Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ, દારૂ કૌભાંડ મામલે કાર્યવાહી 

    દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ, દારૂ કૌભાંડ મામલે કાર્યવાહી 

    આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી અને હવે તેમને પકડી લેવામાં આવ્યા છે. 

    - Advertisement -

    દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ થઇ છે. તેઓ આજે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે CBI સમક્ષ હાજર થયા હતા. આખરે એજન્સીએ તેમની ધરપકડ કરી લીધી છે. 

    મનિષ સિસોદિયા રવિવારે (26 ફેબ્રુઆરી, 2023) સવારે CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. ત્યારબાદ આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી અને હવે તેમને પકડી લેવામાં આવ્યા છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂછપરછ દરમિયાન સિસોદિયા CBIના અધિકારીઓ સામે બચાવ કરી શક્યા ન હતા. આ ઉપરાંત અમુક બ્યુરોક્રેટનાં નિવેદનો પણ લેવામાં આવ્યાં હતાં. એજન્સીએ જણાવ્યું કે અધિકારીએ તેમને જણાવ્યું હતું કે એક્સાઇઝ પોલિસી ઘડવામાં મનિષ સિસોદિયાએ અગત્યની ભૂમિકા ભજવી છે. 

    - Advertisement -

    CBIએ આ બાબતો અને પુરાવાઓને ધ્યાને લઈને મનિષ સિસોદિયાની ધરપકડ કરી લીધી છે. આજે તેમને હિરાસતમાં રાખવામાં આવશે ત્યારબાદ નિયમાનુસાર આવતીકાલે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

    દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે હાલ CBI તપાસ કરી રહી છે, જેમાં મનિષ સિસોદિયા પણ આરોપી છે. આ ભ્રષ્ટાચારના કેસ મામલે જ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં મનિષ સિસોદિયાના ઘરે દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેમણે બજેટનું બહાનું કાઢ્યું હતું. પછીથી એજન્સીએ નવી તારીખ આપીને આજે હાજર થવા માટે કહ્યું હતું. ત્યારબાદ આજે તેઓ હાજર થયા હતા.

    ગત વર્ષે નવેમ્બરમાં લાવવામાં આવેલ દિલ્હી એક્સાઈઝ પોલિસી બનાવવા અને તેના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓ મામલે સીબીઆઈ દ્વારા એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી તે સંદર્ભે જ ચાલી રહી છે. FIRમાં મનિષ સિસોદિયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. 

    મનિષ સિસોદિયા અને અન્યો પર એક્સાઈઝ પોલિસી બનાવવા અને તેનો અમલ કરવામાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. સાથે ઉપરાજ્યપાલની પરવાનગી વગર શરાબ ઉત્પાદકોને ફાયદો પહોંચાડવાનો, શરાબ વિતરકોની ઈએમડી પરત કરવાનો અને L1, L7 લાયસન્સ આપવાની પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાનો પણ આરોપ છે. સિસોદિયાએ કોરોનાના બહાને લાયસન્સ આપવાના નિયમોમાં પણ ઘાલમેલ કરી હોવાનો અને ટેન્ડર બાદ દારૂના ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કરવાનો પણ આરોપ લાગ્યો છે. 

    પુરાવાઓ નષ્ટ કરવાનો પણ આરોપ

    મનિષ સિસોદિયા સામે આ કેસના પુરાવાઓ નષ્ટ કરવાનો પણ એક આરોપ છે. આગળ સામે આવ્યું હતું કે શરાબ કૌભાંડમાં સામેલ આરોપીઓ ઘણા મોબાઈલ ફોન વાપરતા હતા અને સાથે જ પુરાવાઓ નષ્ટ કરવા માટે આ મોબાઈલ પણ નષ્ટ કરી દેતા હતા. ઇડીએ કોર્ટમાં આ પ્રકારના 36 લોકોના નામ અને મોબાઈલ નંબર રજૂ કર્યા છે. જેમાં મનિષ સિસોદિયાએ પણ ચાર મોબાઈલ નંબર વાપરી કુલ 14 મોબાઈલ બદલ્યા હોવાનું સામે આવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં