ઈરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે લગભગ 3 અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધના કારણે સમગ્ર મધ્ય-પૂર્વમાં તણાવની સ્થિતિ છે. આ દરમિયાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ઈરાને બંધ કરી દીધો છે જેના કારણે ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. આ સિવાય ભારતમાં LPGનો ભાવ પણ વધ્યો છે. આ બાબતને કેન્દ્રમાં રાખીને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને અમુક મીડિયા ચેનલોમાં ગુજરાતના સુરતમાં LPG સિલિન્ડરની અછત અને પશ્ચિમ એશિયાના સંકટને કારણે મજૂરોના મોટાપાયે પલાયનના સમાચારો ફરી રહ્યા છે. જોકે હવે રેલવેએ આ સમાચારોનું ખંડન કર્યું છે.
તાજેતરમાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભીડભાડના ફોટા અને વિડીયો વાયરલ થયા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો કે ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને રસોઈ ગેસ ન મળવાથી ઘરે પરત ફરી રહ્યા છે. આ સમાચારોમાં કહેવાયું કે ગેસના ભાવ આકાશને આંબી રહ્યા છે, કેટલાક સ્થળોએ એક કિલો ગેસ માટે 500 રૂપિયા સુધીના દર વસૂલાઈ રહ્યા છે, જેથી મજૂરોને રોટી માટે પણ મુશ્કેલી પડી રહી છે અને ફેક્ટરીઓ બંધ થઈ રહી છે.

આવા અહેવાલોમાં ઇન્ડિયન એક્સપ્રેસ અને પ્રભાસક્ષી જેવા મીડિયાએ વિગતો આપી કે મજૂરો રજિસ્ટ્રેશન બુક વિના ગેસ ભરાવવા માટે 2500 રૂપિયા સુધી ચૂકવી રહ્યા છે, જે તેમની આવકની બહાર છે. કેટલાક મજૂરોએ કહ્યું કે તેઓ દિવસો સુધી ગેસ વિના રહ્યા છે અને ફેક્ટરીઓ અઠવાડિયામાં એક-બે દિવસ બંધ રહે છે. આ સંકટને પશ્ચિમ એશિયાના યુદ્ધ અને ઈરાન સાથે જોડાયેલા વિક્ષેપને કારણે બતાવવામાં આવ્યું.

બહોળા પ્રમાણમાં આ ભ્રામક સમાચાર વહેતા થવાના કારણે વેસ્ટર્ન રેલવેએ સંજ્ઞાન લીધું અને આ દાવાઓનું ખંડન કર્યું છે. પશ્ચિમ રેલવેએ X પર પોસ્ટ કરતા આ દાવાઓનું ફેક્ટ ચેક કરતા લખ્યું કે, ઉધના રેલવે સ્ટેશન પર કથિત ભીડને લગતા ભ્રામક અહેવાલોને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વાસ્તવિક પરિસ્થિતિ રેકોર્ડ પર મૂકવામાં આવે છે.”
Fact Check: Misleading Claims vs Actual Situation at Udhna Station
— Western Railway (@WesternRly) March 20, 2026
In view of misleading reports pertaining to alleged overcrowding at Udhna Railway Station, Railways hereby places the factual on-ground situation on record.
Time-stamped videos of Udhna Railway Station are… pic.twitter.com/hCKms8JSNo
રેલવેએ ઉધના રેલવે સ્ટેશનના અન્ય વિડીયો પણ શેર કરતા લખ્યું હતું કે આ દ્રશ્યો સ્પષ્ટપણે સાબિત કરે છે કે મુસાફરોની અવરજવર સામાન્ય, વ્યવસ્થિત અને સુનિયોજિત છે. રેલવેએ લખ્યું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. રેલવે એ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં મુસાફરોની સંખ્યા સામાન્ય છે, જેમાં ભીડ વ્યવસ્થાપન, સ્ટાફની તહેનાતી અને મુસાફરોની સુવિધા માટે નિયમિત અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સિવાય રેલવેએ મુસાફરીની સંખ્યામાં થયેલ વધારા અંગે પણ સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે મુસાફરોની સંખ્યામાં જે થોડો અને અપેક્ષિત વધારો જોવા મળ્યો છે તે મોસમી પ્રવાસની પદ્ધતિ મુજબ છે, જે આગામી ઈદ અને રામનવમીના તહેવારો તેમજ શાળાઓમાં વેકેશનને કારણે છે. રેલવેએ જનતાને અપીલ કરી છે તેઓ માત્ર રેલવેએ જારી કરેલ સત્તાવાર સંદેશાઓ પર જ વિશ્વાસ કરે અને પુષ્ટિ વગરના તેમજ ભ્રામક સમાચારો ફેલાવવાથી અથવા તેના પર અમલ કરવાથી દૂર રહે.


