Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆરોપીઓએ નષ્ટ કર્યા હતા પુરાવા, મનિષ સિસોદિયાએ બદલ્યા હતા 14 મોબાઈલ: દારૂ...

    આરોપીઓએ નષ્ટ કર્યા હતા પુરાવા, મનિષ સિસોદિયાએ બદલ્યા હતા 14 મોબાઈલ: દારૂ કૌભાંડ મામલે ઇડીનો મોટો ખુલાસો, એક રાજ્યના CMની પુત્રીનું પણ નામ સામે આવ્યું

    ઇડીએ કોર્ટને જણાવ્યું કે, નવી એક્સાઇઝ પોલિસી બાદ શરાબના હોલસેલ વિક્રેતા પોતાની 12 ટકા કમાણીનો અડધો હિસ્સો AAP નેતાઓને આપતા હતા.

    - Advertisement -

    દિલ્હી સરકારના દારૂ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી એજન્સી ઇડીએ કેસને લઈને મોટા ખુલાસા કર્યા છે. ઇડીએ કોર્ટ સમક્ષ કહ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયા સહિતના આરોપીઓએ અનેક વખત પોતાના ફોન બદલ્યા હતા તેમજ પુરાવા નષ્ટ કર્યા હતા. બીજી તરફ, તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાનું પણ નામ સામે આવ્યું છે. 

    ઇડીએ કોર્ટમાં રિમાન્ડ એપ્લિકેશન દાખલ કરીને કહ્યું છે કે શરાબ કૌભાંડમાં સામેલ આરોપીઓ ઘણા મોબાઈલ ફોન વાપરતા હતા અને સાથે જ પુરાવાઓ નષ્ટ કરવા માટે આ મોબાઈલ પણ નષ્ટ કરી દેતા હતા. ઇડીએ કોર્ટમાં આ પ્રકારના 36 લોકોના નામ અને મોબાઈલ નંબર રજૂ કર્યા છે. જેમાં મનિષ સિસોદિયાએ પણ ચાર મોબાઈલ નંબર વાપરી કુલ 14 મોબાઈલ બદલ્યા હોવાનું કહેવાયું છે.

    ઇડીએ જણાવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા આરોપીઓએ કુલ 170 મોબાઈલ ફોન બદલ્યા હતા, જેમાંથી 17 જપ્ત કરી લેવામાં આવ્યા છે. ઇડીનું કહેવું છે કે કૌભાંડ સબંધિત પુરાવાઓ આ મોબાઈલમાંથી જ મળ્યા છે. ઇડીએ કહ્યું કે, જો આ મોબાઈલ અને લેપટોપ નષ્ટ ન થયાં હોત તો હજુ મોટો ખુલાસો થઇ શક્યો હોત. 

    - Advertisement -

    બીજી તરફ, આ દારૂ કૌભાંડ કેસમાં તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાનું પણ નામ સામે આવ્યું છે. આ મામલે ઇડીએ કોર્ટને જણાવ્યું કે, નવી એક્સાઇઝ પોલિસી બાદ શરાબના હોલસેલ વિક્રેતા પોતાની 12 ટકા કમાણીનો અડધો હિસ્સો AAP નેતાઓને આપતા હતા. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે વિજય નાયરે AAP નેતાઓ તરફથી સાઉથ ગ્રુપ નામના એક સમૂહ પાસેથી ઓછામાં ઓછા 100 કરોડની રિશ્વત લીધી હતી. સાઉથ ગ્રુપ શરત રેડ્ડી, કે કવિતા, મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડી દ્વારા ચલાવવામાં આવે છે. આ બાબતનો ખુલાસો કેસના જ આરોપી અમિત અરોડાએ કર્યો છે. 

    ઇડીએ કોર્ટમાં જણાવ્યું છે કે, વિજય નાયરે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે તે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની કેમ્પ ઓફિસથી કામ કરતો હતો અને 2020થી દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના સરકારી આવાસમાં રહેતો હતો. રિપોર્ટ્સ અનુસાર, મંત્રી ગેહલોત પોતાના ખાનગી આવાસમાં રહે છે. જ્યારે નાયર પાસે દિલ્હીમાં કોઈ ઘર ન હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    ઇડીએ એ પણ દાવો કર્યો છે કે વિજય નાયર AAPનો સામાન્ય કાર્યકર્તા નહીં પરંતુ સીએમ કેજરીવાલનો નજીકનો વ્યક્તિ હતો. એવો પણ ખુલાસો થયો છે કે શરાબ કૌભાંડથી થતી કમાણીનો મોટો હિસ્સો નાયરના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતાઓ સુધી પહોંચતો હતો. 

    એજન્સીએ એમ પણ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીએ શરાબ નીતિ એ રીતે બનાવી હતી જેથી શરાબ નિર્માતા અને તેના હોલસેલર વચ્ચે તાલમેલ બને અને તેનાથી હોલસેલર 12 ટકા અને રિટેલર 185 ટકા સુધીની કમાણી કરતા હતા. ઉપરાંત, એમ પણ જણાવ્યું છે કે મહાદેવ લિકર નામની એક કંપની કમાણીનો 6 ટકા હિસ્સો આપવા તૈયાર ન હતી, તેથી અમિત રોડએ પંજાબ સરકાર અને દિલ્હી સરકારની મદદથી મહાદેવ લિકરને કંપની સરેન્ડર કરવા અને ત્યારબાદ લાયસન્સ સરેન્ડર કરવા માટે દબાણ કર્યું હતું. 

    જાણવા મળ્યું છે કે, અમિત અરોડાએ મહાદેવ લિકર કંપનીને કહ્યું હતું કે જો તેઓ 6 ટકા નહીં આપે તો પંજાબમાં ચાલતી શરાબની ફેકટરીઓ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ પંજાબના એક્સાઇઝ વિભાગના અધિકારીઓના મૌખિક આદેશથી કંપનીની ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી હતી. 

    ઇડીએ જણાવ્યું કે, આરોપી અમિત રોડએ ખંડણી થકી અઢી કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. તે પંજાબના પટિયાલામાં મેન્યુફેક્ચરર અને રિટેલર છે. જેથી તેને દિલ્હીમાં શરાબ માટે લાયસન્સ આપવું એ નિયમોની વિરુદ્ધ છે. જેથી તમામ દલીલોના આધારે ઇડીએ કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જોકે, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં