Monday, September 25, 2023
More
    Home Blog

    કેરળમાં ભારતીય સેનાના જવાનને માર મરાયો, ટેપ વડે હાથ બાંધીને પીઠ પર લખ્યું ‘PFI’: ઘરેથી ઉઠાવીને લઈ ગયા હતા જંગલમાં

    કેરળના કોલ્લમમાં ભારતીય સેનાના જવાનને જંગલમાં લઈ જઈને માર માર્યાની ઘટના સામે આવી છે. હુમલાખોરોમાં 6 અજાણ્યા બદમાશો સામેલ હતા. સાથે જ પીડિત જવાનની પીઠ પર બળજબરીથી PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા)નું નામ લખવામાં આવ્યું છે, જે એક પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે. ભારતીય સેનાના જવાન શીને કુમારે આ અંગે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના રવિવાર (24 સપ્ટેમ્બર, 2023)ની રાત્રે બનવા પામી હતી. પીડિતના ઘરની નજીક જ એક રબરનું જંગલ છે, જ્યાં આ ઘટના બની હતી.

    શીને કુમારે જણાવ્યું કે એક ટેપની મદદથી તેમના હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને પીઠ પર પેઈન્ટનો ઉપયોગ કરીને PFI લખવામાં આવ્યું હતું. આ મામલે કલમ 143 ( ગેરકાયદેસર જનસમૂહનું એકઠું થવું), 147 (હુલ્લડો), 323 (ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી), 341 (કોઈને ખોટી રીતે રોકવા) અને 153 (હુલ્લડો ભડકાવવાના ઈરાદાથી ઉશ્કેરવા) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ ઘટના ત્યારે બનવા પામી છે જ્યારે તે જ દિવસે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ કેરળમાં PFIના અનેક સ્થળો પર દરોડા પાડયા હતા.

    આ ઘટના કેરળના કોલ્લમના કડાઈક્કલ સ્થિત ચનાપ્પારા વિસ્તારમાં બની હતી. જવાનની પીઠ પર PFI લખેલી તસવીરો પણ સામે આવી હતી. આ પહેલાં જવાનને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. હલવીલ શીને રાજસ્થાન સ્થિત ભારતીય સેનાના ‘ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ (ઈએમડી) કેડર’માં તૈનાત છે. તેમને કોલ્લમ સ્થિત તેમના ઘરેથી 2 લોકો ઉઠાવીને લઈ ગયા હતા, જે પછી આ ઘટના બની હતી. તેમને પાછળથી લાત મારવામાં આવી હતી. પીડિત જવાને કહ્યું કે તે આ ઘટનાને લઈને પેંગોડે સ્થિત મિલિટરી સ્ટેશનમાં ફરિયાદ કરશે.

    PFI ના ઠેકાણાઓ પર ED ના દરોડા

    હાલમાં PFIના મની લોન્ડરિંગ નેટવર્ક પર હુમલો કરવા માટે ED કાર્યવાહી કરી રહી છે. એર્નાકુલમ, મલ્લ્પુરમ, વાયનાડ અને થ્રિસ્સૂર જિલ્લામાં આ રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન CRPF અને કેરળ પોલીસના અધિકારીઓ પણ ED સાથે રહ્યા હતા.

    આ વર્ષે જાન્યુઆરીમાં NIA (નેશનલ ઈનેસ્ટિગેશન એજન્સી)એ PFIના મોહમ્મદ સાદિકની કોલ્લમમાંથી જ ધરપકડ કરી હતી. આતંકીઓએ RSS નેતાઓની ડિટેલ્સ પણ એકઠી કરી રાખી હતી જેથી કરીને તેમને નિશાનો બનાવી શકાય. ફેબ્રુઆરી 2020માં એવું સામે આવ્યું હતું કે નેતાઓની ડિટેલ્સ લીક કરનારાઓમાં ઈડુક્કીનો એક પોલીસ કોન્સ્ટેબલ PK અનસ પણ સામેલ હતો.

    26-27 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી: છોટાઉદેપુરમાં 5200 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26-27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનાં 20 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ છોટાઉદેપુરના બોડેલીમાં 5200 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ પણ કરશે. 

    વડાપ્રધાન 26મીના રોજ ગુજરાત આવી પહોંચશે. 27 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદ સાયન્સ સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવાનાં 20 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, વ્યાપારી જગતના અગ્રણીઓ, હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ભાગ લેશે. 

    ઉલ્લેખનીય છે કે બરાબર 20 વર્ષ પહેલાં 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનો વિચાર અમલમાં મૂક્યો હતો અને એક ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું. સૌથી પહેલી સમિટ 28 સપ્ટેમ્બર, 2003ના રોજ યોજવામાં આવી હતી. સમય જતાં આ ઇવેન્ટ એક ગ્લોબલ ઈવેન્ટમાં તબદિલ થઈ ગઈ અને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ બિઝનેસ સમિટની યાદીમાં સ્થાન પામી. 2003માં યોજાયેલી સમિટમાં 300 આંતરરાષ્ટ્રીય સભ્યોએ ભાગ લીધો હતો, જે સંખ્યા વર્ષ 2019 આવતાં હજારો સુધી પહોંચે અને તે સમિટમાં 135 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. 

    27મીના રોજ બપોરે વડાપ્રધાન મોદી છોટાઉદેપુરના બોડેલી ખાતે પહોંચશે. અહીં તેઓ ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ હેઠળ 4500 કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેનાથી સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બમણો વેગ મળશે. વડાપ્રધાન છોટાઉદેપુરથી ગુજરાતભરમાં નિર્માણ પામેલા હજારો નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, STEM (સાયન્સ, ટેક્નોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ) લેબ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ પણ કરશે. 

    અહીં પીએમ મોદી ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.Oનું ખાતમુહૂર્ત પણ કરશે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. જે એક રીતે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર છે, જ્યાંથી શાળાઓ અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવે છે. 

    આ ઉપરાંત, પીએમ વડોદરાના સિનોરમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા નવનિર્મિત પુલ, વડોદરામાં EWS માટે બનાવવામાં આવેલાં 400 નવાં ઘરો, ગુજરાતનાં 7500 ગામડાંમાં વિલેજ વાઇફાઇ પ્રોજેક્ટ, દાહોદમાં નવીનીકરણ પામેલ તળાવ તેમજ નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું પણ લોકાર્પણ કરશે. 

    આ ઉપરાંત, પીએમ મોદી છોટાઉદેપુરમાં વોટર સપ્લાય પ્રોજેક્ટ, ગોધરામાં ફ્લાયઓવર બ્રિજ અને કેન્દ્ર સરકારની યોજના ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ’ હેઠળ દાહોદમાં નિર્માણ પામનાર FM રેડિયો સ્ટુડિયોનું ખાતમુહૂર્ત પણ કરશે. 

    હિંદુ વેપારી પાસે માંગી ખંડણી, આપવાની ના પાડતાં શૉ મિલમાં ઘૂસી જઈને કરી દીધો જીવલેણ હુમલો: નડિયાદની ઘટના, શાહરૂખ સહિત પાંચ સામે ગુનો

    ખેડાના નડિયાદમાં શૉ મિલ ચલાવતા એક હિંદુ વ્યક્તિ પર ખંડણીખોરોએ હુમલો કરી દીધો હતો. ₹ 1 લાખ 80 હજારની માંગણી કર્યા બાદ આપવાની ના પાડતાં શાહરૂખમિયાં મલેક અને અન્ય ઇસમોએ મળીને શૉ મિલમાં ઘૂસી જઈને મારામારી કરી હતી, જેમાં અમુકને ઈજા પણ પહોંચી હતી. નડિયાદ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. 

    આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ઘટના શનિવારે (23 સપ્ટેમ્બર, 2023) બની હતી. 

    વધુ વિગતો એવી છે કે, નડિયાદમાં રહેતા નવીન પટેલ નામના વ્યક્તિ કમળા GIDCમાં સત્યનારાયણ ટીમ્બર માર્ટ નામની શૉ મિલ ચલાવે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા પાંચેક દિવસથી કમળા સંતરામ કાંટા પાછળ રહેતો શાહરૂખમિયાં મલેક અવારનવાર તેમને રૂબરૂમાં નળીને તેમજ ટેલિફોન ઉપર સંપર્ક કરીને પૈસાની માંગણી કરતો હતો. જણાવ્યા અનુસાર, તેણે 1 લાખ 80 હજારની માંગણી કરી હતી. પરંતુ નવીનભાઈએ પોતે તેને ઓળખતા પણ ન હોઈ અને ક્યારેય કોઇ પૈસાના વ્યવહાર પણ ન કર્યા હોઈ પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે સાગરીતો સાથે હુમલો કરી દીધો હતો.

    પૈસા આપવાની ના પાડતાં શાહરૂખે ‘જો તમે મને રૂપિયા નહીં આપો તો હું તમને ધંધો કરવા દઈશ નહીં’ તેમ કહીને ધમકી આપી હતી અને શૉ મિલ પણ બંધ કરાવી દીધી હતી. ગત શુક્રવારે તેણે ફરી સંપર્ક કર્યો અને ‘આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં પૈસા નહીં આપ્યા તો બધાને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. 

    ફરિયાદ અનુસાર, શનિવારે (23 સપ્ટેમ્બર) શૉ મિલમાં સીસીટીવી લગાવવા માટે નવીન પટેલ અને તેમનો પુત્ર શૉ મિલ પર ગયા હતા ત્યારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં શાહરૂખ અને તેના ચાર સાગરીતો ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરવા માંડ્યા હતા. ત્યારબાદ તેમાંથી એકે નવીનભાઈના પુત્ર જિમિતને ગાળો બોલીને માર મારવાનું શરૂ કરી દીધું હતું તેમજ મિલમાં કામ કરતા કારીગરોને પણ માર માર્યો હતો. 

    આરોપ છે કે, શાહરૂખે શૉ મિલમાં જ રાખવામાં આવેલાં લાકડાંમનથી એક લઈને જિમિતના જમણા હાથ પર મારી દીધું હતું. દરમ્યાન તેને છોડાવવા માટે વચ્ચે પડતાં શાહરૂખે તેમાંની એક મહિલાને પણ લાકડું મારી દીધું હતું. જ્યારે અન્યોને પણ ઈજા પહોંચી હતી. 

    નવીનભાઈનું કહેવું છે કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેઓ તેમની ઓફિસમાં બેઠા હતા. ત્યારબાદ બહાર બૂમાબૂમ થતાં બહાર આવીને જોતાં મારામારી કરીને શાહરૂખ અને તેના માણસો પરત જતા હતા. ત્યારે પણ તેઓ ધમકી આપીને ગયા હતા અને કહ્યું હતું કે, જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખશે અને મિલ પણ સળગાવી દેશે. ત્યારબાદ તેમણે 108 પર કૉલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 

    ઘટના બાદ નવીન પટેલે નડિયાદ પોલીસ મથકે પહોંચીને કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે શાહરૂખમિયાં અશરફમિયાં મલેક તેમજ અન્ય ચાર અજાણ્યા ઈસમો સામે IPCની કલમ 143, 147, 148, 149, 325, 504, 506(2) અને GPA એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    ઉપલેટામાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની રેલીનો ફિયાસ્કો, કાર્યકરો અને હોદ્દેદારો પણ નહીં ફરક્યા- રિપોર્ટમાં દાવો: આખરે રેલી રદ કરવી પડી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જેમતેમ કરીને પાંચ બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી મજબૂત બનવાની જગ્યાએ સતત તૂટતી જોવા મળી રહી છે. બીજી તરફ આંતરિક વિખવાદ પણ અવારનવાર સામે આવતો રહે છે. જમીની સ્તરે પણ હવે જોઈએ તેટલું સમર્થન મળતું દેખાઈ રહ્યું નથી. તાજેતરમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને આવો જ અનુભવ થયો અને ઉપલેટામાં તેમણે રેલી રદ કરીને આવવું પડ્યું. 

    ગુજરાત તકના એક રિપોર્ટ અનુસાર, શનિવારે (23 સપ્ટેમ્બર, 2023) ઉપલેટામાં ઇસુદાન ગઢવીની આગેવાનીમાં એક બાઇક રેલી આયોજિત કરવામાં આવી હતી. આ માટે તેઓ તો પહોંચી ગયા પણ પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જ ફરક્યા ન હતા. થોડા જ લોકો દેખાતાં આખરે પાર્ટીએ કાર્યક્રમ જ રદ કરી દીધો અને ઈસુદાન ગઢવીએ પાછા ફરવું પડ્યું હતું. 

    રિપોર્ટ અનુસાર, ઉપલેટામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના આગમન પર આમ આદમી પાર્ટી દ્વારા એક બાઈક રેલી યોજવામાં આવી હતી, જે બસ સ્ટેન્ડથી નીકળીને નાગનાથ ગેટ સુધી પહોંચવાની હતી. જે માટે કાર્યકરો અને નેતાઓને જાણ પણ કરવામાં આવી હતી પરંતુ જ્યારે રેલીનો સમય થયો તો લોકોની પાંખી હાજરી જોવા મળી અને મુખ્ય મહેમાનો અને હોદ્દેદારો જ આવ્યા ન હતા. સ્થળ પર બાઇક રેલી નીકળી શકે તેટલા માણસો પણ ભેગા થયા ન હતા, જેથી કાર્યક્રમો રદ કરી દેવા પડ્યા. 

    સામે આવેલા વીડિયોમાં ઈસુદાન ગઢવી અને તેમની આસપાસ થોડા કાર્યકરો જોવા મળે છે. આંગળીના વેઢે ગણાય તેટલા કાર્યકરોની હાજરીમાં ઈસુદાન ગઢવી કારમાંથી ઉતરીને લોકોનું અભિવાદન સ્વીકારે છે અને ત્યારબાદ થોડી મિનિટો સુધી રોકાઈને તે જ ગાડીમાં પાછા ફરે છે. 

    જોકે, ઈસુદાન ગઢવી માટે આ પહેલો પ્રસંગ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ તેમની સાથે આવા પ્રસંગો બન્યા હતા. મે, 2022માં પાર્ટી મોટા ઉપાડે પરિવર્તન યાત્રાની જાહેરાત કરી હતી અને ઠેરઠેર કાર્યક્રમોનું આયોજન કરી નાખ્યું હતું. પરંતુ એકાદ-બે કાર્યક્રમો થયા બાદ યાત્રાનો વીંટો વાળી દેવાયો હતો. 

    આ જ યાત્રાનો એક કાર્યક્રમ જામનગરના એક ગામમાં યોજાયો હતો. પરંતુ આ કાર્યક્રમમાં ગણીને અઢાર-વીસ જેટલા લોકો જ એકઠા થયા હતા. જેની તસવીરો તે સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. 

    શાહરૂખ, સલમાન પહોંચ્યા મહારાષ્ટ્રના CMના દ્વારે: એકનાથ શિંદેના ઘરે લીધો ગણપતિ પૂજનમાં ભાગ, અન્ય ઘણા સેલિબ્રિટી પણ રહ્યા હાજર

    દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ઘણી જગ્યાએ તો ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ થઈ રહ્યું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ પણ ગણેશોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. એજ ઉપક્રમમાં મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના ઘરે પણ ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે (24 સપ્ટેમ્બરે) CM એકનાથ શિંદેના ઘરે ગણપતિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સલમાન ખાન અને શાહરુખ ખાન સહિત અન્ય ઘણા સેલિબ્રિટી પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

    રવિવારે (24 સપ્ટેમ્બરે) મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના ઘરે ગણપતિ પૂજન નિમિત્તે ઘણા સેલિબ્રિટી હાજર રહ્યા હતા. સલમાન ખાન અને શાહરુખ ખાન પણ તેમના આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોચ્યા હતા. સલમાન ખાનની સાથે તેમની બહેન અર્પિતા અને તેમના બનેવી આયુષ શર્મા પણ જોવા મળ્યા હતા. જ્યારે શાહરુખ ખાન તેમના મેનેજર પૂજા દદલાની સાથે CMના ઘરે પહોંચ્યા હતા. બંને અભિનેતાઓએ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે સાથે ફોટા પણ પડાવ્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં શાહરુખ ખાન અને સલમાન સાથે એકનાથ શિંદેના ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

    ફોટોમાં સલમાન ખાન અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગણપતિ પૂજનમાં ભાગ લેવા માટે તેમણે લાલ રંગનો કુર્તો, પઈજામો પહેરેલો જોવા મળે છે. સાથે જ ગળામાં ભગવા રંગ જેવુ પીતાંબર પણ જોવા મળી રહ્યું છે. જેના પર ‘શ્રી ગણેશાય નમઃ’ લખેલું જોઈ શકાય છે. સલમાન ખાનના ફેન્સને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો છે.

    જ્યારે શાહરુખ ખાન ગણપતિ પૂજન માટે વાદળી રંગ જેવા પઠાણી સૂટમાં નજરે પડ્યા હતા અને તેમના ગળામાં પણ પીતાંબર જોવા મળી રહ્યું હતું. નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ શાહરુખ ખાને મુંબઈના લોકપ્રિય ‘લાલબાગ ચા રાજા’ ના દર્શન પણ કર્યા હતા. ત્યારે તેમની સાથે તેમનો નાનો પુત્ર અબરામ પણ હાજર હતો.

    એ ઉપરાંત મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના ઘરે અન્ય પણ ઘણા અભિનેતાઓ અને સેલિબ્રિટી હાજર રહ્યા હતા. જેમાં જૈકી શ્રોફ, અર્જુન રામપાલ, આશા ભોંસલે, બોની કપૂર, રશ્મિ દેસાઈ, પંકજ ત્રિપાઠી સહિત અન્ય પણ ઘણા સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા. CMના ઘરે થયેલા ગણપતિ પૂજનના કાર્યક્રમના ઘણા ફોટો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં સલમાન ખાન અને શાહરુખ ખાન સહિત અન્ય ઘણા લોકોને જોઈ શકાય છે.

    ધ વેક્સીન વોરના સ્પેશિયલ સ્ક્રીનીંગમાં દેખાયા ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા: ઈસ્લામવાદીઓ દ્વારા પીડિત નેતાએ કહ્યું- એક વર્ષ બાદ થિયેટર જોયું

    દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ ગુરુવારે (28 સપ્ટેમ્બર, 2023) સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા રાજધાની દિલ્હીમાં ફિલ્મના વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીમાં બીજેપીના પૂર્વ પ્રદેશ પ્રવક્તા નૂપુર શર્માએ પણ ભાગ લીધો હતો.

    Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર દ્વારા તેમને નિશાન બનાવાયા બાદ નૂપુર શર્માને છેલ્લા એક વર્ષથી જેહાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઝુબૈરની ઉશ્કેરણી પહેલા નૂપુર શર્મા ટીવી ડિબેટનો મુખ્ય ચહેરો હતા. પરંતુ હવે તેમને સુરક્ષા કવચમાં રહેવું પડી રહ્યું છે.

    દિલ્હીમાં ‘ધ વેક્સીન વોર’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ વિવેક અગ્નિહોત્રીએ નૂપુર શર્માને સ્ટેજ પર બોલાવ્યા હતા. એમ પણ કહ્યું કે નૂપુર શર્માએ દેશની છોકરીઓને હિંમતવાન બનવાની પ્રેરણા આપી છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, “હું જાણું છું કે આ ફિલ્મ વિજ્ઞાન વિશે છે. હું તેને રાજકીય બનાવવા માંગતો નથી. પરંતુ, મેં નૂપુરને સ્ટેજ પર બોલાવી કારણ કે તેણે ઘણી છોકરીઓ અને ભારતીયોને પ્રોત્સાહિત કર્યા છે. તે આધુનિક ભારતની હિંમતવાન મહિલાનું પ્રતિક છે.”

    ફિલ્મ વિશે બોલતા, નૂપુર શર્માએ ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) ના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો અને કહ્યું, “મારે તમારા બધાનો આભાર માનવો છે. તમારા બધાના કારણે અમે ભારતીયો હજુ પણ જીવિત છીએ. હું મારા હૃદયના તળિયેથી તમારો આભાર માનું છું. Bharat Can Do It.”

    સ્ક્રિનિંગ દરમિયાન નૂપુર શર્માને જોઈને પત્રકાર સ્વાતિ ગોયલ શર્માએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ‘X’ પર લખ્યું, “આજે ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના સ્ક્રિનિંગમાં નૂપુર શર્માને મહેમાન તરીકે જોઈને આનંદથી આશ્ચર્ય થયું. વિવેક અગ્નિહોત્રીની કોરોના રસી પરની ફિલ્મ અને નૂપુર શર્માને તેમનું આમંત્રણ અદ્ભુત હતું. નૂપુરે કહ્યું કે તે એક વર્ષથી વધુ સમય બાદ થિયેટરમાં આવી છે.”

    સ્વાતિ ગોયલ શર્માએ આગળ લખ્યું, “જ્યારે થિયેટરમાં હાજર દરેક વ્યક્તિ નૂપુર શર્મા માટે તાળીઓ પાડી રહ્યો હતો, તે ક્ષણ ખૂબ જ સ્પર્શી ગઈ હતી. ભારતીય વૈજ્ઞાનિકોની ઐતિહાસિક સિદ્ધિ પર મહત્વની ફિલ્મ બનાવવા બદલ વિવેક અને તેની ટીમને અભિનંદન. તમારા બાળકોને આ ફિલ્મ બતાવો, તેઓ તેનાથી પ્રેરિત થશે.”

    પત્રકાર સાગર કુમારે ‘X’ પર લખ્યું, “આપણે ન તો ભૂલ્યા છીએ અને ન તો ભૂલીશું. ગઈ કાલે પણ ડંકાની ચોટે દીદી સાથે ઉભા હતા અને આજે પણ. આજે મને સારું લાગ્યું જ્યારે દીદીએ કહ્યું, સાગર, મારે તારી સાથે ફોટો પડાવવો છે.”

    ઈસ્લામવાદીઓના ટાર્ગેટ પર છે નૂપુર શર્મા

    ઉલ્લેખનીય છે કે મે 2022માં કાશીમાં સ્થિત જ્ઞાનવાપી માળખાંને લઈને ટીવી ડિબેટ ચાલી રહી હતી. આ દરમિયાન તસ્લીમ અહેમદ રહેમાની વારંવાર હિંદુ દેવી-દેવતાઓ વિશે અયોગ્ય ટિપ્પણી કરી રહ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ રહેમાનીને જવાબ આપતા પૂછ્યું કે ઈસ્લામિક પુસ્તકોમાં જે બાબતોનો ઉલ્લેખ છે જો હું તે આ બધું અહીં કહું તો તેને કેવું લાગશે?

    ‘Alt ન્યૂઝ’ના સ્થાપક મોહમ્મદ ઝુબૈરે આ ટીવી ડિબેટની ક્લિપમાંથી રહેમાનીના નિવેદનને કાપી નાખ્યું અને નૂપુર શર્માનું નિવેદન સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તે પયગંબર મોહમ્મદનું અપમાન કરી રહી છે. આ પછી, ઇસ્લામીઓએ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી સહિત વિવિધ ધમકીઓ આપવાનું શરૂ કર્યું. કેટલીક જગ્યાએ તોફાનો થયાના અહેવાલો પણ મળ્યા હતા. આ પછી ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેની સામે ઘણી જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

    એટલું જ નહીં નૂપુર શર્માને સમર્થન કરવા બદલ કન્હૈયા લાલ તેલી અને ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. જેહાદીઓની ધમકીઓને કારણે નૂપુર શર્મા હજુ પણ અજ્ઞાત સ્થળે રહેવા મજબૂર છે.

    Asian Games 2023: ભારતીય ટીમે મહિલા ક્રિકેટમાં સ્વર્ણ પદક જીતીને રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં આપ્યો શ્રીલંકાને ધોબીપછાડ

    એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 19 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ બંને ગોલ્ડ મેડલ સોમવારે (25 સપ્ટેમ્બરે) જ આવ્યા હતા. આ પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાના કારણે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ છે.

    અહેવાલો અનુસાર એશિયન ગેમ્સ 2023 મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ ભારત અને શ્રીલંકા મેચ ચીનના હાંગઝોઉમાં ઝેજિયાંગ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી પિંગફેંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનો પ્રથમ મેડલ જીત્યો. ખંડીય સ્પર્ધાની 2010 અને 2014ની આવૃત્તિઓમાં ક્રિકેટ રમાઈ હતી, પરંતુ ભારતે આ ઈવેન્ટમાં પોતાની ટીમ મોકલી ન હતી.

    ભારતે 20 ઓવરમાં બનાવ્યા 116 રન

    ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી એશિયન ગેમ્સની ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્ઝે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મંધાનાએ આ મેચમાં 45 બોલમાં 46 રન બનાવ્યા હતા. રોડ્રિગ્ઝે છેલ્લી કેટલીક ઓવરોમાં ઝડપી બેટિંગ કરી અને 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

    વિજય માટે 116 રનનો બચાવ કરવા ઉતરેલી ભારતીય ટીમના બોલરોએ શ્રીલંકન ટીમને સતત ત્રણ શરૂઆતી ઝટકા આપ્યા બાદ શ્રીલંકન ટીમનો સ્કોર 14-3 થઈ ગયો હતો. ભારત તરફથી ફાસ્ટ બોલર તિતાસ સાધુએ ત્રણેય વિકેટ લીધી હતી. આખરે ભારતીય ટીમની બોલીંગ સામે શ્રીલંકન ટીમ 20 ઓવરમાં માત્ર 97 રન બનાવી શકી હતી અને તેમાં પણ તેઓએ 8 વિકેટ ગુમાવી હતી.

    રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ સમેત ભારતના ખોળામાં કુલ 11 પદક

    એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારે (25 સપ્ટેમ્બર, 2023) ભારતની શરૂઆત જ ગોલ્ડ મેડલથી થઈ હતી. પુરુષોની 10 મીટર એર રાઈફલમાં ભારતીય શૂટરોની ત્રિપુટીએ પ્રથમ શ્રેણીથી જ સારું પ્રદર્શન કરીને આગેકૂચ કરી હતી. આ લીડ જાળવી રાખીને ત્રણેય શૂટરોએ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો.

    ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતે 5 મેડલ મેળવી લીધા હતા. જેમાં પ્રથમ મેડલ શૂટિંગમાં મળ્યું હતું. મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ દરમિયાન તેમનો કુલ સ્કોર 1886.0 રહ્યો હતો. એ સિવાય ભારતને બીજો સિલ્વર મેડલ પુરુષોની રોઇંગમાં પણ મળ્યો છે.

    રોઇંગમાં પુરુષોની લાઇટવેટ ડબલ્સ સ્કલ્સમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. આ જોડી 6:28.18 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી છે. આ સિવાય ત્રીજો મેડલ પણ રોઇંગમાં જ મળ્યો છે. બાબુ લાલ યાદવ અને રામ લેખે મેન્સ ડબલ્સની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ સિવાય એક મેડલ શૂટિંગમાં મળ્યો છે. રમિતાએ વિમેન્સ 10 મીટર એર રાઇફલ્સમાં બ્રોન્ઝ જીત્યો છે. જ્યારે અન્ય એક બ્રોન્ઝ મેડલ રોઇંગમાં મળ્યો છે.

    ‘અર્બન નક્સલીઓના હાથમાં છે કોંગ્રેસની કમાન’: એમપીમાં દેશની સૌથી જૂની પાર્ટી પર વરસ્યા પીએમ મોદી, કહ્યું- તેમના માટે ગરીબ ખેડૂતનું ખેતર ફોટો સેશન માટેનું મેદાન

    સોમવારે (25 સપ્ટેમ્બર, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપ કાર્યકર્તાઓના સંમેલન ‘કાર્યકર્તા મહાકુંભ’ને સંબોધિત કર્યું. આ દરમિયાન તેઓ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસની કમાન હવે કોંગ્રેસને અર્બન નક્સલીઓ ચલાવી રહ્યા છે. 

    પીએમ મોદીએ કહ્યું, “કોંગ્રેસે તમામ ઇચ્છાશક્તિ ગુમાવી દીધા છે. છેલ્લા થોડા સમયથી જમીન સાથે જોડાયેલા કોંગ્રેસના નેતાઓ ચૂપચાપ મોઢે તાળાં મારીને બેસી ગયા છે. કોંગ્રેસ પહેલાં બરબાદ થઈ, પછી બેન્ક્રપ્ટ થઈ અને હવે પોતાનો ઠેકો બીજાને આપી દીધો છે. કોંગ્રેસને હવે તેના નેતા નથી ચલાવી રહ્યા, હવે કોંગ્રેસ એક એવી કંપની બની ગઈ છે….નારાથી લઈને નીતિઓ સુધી દરેક બાબત આઉટસોર્સ કરી રહ્યા છે.” 

    આગળ તેમણે કહ્યું, “આ ઠેકો કોની પાસે છે જાણો છો? કોંગ્રેસનો ઠેકો અમુક અર્બન નક્સલીઓ પાસે છે. કોંગ્રેસમાં હવે અર્બન નક્સલીઓનું જ ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ પર કોંગ્રેસનો દરેક કાર્યકર્તા આ બાબત અનુભવી રહ્યો છે. કોંગ્રેસ જમીન પર પણ સતત નબળી પડી રહી છે.”

    પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ આજે પણ એ જ જૂની માનસિકતા પર ચાલી રહી છે. ચાંદીની ચમચી લઈને પેદા થયેલા તેમના નેતાઓ માટે ગરીબનું જીવન કોઇ મહત્વ ધરાવતું નથી. કોંગ્રેસ નેતાઓ માટે ગરીબનું જીવન એક એડવેન્ચર ટુરિઝમ છે. તેમના નેતાઓ માટે ગરીબની વસ્તી પિકનિક મનાવવાનું, વીડિયો શૂટિંગ કરાવવાનું લોકેશન બની ગઈ છે.” આગળ તેમણે ઉમેર્યું કે, “કોંગ્રેસ માટે ગરીબ ખેડૂતનું ખેતર ફોટો સેશનનું મેદાન બની ગયું છે. તેમણે ભૂતકાળમાં પણ એવું જ કામ કર્યું, દેશ-વિદેશમાં પોતાના મિત્રોમાં ભારતની ગરીબીની મજાક ઉડાવી અને આજે પણ તેઓ તે જ કરી રહ્યા છે. જ્યારે ભાજપની સરકાર ભારતને ભવ્ય બનાવી રહી છે અને આ ભવ્ય તસવીર દુનિયા સામે હિંમતભર દેખાડી રહી છે.” તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો આ જ ફેર લોકોને સમજાવવાનો છે. 

    તેમણે કહ્યું, “આપણે મહારાષ્ટ્રમાં જોયું કે કેવી રીતે કોંગ્રેસે ગઠબંધનમાં સામેલ થઈને લૂંટને જ પોતાનું નંબર વન કામ બનાવી દીધું. મધ્ય પ્રદેશના વિકાસ માટે આવનારાં અમુક વર્ષો બહુ મહત્વપૂર્ણ છે. આજે આખી દુનિયામાંથી ભારતમાં રોકાણ આવી રહ્યું છે, અલગ-અલગ રાજ્યોમાં આવી રહ્યું છે. આ સમય વિકસિત મધ્ય પ્રદેશ અને વિકસિત ભારત બનાવવાનો છે. આટલા મહત્વપૂર્ણ સમયમાં કોંગ્રેસ જેવી પરિવારવાદી પાર્ટી હજારો કરોડોના ગોટાળાનો ઈતિહાસ રચનારી પાર્ટી, વોટબેંકના તુષ્ટિકરણ કરનારી પાર્ટીને થોડો પણ મોકો મળ્યો તો મધ્ય પ્રદેશને બહુ મોટું નુકસાન થશે. 

    એશિયન ગેમ્સમાં ભારતનો ડંકો: દેશના શૂટરોએ કર્યું શાનદાર પ્રદર્શન, વર્લ્ડ રેકોર્ડ સાથે પ્રથમ ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ

    ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરોએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ મેડલ પુરુષોની 10 મીટર એર રાઈફલની ટીમે જીત્યો છે. ભારતીય શૂટર એશ્વર્ય પ્રતાપ સિંહ, દિવ્યાંશ સિંહ અને રુદ્રાંશ પાટિલે 1893.7ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેની સાથે ભારતે કુલ 10 મેડલ જીતી લીધા છે.

    એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારે (25 સપ્ટેમ્બર, 2023) ભારતની શરૂઆત જ ગોલ્ડ મેડલથી થઈ હતી. પુરુષોની 10 મીટર એર રાઈફલમાં ભારતીય શૂટરોની ત્રિપુટીએ પ્રથમ શ્રેણીથી જ સારું પ્રદર્શન કરીને આગેકૂચ કરી હતી. આ લીડ જાળવી રાખીને ત્રણેય શૂટરોએ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો.

    એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરોએ 1893.7 પોઈન્ટ સાથે ગેમ જીતીને ગોલ્ડ મેડલ ભારતના નામે કર્યો હતો. સામાન્ય રીતે શૂટિંગમાં ચીનનો દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે ભારતે 10 મીટર પુરુષોની રાઈફલમાં ચીનને હરાવી દીધું છે. ચીન ત્રીજા અને કોરિયા બીજા નંબર પર રહ્યું. કોરિયાને 1890.1 પોઈન્ટ મળ્યા છે. જ્યારે ચીનના શૂટરોએ 1888.2 પોઈન્ટ મેળવ્યા હતા.

    આ ઉપરાંત એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય રોઇંગ ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ચાર સભ્યોની ભારતીય પુરુષ રોઇંગ ટીમે આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય એથ્લેટ ભીમ, પુનીત જસવિંદર અને આશિષ શામિલે 6:10.81 મિનિટમાં રેસ પૂરી કરી.

    પ્રથમ દિવસે જીત્યા હતા 5 મેડલ

    ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતે 5 મેડલ મેળવી લીધા હતા. જેમાં પ્રથમ મેડલ શૂટિંગમાં મળ્યું હતું. મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ દરમિયાન તેમનો કુલ સ્કોર 1886.0 રહ્યો હતો. એ સિવાય ભારતને બીજો સિલ્વર મેડલ પુરુષોની રોઇંગમાં પણ મળ્યો છે.

    રોઇંગમાં પુરુષોની લાઇટવેટ ડબલ્સ સ્કલ્સમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. આ જોડી 6:28.18 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી છે. આ સિવાય ત્રીજો મેડલ પણ રોઇંગમાં જ મળ્યો છે. બાબુ લાલ યાદવ અને રામ લેખે મેન્સ ડબલ્સની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ સિવાય એક મેડલ શૂટિંગમાં મળ્યો છે. રમિતાએ વિમેન્સ 10 મીટર એર રાઇફલ્સમાં બ્રોન્ઝ જીત્યો છે. જ્યારે અન્ય એક બ્રોન્ઝ મેડલ રોઇંગમાં મળ્યો છે.

    ‘મોદી સરકારને 10માંથી 8 ગુણ’: ઓડિશાના CM પટનાયકે PM મોદીની કરી પ્રશંસા, કહ્યું- ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કેન્દ્રનું કાર્ય સરાહનીય

    વિપક્ષી દળો સતત અલગ-અલગ મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવા સમયે એક મોટા નેતાએ મોદી સરકારની પ્રશંસા કરી છે. તેમણે મોદી સરકારને જાહેરમાં 10માંથી 8 ગુણ આપીને તેમની સરાહના કરી છે. ઓડિશાના CM અને BJD અધ્યક્ષ નવીન પટનાયકે મોદી સરકારની વિદેશનીતિ અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીને લઈને 10માંથી 8 ગુણ આપ્યા છે. સાથે તેમણે ‘વન નેશન, વન ઇલેક્શન’ અને મહિલા અનામત બિલ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

    અહેવાલોના જણાવ્યા અનુસાર રવિવારે (24 સપ્ટેમ્બરે) ઓડિશામાં મીડિયા સમૂહ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓડિશાના મુખ્યમંત્રી અને બીજૂ જનતા દળ (BJD)ના અધ્યક્ષ નવીન પટનાયક પણ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં CM પટનાયકે મોદી સરકારની વિદેશનીતિ અને ભ્રષ્ટાચાર નાબૂદીની દિશામાં થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી.

    તેમણે PM મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, PM મોદી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા માટે કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે “હું PM મોદીને વિદેશનીતિ અને અન્ય બાબતોમાં જે કંઈ કર્યું છે તેના માટે 10માંથી 8 અંક આપીશ, સાથે જ આ સરકારમાં ભ્રષ્ટાચાર પણ ઓછો થયો છે. તેમણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં મદદ કરી છે અને તેઓ આપણાં દેશના લોકોની સેવા કરવાના પૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે.”

    મહિલા અનામત અને ‘વન નેશન, વન ઇલેક્શન’ પર આપી પ્રતિક્રિયા

    મહિલા અનામત બિલ પર એક પ્રશ્નનો જવાબ આપતી વખતે CM પટનાયકે કહ્યું હતું કે, “મને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ પગલું છે. મારી પાર્ટીએ હંમેશા મહિલા સશક્તિકરણનું સમર્થન કર્યું છે. મારા પિતાએ (પૂર્વ મુખ્યમંત્રી બીજૂ પટનાયકએ) સ્થાનિક ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33% સીટો અનામત રાખી હતી અને મે તેને વધારીને 50% કરી દીધી છે.”

    એ ઉપરાંત ‘વન નેશન, વન ઇલેક્શન’ને સમર્થન આપતા BJP પ્રમુખે કહ્યું હતું કે “અમે હંમેશા તેનું સ્વાગત કર્યું છે, અમે તેના માટે તૈયાર છીએ.” એ સિવાય કેન્દ્ર સરકાર સાથેના તેમના સંબંધો વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે “અમારા કેન્દ્ર સાથે મધુર સંબંધો છે, સ્વાભાવિક રીતે અમે અમારા રાજ્યનો વિકાસ ઈચ્છીએ છીએ અને વિકાસમાં કેન્દ્ર સરકારની ભાગીદારી મહત્વપૂર્ણ છે.”