાર ઘણા લાંબા સમયથી ત્યાં રહી રહ્યું છે. આમ જોવા જાવ તો દબાણ કોણ નથી કરતું? ભાજપના એક નેતાએ પણ દબાણ કરીને બાંધકામ કર્યા છે, તેમને કોઈએ કશું ન કીધું અને આમની ધરપકડ કરી. અમારી કોંગ્રેસ પાર્ટી બાબુભાઈ સાથે છે અને અમારો તેમને પૂરેપૂરો સહયોગ છે.” આ દરમિયાન તેમને બાબુ ડામોરને ક્લિન ચીટ આપતા ઑપઇન્ડિયાને તેમ પણ કહ્યું હતું કે, બાબુભાઈએ કોઈ દબાણ કર્યું જ નથી, બની શકે તેમના પિતાજીએ કર્યું હશે.

    તપાસમાં તે જમીન સરકારી હોવાનું સામે આવ્યું: ફરીયાદી મામલતદાર

    બીજી તરફ આ સમગ્ર મામલે ઑપઇન્ડિયાએ ફરિયાદ કરનાર મામલતદાર ભરત ખાંટનો પણ સંપર્ક કર્યો હતો. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બાબુ ડામોરનું જે નિવાસ સ્થાન છે, તે સરકારી જમીન છે. મહિસાગર જિલ્લાના કલેકટર દ્વારા જે લેન્ડ ગ્રેબિંગના ગુના ડામવા માટે ટીમ બનાવવામાં આવી છે, તેના દ્વારા ખાસ તપાસ આદરવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું હતું કે બાબુ ડામોરે સરકારી જમીનનો કબજો કર્યો છે. તેમણે તેમ પણ જણાવ્યું હતું કે, બાબુ ડામોરનું પરિવાર ઘણા લાંબા સમયથી અહીં દબાણ કરીને વસવાટ કરી રહ્યું છે તે સાચું. પરંતુ તેનાથી સરકારી જગ્યા તેમની માલિકીની નથી થઈ જતી. સરકારી જમીન પર દબાણ કરવું તે કાયદાકીય રીતે ગુનો બને છે અને ધારાધોરણ અનુસાર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ‘કપરા સમયમાં જવાનોને મળીને વધાર્યું હતું તેમનું મનોબળ’: જ્યારે તત્કાલીન ભાજપ મહાસચિવ નરેન્દ્ર મોદીએ લીધી હતી કારગિલ યુદ્ધક્ષેત્રની મુલાકાત, પૂર્વ સેના અધિકારીએ વાગોળ્યાં સંસ્મરણો

    26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. 1999ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાની સેનાને ત્રીજી વખત હરાવી હતી. આ યુદ્ધ પૂર્ણ થયું તે દિવસને કારગિલ દિવસ (Kargil Vijay Diwas) તરીકે ઉજવવામાં આવે છે. આજે એ યુદ્ધમાં અદમ્ય સાહસનો પરિચય આપનાર સેના અધિકારીઓ, જવાનોને યાદ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે કારગિલના દ્રાસ ક્ષેત્રમાં હતા, જ્યાં સેનાના જવાનો સાથે તેમણે મુલાકાત કરી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર PM મોદીની (PM Narendra Modi) તે સમયની તસવીરો પણ ફરી રહી છે જ્યારે તેમણે કારગિલ યુદ્ધક્ષેત્રની મુલાકાત લીધી હતી. 

    1999માં નરેન્દ્ર મોદી ભાજપ સંગઠન મહાસચિવ હતા. તે સમયે તેઓ કોઇ અધિકારિક હોદ્દા પર ન હતા, છતાં વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ સાથે તેઓ જમીની સ્તરની સ્થિતિ જાણવા માટે ઉદ્યમપુર આર્મી હૉસ્પિટલ પહોંચ્યા હતા. તે સમયે મિલિટરી કમાન્ડ હૉસ્પિટલના કમાન્ડન્ટ મેજર જનરલ વિજય જોશી હતા. તેમણે તાજેતરમાં નરેન્દ્ર મોદીની તે મુલાકાત વાગોળી હતી. 

    તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ ત્યારે હૉસ્પિટલની મુલાકાત લઈને તમામ ઇજાગ્રસ્ત જવાનોના ખબર અંતર જાણ્યા હતા અને તમામને વ્યક્તિગત મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. તેઓ એકદમ શાંત અને શાલીન હતા પણ સાથે-સાથે જોશ અને ઉર્જાથી પણ ભરપૂર હતા. દરેક વ્યક્તિ તેમની સાથે હળીમળી શકતો હતો. નરેન્દ્ર મોદીએ જવાનો સાથે વાત કરીને શું કરવું જોઈએ, શું ખૂટે છે તેની પણ જાણકારી મેળવી અને તેમના પરિજનો વિશે પણ જાણ્યું હતું.

    પૂર્વ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, આટલા કપરા અને કઠિન સમયમાં પણ તેમણે સૌ સારવાર લેતા જવાનો, તેમના સાથીઓ, ઉપરી અધિકારીઓ, સપોર્ટ સ્ટાફ સૌને આશ્વાસન આપીને મનોબળ વધાર્યું અને સાથે ઉભા રહ્યા. અધિકારી કહે છે કે, નરેન્દ્ર મોદીની મુલાકાતથી જવાનોમાં પણ એક જોશ અને ઉત્સાહનો સંચાર થયો હતો અને સૌના ચહેરા પર આનંદ દેખાતો હતો. 

    મુલાકાતને લઈને તેઓ કહે છે કે, નરેન્દ્ર મોદી ત્યારે સંગઠનમાં હતા, પરંતુ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ સાથે જે સરકારની ટીમ આવી હતી તેની સાથે તેઓ આવ્યા હતા. જેથી જમીન પરની વાસ્તવિક સ્થિતિ વિશે, જવાનોની સ્થિતિ વિશે જાણી શકાય, ઑપરેશનો વિશે તેમજ સપોર્ટ સિસ્ટમ કેવા પ્રકારની છે અને તેમાં શું જરૂરી છે તે વ્યક્તિગત રીતે જાણી શકાય.

    અંતે મેજર જનરલે (નિવૃત્ત) કહ્યું કે, “આ પ્રકારે યુદ્ધક્ષેત્રમાં આવવું, વ્યક્તિગત રીતે સૌને મળવું, તેમને સાંત્વના, ટેકો અને આશ્વાસન આપવાં…. આવા વ્યક્તિઓ સાચા રાષ્ટ્રભક્ત છે.”

    એ વાત હવે ક્યાંય છૂપી નથી કે દેશના જવાનો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં એક વિશેષ ભાવ રહ્યો છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને વડાપ્રધાન બન્યા પછી પણ સેના સાથે તેમનો વિશેષ સંબંધ રહ્યો છે. ખાસ કરીને દિવાળીના સમયે તેઓ જવાનો વચ્ચે જાય છે અને તહેવારની ઉજવણી કરે છે. કાયમ તેઓ કહેતા રહે છે કે દેશ પોતાના પરિજનો સાથે દિવાળી ઉજવે છે અને હું પણ મારા પરિજનો વચ્ચે આવું છું. 25 વર્ષ પહેલાંની આ ઘટના દર્શાવે છે કે રાષ્ટ્ર અને સેના પ્રત્યે નરેન્દ્ર મોદીનો આદરભાવ માત્ર સત્તા કે પદ પૂરતો સીમિત રહ્યો નથી. 

    ઊંચાઈ- 15800 ફૂટ, લંબાઈ- 4.1 કિમી, નામ- શિંકુ-લા ટનલ: PM મોદીએ આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે કરેલ એક બ્લાસ્ટ આગળ જતા ચીન માટે કેમ બનશે ખતરો એ અહીં જાણો

    શુક્રવારે (26 જુલાઈ 2024) દેશભરમાં કારગીલ વિજય દિવસને (Kargil Vijay Diwas) યાદ કરવામાં આવી રહ્યો છે. ભારતે 1999માં પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતું અને ભારત ભૂમિ પરથી ખદેડી દીધું હતું. ત્યારે આજના મહત્વપૂર્ણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં વર્ચ્યુઅલ બ્લાસ્ટ કરીને શિંકુ-લા ટનલ (Shinkun La tunnel) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ ચીન બોર્ડર પર ભારતની પકડ મજબૂત બનાવશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ ટનલ બની ગયા બાદ દેશની સુરક્ષામાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ ટનલ વિશ્વની સહુથી ઉંચી ટનલ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કારગીલ દિવસના ઉપલક્ષમાં લદ્દાખ (Leh-Laddakh) પહોંચ્યા છે. તેમણે અહીં યુધ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રવાસમાં જ વડાપ્રધાન મોદી શિંકુ-લા ટનલ પ્રોજેક્ટ સહિત અનેક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું છે.

    મહત્વનું છે કે આ ટનલ સેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ ટનલ ગમે તેવા કપરા વાતાવરણમાં આવા-ગમન સરળ બનાવશે. તે ભૌગોલિક દ્રષ્ટિએ અતિ મહત્વનો ભાગ ભજવશે. 15800 ફૂટની ઉંચાઈએ બનનારી આ ટનલ બન્યા બાદ સેના માટે વાહનો અને હથિયાર લાવવા-લઈ જવા સરળ બનશે. ટનલ બન્યા બાદ સેનાને આખા 100 કિમીનો પ્રવાસ ઘટી જશે. ખબર તેવી પણ છે કે શિંકુલા ટનલ બનવાના સમાચારોથી ચીનને પેટમાં દુખાવો શરૂ થઈ ગયો છે.

    શું છે ટનલની ખાસિયતો અને મહત્વતા

    વર્ષ 2023માં કેબીનેટ કમિટી ઓન સિક્યુરિટીમાં (CCS) તેને માન્યતા આપવામાં આવી હતી. શિંકુ-લા ટનલ સમુદ્ર તટથી 15800 ફૂટની ઊંચાઈ પર બનવા જઈ રહી છે. તેની લંબાઈ 4.1 કિલોમીટર હશે. આ ટનલ ટ્વીન ટ્યુબ ટનલ હશે અને તેને બનાવવાની જવાબદારી BROને સોંપવામાં આવી છે. ભારતીય સેના આ ટનલ મારફતે પરિવહન કરીને 100 કિલોમીટર જેટલું ઓછું અંતર કાપશે. તે ગમેતેવી કપરી પરિસ્થિતિ અને વાતાવરણમાં સેનાના મૂવમેન્ટને જાળવી રાખશે.

    આ ટનલ દ્વારા ચીન પર ફોકસ વધારવામાં મદદ મળશે. આ ટનલ મારફતે સામાન્ય પરિવહન સાથે સાથે, ચીન બોર્ડર પર ભારે માત્રામાં દારૂગોળો, હથીયાર, ટેંક, મિસાઈલો તેમજ ઇંધણ સહિતની અનેક જરૂરિયાત પૂર્ણ કરવા માટે મહત્વનો ભાગ ભજવશે. આ ટનલને શિંકુ-લા ટનલ સાથે-સાથે શિંગો-લા ટનલથી પણ ઓળખવામાં આવે છે. સહુથી મહત્વની વાત તે છે કે આ ટનલ ઉત્તરીય ભારતમાં હિમાચલ પ્રદેશની લાહૌલ ઘાટી અને લદ્દાખની જાંસ્કર ઘાટીને જોડી રહી છે, જે ભૌગોલિક દ્રષ્ટીએ મહત્વપૂર્ણ છે.

    આ ટનલ બન્યા બાદ મનાલી-લેહ રોડ, કે જે શિયાળામાં હિમપ્રપાતમાં બંધ થઈ જાય છે, તેને આખું વર્ષ ખુલ્લો રાખવાનું કામ પણ કરશે. તેને નિમૂ-પદમ-દારચા રોડ પર બનાવવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં અટલ ટનલ (10,000 ફૂટ) વિશ્વની સહુથી ઉંચી અને લાંબી કાર્યરત ટનલ; છે. શિંકુલા ટનલ બન્યા બળથી તે વિશ્વની સહુથી ઉંચી હાઈવે ટનલ તરીકે ઉભરી આવશે. મહત્વનું છે કે આ ટનલ બનાવવા માટે BROને અનેક પડકારોનો સામનો કરવો પડશે. આટલી ઊંચાઈ પર આટલી અત્યાધુનિક ટનલ બનાવવી ખૂબ અઘરું કામ છે.

    ‘કાવડયાત્રીઓની સમસ્યાના સમાધાન અને કાયદો-વ્યવસ્થા જાળવવા આ જરૂરી’: નામ પ્રદર્શિત કરવાના આદેશ પાછળ UP સરકારે જણાવ્યું કારણ, સુપ્રીમ કોર્ટે લંબાવી દીધો સ્ટે

    ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર ખાણીપીણીની ચીજો વેચતા દુકાનદારોને પોતાનાં નામ પ્રદર્શિત કરવાના યોગી સરકારના આદેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટે એકપક્ષીય આદેશ સંભળાવીને સ્ટે મૂક્યો હતો અને સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો હતો. યોગી સરકારે કોર્ટમાં જવાબ દાખલ કરીને આ આદેશનો બચાવ કર્યો છે. બીજી તરફ, કોર્ટે સ્ટે લંબાવી દીધો છે. 

    યોગી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, રાજ્ય દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો દુકાનો અને ભોજનાલયોનાં નામોથી કાવડયાત્રીઓને થતા ભ્રમ વિશે મળેલી ફરિયાદો બાદ બહાર પાડવામાં આવ્યા હતા. આવી ફરિયાદો મળવા પર પોલીસ અધિકારીઓએ તીર્થયાત્રીઓની સમસ્યા દૂર કરવા અને કાયદો-વ્યવસ્તા જાળવી રાખવા માટે કાર્યવાહી કરી છે. આ સાથે સરકારે એ પણ સ્પષ્ટતા કરી કે રાજ્યમાં ખાદ્ય વિક્રેતાઓના વ્યાપાર કે વ્યવસાય પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી અને તેઓ વ્યવસાય કરવા માટે સ્વતંત્ર છે. 

    સરકારે એમ પણ જણાવ્યું કે, માલિકોનાં નામ અને ઓળખ પ્રદર્શિત કરવાનો આદેશ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે અને કાવડયાત્રીઓમાં કોઇ ભ્રમ ન રહે તે માટેનો એક અતિરિક્ત ઉપાય માત્ર છે. સરકાર પક્ષે હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ ઢાબા માલિકો સહિત તમામ ખાણીપીણીના વિક્રેતાઓએ તેમનાં નામો પ્રદર્શિત કરવાં પડે છે. સુપ્રીમ કોર્ટે જે વચગાળાનો આદેશ આપ્યો છે તે કેન્દ્ર સરકારના કાયદાને અનુરૂપ નથી. સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે આદેશ સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ અમુક જ વિસ્તારોમાં  (જ્યાંથી કાવડયાત્રીઓ પસાર થાય છે) લાગુ કરવામાં આવ્યો છે. 

    આ મામલે સુનાવણી હાથ ધર્યા બાદ શુક્રવારે (26 જુલાઈ) સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે લંબાવી દીધો છે અને આગળની સુનાવણી 5 ઑગસ્ટના રોજ મુકરર કરી છે. નોંધવું જોઈએ કે UP સાથે ઉત્તરાખંડમાં પણ આ પ્રકારના આદેશ લાગુ કરવામાં આવ્યા છે. જ્યાં પણ સુપ્રીમનો સ્થગન આદેશ લાગુ રહેશે. 

    ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં ઉત્તરનાં રાજ્યોમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે લાખો શિવભક્તો ભાગ લે છે. આ યાત્રીઓની ફરિયાદો બાદ પહેલાં UPના મુજફ્ફરનગર જિલ્લામાં તમામ ખાણીપીણી વિક્રેતાઓને પોતાનાં નામ પ્રદર્શિત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેનું પાલન પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ તેને લઈને વિપક્ષોએ રાજકારણ શરૂ કરી દીધું અને દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. ત્યારબાદ UP સરકારે સમગ્ર રાજ્યમાં કાવડયાત્રાના રૂટ પર આ આદેશ લાગુ કરી દીધો અને ઉત્તરાખંડમાં પણ આદેશ આપવામાં આવ્યા. પરંતુ આ આદેશો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દેવામાં આવી, જેથી કોર્ટે સ્ટે મૂકી દીધો હતો, જે હજુ પણ ચાલુ જ રહેશે.

    નજીવી તકરારમાં હિંદુ યુવકનું ‘સર તન સે જુદા’ કરવાનો પ્રયાસ, મારી નાખવાની ધમકી અપાઈ: ભુજની ઘટનામાં આરોપીઓ નિઝામ અને ઈરફાનની ધરપકડ, કડક કાર્યવાહીની માંગ

    કચ્છના ભુજમાં એક વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા ઉપર બે મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પીડિત યુવક તેના અન્ય એક મિત્ર સાથે ઝઘડાનું સમાધાન કરવા માટે પહોંચ્યો હતો, જ્યાં માથાકૂટ કરીને આરોપીઓ તેની ઉપર મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે ગુનો દાખલ કરીને પોલીસ તપાસ કરી રહી છે. 

    ફરિયાદી ભાવેશ પરમાર ભુજના મુન્દ્રા રોડ પર રહે છે અને શહેરમાં જ બજરંગ ટી હાઉસ નામની એક ચાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. તેઓ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા પણ છે. તેમની ઉપર 22 જુલાઈએ (સોમવાર) હુમલો થયો હતો. જે મામલે ભુજ B ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઑપઇન્ડિયા પાસે આ FIRની નકલ ઉપલબ્ધ છે. 

    વાસ્તવમાં મૂળ ઘટના એમ છે કે, ગત 19 જુલાઇના રોજ ભુજમાં માધાપર પોલીસે નિયમભંગ કરીને ચલાવવામાં આવતી અમુક રિક્ષા ડિટેઇન કરી હતી. દરમ્યાન, એક સ્થાનિક પત્રકાર રાજુ પ્રજાપતિએ પોલીસની આ કામગીરીના ફોટા પાડ્યા હતા. જેનું મનદુઃખ રાખીને નિઝામ અને ઈરફાન નામના બે ઈસમોએ પોલીસને બાતમી આપીને રિક્ષા ડિટેઇન કરાવવાનો આરોપ લગાવીને રાજુને ફોન કરીને ગાળો ભાંડી હતી અને મળવા માટે બોલાવ્યો હતો. રાજુએ આ વાત પોતાના મિત્ર અને VHP કાર્યકર્તા ભાવેશને કહેતાં ભાવેશ પણ તેની સાથે નિઝામ-ઈરફાનને મળવા માટે ગયો હતો.

    ભાવેશે ફરિયાદમાં જણાવ્યું છે કે, ઘટનાની સાંજે તેઓ બંને તેમજ અન્ય એક વ્યક્તિ એમ કુલ ત્રણ ભુજના જ્યુબિલી સર્કલ પાસે પહોંચ્યા હતા, જ્યાં પછીથી નિઝામ અને ઇરફાન પણ આવી પહોંચ્યા હતા. અહીં નિઝામે આવીને રાજુને છાતીમાં ધક્કો મારીને ‘તું કેમ અમારા છકડાઓના ફોટા પાડે છે અને અમારા માણસોને હેરાન કરે છે’ કહીને મા-બેન સમી ગાળો ભાંડવા માંડ્યો હતો. 

    દરમ્યાન, ભાવેશે માત્ર તેને ગાળો ભાંડવાની ના પાડતાં નિઝામ ઉશ્કેરાઈ ગયો હતો અને ‘તું વચ્ચે બોલનાર કોણ છે’ કહીને છરી કાઢીને ગળાના ભાગે હુમલો કરવા જતાં તે નીચો નમી ગયો હતો. પરંતુ પછી પણ નિઝામે મારવાનો પ્રયાસ કરતાં ભાવેશે હાથથી બચાવ કરતાં તેને ડાબા ખભા પર ઘા વાગી ગયો હતો. જેના કારણે લોહી વહેવા માંડ્યું હતું. પરંતુ એટલામાં આસપાસના લોકો એકઠા થઈ જતાં નિઝામ અને ઈરફાન ત્યાંથી ભાગી ગયા હતા. 

    ભાવેશે ફરિયાદમાં જણાવ્યું છે કે બંને તેમને જતાં-જતાં પણ ધમકી આપી ગયા હતા અને કહ્યું હતું કે, ‘હવે પછી ક્યાંય આડા આવ્યા છો તો જાનથી મારી નાખીશું.’ પછીથી ભાવેશના અન્ય 2 મિત્રો તેને સારવાર માટે ભુજ જનરલ હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં તેની સારવાર હાલ ચાલી રહી છે.  

    VHP કાર્યકર અને ગૌરક્ષામાં સક્રિય છે ભાવેશ પરમાર 

    આ મામલે ભાવેશ પરમારે ઑપઇન્ડિયા સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે, આ મામલામાં તેમણે કશું લાગતું-વળગતું ન હતું પરંતુ તેમ છતાં તેમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે, આરોપીઓ તેમને ઓળખે છે અને પોતે વિશ્વ હિંદુ પરિષદના સક્રિય કાર્યકર હોઈ અને ગૌરક્ષામાં સક્રિય હોઈ મનદુઃખ રાખીને પણ હુમલો કરવામાં આવ્યો હોય તેમ બની શકે. 

    તેમણે કહ્યું કે, પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરી રહી છે પરંતુ સરકારે આ બાબતે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને આ રીતે હિંદુ કાર્યકરો અને ગૌરક્ષકો પર થતા હુમલાઓ અટકે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, અમારી એક જ માંગ છે કે આરોપીઓનાં ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. 

    ભુજ પોલીસે ગુનો નોંધીને શરૂ કરી તપાસ 

    વધુમાં, સમગ્ર મામલે ભુજ બી ડિવિઝન પોલીસે નિઝામ મોગલ અને ઈરફાન બલોચ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115(2), 296(b), 351(2), 61(2)(b) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. 

    જોકે, પોલીસ કાર્યવાહી પણ હાલ શંકાના ઘેરામાં આવી છે. કારણ કે આરોપીઓની ધરપકડ બાદ તેમના રિમાન્ડની માંગ કરવામાં આવી ન હતી, જેથી કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આટલી ગંભીર ઘટનામાં રિમાન્ડ કેમ માંગવામાં ન આવ્યા તે પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આરોપીઓ ભૂતકાળમાં પણ અમુક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જેથી તેમની વિરુદ્ધ PASA લગાવવા પણ માંગ કરવામાં આવી રહી છે. આ બાબતોને લઈને વધુ જાણકારી માટે ઑપઇન્ડિયાએ ભુજ પોલીસનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, પરંતુ થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.