Sunday, September 8, 2024
More
    Home Blog Page 1049

    ધામીનો ધમાકો: પહેલીવાર હાર્યા પછી પણ પેટાચૂંટણીમાં રેકોર્ડ માર્જીનથી અભૂતપૂર્વ જીત મેળવી મોદી-શાહનો વિશ્વાસ જાળવ્યો

    તાજેતરમાં જ યોજાયેલી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની હાર થઇ હતી. જોકે, તેમ છતાં પાર્ટીએ તેમની ઉપર જ વિશ્વાસ મૂકી મુખ્યમંત્રી તરીકે રિપીટ કર્યા હતા. હવે, પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રેકોર્ડ માર્જિનથી જીત મેળવી છે. 

    પુષ્કરસિંહ ધામીએ ચંપાવત બેઠક પરથી ઉમેદવારી કરી હતી. તેમની સામે કોંગ્રેસે નિર્મલા ગહતોડીને ઉતાર્યાં હતાં. જોકે, પુષ્કરસિંહ ધામીએ રેકોર્ડબ્રેક માર્જિનથી કોંગ્રેસ ઉમેદવારને હરાવ્યાં છે. પુષ્કરસિંહને 57,268 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 3147 મતો મળ્યા હતા. આમ ધામીએ 54,121 મતોથી વિજય મેળવ્યો છે. ઉત્તરાખંડના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રીએ આટલા મોટા માર્જિનથી જીત મેળવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

    ચૂંટણીમાં જીત બાદ પુષ્કરસિંહ ધામીએ ચંપાવતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “મને સમર્થન આપનાર ચંપાવતની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું.” બીજી તરફ, પરિણામો જાહેર થયા બાદ તેમના સમર્થકોએ ઢોલ-નગારા સાથે ઉજવણી શરૂ કરી દીધી હતી.

    ચંપાવત પેટાચૂંટણી માટે ગત 31 મેના રોજ મતદાન થયું હતું. અહીં 64.14 ટકા મતદાન નોંધાયું હતું. જે બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતથી જ પુષ્કરસિંહ ધામી આગળ ચાલી રહ્યા હતા. આખરે દસ રાઉન્ડની મતગણતરી બાદ તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા અને પુષ્કરસિંહ ધામીએ રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.

    ગત ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તરાખંડમાં પણ ચૂંટણી થઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી તો જીતી હતી પરંતુ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પોતાની બેઠક પરથી હારી ગયા હતા. ભાજપે રાજ્યની કુલ 70 માંથી 47 બેઠકો પર જીત મેળવી હતી. જેની સાથે પાર્ટીએ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો, પરંતુ સીએમ પુષ્કરસિંહ ધામી તેમની ખટીમા બેઠક પરથી હાર્યા હતા.

    પુષ્કરસિંહ ધામીની હાર થતાં રાજકીય વર્તુળોમાં એ ચર્ચા પણ શરૂ થઇ ગઈ હતી કે તેમને મુખ્યમંત્રી તરીકે ફરીથી રિપીટ કરાશે કે કેમ. જોકે આખરે ભાજપના મોવડી મંડળે તેમની ઉપર જ વિશ્વાસ દાખવીને ફરીથી મુખ્યમંત્રી બનાવ્યા હતા. જે બાદ 23 માર્ચે પુષ્કરસિંહ ધામીએ સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 

    પુષ્કરસિંહ ધામીના વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવી લીધો હતો. એક ટ્વિટમાં ધામીને અભિનંદન પાઠવતા તેમજ ચંપાવતના મતદારોનો ધન્યવાદ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ધામી ઉત્તરાખંડના વિકાસ માટે વધુ મહેનત કરશે.

    બંધારણના નિયમ અનુસાર, કોઈ વ્યક્તિ ચૂંટણી લડ્યા વગર પણ મુખ્યમંત્રી બની શકે છે પરંતુ શપથ લીધાના છ મહિનામાં તેણે ધારાસભ્ય પદ મેળવવું પડે છે. જે માટે પેટાચૂંટણી કરાવવામાં આવે છે.  ચંપાવત બેઠક પરથી ગત મહિને ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી જાહેર થઇ હતી અને એ બેઠક પરથી પુષ્કરસિંહ ધામી લડ્યા હતા, જેમાં તેમને જીત મળી છે અને આગામી પાંચ વર્ષ સુધી સીએમ રહેવાનો માર્ગ મોકળો બન્યો છે.

    કાશ્મીરમાં હિંદુઓની હત્યાનો સિલસિલો યથાવત : આતંકીઓએ બિન-કાશ્મીરી હિંદુ શ્રમિકોને નિશાન બનાવ્યા, એકનું મોત

    કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિંદુઓને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત છે. ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં હિંદુઓની થઇ રહેલી હત્યા વચ્ચે કાશ્મીરમાં કામ કરતા હિંદુ સરકારી કર્મચારીઓ ઘાટી વિસ્તાર છોડી રહ્યા છે. કાશ્મીરના કુલગામમાં તાજેતરમાં જ એક હિંદુ બેન્ક કર્મચારીની હત્યા બાદ ક્ષેત્રમાં ફરીથી તણાવ વધી ગયો છે.

    હવે કાશ્મીરમાં ફરીથી બિનકાશ્મીરી હિંદુઓ પર હુમલો થવાનો બનાવ બન્યો છે. મધ્ય કાશ્મીરના બડગામ ખાતે આતંકવાદીઓએ ગઈકાલે બિનકાશ્મીરી હિંદુઓને નિશાન બનાવ્યા હતા. આ બંને બડગામ જિલ્લાના ચદૂરા ગામમાં એક ઈંટના ભઠ્ઠા પર કામ કરી રહ્યા હતા. 

    ઘટનામાં જેમાં બિહારના 17 વર્ષીય નાગરિક દિલખુશ કુમારને ગોળી વાગવાથી તેનું મોત થયું જ્યારે અન્ય એક પંજાબના વતની રાજનને ગોળી વાગવાથી તેને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તે સારવાર હેઠળ છે.

    ગુરુવારે મોડી સાંજે આ બનાવ બન્યો હતો. રાત્રે લગભગ 9:20 વાગ્યે જમ્મુ-કાશ્મીર પોલીસને બડગામના ચદૂરા ખાતે આતંકવાદીઓએ બે શ્રમિકો પર ફાયરિંગ કર્યું હોવાની જાણકારી મળી હતી. જે બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે જવા માટે રવાના થયો હતો. 

    રિપોર્ટ અનુસાર, બંનેને ગોળીઓ વાગવાથી ગંભીર ઈજાઓ થઇ હતી, જે બાદ સારવાર માટે તાત્કાલિક બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, એક વ્યક્તિ દિલખુશનું મોત થઇ ગયું હતું જ્યારે રાજન હાલ સારવાર લઇ રહ્યો છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. 

    પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને તપાસ પણ શરૂ કરી છે. હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે આ બનાવ બન્યો તેના થોડા જ કલાકો અગાઉ કાશ્મીરના કુલગામમાં રાજસ્થાનના વતની અને બેંકમાં મેનેજર તરીકે કામ કરતા વિજય કુમારની આતંકવાદીઓએ હત્યા કરી નાંખી હતી. તેમને તેમની ઓફિસમાં જ મારવામાં આવ્યા હતા. હુમલા બાદ તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા ન હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના જ સહયોગી સંગઠન ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી હતી.

    કાશ્મીર ઘાટીમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હોય તેવો છેલ્લા બે મહિનામાં આ ચોથો કિસ્સો છે. આ પહેલાં ગત મે મહિનાના અંતમાં કાશ્મીરના ગોપાલપોરામાં એક હિંદુ શિક્ષિકાની હત્યા કરી નાંખવામાં આવી હતી. હાઈસ્કુલમાં નોકરી કરતાં શિક્ષિકાને સ્કુલમાં ઘૂસીને ગોળી મારવામાં આવી હતી.

    તે પહેલાં 12 મેના રોજ કાશ્મીરમાં આતંકવાદીઓએ કાશ્મીરની એક સરકારી કચેરીમાં ઘૂસીને રાહુલ ભટ નામના હિંદુ યુવાનની હત્યા કરી નાંખી હતી. સાંજે લગભગ સાડા ચાર વાગ્યાના અરસામાં રાહુલ ભટ તેમની ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ઘૂસીને તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. રાહુલ ભટ બિનકાશ્મીરી હિંદુઓના રોજગાર માટેના વિશેષ પેકેજ માટે કામ કરતા હતા. 

    કાશ્મીરમાં હિંદુઓની થઇ રહેલી હત્યા મામલે આજે ગૃહમંત્રી અમિત શાહ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરવા જઈ રહ્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ, સ્થાનિક વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ ભાગ લેશે. તે પહેલાં ગઈકાલે ગૃહમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને રૉ ચીફ સાથે પણ બેઠક કરી હતી.

    હાર્દિક ભાજપમાં જવાની સાથે જ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની હતાશા સામે આવી, ભાજપ માટે કર્યો અપશબ્દોનો ઉપયોગ, ગુજરાત પોલીસને ધમકી આપી

    કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલ હવે ભાજપના થઇ ગયા છે. ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં હાર્દિક પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જોકે, હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે કે ભાજપમાં જાય તેનાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે તેમ કહેનારા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હતાશા પહેલા જ દિવસે સામે આવી ગઈ છે. એક કાર્યક્રમ દરમિયાન જગદીશ ઠાકોરે ભાજપ નેતાઓ માટે અપશબ્દો વાપર્યા તો ગુજરાત પોલીસને પણ ધમકી આપી હતી.

    આપણને ખબર જ છે કે આ પ્રકારના નિવેદનો આપવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર જાણીતા છે. અરવલ્લીના ભિલોડા ખાતે આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ભાજપ શાસકો અંગે તેમણે અપશબ્દો વાપર્યા હતા તો ગુજરાત પોલીસને પણ ખુલ્લી ધમકી આપી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપ શાસકો નરભક્ષકો છે અને લોહી ચાખી ગયા છે. હાજર જનતાને કહ્યું કે, તેઓ તેમનાથી ચેતીને ચાલે. તેમણે ભાજપ નેતાઓ પર માત્ર ચૂંટણી સમયે જ ભગવાન રામને યાદ કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો કે તેમના (કોંગ્રેસ) મોઢે તો હંમેશા રામ હોય છે! તેમણે ભાજપ નેતાઓને ‘બહુરૂપિયા’ પણ ગણાવ્યા હતા.

    એટલું જ નહીં, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસને લઈને પણ ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે રાજ્યના પોલીસ કર્મચારીઓ પર ભાજપ સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. સભામાં તેમણે કહ્યું, “રાજ્યમાં પાંચ ટકા પોલીસકર્મીઓ રાજ્ય સરકારના ઈશારે કામ કરી રહ્યા છે. જો અમારી સરકાર આવશે તો આ કર્મચારીઓને પાંચસો કિલોમીટર કપડાં વગર દોડાવીશું.”

    કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના આ નિવેદનો અંગે ભાજપ તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસનું ભવિષ્ય ધૂંધળું છે અને જગદીશ ઠાકોરની આગેવાનીમાં લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે અને એટલે જ તેઓ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે એલફેલ નિવેદનો આપી રહ્યા છે. તેઓ તણાવમાં છે અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.

    એક પછી એક પાર્ટી છોડી જતા નેતાઓ અને બીજી તરફ સતત ચૂંટણીઓમાં થતી હારના કારણે કોંગ્રેસ નેતાઓ અને ખાસ કરીને ગુજરાતનું નેતૃત્વ હતાશ થતું જણાય છે. એક તરફ પૂરતું જનસમર્થન મળી રહ્યું નથી અને બીજી તરફ જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલ અને આ જ ભિલોડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા જેવા નેતાઓ તેમજ નજીકના ભૂતકાળમાં કેટલાક ધારાસભ્યો પણ પાર્ટી છોડી જવાના કારણે નેતાઓમાં હતાશા જોવા મળી રહી છે.

    આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને AIMIM પણ જોવા મળશે. જેથી અમુક બેઠકો ઉપર આમ આદમી અને AIMIM પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. ભૂતકાળમાં પણ સ્થાનિક ચૂંટણીઓમાં આ બંને પાર્ટીઓના કારણે કોંગ્રેસને નુકસાન થતું જોવા મળ્યું હતું. એમાં પણ જો આમ આદમી પાર્ટી મજબૂત બને તો ગુજરાતમાંથી કોંગ્રેસનું પત્તું સાફ થવાની શક્યતા રહે છે. આ સ્થિતિમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું આ પ્રકારનું નિવેદન આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે સમસ્યા સર્જી શકે છે.

    ચૂંટણી પહેલાં પોતાની પાર્ટી માટે એક તરફ પહેલેથી જ કપરાં ચઢાણ છે ત્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનાં આવાં નિવેદનો પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન સાબિત થાય તો નવાઈ નહીં. એ પણ નોંધવું જોઈએ કે હાલમાં જ યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્ય પોલીસને આ જ પ્રકારની ધમકી આપી હતી. એ પણ નોંધનીય છે કે યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સ્પષ્ટ બહુમતીએ વિજય થયો હતો, જ્યારે સમાજવાદી પાર્ટી હાલ વિપક્ષમાં છે. 

    રાજકારણ, ચૂંટણી અને સરવે: ફરીથી એક પ્રાયોજીત સરવે સામે આવ્યો; ગુજરાતમાં સરવેથી સંતોષ માનવાવાળા વધી રહ્યા છે

    રાજકારણમાં સરવેનું મહત્વ ઘણું છે. તેમાં પણ ચૂંટણી ટાણે આવા સરવે ઠેરઠેર થવા માંડે છે. બે પ્રકારના સરવે હોય છે. એક, જેમાં ગ્રાઉન્ડ પરની વાસ્તવિક પરિસ્થિતિનો તાળો મેળવવા માટે આંતરિક સરવે કરવામાં આવે. જેની પાર્ટીના અંદરના માણસો સિવાય કોઈને ખબર હોતી નથી. ભાજપ આવા સરવે કરવા માટે જાણીતો છે. ચૂંટણી ન હોય ત્યારે પણ તેઓ સતત આ પ્રકારના આંતરિક સરવે ચાલુ રાખે છે. જોકે, આજે વાત આમ આદમી પાર્ટી વિશે કરવાની છે.

    આગળ વાત ચલાવીએ તે પહેલાં બીજા પ્રકારના સરવેની વાત. આ બીજા પ્રકારનો સરવે કાર્યકર્તાઓમાં જોમ ભરવા માટેનો હોય છે. તે થયો હોય કે નહીં થયો હોય કે તેના પરિણામો શું આવ્યા તેનું કોઈજ મહત્વ નથી. સરવેમાં એવા પરિણામો બતાવવામાં આવે કે સુષુપ્ત થઇ ગયેલા, માહોલ જોઈને હારી-થાકી ગયેલા કાર્યકરમાં જુસ્સો ભરાય અને તે ફરીથી દોડવા માંડે. આ પ્રકારના સરવે પ્રજામાં ભ્રમ ફેલાવવા માટે પણ કરાવવામાં આવતા હોય છે એ પણ આપણે નોંધવું જોઈએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ બંને પ્રકારના સરવે ચાલુ કર્યા હોય તેવું લાગે છે.

    સોશિયલ મીડિયા પર ‘આપ’ સમર્થકો અને નેતાઓએ એક અખબારના સરવેના પરિણામો શૅર કરી રહ્યા છે. તેઓ શૅર કરતા હોય એટલે સ્વાભાવિક પરિણામો તેમના પક્ષે જ હોવાના! સરવેના પરિણામોને સત્ય માનવામાં આવે તો, તે મુજબ, આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો ભાજપને 115 બેઠકો મળે. આમ આદમી પાર્ટીને 49 અને કોંગ્રેસને 18. આનાથી ભાજપીઓને તો કોઈ ફેર નહીં પડે પણ કોંગ્રેસીઓ ચોક્કસપણે અકળાશે.

    ધ્યાનથી જુઓ તો ગણિતના કોઈ દાખલામાં જવાબ પરથી તાળો મેળવી કાઢો એવું આ સરવેમાં કરવામાં આવ્યું છે. કુલ 182માંથી અમુક બેઠકો ભાજપને આપી દેવાઈ, નક્કી કરેલ આંકડો એક પાર્ટીને આપી દેવામાં આવ્યો અને 182 માંથી આ બંનેનો સરવાળો બાદ કરીને વધેલો આંકડો ત્રીજી પાર્ટીને ફાળવી દેવામાં આવ્યો! જાણે અપક્ષ ઉમેદવારો અને ગુજરાતની અન્ય નાની-મોટી પાર્ટીઓનું કંઈ અસ્તિત્વ જ ન હોય!

    અહીં વધારે આશ્ચર્યની વાત એ છે કે આજથી એક-બે મહિના પહેલાં જે પાર્ટીને પોતાના આંતરિક સરવેમાં એકેય બેઠક મળતી ન હતી તેને એક છાપાંના સરવેમાં 49 બેઠકો મળતી બતાવવામાં આવી છે. એ પણ નોંધનીય છે કે હજુ ગયા જ મહિને આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરવેનો હવાલો આપીને હમણાં ચૂંટણી થાય (એટલે કે એપ્રિલમાં) તો પોતાને 60 બેઠકો મળશે તેવો દાવો કર્યો હતો! હવે પાર્ટી મેમાં ચૂંટણી થાય તો 49 બેઠકો મળે તેવા સરવેને પ્રોત્સાહન આપી રહી છે!

    એ પણ નોંધવું જોઈએ કે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવી 120 બેઠકો લાવવાનું કહી ચૂક્યા હતા. ટૂંકામાં, આમ આદમી પાર્ટી જ નક્કી કરી શકતી નથી કે ખરેખર તેમણે કેટલી બેઠકો લાવવાની છે!

    ઑક્ટોબર 2021 માં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ આવા સરવે ફરતા થયા હતા. આમ આદમી પાર્ટી સમર્થકોએ છાપાંના કટિંગ ફેરવવા માંડ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધીનગરમાં ભાજપે કરેલા આંતરિક સરવેમાં આમ આદમી પાર્ટીને 26-30 બેઠકો મળવાનું બહાર આવતા ભાજપનું પ્રદેશ સંગઠન ચિંતામાં પડી ગયું હતું. વધુ મહત્વની વાત એ છે કે આ સરવે પ્રમાણે ભાજપને 12 થી 14 બેઠકો મળતી હતી. 

    જ્યારે ગાંધીનગર ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે તદ્દન વિપરીત પરિણામો આવ્યા હતા. ભાજપની 44 માંથી 41 બેઠકો સાથે એકતરફી જીત થઇ, જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 1 અને કોંગ્રેસને 2 બેઠકો મળી હતી!

    એટલું જ નહીં, ગાંધીનગર ચૂંટણી માટે મતદાનના આગલા દિવસે ગાંધીનગરના એક સ્થાનિક છાપાંની ફ્રન્ટપેજ હેડલાઈન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધીનગરમાં સભાઓ અને રેલીઓમાં ‘જનસૈલાબ’ જોતા મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત છે. પછી પરિણામો શું જાહેર થયાં હતાં તે સુજ્ઞ વાચક જાણે છે.

    (તસ્વીર સાભાર: સોશિયલ મીડિયા)

    ટૂંકમાં, ‘સરવે’ સાથે આમ આદમી પાર્ટીના સબંધો સારા રહ્યા નથી. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ પણ તેમણે ફરીથી સરવેના પરિણામો શૅર કરવાના શરૂ કર્યા છે, તેવા સમયે જમીની સ્તરે આમ આદમી પાર્ટીને મળતા પ્રતિસાદને જોતાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શું આ વખતે પણ આમ આદમી પાર્ટીએ આ સરવેના પરિણામોથી જ સંતોષ માનવો પડશે?

    ઉત્તર રેલ્વેએ કર્યું પંજાબ AAP એમએલએના દાવાનું ફેક્ટ ચેક: અન્યોના કામનો શ્રેય લેવાની AAP નેતાઓની જૂની આદત ફરીથી ખુલ્લી પડી ગઈ

    આમ આદમી પાર્ટીની આગેવાનીવાળી સરકારોને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામો માટે શ્રેય ચોરી કરવાની જૂની આદત છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર ભૂતકાળમાં ઘણી વખત આવું કરી ચૂકી છે, હવે પંજાબમાં નવી બનેલી AAP સરકારે પણ આવું જ કરવાનું શરૂ કર્યું છે. આજે આમ આદમી પાર્ટી ભારતીય રેલ્વે દ્વારા થયેલ કામ માટે શ્રેયનો દાવો કરતી પકડાઈ ગઈ હતી, કારણ કે ઉત્તર રેલ્વેના સત્તાવાર ટ્વિટર હેન્ડલે AAP ધારાસભ્ય દ્વારા આવા દાવાને રદિયો આપ્યો હતો, જેમણે ‘લાંબા સમયથી પેન્ડિંગ’ રેલવે અંડરબ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો.

    ગઈકાલે, AAP ધારાસભ્ય ચરણજીત સિંહે એક ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ભગવંત માન સરકારે લાંબા સમયથી પડતર રેલવે અંડરબ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે જે અગાઉની સરકાર દરમિયાન ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો હતો. શ્રી ચમકૌર સાહિબના ધારાસભ્યએ દાવો કર્યો હતો કે મોરિંડામાં રેલ્વે અંડરબ્રિજનું બાંધકામ 2.5 વર્ષથી વધુ સમયથી ગોકળગાયના માર્ગે આગળ વધી રહ્યું હતું, અને ભગવંત માન સરકારે તેને 3 મહિના કરતાં ઓછા સમયમાં પૂર્ણ કર્યું.

    ચરણજીત સિંહે માહિતી આપી હતી કે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, તેમણે અને મંત્રી હરભજન સિંહએ ગઈ કાલે અંડરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, અને તેના ફોટા પણ પોસ્ટ કર્યા હતા. સિંઘે એમ પણ ઉમેર્યું હતું કે માર્ચમાં તેમણે 30 જૂન સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું અને તેઓએ તે તારીખ પહેલાં તેને પૂર્ણ કરી દીધું હતું.

    જો કે, AAP ધારાસભ્યના દાવાઓ સંપૂર્ણપણે ભ્રામક સાબિત થયા છે, કારણ કે ભારતીય રેલ્વે દ્વારા અંડરબ્રિજ ઘણા સમય પહેલા પૂર્ણ કરવામાં આવ્યો હતો. ઉત્તર રેલ્વે ઝોને માહિતી આપી હતી કે પંજાબમાં AAP સરકાર સત્તામાં આવી તેના મહિનાઓ પહેલા જ ડિસેમ્બર 2021 સુધીમાં રેલવે અંડરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું.

    રેલ્વે ઉત્તર ઝોને વધુમાં ઉમેર્યું હતું કે પૂર્ણ થયેલ અંડરબ્રિજનો ઉપયોગ કરી શકાતો નહોતો કારણ કે એપ્રોચ રોડ પૂર્ણ થયો ન હતો, જે રાજ્ય સરકારની જવાબદારી હતી. તેઓએ કહ્યું કે કામ રેલ્વેના કારણે નહીં પણ રાજ્ય સરકારના કારણે પેન્ડિંગ રહેલું હતું.

    તેથી, તે સ્પષ્ટ છે કે અંડરબ્રિજ ડિસેમ્બર 2021 સુધીમાં જ પૂર્ણ થઈ ગયો હતો, અને ચરણજીત સિંહના દાવા મુજબ AAP સરકાર દ્વારા તે હવે પૂર્ણ થયો નથી. જો કે, એ વાત સાચી છે કે તેઓએ હવે એપ્રોચ રોડનું બાંધકામ પૂર્ણ કર્યું છે, જે રાજ્ય સરકારની જવાબદારી છે અને જે અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન વિલંબિત થઈ હતી.

    22 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા મોરિંડા ખાતેના રેલ્વે અંડરબ્રિજનું ઉદ્ઘાટન 1 જૂનના રોજ ચમકૌર સાહિબના ધારાસભ્ય ડૉ. ચરણજીત સિંઘ સાથે જાહેર બાંધકામ અને ઉર્જા મંત્રી હરભજન સિંહ ETO દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ રેલવે અને પંજાબ સરકાર વચ્ચે 50:50 ખર્ચની વહેંચણી પર અમલમાં મૂકવામાં આવ્યો હતો.

    ઉદ્ઘાટન દરમિયાન, PWD મંત્રીએ માહિતી આપી હતી કે રેલવે દ્વારા રેલવે અંડર બ્રિજ બોક્સનો ભાગ બનાવવામાં આવ્યો છે, જ્યારે RUB ની બંને બાજુએ સર્વિસ રોડ સાથે એપ્રોચ રોડ પંજાબ PWD દ્વારા બનાવવામાં આવ્યો છે. હાલ એપ્રોચ રોડનું કામ પૂર્ણ થયું છે, હજુ સર્વિસ રોડનું બાંધકામ ચાલુ છે.

    શ્રેય ચોરી કરવાની AAPની જૂની આદત

    આ પહેલી વાર નથી કે કોઈ AAP નેતા અથવા AAP સરકારે બીજાના કામોના શ્રેય ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હોય. આ પહેલા અનેક વાર અંરવિંદ કેજરીવાર સમેત ઘણા આપ નેતાઓ શ્રેય ચોરી કરતાં રંગે હાથે પકડાઈ ચૂક્યા છે.

    2020માં કોરોનાકાળ દરમિયાન 10,000 બેડની કોવિડ સુવિધા, જે દિલ્હીમાં રાધા સોમી સત્સંગ બિયાસ સુવિધાની અંદર સ્થાપિત કરવામાં આવી હતી, તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય રાજધાનીની બાબતોનું નિયંત્રણ લીધા પછી કાર્યરત કરવામાં આવી હતી. સુવિધાની સ્થાપનામાં દિલ્હી સરકારની મર્યાદિત ભૂમિકા હોવા છતાં, આમ આદમી પાર્ટી (AAP) એ સોશિયલ મીડિયા પર તેનો શ્રેય ચોરી લરવાનો પ્રયાસ કર્યો હતો.

    AAP નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2018માં જાહેર થયેલ CBSCના સારા પરિણામનો શ્રેય ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સફળ નહોતા રહ્યા.

    કોરોનાના સમયગાળામાં મે 2020 દરમિયાન જ્યારે દિલ્હીથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોનું સ્થળાંતર થઈ રહ્યું હતું ત્યારે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીની AAP સરકારના મંત્રીએ એમ કહીને શ્રેય ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ‘આ પ્રવાસી મજૂરોમાથી 1200 મજૂરોની ટિકિટ એમના દ્વારા ચૂકવાઈ છે’. પરંતુ તે જ સમયે બિહાર સરકારના મંત્રી સંજય કુમાર ઝાએ પ્રમાણ સાથે એમના દવાનું ખંડન કરતાં કહ્યું હતું કે, “મેં દિલ્હીના એક મંત્રીનું ટ્વીટ જોયું કે તેઓ દિલ્હીથી મુઝફ્ફરપુર જઈ રહેલા 1200 પ્રવાસીઓની ટિકિટ માટે ચૂકવણી કરી રહ્યા છે. મારી પાસે અહીં તેમની સરકાર દ્વારા બિહાર સરકાર પાસેથી નાણાંની ભરપાઈ કરવા માટે મોકલવામાં આવેલ એક પત્ર છે.”

    આમ હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને બીજા દ્વારા કરવામાં આવતા કામોનો શ્રેય ચોરી કરવાની આદત પડી ગઈ છે, અને આ માટે તેઓ વારંવાર વિરોધીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સના ટાર્ગેટ પર રહે છે.

    રાજ્યસભાની ચૂંટણીમાં રિસોર્ટ પોલિટિક્સ : કોંગ્રેસે હરિયાણાના 28 ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા રાયપુર મોકલ્યા, સુભાષ ચંદ્રાએ રાજસ્થાનનું ગણિત બગાડ્યું

    રાજ્યસભાની ચૂંટણીમાં રિસોર્ટ પોલિટિક્સ શરુ થઇ ચુક્યું છે, રાજસ્થાનમાં રાજ્યસભાની ચાર અને હરિયાણાની બે બેઠકો માટે 10 જૂને મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ વેગ પકડી રહી છે. કોંગ્રેસે રાજ્યસભાની રાજ્યસભાની ચૂંટણીમાં રિસોર્ટ પોલિટિક્સ શરુ કરી દીધું છે.

    વાત એમ છે કે હરિયાણા કોંગ્રેસે તેના 31માંથી 28 ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેનમાં છત્તીસગઢ મોકલી દીધા છે, જેથી તેમને ક્રોસ વોટિંગ માટે લલચાવી ન શકાય. ગુરુવારે (2 જૂન 2022), હરિયાણા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા, જ્યાં બધા એકઠા થયા અને તે પછી બધા બસ દ્વારા દિલ્હી એરપોર્ટ ગયા.એરપોર્ટ પર એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન પહેલેથી જ પાર્ક હતું, જેમાં આ તમામ ધારાસભ્યો બેસીને રાયપુર ગયા, જ્યાં તેઓ એક રિસોર્ટમાં રોકાશે. બસમાં આ ધારાસભ્યો સાથે દીપેન્દ્ર હુડ્ડા પણ બેઠા હતા, જેમને ધારાસભ્યોને સાથે રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.

    હરિયાણા કોંગ્રેસના પ્રભારી વિવેક બંસલે કહ્યું હતું કે, “તમામ ધારાસભ્યો પહોંચશે ત્યારે તમને ખબર પડશે કે આપણે બધા ક્યાં જઈએ છીએ. દરેક વ્યક્તિ એક છે. સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરે પહોંચી ગયા છે. અહીં જ છે, આપણે બધા ક્યાંક જઈશું પણ મંઝિલ પછી ખબર પડશે. તમામ ધારાસભ્યો એક થઈ ગયા છે. કોઈ ધારાસભ્ય નારાજ નથી. 28 ધારાસભ્યો ‘ચિંતન અને તાલીમ શિબિર’ માટે જઈ રહ્યા છે. 28 ધારાસભ્યોમાંથી ધારાસભ્ય કિરણ ચૌધરી અને અન્ય બે પણ અમારી સાથે પછીથી જોડાશે.

    દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું, “તમામ ધારાસભ્યો ત્યાં (છત્તીસગઢ) જશે. હું ભાજપને તેના હરિયાણાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે કહેવા માંગુ છું.

    કોંગ્રેસે હરિયાણાથી અજય માકનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટી આ વખતે પહેલાથી જ એલર્ટ છે જેથી કરીને કોઈ ખેલ ન થાય. ગત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નેતાગીરી આ વખતે છાશ ફૂંકી ફૂંકીને પી રહી છે. હરિયાણામાંથી રાજ્યસભાની બે બેઠકો ઓગસ્ટમાં ખાલી થશે કારણ કે મીડિયાના દિગ્ગજ સુભાષ ચંદ્રા અને ભાજપના નેતા દુષ્યંત ગૌતમનો કાર્યકાળ સમાપ્ત થશે, જેઓ ભાજપના સમર્થનથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા.જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના વડા અજય સિંહ ચૌટાલાએ જણાવ્યું હતું કે તેમની પાર્ટીના 10 ધારાસભ્યો કાર્તિકેય શર્માને સમર્થન કરશે, જેમણે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

    હરિયાણાની 90 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 40 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 31 ધારાસભ્યો છે. ભાજપના સહયોગી જેજેપી પાસે 10 ધારાસભ્યો છે, જ્યારે ઈન્ડિયન નેશનલ લોકદળ અને હરિયાણા લોકહિત પાર્ટી પાસે એક-એક અને સાત અપક્ષ છે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 3 જૂન છે.

    રાજ્યસભાની બે બેઠકો માટે 10 જૂને મતદાન થશે. રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે હવે કુલ પાંચ ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી ત્રણ કોંગ્રેસના, એક ભાજપ અને એક અપક્ષ છે.10 જૂને મતદાન થશે. રાજસ્થાનમાં ભાજપે અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને સમર્થન આપીને કોંગ્રેસ પાર્ટી માટે નવી મુશ્કેલી ઊભી કરી છે. આ કારણોસર કોંગ્રેસ પાર્ટીએ ક્રોસ વોટિંગથી બચવા માટે આશરો લેવાની રાજનીતિ શરૂ કરી છે. જેના કારણે સત્તાધારી કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ઉદયપુર મોકલવાનો નિર્ણય કર્યો છે.

    સુભાષ ચંદ્રાની રાજસ્થાન એન્ટ્રી

    2016માં હરિયાણાની રાજ્યસભાની ચૂંટણીમાં સુભાષ ચંદ્રા મેદાનમાં હતા અને ભાજપે તેમને બહારથી સમર્થન આપ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસ અને INLDએ મળીને સુપ્રીમ કોર્ટના એડવોકેટ આરકે આનંદને તેમના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. તે ચૂંટણીમાં કોંગ્રેસના 14 ધારાસભ્યોએ મત આપવા માટે ખોટી પેનનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમનો મત રદ થયો હતો. આ રીતે સુભાષ ચંદ્રા નંબર ન હોવા છતાં ચૂંટણી જીત્યા હતા. ચૂંટણી જીત્યા બાદ સુભાષ ચંદ્રાએ કહ્યું હતું કે, મને ખબર છે કે હારેલી બાજી કેવી રીતે જીતવી.

    આ વાત યાદ અપાવવી એટલા માટે પણ જરૂરી છે કે રાજસ્થાનના હાલના ચૂંટણી સમીકરણોએ કોંગ્રેસ માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી છે. કોંગ્રેસે ત્રણ સીટો માટે પોતાના ઉમેદવાર રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ તરફથી ઘનશ્યામ તિવારી મેદાનમાં છે. આ સાથે જ સુભાષ ચંદ્રાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, પરંતુ ભાજપે તેમને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી છે

    સમયસર CPRથી KKનો જીવ બચી શક્યો હોત, પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનો ખુલાસોઃ કેન્દ્રીય એજન્સી પાસેથી તપાસ માટે અમિત શાહને પત્ર

    સમયસર CPRથી કેકેનો જીવ બચી શક્યો હોત, ગાયક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે) પંચતત્વમાં ભળી ગયા છે. ગુરુવારે (2 જૂન 2022) મુંબઈના વર્સોવા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર નકુલે તેમને મુખાગ્ની આપી હતી. પરંતુ, તેમના મૃત્યુ બાદ ઉભા થયેલા કેટલાક પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે. બીજેપી સાંસદ સૌમિત્ર ખાને કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવા માટે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. એવું પણ બહાર આવ્યું છે કે ગાયક હાર્ટ બ્લોકેજથી પીડિત હતો અને એટેક બાદ સમયસર CPRથી કેકેનો જીવ બચી શક્યો હોત

    પશ્ચિમ બંગાળના સાંસદ સૌમિત્ર ખાને ગૃહ પ્રધાન અમિત શાહને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કેકેના મૃત્યુની તપાસ કરવા વિનંતી કરી છે. ગૃહમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે જ્યાં કેકેનો કાર્યક્રમ યોજાયો હતો તે ઓડિટોરિયમની ક્ષમતા 3000 લોકોની છે.પરંતુ 7,000 લોકોને અંદર જવા દેવામાં આવ્યા હતા. એસી કામ કરતું ન હતું. કેકેના પોસ્ટમોર્ટમ સમયે ટીએમસીના નેતાઓ હોસ્પિટલમાં હાજર હતા, જ્યારે વિપક્ષના નેતાએ હોસ્પિટલમાં આવવાની ના પાડી દીધી હતી. સાંસદે આ તમામ શંકાઓના નિરાકરણ માટે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

    નોંધનીય છે કે કેકેનું મૃત્યુ 31 મેની મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. કલકત્તામાં નઝરૂલ સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે સિંગરની તબિયત અચાનક બગડવા લાગી, ત્યારબાદ તેને હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા. અને જ્યારે તબિયતમાં કોઈ સુધારો ન થયો ત્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રસ્તામાં જ તેમનું મોત થયું હતું.

    પીએમ કરનાર ડોકટરના માધ્યમથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે, “કેકેની ડાબી કોરોનરી ધમનીમાં ઘણો અવરોધ હતો. બાકીની ધમનીઓ અને પેટા ધમનીઓમાં કેટલીક જગ્યાએ બ્લોકેજ જોવા મળ્યા છે. લાઈવ શોમાં પરફોર્મ કરતી વખતે એક્સાઈટમેન્ટના કારણે ધમનીઓમાંથી લોહી વહેતું બંધ થઈ ગયું, જેના પછી તેને કાર્ડિયાક અરેસ્ટ થયો. જો તે દરમિયાન CPR (કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન) આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. તેમને ઘણા સમયથી હ્રદય સંબંધિત સમસ્યાઓ હતી જેના વિષે તેઓ પોતે પણ જાણતા નહોતા.

    ડૉક્ટરના જણાવ્યા અનુસાર કેકેની ડાબી કોરોનરી ધમનીમાં 80 ટકા બ્લોકેજ હતું. ક્યાંય પણ 100% અવરોધ જોવા મળ્યો નથી. મંગળવારે લાઈવ પરફોર્મન્સ દરમિયાન ગાયક ભીડ સાથે વોક કરી રહ્યો હતો અને ડાન્સ કરી રહ્યો હતો, જેના કારણે ઉત્સાહ ઘણો વધી ગયો હતો.હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ ગયો હતો, ત્યારબાદ તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જેના કારણે હ્રદયના ધબકારા પણ થોડા સમય માટે અચાનક ઘટી ગયા હતા. કેકે બેહોશ થવા લાગ્યો. જો તેને CPR આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત.

    જણાવી દઈએ કે સીપીઆરમાં, બેભાન વ્યક્તિની છાતી પર દબાણ આપવામાં આવે છે અને તેને કૃત્રિમ શ્વાસ આપવામાં આવે છે. જેના કારણે ફેફસાંને ઓક્સિજન મળે છે. આ હાર્ટ એટેક અને શ્વાસ લેવામાં અસમર્થતાના કિસ્સામાં વ્યક્તિનું જીવન બચાવી શકે છે.ડોક્ટરે એ પણ જણાવ્યું કે કેકે છેલ્લા કેટલાક સમયથી એન્ટાસિડ પર હતા. પીડાની ફરિયાદને કારણે તેણે એન્ટાસિડ લેવાનું શરૂ કર્યું હશે. તેણે વિચાર્યું હશે કે તેને પાચન સંબંધી સમસ્યાઓ છે, પરંતુ વાસ્તવમાં તેને હાર્ટ બ્લોકેજ છે.

    કેજરીવાલના દાવાઓ પર ફીણ ફરી વળ્યાં, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં નિરિક્ષણનાં બીજા જ દિવસે યમુનામાં ઝેરી ફીણ જોવા મળ્યા

    કેજરીવાલના દાવાઓ પર ફીણ ફરી વળ્યાં છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં નિરિક્ષણનાં બીજાજ દિવસે યમુના ઝેરી ફીણ જોવા મળ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, 2 જૂને દિલ્હીમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરતાં જોવા મળ્યાં હતાં. છેક આઈટીઓ દિલ્હીથી પણ નદી પર ફીણ દેખાઈ રહ્યાં હતાં. યમુનાને સાફ કરવાનાં નિરિક્ષણના બીજાજ દિવસે કેજરીવાલના દાવાઓ પર ફીણ ફરી વળ્યાં,

    એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું હતું કે, “અમે યમુનાની સફાઈ માટે પ્રતિબદ્ધ છીએ. આજે કોરોનેશન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. દેશનો સૌથી મોટો પ્લાન્ટ – 70 MGD. સંપૂર્ણપણે સ્વચાલિત. તે એક અદ્ભુત પ્લાન્ટ છે.” દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોનેશન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હોવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી યમુના નદીમાં ઝેરી ફીણના ગોટા ઉડતા જોવા મળ્યા હતાં. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે.

    અગાઉના ટ્વીટમાં, તેમણે કહ્યું હતું કે તેમની સરકાર “2025 સુધીમાં સાફ યમુના માટે પ્રતિબદ્ધ છે”, અને આ સંદર્ભે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે અનેક વખત વાયદાઓ કર્યા છે કે તેમની સરકાર યમુના નદીની સફાઈ કરશે અને તે માટે તેમણે અલગ અલગ સમયમર્યાદા આપી છે. જો કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારથી પરિસ્થિતિમાં બહુ ખાસ બદલાવ આવ્યો નથી

    અરવિંદ કેજરીવાલ દ્વારા યમુનાને સાફ કરવાની જાહેરાત પર નેટીઝન્સે પ્રતિક્રિયા

    કેટલાક નેટીઝન્સે અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર પ્રતિક્રિયા આપી હતી કે તેમની સરકાર 2025 સુધીમાં યમુનાને સાફ કરશે. તેઓએ તેમના જૂના વચનો શેર કર્યા હતા જ્યાં તેમણે તેના માટે અલગ અલગ સમયમર્યાદા આપી હતી.

    બીજેપી દિલ્હીના પ્રવક્તા સારિકા એ જૈને કેજરીવાલને ફર્જીવાલ સંબોધન આપી લખે છે કે, “ફર્જીવાલજી તમે 2014માં યમુનાને સાફ કરવાનું વચન આપ્યું હતું. તમારા વચનો 2014થી ચાલુ છે, અને હવે તે 2025 સુધી પહોંચી ગયા છે, પરંતુ તે ક્યારેય પૂરા થયા નથી. તો જનતાને મૂર્ખ બનાવતા રહો કારણ કે એજ તમારું કામ છે. શરમ કરો .”

    ટ્વિટર યુઝર મનીષ સોનીએ કેજરીવાલનો સંકલન કરેલો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે 2019 સુધીમાં દરેક ઘરમાં નળનું પાણી પૂરું પાડવાનું વચન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પાણીની અછત અને ગંદા પાણીના પુરવઠા અંગે અસંખ્ય અહેવાલો પ્રકાશિત થયા છે, પરંતુ દિલ્હી પાણી ખાતું તેને સુધારવામાં નિષ્ફળ રહ્યું છે. જનતાને પડતી સમસ્યાઓ. તેમણે કહ્યું, “અમે જાણીએ છીએ કે કેજરીવાલ માત્ર સત્ય બોલે છે. આ તેનું ઉદાહરણ છે.”

    અન્ય એક ટ્વિટર યુઝર અનિલ કુમારે કહ્યું, “70MGD નું આયોજન અગાઉના સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તમારા દ્વારા તેમાં વિલંબ થયો હતો. યમુનામાં પ્રદૂષણના સ્તરની સરખામણીમાં આ પ્લાન્ટ નાનો છે અને શું તમે જાણો છો કે દિલ્હીના લોકો અશુદ્ધ પાણીથી ભળેલું બિનઆરોગ્યપ્રદ ટ્રીટેડ ગટરનું પાણી પી રહ્યા છે.”

    નેટીઝન મુનીશ ડોગરાએ કહ્યું, “આ એક અદ્ભુત સ્ટંટ છે. છેલ્લા સાત વર્ષથી તમે યમુનાને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો અને દર વર્ષે તમે વચનનું નવીકરણ કરો છો. બધું જ જનતાની સામે છે.”

    અરવિંદ કેજરીવાલ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી યમુના નદીને સાફ કરવાની સમયમર્યાદા લંબાવી રહ્યા છે, અરવિંદ કેજરીવાલે યમુના નદીને સાફ કરવાનું વચન આપ્યું છે. ત્યારથી, તેમણે ઘણી વખત નવી સમયમર્યાદા સાથે વચનોનું પણ નવીકરણ કર્યું છે.

    દિલ્હી સરકાર દ્વારા યમુનાની સફાઈ માટે તારીખો પછી તારીખો જાહેર કરવાનો સિલસિલો વર્ષ 2015 થી ચાલુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2015માં યમુના નદીને પાંચ વર્ષમાં (2020 સુધીમાં) સાફ કરવાનું વચન આપ્યું હતું. તે જ વર્ષે, તેમણે કહ્યું, “પાંચ વર્ષ પછી, અમે દિલ્હીના દરેક રહેવાસીને યમુના તટ પર લાવીશું જેથી તેઓ સ્વચ્છ નદી પર ગર્વ અનુભવી શકે.”

    નવેમ્બર 2019 માં, તેમણે કહ્યું કે તેમની દિલ્હી સરકારે આગામી ચારથી પાંચ વર્ષમાં યમુનાને સાફ કરવાની યોજના બનાવી છે, અને લોકો તેમાં ડૂબકી લગાવી શકશે. તે જ વર્ષે ડિસેમ્બરમાં, તેમણે તેમની રેલીમાં હાજર રહેલા લોકોને વચન આપ્યું હતું કે આગામી ચૂંટણીઓ (2025માં નિર્ધારિત) સુધીમાં તેઓ આખા ગામને યમુનામાં ડૂબકી મારશે.

    જાન્યુઆરી 2020 માં, તેણે ફરીથી પાંચ વર્ષમાં તેને સાફ કરવાનું વચન આપ્યું. તેણે પોતે યમુનામાં ડૂબકી મારવાનું વચન આપ્યું હતું. રસપ્રદ વાત એ છે કે દિલ્હી સરકારના વચનો છતાં યમુના નદીમાં ઝેરી ફીણ દેખાઈ રહ્યું છે. નવેમ્બર 2021 માં, દિલ્હી સરકારે વાંસની લાકડીઓમાંથી બનાવેલા હેજ વડે નદીમાં ઝેરી ફીણને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યા પછી એક વિચિત્ર દ્રશ્ય સોશિયલ મીડિયા પર બન્યું. દિલ્હી જલ બોર્ડના કર્મચારીઓ “નદીને સાફ કરવા” માટે ઝેરી ફીણ પર પાણી છાંટતા જોવા મળ્યા હતા.

    ભારતની યોજના તૈયાર છે, પાકિસ્તાનને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવશે, અને તેનું પરમાણુ મુક્તિકરણ અને નિઃશસ્ત્રીકરણ કરવામાં આવશે: પૂર્વ પાક પીએમ ઈમરાન ખાન

    પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના અધ્યક્ષ અને પાકિસ્તાનના હકાલપટ્ટી કરાયેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે કહ્યું કે જો સરકારે મક્કમ નિર્ણય ન લીધો તો પાકિસ્તાન ત્રણ ભાગમાં વહેંચાશે કારણ કે ભારત તેની યોજના સાથે તૈયાર છે.

    BOL ન્યૂઝ સાથેના એક સાક્ષાતકારમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન, જેમને આ વર્ષની શરૂઆતમાં અવિશ્વાસના મતને પગલે પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે જો “મક્કમ નિર્ણયો” લેવામાં નહીં આવે તો દેશ (પાકિસ્તાન) મૃત્યુના આરે છે, ભારત પાસે એવી યોજના છે જેનાથી પાકિસ્તાન ત્રણ ભાગમાં વહેંચાશે અને ઈમરાન ખાને કહ્યું કે જો પાકિસ્તાન બરબાદ થશે તો સુયાયોજિત રીતે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન પર 1990ના દાયકામાં જેમ યુક્રેન સાથે થયું હતું તેમ પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે દબાણ કરશે.

    જ્યારે તેઓ સત્તામાં પાછા ન આવી શકે તેવી સંભાવનાના ઉપલક્ષમાં તેમની ભાવિ યોજના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ઈમરાન ખાને જવાબ આપ્યો, “અહીં વાસ્તવિક સમસ્યા પાકિસ્તાન અને વ્યવસ્થાપનની છે. જો વ્યવસ્થાપન યોગ્ય નિર્ણય નહીં લે, તો હું તમને લેખિતમાં આપીશ કે તેઓ નાશ પામશે, અને સશસ્ત્ર દળો સૌથી પહેલા બરબાદ થશે.” તેમણે ઇન્ટરવ્યુઅરને ઉમેરતા કહ્યું, “પાકિસ્તાન તૂટી જશે. ત્રણ ભાગમાં.”

    ઈમરાન ખાને કહ્યું કે, જો આ સમયે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો દેશ આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. ઈમરાન ખાને વધુમાં ઉમેર્યું હતું કે, “ભારતમાં થિંક ટેન્ક બલૂચિસ્તાનને અલગ કરવા પર વિચાર કરી રહી છે, તેમની પાસે યોજનાઓ છે, તેથી જ હું દબાણ લાવી રહ્યો છું.”

    ઈન્ટરવ્યુ દરમિયાન, પીટીઆઈના વડા ઈમરાન ખાને પણ સ્વીકાર્યું હતું કે તેમની પાસે બહુમતી ન હોવાને કારણે તેમની સત્તામાં વાપસી શરૂઆતથી જ નાજુક હતી. ખાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાસેથી અંતિમ સત્તા છીનવાઈ ગઈ હતી અને સરકાર રચવા માટે ગઠબંધન ભાગીદારો પર આધાર રાખવો પડ્યો હતો, એક ભૂલ તેમણે પુનરાવર્તિત નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, તેમણે ઉમેર્યું હતું કે તેઓ ફરીથી ચૂંટણીઓ પસંદ કરશે પરંતુ સમાધાન ક્યારેય સ્વીકારશે નહીં.

    પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ ઓલ ઝરદારીએ આ ટિપ્પણીઓ પર ઈમરાન ખાનની નિંદા કરી હતી અને કહ્યું કે કોઈ પણ પાકિસ્તાની દેશને તોડવાની વાત કરી શકે નહીં. “આ ભાષા કોઈ પાકિસ્તાની નથી પણ મોદીની છે. દુનિયામાં ઈમરાન ખાનની શક્તિ જ સર્વસ્વ નથી, બહાદુર બનો અને તમારા પગ પર ઊભા રહેવાનું શીખો અને હવે રાજકારણ કરો.” ઝરદારીએ કહ્યું.

    પીએમએલ-એનના નેતા તલાલ ચૌધરીએ ઈમરાન ખાનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે માત્ર ‘માનસિક રીતે બીમાર વ્યક્તિ’ જ આવા નિવેદન આપી શકે છે. ચૌધરીએ કહ્યું હતું કે, “ભૂતકાળમાં, ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પર પરમાણુ બોમ્બ ફેંકવો વધુ સારો વિકલ્પ છે, તેણે લોકોને સવિનય અસહકાર ચળવળ શરૂ કરવા અને હુંડી દ્વારા પૈસા મોકલવા પણ કહ્યું છે.”

    ‘આયુષ્માન ભારત’ હેઠળ ગુજરાત સરકારે એક વર્ષમાં 7523 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ સ્થાપ્યાં, 7006 કેન્દ્રોનો હતો લક્ષ્યાંક

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021-22 માં 7523 જેટલાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના કરી છે. સરકારે આ વર્ષ માટે કુલ 7006 કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે તેના કરતાં વધુ કુલ 7523 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની ઓપીડી સારવાર વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન, સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

    આ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની નિમણુંક કરવામાં આવે છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્રોમાં 6215 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે. 

    રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આ કેન્દ્રોના માધ્યમથી 7,83,06,876 લાભાર્થીઓએ ઓપીડીનો લાભ લીધો છે. તેમાં 7,18,65,712 લાભાર્થીઓને આ સેન્ટર્સમાં દવાની સુવિધા પૂરી પાડવામાં આવી. જયારે 3,80,03,926 લાભાર્થીઓને નિદાન સેવાઓનો લાભ લીધો અને 35,57,246 લાભાર્થીઓએ આ કેન્દ્રોમાં યોજાયેલા વેલનેસ સેશન્સનો લાભ લીધો છે.

    શું છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર?

    આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના ગામડાના તમામ લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગંભીર રોગોના દર્દીઓની ઓળખ કરવાનો છે. આ યોજના આયુષ્માન ભારત હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં સીએચઓ (કમ્યુનિટી હેલ્થ ઓફિસર), સ્ત્રી અને પુરૂષ આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકરોનો સ્ટાફ તૈનાત રહે છે, જેઓ સ્થાનિક સ્તરે બિન-ચેપી રોગો પર ઓપીડી અને વરિષ્ઠ ડોકટરો સાથે ટેલીકન્સલ્ટેશનમાં કામ કરે છે.

    આયુર્વેદ, યોગ અને એલોપેથીના એકીકરણના ઉદ્દેશથી આ કેન્દ્રોમાં આરોગ્ય સંકલન નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તેના માટે અત્યાર સુધીમાં 1500 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સને 21 દિવસની તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત, તેના માટે રાજ્યભરમાં કુલ 9 આયુર્વેદિક કોલેજોની પણ ઓળખ કરવામાં આવી છે.

    ગુજરાત ટૂંક સમયમાં મોડલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરશે

    ગુજરાત સરકારે મોડેલ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી છે. આ કેન્દ્રોમાં સંગીત, મ્યુઝિક થેરાપી, આયુર્વેદિક/હર્બલ ગાર્ડન, આરોગ્ય સંકલન, ફિઝિયોથેરાપી, વ્યાયામ માટે ઓપન જીમ, વૉકિંગ ટ્રેક અને પ્લે એરિયા સાથે આધુનિક સુવિધાઓ સાથે લાફિંગ ક્લબ અને યોગ સેન્ટર જેવી સુવિધાઓ હશે.