Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂછપરછ માટે CBI સમક્ષ હાજર થયા મનિષ સિસોદિયા, AAPને ધરપકડનો ડર: કેજરીવાલે...

    પૂછપરછ માટે CBI સમક્ષ હાજર થયા મનિષ સિસોદિયા, AAPને ધરપકડનો ડર: કેજરીવાલે કહ્યું- જેલમાંથી જલ્દી પાછા આવજો

    કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ ટ્વિટર ગજવી મૂક્યું છે અને સિસોદિયાના સમર્થનમાં એક પછી એક ટ્વિટ કરવામાં આવી રહ્યાં છે.

    - Advertisement -

    દારૂ કૌભાંડમાં સંડોવાયેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા પૂછપરછ માટે CBI સમક્ષ હાજર થયા છે. જેને લઈને દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ ટ્વિટર ગજવી મૂક્યું છે અને સિસોદિયાના સમર્થનમાં એક પછી એક ટ્વિટ કરવામાં આવી રહ્યાં છે. 

    આજે સવારે દિલ્હી પોલીસે મનિષ સિસોદિયાના નિવાસસ્થાનની બહાર પણ સુરક્ષા વધારી દીધી હતી. સવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમના ઘરે પહોંચી ગયા હતા. ત્યારબાદ સિસોદિયા મોહનદાસ ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા હતા. જ્યાંથી CBI ઓફિસ પહોંચ્યા, જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. 

    એક તરફ CBI મનિષ સિસોદિયાની પૂછપરછ કરી રહી છે અને બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને તેમની ધરપકડનો ડર સતાવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ સવારથી અનેક ટ્વિટ કરી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ ઉપરાછાપરી ટ્વિટ કરીને મનિષ સિસોદિયાને નિર્દોષ જાહેર કરી ચૂક્યા છે.

    - Advertisement -

    અરવિંદ કેજરીવાલે લખ્યું કે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે મનિષ સિસોદિયા જેલમાંથી જલ્દી પરત ફરે. તેમણે લાખો બાળકો અને તેમના માતા-પિતાના આશીર્વાદ તેમની સાથે હોવાનું કહીને ઉમેર્યું કે તેઓ તમામ તેમની રાહ જોશે. જોકે, એ નોંધવું જોઈએ કે હજુ સુધી સિસોદિયાની ધરપકડ કે અટકાયત કશું જ થયું નથી, તેઓ માત્ર પૂછપરછ માટે હાજર થયા છે.

    રાજઘાટ પર મનિષ સિસોદિયાએ એક ટૂંકું ભાષણ આપતાં કહ્યું હતું કે, “આજે જ્યારે આ લોકો મને જેલમાં મોકલી રહ્યા છે ત્યારે મારી પત્ની ઘરે એકલી જ રહેશે. મારો એક પુત્ર છે જે યુનિવર્સીટીમાં ભણે છે. તમારે ધ્યાન રાખવાનું છે.” જે વિડીયો ક્વોટ કરતાં કેજરીવાલે લખ્યું કે, મનિષ સિસોદિયાએ ચિંતા કરવાની જરૂર નથી અને તેઓ તેમના પરિવારનું ધ્યાન રાખશે. 

    મનિષ સિસોદિયાએ કહ્યું કે તેઓ જેલમાંથી બાળકોની ખબર રાખતા રહેશે અને જો ખબર પડે કે તેમણે અભ્યાસમાં બેદરકારી દાખવી છે તો તેઓ ભોજન નહીં કરે. ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયા દિલ્હીના શિક્ષણ મંત્રી પણ છે. જોકે, આ કેસ એક્સાઇઝ વિભાગને લગતો છે, જે પણ તેમના હસ્તક આવે છે. 

    દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે હાલ CBI તપાસ કરી રહી છે, જેમાં મનિષ સિસોદિયા પણ આરોપી છે. આ ભ્રષ્ટાચારના કેસ મામલે જ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં મનિષ સિસોદિયાના ઘરે દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેમણે બજેટનું બહાનું કાઢ્યું હતું. પછીથી એજન્સીએ નવી તારીખ આપીને આજે હાજર થવા માટે કહ્યું હતું, હવે તેઓ હાજર થયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં