Thursday, April 2, 2026
More
    Home Blog Page 100

    ‘કોંગ્રેસના વસોયા પૈસાના જોરે ખરીદી રહ્યા છે અમારા કાર્યકર્તા’: AAPએ લગાવ્યા આરોપ, સ્ટિંગ ઑપરેશનના દાવા સાથે ગોપાલની પ્રાંત અધિકારીને ત્યાં દોટ; લલીતે કહ્યું- નાટક કરી રહ્યો છે ઇટાલિયા

    વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકની (Assembly Seat) પેટાચૂંટણીને (By-Election) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ, (BJP) કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ અને કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે ફરીથી AAP કોંગ્રેસ સામસામે આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. AAPના નેતા મનોજ સોરઠિયાએ (Manoj Sorathiya) કોંગ્રેસના નેતા નેતા લલીત વસોયા (Lalit Vasoya) પર રૂપિયાથી AAPના કાર્યકર્તાઓને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઑપરેશન ઑપરેશનના દાવા સાથે પ્રાંત કચેરી ભણી દોડ મેલી છે.

    AAPના મનોજ સોરઠિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું છે કે, તેમના વિસાવદર તાલુકાના AAPના મહામંત્રી હરદેવભાઈને ફોન કરીને પૈસાની લાલચ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, તેઓ કહે તે પ્રમાણે કરવાનું છે. વધુમાં સોરઠિયાએ કહ્યું કે, AAPના ગોપાલ ઇટાલિયા (Gopal Italia) અને તેમના બધા કાર્યકર્તાઓએ આ ઘટનાનું સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ નેતાની હોટેલ શયોના ગોલ્ડમાં કોંગ્રેસ નેતાઓ બેસીને પૈસાની વહેંચણી કરી રહ્યા હતા. 

    કોંગ્રેસે ₹2 લાખ આપીને AAP અને ઇટાલિયા વિરુદ્ધ બોલવા કહ્યું હોવાના આરોપ

    મનોજ સોરઠિયાએ આ મામલે વધુ કહ્યું હતું કે, AAPના મહામંત્રી હોટેલમાં પહોંચ્યા તો કોંગ્રેસ નેતાઓએ તેમને ₹2 લાખની ઓફર આપી હતી અને કહ્યું હતું કે, AAPમાંથી રાજીનામું આપીને તેમના માટે કામ કરવાનું છે. સોરઠિયાએ દાવો કર્યો કે, હોટેલની તે રૂમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને નેતા લલીત વસોયા બેઠા હતા. તેમના મતે, તેમની હાજરીમાં જ પૈસાની લેવડદેવડ થઈ હતી અને વારાફરતી તમામ કાર્યકર્તાઓને બોલાવીને પૈસા આપવામાં આવી રહ્યા છે. 

    બીજી તરફ આ મામલે કોંગ્રેસ નેતા લલીત વસોયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, “અમે ગરીબ પાર્ટી અને તેના નાના ઉમેદવાર છીએ. અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદી શકીએ એટલી ત્રેવડ નથી. તે બધા જ લોકો જાણે છે અને ગુજરાતની જનતા પણ જાણે છે. ગોપાલ ઇટાલિયા આવા બધા નાટકો કરવા માટે જાણીતા છે. જે હોટલમાં હું નાહવા માટે ગયો હતો, ત્યાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના કાર્યકર્તાઓ અને નેતાઓએ રૂમ બુક કરાવ્યા છે.” 

    તેમણે વધુમાં કહ્યું છે કે, “ગોપાલ ઇટાલિયા ખોટા નાટકો કરે છે અને સિનસપાટા કરે છે. હરદેવભાઈ સાથે મારે કોઈ ઓળખાણ નથી કે કોઈપણ પ્રકારનો સંબંધ નથી. આરોપો તો ગમે તે માણસ ગમે તે પ્રકારના લગાવી શકે તેમ છે.” વધુમાં લલીત વસોયાએ કહ્યું છે કે, “આમ આદમી પાર્ટીને કહો વિડીયો વાયરલ કરે. મારી પાસે બધા જવાબ છે.” આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ પણ કહ્યું છે કે, તે વિસ્તારમાં એક જ હોટેલ છે અને તે ભાજપના આગેવાનની હોટેલ છે. તે જ હોટેલમાં ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓએ ધામા નાખ્યા છે. 

    સ્ટિંગ ઑપરેશનના દાવા સાથે પ્રાંત કચેરી પહોંચી ગયા ઇટાલિયા

    વધુમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે, તેમણે આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઑપરેશન કર્યું છે અને તે વિડીયો તેમના ફેસબુક એકાઉન્ટમાં પણ ઉપલબ્ધ છે. વધુમાં ગોપાલ ઇટાલિયા ₹2 લાખની રોકડ લઈને પ્રાંત કચેરી પહોંચી ગયા છે અને ફરિયાદ નોંધાવી રહ્યા છે. ઇટાલિયાની સાથે મનોજ સોરઠિયા અને પ્રવીણ રામ પણ પ્રાંત કચેરી પહોંચ્યા છે. તેમણે પ્રાંત કચેરીને મૌખિક ફરિયાદ કર્યાં બાદ લેખિતમાં અરજી પણ આપી છે. 

    AAPના નેતાઓનો આરોપ છે કે, કોંગ્રેસના નેતાઓએ AAPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ખરીદવા માટેનો પ્રયાસ કર્યો છે અને તેમની પાસે તેના વિડીયો પણ છે. વધુમાં વિસાવદરની એક માત્ર શયોના હોટેલના સીસીટીવ તપાસ સુધી વાત પહોંચી ગઈ છે. હાલ આ મામલે પ્રાંત અધિકારી દ્વારા સીસીટીવી ચેક કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    ‘યે ઘર બિકાઉ હૈ’: આઝમગઢના મુસ્લિમ બાહુલ્ય ગામમાં 40 હિંદુ પરિવારોએ મકાન પર લગાવ્યા પોસ્ટર, પીડિતોએ કહ્યું- ‘જય શ્રીરામ’ના નારા પણ નથી લગાવવા દેતા કટ્ટરપંથીઓ

    છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ બહુલ વિસ્તારમાં હિંદુઓ સાથેના અત્યાચારના ઘણા મામલા સામે આવી રહ્યા છે. કેટલાય હિંદુઓ મુસ્લિમોના અત્યાચારના પગલે ઘર છોડીને કે મકાન વેચીને ગયા હોય એવા મામલા સામે આવી ચૂક્યા છે. આવો જ એક મામલો ઉત્તર પ્રદેશથી (Uttar Pradesh) સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના આઝમગઢના (Azamgarh) મુસ્લિમ બહુમતીવાળા (Muslim Majority area) છોટાપુરા વિસ્તારમાં લગભગ 40 હિંદુ દલિત પરિવારોએ (Hindu Families) તેમના ઘરોની બહાર ‘ઘર બિકાઉ હૈ’ના (ઘર વેચાણ માટે છે) પોસ્ટર (Ye Ghar Bikau Hai Posters) લગાવ્યા છે.

    આ પગલું મુસ્લિમો દ્વારા હેરાનગતિ, સાંપ્રદાયિક ધમકીઓ અને 3 જૂનની રાત્રે લગ્નની ઉજવણી દરમિયાન કથિત યૌન શોષણની ઘટનાને કારણે લેવામાં આવ્યું છે, જેના પગલે હિંસક સંઘર્ષ થયો હતો. આ ઘટનાએ અને તેની અગાઉ બનેલી ઘટનાઓએ દલિત પરિવારોમાં અસુરક્ષાની લાગણી પેદા કરી છે, જેના કારણે તેઓ પોતાના ઘરો છોડીને જવાનું વિચારી રહ્યા છે.

    શું હતી સમગ્ર ઘટના

    સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, 3 જૂનની સાંજે છોટાપુરા વિસ્તારમાં એક લગ્નની આગલી  સાંજે કેટલીક રસમો ચાલી રહી હતી. આ દરમિયાન, વરરાજાના પરિવારની મહિલાઓ અને છોકરીઓ મહેંદી અને હલ્દીના રિવાજો માટે આંગણામાં એકઠી થઈ હતી. આ સમયે, કેટલાક મુસ્લિમ યુવાનોએ કથિત રીતે મહિલાઓની સંમતિ વિના તેમના વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલાઓએ આનો વિરોધ કર્યો, ત્યારે મુસ્લિમોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને કપડાં ફાડ્યા હોવાનો દાવો છે. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા.

    છોટાપુરાના રહેવાસીઓનું કહેવું છે કે આ એકમાત્ર ઘટના નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી હેરાનગતિનો એક ભાગ છે. એક 52 વર્ષના રહેવાસીએ જણાવ્યું, “અમે જ્યારે ભજન વગાડીએ, હોળી કે દિવાળી માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીએ, અથવા લગ્નમાં ડીજે રાખીએ, ત્યારે અમને ધમકીઓ મળે છે અને દુર્વ્યવહાર થાય છે.” તેમણે ઉમેર્યું કે, “અમે અહીં જન્મ્યા છીએ, પરંતુ હવે અમને ઘરછાપરા જેવું ગણવામાં આવે છે.”

    મહિલાઓ સાથે દુર્વ્યવહાર

    સ્થાનિક મહિલાઓએ પણ જણાવ્યું કે, તેમની દીકરીઓ અને પત્નીઓ જાહેરમાં નીકળે ત્યારે સતત છીનઝપટી અને ધાકધમકીનો સામનો કરવો પડે છે. એક રહેવાસીએ કહ્યું કે, “અમારા તહેવારો આનંદિત બનવાની જગ્યાએ તણાવપૂર્ણ બની ગયા છે.”

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 જૂનની ઘટનાના સંદર્ભમાં છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અને બંને સમુદાયના સભ્યો સામે કેસ નોંધવામાં આવ્યા છે. જોકે, રહેવાસીઓનું કહેવું છે કે વહીવટે અગાઉની ફરિયાદોને ગંભીરતાથી લીધી નથી. એક સ્થાનિક શિક્ષકે જણાવ્યું, “અમે હોળી પછી જ્યારે કેટલાક યુવાનોએ ડીજે વગાડવા બદલ ધમકી આપી હતી, ત્યારે પણ તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી પરંતુ કોઈએ ગંભીરતાથી લીધું નહીં.”

    UP News, UP Viral news, UP Viral video, UP Hindi Muslim, Muslim dalit, azamgarh, azamgarh news, azamgarh viral news, आजमगढ़, आजमगढ़ न्यूज, आजमगढ़ वायरल न्यूज, यूपी न्यूज, यूपी वायरल न्यूज
    હિંદુ પરિવારોએ લગાવેલ પોસ્ટર

    અધિકારીઓ દ્વારા નિર્ણાયક રીતે કાર્યવાહી કરવામાં નિષ્ફળતાએ સ્થાનિકોમાં ભય વધાર્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. તેમણે કહ્યું કે, “અમે ઘણી વખત પોલીસ પાસે ગયા. અમે વધુ સારી પેટ્રોલિંગ, કડક કાર્યવાહીની વિનંતી કરી – પરંતુ કંઈ બદલાયું નથી.”

    આઝમગઢના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP) મધુવન કુમાર સિંઘે આ મામલે જણાવ્યું કે, “અમે અહેવાલોની નોંધ લીધી છે કે કેટલાક પરિવારો સ્થળાંતરની યોજના બનાવી રહ્યા છે. અમે તેમનો સંપર્ક કર્યો છે અને તેમની સુરક્ષા માટે પૂરતી પોલીસ હાજરીની ખાતરી આપી છે.”

    આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે, ખાસ કરીને હિંદુ સમૂહોમાં, જેમણે આને ‘જનસંખ્યાકીય આતંક’ તરીકે ગણાવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના (VHP) એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે, “જ્યારે કોઈ સમુદાયને પોતાની સંસ્કૃતિનું પાલન કરવામાં ડર લાગે, તે એક પ્રકારનો આતંક છે.”

    મેનસ્ટ્રીમ મીડિયા-લેફ્ટ ગેંગની ચૂપ્પી

    જોકે, મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો અને લેફ્ટ-લિબરલ ગેંગે આ મામલે ચૂપી સેવી છે. કોઈ પ્રમુખ નેતાએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી નથી, ન તો કોઈ નિવેદન આવ્યું છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના રાજનીતિ શાસ્ત્રના એક પ્રોફેસરે જણાવ્યું કે, “જો 40 મુસ્લિમ પરિવારોએ હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં આવા પોસ્ટર લગાવ્યા હોત તો રાષ્ટ્રીય મીડિયા કવરેજ, વિરોધ અને તપાસ ટીમો ઊભી થઈ હોત.”

    છોટાપુરાના હિંદુ પરિવારોનું કહેવું છે કે આ પોસ્ટર માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ તેઓ ખરેખર પોતાના ઘરો વેચીને સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યા છે. એક રહેવાસીએ કહ્યું કે, “અમે નાટક નથી કરતા. અમે ખરેખર જવાનું વિચારી રહ્યા છીએ. અમારા તહેવારો, સંગીત અને જીવનશૈલી પર વાંધો ઉઠાવવામાં આવે છે. જો અમે વિરોધ કરીએ તો અમને મારવામાં આવે છે અથવા ધરપકડ કરવામાં આવે છે.”

    આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા, સાંપ્રદાયિક તણાવ અને સ્થાનિક વહીવટની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે સુરક્ષાની ખાતરી આપી હોવા છતાં, રહેવાસીઓમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ યથાવત છે.

    ‘તો પાકિસ્તાન યહૂદી દેશ પર કરશે પરમાણુ હુમલો…!’: ઈરાનની આશા પર ફરી વળ્યું પાણી, પાડોશી આતંકી દેશે કહ્યું- અમને તો ખબર પણ નથી, ઇઝરાયેલના ભયથી સૈન્ય ચોકીઓ પણ કરી છે બંધ

    ઇઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે વધતાં સંઘર્ષને લઈને ઘણી માહિતી સામે આવતી રહે છે. તેવામાં એક સમાચાર એવા પણ આવ્યા હતા કે, ઈરાને દાવો કર્યો હતો કે, જો ઇઝરાયેલ તેના પર હુમલો કરશે તો પાકિસ્તાન (Pakistan) ઇઝરાયેલ પર પરમાણુ હુમલો (Nuclear Attack) કરી દેશે. આ એક નિવેદનને લઈને દુનિયાભરમાં અનેકો ચર્ચાઓ વહેતી થઈ હતી અને ભારતમાં તો મિમની દુનિયામાં ઊભરો પણ આવી ગયો હતો. પરંતુ આ બધા વચ્ચે જ પાકિસ્તાને અચાનક ઈરાનના દાવાને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, તેમને તો આવી કઈ ખબર પણ નથી. 

    વિગતે વાત કરીએ તો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના (IRGC) વરિષ્ઠ કમાન્ડર મોહસિન રઝાઈએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાને ઈરાનને આશ્વાસન આપ્યું છે કે, જો ઇઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરશે તો પાકિસ્તાન પણ ઇઝરાયેલ પર પરમાણુ હુમલો કરીને વળતો જવાબ આપશે. જોકે, પાકિસ્તાનની હાલની સ્થિતિ જોતાં દુનિયા માટે આ દાવો હાસ્યાસ્પદ બન્યો હતો. લોકોએ આ દાવાને માત્ર મનોરંજન પૂરતો સીમિત કરી દીધો હતો. 

    દુનિયાના દેશોએ પણ પાકિસ્તાનને ગંભીરતાથી લીધું નહોતું. ત્યાં સુધી કે ઇઝરાયેલે પણ તેનો કોઈ જવાબ આપ્યો ન હતો અને અમેરિકાએ પણ તેના વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી. જોકે, ભારે ફજેતી થયા બાદ પાકિસ્તાને પોતે જ ઈરાનના દાવાને ફગાવી દીધા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સંસદમાં કહ્યું છે કે, આ દાવા ‘જુઠ્ઠા અને બનાવટી’ છે. તેમણે એવું પણ કહ્યું કે, “પાકિસ્તાનને તો આ વિશે કોઈ ખબર પણ નથી.” 

    પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ બાદમાં ઈરાનના દાવાને ફગાવી દીધા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ પોતાના લોકોની સુરક્ષા માટે છે અને દુશ્મન વિરુદ્ધ રક્ષા કરવા માટે છે, ન કે પાડોશીઓ વિરુદ્ધ આક્રમક નીતિ માટે. વધુમાં પાકિસ્તાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે ઇઝરાયેલ સાથે અથડામણ કરવા નથી માંગતુ. 

    ઇઝરાયેલનો ભય એટલો કે ઈરાન સાથેની સૈન્ય ચોકીઓ પણ કરી બંધ

    પાકિસ્તાનનું કહેવું છે કે, તેમની પરમાણુ નીતિ રક્ષાત્મક છે. તે ઇઝરાયેલ સાથે કોઈ વિવાદમાં પડવા નથી માંગતુ. ઈરાનના દાવા બાદ પાકિસ્તાને બે વખત સ્પષ્ટતા આપવી પડી છે, જેના કારણે લોકો માની રહ્યા છે કે, ઇઝરાયેલીના જવાબી હુમલાથી પાકિસ્તાનના ભય બેઠી ગયો છે. તે ભયનું એક ઉદાહરણ એ પણ છે કે, પાકિસ્તાને ઈરાન સાથેની તમામ સરહદી ચોકીઓ બંધ કરી દીધી છે. પાકિસ્તાની અધિકારીઓ તરફથી કહેવાયું છે કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના પગલે ચોકીઓ બંધ કરવામાં આવી છે. 

    વધુમાં પાકિસ્તાન અને ઈરાન પર સ્થિત પાકિસ્તાની વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ બધા પગલાં પાકિસ્તાને ઇઝરાયેલી હુમલાના પગલે લીધા હોવાનું કહેવાય રહ્યું છે. તેથી સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે, પાકિસ્તાન ઇઝરાયેલી હુમલાથી ભયમાં મુકાઈ ગયું છે અને તેથી જ પરમાણુને લઈને ઈરાનના દાવાઓને નકારી કાઢ્યા છે.

    ઈરાનનાં 1/3 મિસાઈલ લૉન્ચર્સ ફૂંકી માર્યાં હોવાનો ઇઝરાયેલી સશસ્ત્રબળોનો દાવો, ઇન્ટેલિજન્સ ચીફ સહિત ચાર સૈન્ય અધિકારીઓ પણ ઠાર

    ગાઝા પછી ઇઝરાયેલ હવે મધ્ય-પૂર્વીય દેશ ઈરાન સામે યુદ્ધે ચડ્યું છે. 13 જૂનના રોજ ઇઝરાયેલે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હવાઇ હુમલા કર્યા બાદ સંઘર્ષ સતત ચાલુ છે. દરમ્યાન ઇઝરાયેલી સશસ્ત્ર બળોએ ઈરાન વિરુદ્ધ રવિવારે (15 જૂન) રાત્રે કરેલી કાર્યવાહીની વિગતવાર જાણકારી આપી છે.

    ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઈરાનનાં 1/3 મિસાઈલ લોન્ચર્સ નાશ પામ્યાં છે. આ સિવાય પણ ઘણુંખરું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

    IDF અનુસાર, ઇઝરાયેલ પર લૉન્ચ કરવામાં આવે તે પહેલાં જ લગભગ 20થી વધુ સરફેસ ટૂ સરફેસ મિસાઇલોનો નાશ કરી દેવામાં આવ્યો. આ મિસાઇલો ઇઝરાયેલ પર મારવાની તૈયારી કરવામાં આવી રહી હતી, પરંતુ મિનિટો પહેલાં જ ઇઝરાયેલી સેનાએ હિસાબ કરી નાખ્યો.

    આ સિવાય IDFનું કહેવું છે કે તેમણે મધ્ય ઈરાનમાં લગભગ 100 સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. ઉપરાંત, 50 એરક્રાફ્ટ અને ફાઇટર જેટની મદદથી આ ઑપરેશનમાં અનેક મિસાઈલ સ્ટોરેજ સાઇટનો પણ નાશ કરવામાં આવ્યો, તેમજ સરફેસ ટૂ સરફેસ મિસાઈલ લૉન્ચર્સને પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં. આ લૉન્ચર્સ પરથી ઇઝરાયેલ પર મિસાઇલો મારવાનો ઈરાનનો પ્લાન હોવાનું કહેવાય છે.

    પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું કે, આના પરથી અમે એટલું કહી શકીએ કે ઈરાનની મિસાઈલ લૉન્ચર સિસ્ટમનો 1/3 ભાગ નષ્ટ થઈ ચૂક્યો છે. આ પોસ્ટમાં એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. થર્મલ ઇમેજિંગ દ્વારા કેપ્ચર કરાયેલી ફુટેજમાં મિસાઈલથી ભરેલી ટ્રક્સ અને ત્યારબાદ તેમનો નાશ થતો જોઈ શકાય છે.

    IDFનું નિવેદન સ્પષ્ટ કરે છે કે ઇરાનની મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા પર ગંભીર પ્રહાર કરવામાં આવ્યો છે, જે ઇઝરાયલની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત તાજેતરમાં જ સામે આવેલ CNNના અહેવાલ અનુસાર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે ટેલ નોફ એરબેઝ પર બોલતા કહ્યું કે, “ઇઝરાયલી વાયુસેનાએ હવે તહેરાનના હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવી લીધું છે.”

    ઇઝરાયેલી સશસ્ત્ર બળોએ એ પણ જણાવ્યું કે આ હવાઈ હુમલાઓમાં ઈરાનની સેનાના ચાર ટોચના કમાન્ડરોને પણ તેમણે ઠાર કર્યા છે, જેમાં ઇન્ટેલ ચીફ અને તેના ડેપ્યુટીનો પણ સમાવેશ થાય છે. IDF અનુસાર, આ લક્ષિત હુમલાઓમાં IRGC ઇન્ટેલ ઑપરેશનના હેડ મોહમ્મદ કાઝેમી, તેનો ડેપ્યુટી મોહમ્મદ હસન, કુદ્સ ફોર્સ ઇન્ટેલ હેડ મોહસીન બાકરી અને તેનો ડેપ્યુટી એમ કુલ ચાર કમાન્ડરો માર્યા ગયા હતા. IDFએ કહ્યું કે, આ તમામે ઇઝરાયેલ પર આતંકવાદી ઑપરેશનો કરાવવામાં અને તેનું પ્લાનિંગ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

    ‘હિંદુ યુવતીઓને ફસાવો, નિકાહ કરો’: ઇન્દોરમાં લવ જેહાદ માટે મુસ્લિમ યુવકોને પૈસા આપતો હતો કોંગ્રેસ કોર્પોરેટર અનવર કાદરી, કેસ દાખલ થયા બાદ ફરાર 

    મધ્ય પ્રદેશના ઈન્દોર (Indore) લવ જેહાદ (Love Jihad) કેસમાં કોંગ્રેસ કોર્પોરેટર અનવર કાદરીનું નામ ખુલ્યું છે. આરોપ છે કે તેણે હિંદુ યુવતીઓને ફસાવવા માટે બે સાગરિતો સાહિલ શેખ અને અલ્તાફ ખાનને લાખ-લાખ રૂપિયા આપ્યા હતા. બંનેને પૈસા આપીને હિંદુ યુવતીઓને ફસાવવા અને દેહવ્યાપારમાં ધકેલવા માટે કહ્યું હતું. હવે પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને ફરાર કોર્પોરેટરને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. 

    પોલીસે શુક્રવારે આરોપી સાહિલ અને અલ્તાફની ધરપકડ કરી લીધી. બંનેએ કોંગ્રેસ કોર્પોરેટર પાસેથી પૈસા લેવાની વાત કબૂલી લીધી છે. સાહિલે જણાવ્યું હતું કે તેને હિંદુ યુવતી સાથે લગ્ન કરવા માટે 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે અલ્તાફે કહ્યું કે તેને પણ 1 લાખ રૂપિયા મળ્યા હતા. કોર્પોરેટરે એમ પણ કહ્યું હતું કે કામ પૂર્ણ થઈ ગયા બાદ તે બાકીના પૈસા આપશે. બંનેનાં નિવેદનનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

    આ વિડીયોમાં લવ જેહાદી સાહિલ અને અલ્તાફ ફોનમાં અમુક હિંદુ યુવતીઓની તસવીર પણ દેખાડે છે. આ યુવતીઓને તેમણે સોશિયલ મીડિયા પર હિંદુ આઇડી બનાવીને ફસાવી હતી. ત્યારબાદ મળવા માટે બોલાવીને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ લગ્ન કરીને ધર્મપરિવર્તન કરવાની પણ યોજના હતી. બંનેએ જણાવ્યું કે કોંગ્રેસ કોર્પોરેટરે બંનેને હિંદુ યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલવા માટે પણ કહ્યું હતું. 

    પોલીસે લવ જેહાદીઓના નિવેદનના આધારે કોંગ્રેસ કોર્પોરેટર અનવર કાદરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ તેની ધરપકડ માટે ઘરે પણ ટીમ પહોંચી, પણ તે ફરાર થઈ ચૂક્યો હતો. હવે પોલીસ તેને શોધી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે સાહિલ શેખ અને અલ્તાફ ખાનને બજરંગ દળના કાર્યકર્તાઓએ રંગેહાથ પકડી લીધા હતા. બંને હિંદુ યુવતીઓને સાર્વજનિક સ્થળોએ મળવા માટે ગયા હતા, જ્યાં બજરંગ દળે પકડી લીધા. ત્યારબાદ યુવતીઓને ઘરે મોકલીને બંનેને મેથીપાક ચખાડ્યો. બંનેએ અનવર કાદરીના ઈશારે આ ધંધા ચાલુ કર્યા હોવાનું જણાવ્યું. ત્યારબાદ કાર્યકર્તાઓએ તેમને પોલીસના હવાલે કરી દીધા. 

    બજરંગ દળ કાર્યકર્તાએ જણાવ્યું કે એક લવ જેહાદીના મોબાઈલમાં ચેટ પણ જોવા મળી, જેમાં તે કોઈ હિંદુ યુવતીને ધમકી આપતો જોવા મળે છે. જાણવા મળ્યું કે સાહિલે અર્જુન અને અલ્તાફે રાજ નામથી ફેક આઈડી બનાવ્યાં હતાં. જેનો ઉપયોગ કરીને તેઓ હિંદુ યુવતીઓ સાથે મિત્રતા કરતા હતા. બંને સામે બજરંગ દળની મદદથી યુવતીઓએ કેસ દાખલ કરાવ્યો અને ત્યારબાદ પોલીસે ધરપકડ કરવામાં આવી. 

    ફરિયાદમાં 19 વર્ષીય પીડિતાએ જણાવ્યું હતું કે, તે પાર્લરમાં કામ કરે છે. અલ્તાફ તેનો પાડોશી છે. 2020માં અલ્તાફ પાસેથી જ મકાન ખરીદ્યું હતું અને પાડોશમાં હોવાના કારણે વાતચીત ચાલુ થઈ હતી. ત્યારબાદ અલ્તાફે પ્રપોઝ કર્યું અને કહ્યું કે તે લગ્ન કરવા માંગે છે. સાથે એક મોબાઇલ પણ આપ્યો. પણ પછીથી જ્યારે યુવતીએ અંતર બનાવી લીધું તો અલ્તાફે ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ પણ આચર્યું. 

    અન્ય એક યુવતી કેરટેકર તરીકે કામ કરે છે. પીડિતાએ સાહિલ શેખ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું કે પાંચ મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ પર સાહિલ સાથે વાતચીત શરૂ થઈ હતી અને સાહિલે પોતાને હિંદુ ગણાવ્યો હતો. 12 મે, 2025ના રોજ તેણે યુવતીને મળવા માટે બોલાવી અને ત્યારબાદ મિત્રના એક રૂમ પર લઈ ગયો. 

    અહીં સાહિલે યુવતીને કહ્યું કે તે તેને બહુ પ્રેમ કરે છે અને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો પણ બાંધ્યા. પીડિતાએ બદનામીના ડરે આ વાત કોઈને ન કહી. ત્યારબાદ સત્ય સામે આવવા પર સાહિલ સાથે અંતર બનાવી લીધું. પરંતુ 30 મે, 2025ના રોજ સાહિલે ફરીથી તેને એક કેફે પર બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાનું કહેવું છે કે વિરોધ કરવા પર તેને પૈસાની લાલચ આપવામાં આવી. એવું પણ કહ્યું હોવાનું કહેવાય છે કે ‘તું એક વખત ધર્મપરિવર્તન કરી લે, તું જેટલા કહેશે એટલા રૂપિયા આપીશ.’ યુવતી અનુસાર સાહિલે તેને બુરખો પહેરવા માટે પણ દબાણ કર્યું હતું. 

    આસામના લખીપુરમાં હિંદુ મંદિર પાસે ફેંક્યું ગાયનું માથું, હઝરત અલી સહિત પાંચની ધરપકડ: રાજ્યમાં અગાઉ પણ બની છે આવી ઘટના

    14 જૂનના રોજ આસામના (Assam) ગોલપરા જિલ્લાના લખીપુર (Lakhipur) ખાતે કેટલાક કટ્ટરપંથીઓએ ગાયનું કપાયેલું માથું હિંદુ મંદિર (Hindu Temple) પાસે ફેંકી દીધું હોવાની ઘટના સામે આવી હતી. જેના કારણે ગોલપરામાં કોમી તણાવ ફાટી નીકળ્યો. નોંધનીય છે કે આ પહેલાં આસામના ધુબરીમાં પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. જે મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે આ ઘટના અંગે લખીપુર પોલીસને જાણ થતાં પોલીસે ગાયનું માથું સાથે રાખી લીધું હતું અને વધુ તણાવ ન પ્રસરે એ માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. સ્થાનિક હિંદુઓના જણાવ્યા અનુસાર, ઉગ્રવાદીઓએ અગાઉ પણ લખીપુરના વોર્ડ નંબર 10માં મંદિર પરિસર અને ઘરોની બહાર ગાયના પગ અને પવિત્ર ગાયોના મૃતદેહ ફેંકી દીધા હતા.

    પરિસ્થિતિથી મજબૂર થઈને હિંદુઓએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે પણ ત્યારબાદ સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી હતી. આસામ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના ડિરેક્ટર ડૉ. કશ્યપ પ્રકાશે મંદિરમાં તોડફોડ થઈ એ સ્થળની મુલાકાત લીધી અને કેસમાં ઝડપી ન્યાયની ખાતરી આપી હતી.

    હવે સામે આવેલ માહિતી અનુસાર આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. જેની માહિતી આસામના CM હિમંતા બિસ્વા સરમાએ X પર પોસ્ટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    CM સરમાએ પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ઈદ-ઉલ-ઝુહા પછી કોમી તણાવ ભડકાવવાના ઇરાદાપૂર્વકના પ્રયાસમાં ગોલપારા જિલ્લાની લખીપુર પોલીસે મંદિર પાસે કથિત રીતે ગૌમાંસ ફેંકવાના આરોપમાં નીચેના વ્યક્તિઓની ધરપકડ કરી છે.”

    તેમણે આરોપીઓના નામ પણ જાહેર કર્યાં હતાં. CM હિમંતા સરમાએ જણાવ્યા અનુસાર આરોપીઓમાં બોદીર અલી (57), હઝરત અલી (58), તારા મિયા (36), શજમલ મિયા (42), જહાંગીર અલોમ (32)નો સમાવેશ થાય છે. તેમણે વધુમાં લખ્યું હતું કે, આ મામલે એક કેસ નોંધવામાં આવ્યો છે અને આવાં તત્વો કાયદાનો સામનો કરે તે માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવશે.

    ધુબરીમાં પણ સામે આવી આવી ઘટનાઓ

    આ પહેલાં CM સરમાએ કહ્યું હતું કે બકરી ઇદના બીજા દિવસે મુસ્લિમ બહુલ વિસ્તાર ધુબરીમાં એક સ્થાનિક હનુમાન મંદિરમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું. ત્યારપછી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન સરમાએ ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત 38 જણાની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    ટ્રેનમાં હતા મોટાભાગના હિંદુઓ, તમામને લાઈનમાં ઊભા રાખીને ધરબી દીધી હતી ગોળીઓ: ખાલિસ્તાની આતંકીઓએ લીધો હતો 110 નિર્દોષોનો જીવ, એ ઘટનાને થયાં 34 વર્ષ

    34 વર્ષ પહેલાં, 15 જૂન 1991ની રાત્રે 9:35 વાગ્યે પંજાબમાં (Punjab) ખાલિસ્તાની આતંકવાદીઓએ (Khalistani attacks on Trains) બે ટ્રેનો પર હુમલા કરીને સેંકડો પરિવારોને તબાહ કરી નાખ્યા હતા.

    ફિરોઝપુરથી લુધિયાણા જતી ટ્રેન લુધિયાણા જિલ્લાના બદ્દોવાલ નજીક ધીમી પડી ગઈ હતી. તે જ સમયે ઓટોમેટિક હથિયારોથી સજ્જ ખાલિસ્તાની આતંકવાદીઓએ નિર્મમ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 62 મુસાફરો, જેમાં મોટાભાગે હિંદુઓ હતા તે માર્યા ગયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ટ્રેનને રોકવા માટે સિગ્નલ બોક્સમાં હોટ વાયર લગાવી દીધા હતા.

    બીજી ઘટનામાં લુધિયાણા જિલ્લાના કિલા રાજન નજીક ધુરી-હિસાર પેસેન્જર ટ્રેનમાં 48 મુસાફરો માર્યા ગયા અને 30 ઘાયલ થયા હતા. આ હુમલામાં, આતંકીઓએ ખાસ કરીને ટ્રેનમાં હિંદુઓને શીખોથી અલગ કર્યા હતા અને તેમને નીચે ઉતરવાની ફરજ પાડી હતી. પછી તેમને રેલવે ટ્રેક પર લાઇનમાં ઊભા રાખીને ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. આ હુમલો ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના આતંકવાદીઓએ કર્યો હોવાનું કહેવાય છે.

    ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ એક જ દિવસમાં બે હુમલાઓમાં સૌથી મોટી સામૂહિક હત્યા હતી. હુમલાના એક દિવસ પહેલાં પંજાબને અશાંત વિસ્તાર જાહેર કરાયો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા સેના પણ મોકલવામાં આવી હતી.

    જતિન્દર સિંઘની હત્યા

    આ દિવસે ટ્રેનોમાં કરેલો નરસંહાર ખાલિસ્તાની આતંકીઓએ કરેલો એક માત્ર હુમલો નહોતો, પરંતુ આતંકવાદીઓએ 11 લોકોની હત્યા કરી, જેમાં ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશનના વિધાનસભા ઉમેદવાર જતિન્દર સિંઘનો પણ સમાવેશ થાય છે.

    જતિન્દર સિંઘ રોપડ જિલ્લાના ચમકૌર સાહિબ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. બે આતંકવાદીઓએ રતલાંગડી ગામના ગુરુદ્વારામાં તેમની હત્યા કરી હતી. આ હુમલામાં તેમનો ખાનગી ગનમેન પણ ઘાયલ થયો.

    કહેવાય છે કે જતિન્દર સિંઘ લોકોને મળવા માટે સુરક્ષા ગાર્ડને જાણ કર્યા વિના ગયા હતા, જેના કારણે આ હુમલો થયો હતો. તેઓ માર્યા ગયેલા બીજા AISSF ઉમેદવાર જતાં અને ખાલિસ્તાની આતંકીઓ દ્વારા માર્યા ગયેલા કુલ ઉમેદવારોમાં 21મા ઉમેદવાર હતા.

    આ ઉપરાંત, અન્ય એક હુમલામાં બે પોલીસકર્મીઓ પણ માર્યા ગયા હતા. તરનતારન જિલ્લાના ધોતિયાં ગામમાં એક પરિવારના પાંચ સભ્યો અને એક મહિલાની પણ હત્યા થઈ હતી.

    તે દિવસે કોટલા માઝા સિંઘ ગામ નજીક થયેલા એન્કાઉન્ટરમાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના એરિયા કમાન્ડર સુખદેવ સિંઘ ઉર્ફે લાલી સહિત પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

    આ હુમલાઓ લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થયાના 5 કલાકની અંદર થયા હતા. પંજાબમાં કાયદો-વ્યવસ્થાની સમસ્યાને કારણે મતદાન થયું ન હતું અને તે 22 જૂન માટે સેનાના રક્ષણ હેઠળ નક્કી થયું હતું. તે સમયે પંજાબ 1987થી કેન્દ્ર સરકારના શાસન હેઠળ હતું. એપ્રિલમાં પંજાબ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ હતી. 15 જૂન સુધીમાં 700થી વધુ લોકો અલગ-અલગ હુમલાઓમાં માર્યા ગયા હતા.

    ગૃહમંત્રીની હત્યાનો પ્રયાસ

    આ તે સમયની વાત છે, જ્યારે રાત્રે મુસાફરી પર પ્રતિબંધ હતો કારણ કે આતંકવાદી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું હતું. વારંવારના હુમલાઓને કારણે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પંજાબની ચૂંટણી રદ કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ભારતના તત્કાલીન ગૃહમંત્રી સુબોધ કાંત સહાય લુધિયાણા નજીક હત્યાના પ્રયાસમાંથી માંડ બચી શક્યા હતા. તેમની કાર પસાર થયા બાદ તરત જ રેતીના ઢગલામાં વિસ્ફોટ થયો હતો, પરંતુ તેઓ બચી ગયા હતા.

    આખરે, મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી રદ કરી દેવામાં આવી હતી.

    ખાલિસ્તાની આતંકીઓએ ટ્રેન હુમલામાં 49 હિંદુઓનો લીધો હતો જીવ

    26 ડિસેમ્બર 1991ના રોજ ખાલિસ્તાની આતંકવાદીઓએ એક પેસેન્જર ટ્રેનને હાઇજેક કરી અને હિંદુ યાત્રિકો પર સુનિયોજિત ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 49 હિંદુઓ માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. આ હુમલો રાજ્યની ચૂંટણીના બે મહિના પહેલાં થયો.

    નવેમ્બર 1991માં કેન્દ્ર સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબમાં 1,40,000 સૈનિકો તહેનાત કર્યા હતા. તે સમયે ખાલિસ્તાની આતંકવાદીઓ માટે ટ્રેનો પર હુમલો કરી હિંદુ યાત્રિકોની હત્યા કરવી સામાન્ય બની ગયું હતું, ખાસ કરીને ચૂંટણી પહેલાં.

    કહેવાય છે કે આતંકવાદીઓ લુધિયાણાથી ટ્રેન નીકળી ત્યારે તેમાં સવાર હતા. સાંજે 7:30 વાગ્યે સોહેન ગામ નજીક તેમણે ઈમરજન્સી ચેઈન ખેંચી હતી. ટ્રેન રોકાતાં ચાર આતંકવાદીઓએ AK-47 બંદૂકો કાઢી અને હિંદુ જેવા દેખાતા યાત્રિકોને શોધીને ગોળીઓ ધરબી દીધી હતી. સોહેન ક્રોસિંગ પર છ અન્ય આતંકવાદીઓ ટ્રેનમાં ચઢ્યા હતા અને નરસંહારમાં સામેલ થઈ ગયા હતા. 49 લોકોની હત્યા અને 20ને ઘાયલ કર્યા બાદ આતંકવાદીઓ રાત્રે ફરાર થઈ ગયા હતા.

    જૂન 1991થી પંજાબ અને ઉત્તરી ઉત્તર પ્રદેશમાં નાગરિકો પર અનેક બૉમ્બ હુમલાઓ થયા હતા. ઉત્તરી ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં ખાલિસ્તાન તરફી શીખો રહેતા હતા અને તેઓ આતંકવાદીઓને આશરો આપતા હતા. આવા વિસ્તારો આજે પણ છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પિલીભીતમાં ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ સાથે જોડાયેલા આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. વધુમાં તેઓ પાકિસ્તાનની ISI દ્વારા તાલીમ પામેલા પણ હતા.

    ખાલિસ્તાની આતંકીઓએ 1991માં કરેલો ટ્રેન નરસંહાર સ્વતંત્ર ભારતના ઇતિહાસના સૌથી ભયાનક પ્રકરણોમાંનું એક છે. હિંદુ યાત્રિકો, રાજકીય ઉમેદવારો અને નાગરિકોને નિશાન બનાવવું એ માત્ર આતંકવાદ નહોતું, પરંતુ પંજાબને અસ્થિર કરવા અને લોકશાહીને ખોરવવાનો યોજનાબદ્ધ પ્રયાસ હતો.

    લોકો જોઈ રહ્યા હતા ભજીયાની રાહ, લાઇટ થઈ બંધ અને ઉડ્યા પાણા…: વિસાવદરમાં કોંગ્રેસની ચૂંટણીસભામાં પથ્થરમારો, ધાનાણીએ લગાવ્યો AAP પર આરોપ

    ગુજરાતમાં (Gujarat) કડી (Kadi) અને વિસાવદરની (Visavadar) પેટાચૂંટણીને (By-election) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પક્ષો સતત મહેનત કરી રહ્યા છે. તેવામાં વિસાવદરમાં મોટાપાયે ડખો થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, વિસાવદરમાં કોંગ્રેસની (Congress) ચૂંટણીસભામાં પથ્થરમારો (Stone Pelting) થયો છે. માહિતી અનુસાર, વિસાવદરના પિયાવા ગામમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. 

    ઘટનાની વિગતે વાત કરીએ તો શનિવારે (14 જૂન) કોંગ્રેસ તરફથી વિસાવદરના પિયાવા ગામે કોળી-ઠાકોર સમાજની સભા બોલાવવામાં આવી હતી. સામાન્યપણે ગામડાઓમાં દરેક સમાજની ચૂંટણીસભા થાય છે અને જે-તે પક્ષના લોકો ભજીયા ખવડાવીને મત મેળવવાના પ્રયાસો કરે છે. આવી જ એક સભા કોંગ્રેસે પિયાવામાં કરી હતી. જોકે, અહીં ભજીયાની જગ્યાએ પથ્થરો ખાવાનો વારો આવ્યો હતો. 

    ઘટનાના થોડા સમય બાદ જ અજાણ્યા હુમલાખોરોએ લાઇટો બંધ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનાને લઈને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય રહ્યું છે. બીજી તરફ ગુજરાત કોળી-ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોરે તો એવું પણ કહ્યું છે કે, કાર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, “AAPના લોકો પત્રિકાઓ લઈને જતાં હતા અને બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો પણ જીતવાની તો AAP જ છે.” 

    પરેશ ધાનાણીએ AAP પર લગાવ્યો આરોપ

    બિજી તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા. પત્રકાર પરિષદમાં ધાનાણીએ જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટી અને તેના બાપે ભેગા મળીને વિસાવદરની પેટાચૂંટણીમાં પ્રજાને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. પિયાવા ગામમાં થયેલી પથ્થરમારાની ઘટના પાછળ ષડ્યંત્ર છે, જે ઘણી બાબતો સાબિત કરે છે.” વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, ઘાયલ મહિલાઓને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. 

    નોંધનીય છે કે, 19 જૂનના રોજ વિસાવદરમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પરથી ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. તેમની સામે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે અને કોંગ્રેસ તરફથી નીતિન રાણપરિયા પણ મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી, જે બાદ હવે પેટાચૂંટણી થવા જઈ રહી છે.

    અમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર ક્રેશે ફરી સમજાવ્યું, એરોસ્પેસમાં આત્મનિર્ભરતા ભારત માટે કેમ છે જરૂરી: ટેકનોલોજીમાં પાછળ હોવાના બહાના હવે નહીં ચાલે

    તારીખ- 12 જૂન, 2025. સમય- બપોરના લગભગ 1:30 કલાક. સ્થળ- અમદાવાદ. વધુ વિવરણ આપવાની જરૂર નથી. વિશ્વ આખું જાણે છે કે, આ તારીખે અમદાવાદમાં શું થયું હતું. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) થવાથી 250થી વધુ જિંદગી છીનવાઈ ગઈ. વિમાનમાં સફર કરનારાઓની સાથે જમીન પર પોતાનું કામ કરી રહેલા 20થી વધુ લોકો પણ કાળના મુખમાં સમાઈ ગયા. દોષ કોનો? પાયલોટનો? કે પછી વિમાન નિર્માણ કરતી કંપનીઓનો?- આ સવાલોના જવાબ ભારતીયો છેલ્લા ત્રણ દિવસથી શોધી રહ્યા છે. આશા છે, જલ્દી તેના જવાબો મળી શકશે. 

    દુર્ઘટનાનો ભોગ બનનારું વિમાન અમેરિકી કંપની બોઇંગે (Boeing) બનાવેલું 787 ડ્રીમલાઇનર (Dreamliner) હતું. વિમાન ટેક ઑફની એક જ મિનિટના દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. હમણાં સુધી દુર્ઘટનાના કારણો સ્પષ્ટ નથી થયા. પરંતુ અટકળો એવી થઈ રહી છે કે, પક્ષીના અથડાવાથી આવું થયું. વધુમાં ક્યાંક એવા દાવા પણ થઈ રહ્યા છે કે, વિમાનના બંને એન્જિન ફેલ થઈ ગયા હતા. પરંતુ વાસ્તવમાં શું થયું હતું તે જાણી શકાયું નથી. તેના પર કામ ચાલી રહ્યું છે. 

    Boeing 787

    જોકે, બ્લેક બોક્સ મળી આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. બીજા પણ ઘણા એવા ઉપકરણો મળી આવ્યા છે, જેના દ્વારા દુર્ઘટના વિશેની માહિતી મળી શકશે. આ બધી તપાસ પૂરી થયા બાદ દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ થઈ શકશે. પરંતુ, બની શકે કે તેમાં કેટલાક મહિના અને એક વર્ષ સુધીનો સમય પણ લાગી શકે. ત્યાં સુધીમાં કદાચ એવું પણ બને કે, ઘટનાને લોકો ધીરે-ધીરે ભૂલવા લાગે અને રોજબરોજના કામમાં જોતરાય જાય. 

    બોઇંગ પર પણ ઉઠી રહ્યા છે સવાલ

    આ સમગ્ર પ્રક્રિયા ખૂબ લાંબી છે અને સમય પ્રમાણે આગળ ચાલી રહી છે. પરંતુ આ બધા વચ્ચે બોઇંગ કંપની પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં જ બોઇંગનો સુરક્ષા ટ્રેક રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. તેના 737 મેક્સ વિમાનો સતત દુર્ઘટનાનો શિકાર બન્યા છે. જે વિમાનો દુર્ઘટનાનો ભોગ બન્યા તેમાં પણ તકનીકી સમસ્યાઓ હોવાની વાત સામે આવી છે અને આ દાવો બોઇંગના પૂર્વ કર્મચારીએ કર્યો છે. તેમનું કહેવું એવું હતું કે, ખામીયુક્ત ડ્રીમલાઇનર વિમાનો એર ઇન્ડિયાને આપવામાં આવ્યા હતા.

    હાલમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન પણ બોઇંગ કંપનીએ બનાવ્યું હતું. તેનું નિર્માણ ભારતમાં નહોતું થયું. ભારતમાં ઉડતા લગભગ 90%થી વધુ નાગરિક વિમાનો ભારતમાં નથી બનતા. એવું નથી કે, કોઈ વિમાન ભારતમાં બનશે તો તે ક્યારેય ક્રેશ નહીં થાય. પરંતુ અહીં મુદ્દો એ છે કે, આપણે જે વિમાન બનાવીએ છીએ તેના પર આપણું પોતાનું નિયંત્રણ હશે. આપણે તેના ઉત્પાદન, તેના પ્રમાણપત્ર અને ઉપયોગમાં લેવાતી તકનીકોનું યોગ્ય નિરીક્ષણ કરી શકીશું અને દેશભક્તિની ભાવના પણ તેમાં અસર કરી શકે છે. 

    કંપની ક્યારેય નહીં સ્વીકારી શકે પોતાની ભૂલ

    સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, બોઇંગ કંપનીમાં બેદરકારી ચાલી રહી છે. જોકે, આપણે કાવતરાની થિયરી પર વધુ વિશ્વાસ કરવાની જરૂર નથી, પરંતુ બોઇંગ જેવી કંપનીઓ માત્ર નફા પર ચાલે છે. માત્ર બોઇંગ જ નહીં, પરંતુ તેના જેવી બધી જ કંપનીઓનો અંતિમ ધ્યેય પૈસો છે. જો એવું સાબિત થઈ જાય કે, દુર્ઘટના બોઇંગની ટેકનિકલ ખામીના કારણે થઈ હતી તો કંપનીને અરબોનું નુકસાન થશે. પરંતુ દોષનો ટોપલો પાયલોટ પર ઢોળાઈ જાય તો બોઇંગ છટકી શકે છે. તો તે પોતાની નિર્દોષતા સાબિત કરવા શું કરી શકે એમ છે? 

    એવું જરૂર નથી કે, આવું થશે જ. પરંતુ મોટી અમેરિકન કંપનીઓ પહેલાં પણ તપાસને પ્રભાવિત કરતી પકડાઈ છે. રહી વાત પાયલોટની ભૂલની તો એક વાત આજે આખી દુનિયા સ્વીકારે છે કે, ભારતીય પાયલોટ્સ વિશ્વના શ્રેષ્ઠ પાયલોટો માનવામાં આવે છે. તેમના માથા પર આ દોષનો ટોપલો ઢોળવો એ પણ એક સમસ્યાનો વિષય છે. 

    દુર્ઘટનાથી મળતી શીખ- એરોસ્પેસમાં આત્મનિર્ભરતા

    આગળ શું થવાનું છે અને શું થઈ શકે તેમ છે એ તો સમય જણાવશે. પરંતુ આ વિમાન દુર્ઘટનાએ ફરીથી ભારતમાં એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીને (Aerospace Industry) મજબૂત કરવાની માંગને બળ આપ્યું છે. અમદાવાદની દુર્ઘટના બની શકે કે, પાયલોટની ભૂલથી સર્જાઈ હોય પરંતુ તેમ છતાં પણ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીને મજબૂત કરવાની દલીલ નબળી પડી શકે તેમ નથી. વિદેશી વિમાનન કંપનીઓ પરની નિર્ભરતાના કારણે આપણે પહેલાં પણ ખૂબ નુકસાન ઉઠાવ્યું છે. 

    વર્ષ 2023માં ભારતની લોકલ એરલાઇન્સ ‘ગો ફર્સ્ટ’ આ કારણે જ બંધ થઈ ગઈ. તેના એરબસ પાસેથી ખરીદેલા વિમાનોમાં પ્રેટ એન્ડ વ્હિટનીના એન્જિન લાગ્યા હતા. આ એન્જિનમાં સમસ્યા આવી અને એરલાઇન્સના સેંકડો વિમાન અટકી પડ્યા. એન્જિન કંપનીને વારંવાર કહેવા છતાં કોઈ સમાધાન નહીં આવ્યું અને એક ભારતીય કંપની કારણ વગર બંધ થઈ ગઈ. NITI આયોગનો એક રિપોર્ટ કહે છે કે, અલગ-અલગ સમસ્યાઓના કારણે હાલમાં લગભગ 130થી વધુ વિમાન અટકી પડ્યા છે અને એરલાઇન્સને રોજ કરોડોનું નુકસાન સહેવું પડે છે. 

    આ મોટાભાગના વિમાનો ગ્રાઉન્ડેડ થવા પાછળનું કારણ ટેકનિકલ છે અને તેનું સમાધાન વિદેશી કંપનીઓ પાસે છે. જો આપણે ભારતમાં આવા વિમાનો બનાવી રહ્યા હોત તો કદાચ આ પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં જ આપણને ખબર પડી ગઈ હોત અને ઓછામાં ઓછું તે બન્યા પછી આપણે બીજાઓ પાસેથી મદદ માંગી ન હોત.  ભારતીય એરલાઇન્સે હાલમાં લગભગ 1500 વિમાનોના ઓર્ડર આપ્યા છે. આ બધા ઓર્ડર બોઇંગ અથવા એરબસને આપવામાં આવ્યા છે. આના કારણે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોને લાખો કરોડનો ફાયદો થશે. સ્થાનિક સ્તરે વિમાનોનું ઉત્પાદન કરીને પણ આ પૈસા બચાવી શકાય છે.

    આત્મનિર્ભરતાનો નથી કોઈ વિકલ્પ

    એવું નથી કે સમસ્યાઓ ફક્ત પેસેન્જર વિમાનોમાં જ હોય ​​છે. વાયુસેના કે સેના માટે ખરીદેલા વિમાનોમાં વધુ સમસ્યાઓ હોય છે. ભારતીય વાયુસેના કાર્ગો માટે એટલે કે લશ્કરી સાધનોના વહન માટે રશિયન IL-76 વિમાનોનો ઉપયોગ કરે છે.  આ વિમાનોમાં પણ સમસ્યાઓ રહી છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે આ વિમાનોની ઉડાન તૈયારીનો અભાવ એક મુખ્ય મુદ્દો છે. રશિયા આ તકનીકી સમસ્યાઓનું નિરાકરણ લાવી શક્યું નથી. તેવી જ રીતે, ભારતમાં બનેલ તેજસ વિમાન અમેરિકન એન્જિન પર આધારિત છે. 

    અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક આ માટે એન્જિન સપ્લાય કરે છે. આ એન્જિનની સપ્લાય એક વર્ષ લેટ છે, જેના કારણે તેજસ વિમાનનું ઉત્પાદન અટકી ગયું છે. વાયુસેનાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જનરલ ઇલેક્ટ્રિકને 100થી વધુ એન્જિન સપ્લાય કરવાના છે, જેમાંથી તે 10 પણ સપ્લાય કરી શકી નથી. આ બધાના મૂળમાં એક વસ્તુ છે અને તે છે આત્મનિર્ભરતા. એ સાચું છે કે આપણે હજુ સુધી ડ્રીમલાઇનર જેવા વિમાનો અથવા જનરલ ઇલેક્ટ્રિક જેવા એન્જિન બનાવવા માટે તકનીકી રીતે સક્ષમ નથી. પરંતુ આ બહાના હવે આપી શકાય એમ નથી.

    આપણે પણ એક સમયે એક બિંદુ પરથી શરૂઆત તો કરવી જ પડશે. જો આપણે બસ વિચારતા રહીશું તો વિદેશી દેશો પર નિર્ભર રહીશું. એવું નથી કે આપણે ક્યારેય આવું કંઈ કર્યું નથી. બ્રહ્મોસ જેવી મિસાઇલ બનાવવાનું હોય કે તેજસ હોય, જ્યારે પણ આપણે પ્રયાસ કર્યો છે, ત્યારે આપણે સફળ થયા છીએ. અત્યારે પણ આવા પગલાં લેવાની જરૂર છે. અમદાવાદ વિમાન અકસ્માત દુઃખદ છે પણ તે આપણને એ પણ શીખવે છે કે આત્મનિર્ભરતાનો (Self reliance) કોઈ વિકલ્પ નથી.

    ‘તણાવના કારણે થઈ સમજવામાં ભૂલ’: ઘર ખાલી કરાવવા પર જે તબીબનો રુદન કરતો વિડીયો મીડિયાએ કર્યો હતો વાયરલ, તેમણે જ કરી સ્પષ્ટતા; કહ્યું- સરકારે પહેલા જ ફાળવી દીધા હતા 2 ઘર

    અમદાવાદ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) ઘટના બાદ અનેક વિડીયો (Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. તેમાં એક વિડીયો અમદાવાદના એક ડૉક્ટરનો (Doctor) પણ હતો. યુએન મહેતાના તે ડૉક્ટરનું નામ અનિલ પવાર હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં તેઓ પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે, તેમને પ્રશાસન તરફથી 24 કલાકમાં મકાન ખાલી કરી દેવાનું કહેવામાં આવ્યું છે. તેઓ તણાવમાં જોવા મળી રહ્યા હતા અને વારંવાર એ જ કહી રહ્યા હતા કે, તેમની પાસે કોઈ આશ્રયસ્થાન નથી અને તેમની દીકરી હૉસ્પિટલમાં દાખલ છે. તેવામાં તેમણે એવી માંગણી પણ કરી હતી કે, સરકાર તેમને મકાન ખાલી કરવા માટે થોડો સમય આપે, ત્યાં સુધીમાં તેઓ કોઈ વ્યવસ્થા કરી શકે. 

    મીડિયાએ આ વિડીયોને ખૂબ ચલાવ્યો અને ડૉક્ટરને હાથો બનાવીને સરકારને ટાર્ગેટ કરવાની એક પણ તક ન છોડી. સોશિયલ મીડિયા પર બની બેઠેલા કથિત બુદ્ધિજીવીઓએ પણ સરકારની ટીકા કરવાની શરૂ કરી દીધી. પરંતુ હવે એક નવો વિડીયો સામે આવ્યો છે અને સાથે એક એવા સમાચાર પણ સામે આવ્યા છે, જે આ મીડિયા અને બુદ્ધિજીવીઓની ગેંગને મૂળમાંથી ખોટા સાબિત કરે છે. હકીકતમાં મીડિયા સાથે વાત કરતા સમયે ડૉક્ટર ખૂબ તણાવગ્રસ્ત હતા અને માહિતીથી અજાણ હતા, તેથી તેમણે કારણ વગર સરકાર પર પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.

    પરંતુ તે પછી જ્યારે મીડિયા અને બુદ્ધિજીવીઓના વિશેષ વર્ગે સીધા સરકારને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું ત્યારે જઈને આ મુદ્દો ખૂબ સંવેદનશીલ બની ગયો. ડૉક્ટર પોતાની જગ્યા પર યોગ્ય હતા. કારણ કે, તેમને સરકાર તરફથી મળી ચૂકેલી સુવિધાઓ વિશેનો કોઈ ખ્યાલ નહોતો. બની શકે કે, તેઓ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની સારવારમાં વ્યસ્ત હોય અને તેમની પોતાની દીકરી પણ ઇજાગ્રસ્ત હોવાથી તેઓ માનસિક રીતે પણ અસ્વસ્થ હોય શકે છે. તેવામાં તેમને આ બધી જાણકારી ન હોય એ સ્વાભાવિક છે. પરંતુ, મીડિયાએ પુષ્ટિ કે તપાસ કરવાની જગ્યાએ સીધું પ્રશાસનને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું. 

    સરકારે બધી સુવિધા આપી, તણાવમાં સમજી ન શકાયું- ડૉક્ટર

    ડૉક્ટરના કેસમાં હકીકત એ છે કે, તેમને 24 કલાકમાં મકાન ખાલી કરવાના આદેશ અપાયા હતા. પરંતુ તે પહેલાં તેમને 2 મકાન પણ ફાળવી દેવાયા હતા. ઇમારત ખાલી કરાવવા પાછળનું કારણ એ છે કે, પ્લેન ક્રેશની જ્વાળાઓના ભીષણ તાપમાનના કારણે ઇમારતનો પાયો ખોખલો થઈ જવાની સંભાવના હતી. તેના કારણે ત્યાં રહેવું શક્ય નહોતું. કારણ કે, ત્યાં રહેવાથી જીવનું જોખમ પણ ઊભું થઈ શકે તેમ હતું. તેથી તમામ લોકોને તે ઇમારત ખાલી કરી દેવા માટેનું કહેવામાં આવ્યું હતું. 

    આ ઉપરાંત ડૉક્ટરને બે મકાન પણ પહેલાં જ આપી દેવામાં આવ્યા હતા. બીજા મકાનમાં તેમનો સામાન પણ પ્રશાસને પોતે શિફ્ટ કરાવી આપ્યો હતો. જ્યારે આ બધી બાબતોની જાણ થઈ, ત્યારે ડૉક્ટર અનિલે પોતે વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી હતી કે, તેઓ તણાવમાં હતા, તેથી તેઓ સમજી શકે તે સ્થિતિમાં ન હતા. વધુમાં તેમણે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

    તેમણે વિડીયોમાં કહ્યું કે, “હું બે દિવસથી આઘાતજનક ઘટનાના કારણે માનસિક રીતે પરેશાન છું. મારી દીકરી પણ ઇજાગ્રસ્ત છે. હું શું બોલી ગયો એ મને પોતાને પણ ખબર નથી. હું જે બોલી ગયો એવું કશું નથી, તણાવમાં સમજી શકાયું નહીં. મને ખૂબ મદદ મળી છે. પોલીસ, પ્રશાસન અને હૉસ્પિટલ તરફથી મને ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. હાલ મારો પરિવાર અને હું બધા જ સુરક્ષિત છીએ. અમને પહેલાં પણ એક મકાન આપવામાં આવ્યું હતું અને હવે બીજું પણ આપવામાં આવ્યું છે.” 

    વધુમાં ડૉક્ટરે એવું પણ કહ્યું છે કે, “મારી પત્નીને એક મકાન આપી દેવામાં આવ્યું હતું, પરંતુ અમારી વાતચીત થઈ શકી નહોતી. તેથી તેના વિશેની મને કોઈ જાણ નહોતી. તે જ મકાનમાં અમારો બધો સામાન પ્રશાસન તરફથી શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. હું પ્રશાસન અને હૉસ્પિટલનો ખૂબ-ખૂબ આભાર માનું છું.”