હોમપેજદેશસિલેબસ બદલાયો, પણ પુસ્તકો ન મળ્યાં, PDFથી થઈ રહ્યું છે ભણતર: બાળકોની...

સિલેબસ બદલાયો, પણ પુસ્તકો ન મળ્યાં, PDFથી થઈ રહ્યું છે ભણતર: બાળકોની પીડા ક્યારે સમજશે NCERT?

નવા અભ્યાસક્રમનાં પુસ્તકો માત્ર PDF ફાઇલ સ્વરૂપે ડિજિટલ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે. સિલેબસમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેના કારણે જે ભણતર એપ્રિલ મહિનામાં શરૂ થઈ જવું જોઈતું હતું તે હજુ સુધી શરૂ થઈ શક્યું નથી.

- Advertisement -

NCERTનાં પુસ્તકોનો છબરડો બાળકો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને આશરે બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પુસ્તકોનાં કોઈ ઠેકાણાં નથી. એટલું જ નહીં હાલમાં ઉનાળા વેકેશનના દિવસો ચાલી રહ્યા છે, પરંતુ ધોરણ-9માં ભણતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

નવા અભ્યાસક્રમનાં પુસ્તકો માત્ર PDF ફાઇલ સ્વરૂપે ડિજિટલ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે. સિલેબસમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેના કારણે જે ભણતર એપ્રિલ મહિનામાં શરૂ થઈ જવું જોઈતું હતું તે હજુ સુધી શરૂ થઈ શક્યું નથી. સ્કૂલના બુક સ્ટોર્સવાળાને પણ એ ખબર નથી કે આ પુસ્તકો ક્યારે છપાઈને આવશે અને ક્યારથી મળવાનાં શરૂ થશે. કેન્દ્રીય વિદ્યાલય અને અન્ય સરકારી શાળાઓની સ્થિતિ તો આનાથી પણ વધુ ખરાબ છે. પરિણામે બાળકો અને શિક્ષકો ચિંતિત છે અને લાચાર બનેલા વાલીઓ આખી પરિસ્થિતિથી કંટાળીને શિક્ષણ તંત્રને કોસી રહ્યા છે.

વાલીઓ એ સવાલ પૂછી રહ્યા છે કે જો સિલેબસ બદલવો જ હતો તો પુસ્તકો વહેલા કેમ ન છાપવામાં આવ્યાં? અને જો સમયસર પુસ્તકો છાપવાની તૈયારી નહોતી તો આ જ વર્ષથી નવો અભ્યાસક્રમ લાગુ કરવાની શું જરૂર હતી? ધોરણ-9ના વિદ્યાર્થીઓ પર ત્રણ ભાષાઓ શીખવાનો આ ફોર્મ્યુલા આવી અધૂરી તૈયારીઓ સાથે કેમ થોપી દેવામાં આવ્યો? બાળકો પહેલેથી જ માનસિક તણાવમાં છે ત્યારે પુસ્તકો વિના આ બધી બાબતો એકસાથે કેવી રીતે મેનેજ કરશે?

- Advertisement -

પુસ્તકોની અનિશ્ચિતતાને કારણે શિક્ષકો ચિંતિત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની એક મોટી શાળાના સાયન્સ ટીચરે ધોરણ-9ના બદલાયેલા અભ્યાસક્રમ બાદ પુસ્તકો મળવામાં થઈ રહેલા વિલંબ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે શાળાઓને હજુ સુધી એ બાબતે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી કે આ પુસ્તકો ક્યારે ઉપલબ્ધ થશે. તેમના જણાવ્યા મુજબ આ સમસ્યા હવે દર વર્ષની બની ગઈ છે. શૈક્ષણિક સત્ર એપ્રિલમાં શરૂ થઈ જાય છે, છતાં પુસ્તકો મહિનાઓ સુધી મળતાં નથી. આ વર્ષથી ત્રણ ભાષાઓનો ફોર્મ્યુલા લાગુ થવાને કારણે ધોરણ-9ના વિદ્યાર્થીઓએ હવે ત્રીજી ભાષા પણ ભણવાની છે, પરંતુ આ નવા વિષયો માટેના જરૂરી પુસ્તકો પણ હજુ સુધી બજારમાં આવ્યા નથી.

તેઓ કહે છે કે એક શિક્ષક અને CBSEના વિદ્યાર્થીના વાલી એમ બંને રીતે આ સમગ્ર પરિસ્થિતિ તેમના માટે ચિંતાજનક છે. આ પ્રકારનો વિલંબ શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ– તમામ માટે અનિશ્ચિતતા ઊભી કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિલંબ સંપૂર્ણ સિસ્ટમની બેદરકારી અને આગોતરા આયોજનના અભાવને છતો કરે છે. શિક્ષણ ક્ષેત્રે થતા સુધારાઓ અને અભ્યાસક્રમના ફેરફારો માટે સમયસરનું આયોજન, પૂરતા સંસાધનો અને યોગ્ય વ્યૂહરચના ખૂબ જ જરૂરી છે, જેથી બાળકોના ભણતર પર તેની કોઈ નકારાત્મક અસર ન પડે.

બીજી તરફ, દિલ્હીની એક કેન્દ્રીય વિદ્યાલયમાં સોશિયલ સાયન્સ ભણાવતા શિક્ષિકાનું કહેવું છે કે ધોરણ-9ના સામાજિક વિજ્ઞાનના સિલેબસમાં ઘણા મોટા ફેરફારો થયા છે. હાલમાં વર્ગખંડમાં બાળકો પાસે પુસ્તકો ન હોવાને કારણે તેમને માત્ર PDF ફાઇલ દ્વારા ભણાવવું પડી રહ્યું છે, જે એક મોટો પડકાર છે. બાળકોને પ્રકરણ સમજાય તે માટે તેમને PDFની પ્રિન્ટ કઢાવવા માટે કહેવું પડે છે. આ દરમિયાન હવે ઉનાળાનું વેકેશન પણ શરૂ થઈ ગયું છે છતાં પુસ્તકોનો કોઈ પત્તો નથી. વેકેશન ખુલતાં જ બાળકોની પરીક્ષાઓ પણ શરૂ થઈ જશે, તેવી સ્થિતિમાં પુસ્તકો વિના શિક્ષકો પણ આખરે શું કરે?

એડવાન્સ મેથ્સ બાદ હવે એડવાન્સ સાયન્સની એન્ટ્રી

ધોરણ-9માં આ વર્ષથી ‘એડવાન્સ મેથ્સ’ની સાથે ‘એડવાન્સ સાયન્સ’ પણ દાખલ કરવામાં આવ્યું છે, પરંતુ વર્ષ 2024થી શરૂ થયેલા એડવાન્સ મેથ્સ માટે NCERT એ હજુ સુધી કોઈ પુસ્તક છાપ્યું નથી અથવા તો તે બાળકો સુધી પહોંચ્યું જ નથી. આ આયોજન વિનાની સ્થિતિમાં શિક્ષકો ઉપલબ્ધ પુસ્તકોમાંથી જ અઘરા દાખલાઓને ‘એડવાન્સ’ અને સરળ દાખલાઓને ‘બેઝિક’ ગણાવીને ભણાવવા મજબૂર બન્યા છે, જેના લીધે એક જ ક્લાસરૂમમાં બે અલગ સ્તરના વિદ્યાર્થીઓ વચ્ચે ભારે અસમંજસ ઊભી થાય છે.

હવે આવી જ અવ્યવસ્થા વચ્ચે એડવાન્સ સાયન્સ પણ શરૂ થઈ રહ્યું છે, જ્યાં ભવિષ્યમાં સાયન્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એડવાન્સ વિષયો રાખવા ફરજિયાત છે, જ્યારે કોમર્સ કે આર્ટ્સના વિદ્યાર્થીઓએ તેના પર વધુ મહેનત કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં વાલીઓ અને નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ધોરણ-11માં આ તફાવત આવવાનો જ હતો, તો પછી ધોરણ-9થી આની શું જરૂર હતી.

પુસ્તકો મેળવનારા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં

ડીપીએસ નોઇડામાં ધોરણ-9માં ભણતી અક્ષરા નામની વિદ્યાર્થીનીને વિજ્ઞાન અને અન્ય વિષયોનાં નવાં પુસ્તકો મળી ગયાં છે, પરંતુ સામાજિક વિજ્ઞાનનું પુસ્તક હજુ સુધી મળ્યું નથી. પુસ્તકો મેળવ્યા પછી પણ વિદ્યાર્થીઓ પરેશાન છે, કારણ કે નવો અભ્યાસક્રમ ઘણો અઘરો અને બદલાયેલો છે. ગણિતમાં પહેલા પ્રકરણ તરીકે ‘નંબર સિસ્ટમ’ આવતું હતું, જેની જગ્યાએ હવે ‘જિયોમેટ્રી’ (ભૂમિતિ) મૂકવામાં આવ્યું છે. તેમાં ગણતરીના બદલે થીયરી આધારિત પ્રશ્નો વધી ગયા છે, જેને સમજવા મુશ્કેલ છે.

આ જ રીતે નવું વિજ્ઞાનનું પુસ્તક પણ ખૂબ ઊંડાણપૂર્વકનું અને અઘરું છે. બીજી તરફ, દિલ્હીની સમરબિલ સ્કૂલની વિદ્યાર્થીની રિયાનાને તો હજુ સુધી એક પણ પુસ્તક મળ્યું નથી. તેની શાળામાં પ્રથમ સત્રની  પરીક્ષાઓ પણ પૂરી થઈ ગઈ છે, છતાં વિદ્યાર્થીઓ શિક્ષકોએ મોકલેલી PDFની પ્રિન્ટ કઢાવીને માંડ-માંડ અભ્યાસ કરી રહ્યા છે.

આ પુસ્તકો ક્યારે આવશે તે અંગે શાળાઓમાં આવેલા બુક સ્ટોર્સના દુકાનદારો પણ અજાણ છે, અને હવે ઉનાળાના વેકેશન પછી જુલાઈમાં જ નવી વિગતો જાણવા મળશે. જોકે શાળાની બહાર અન્ય ખાનગી બુક સ્ટોર્સના જણાવ્યા અનુસાર, બજારમાં ધોરણ-9ના સામાજિક વિજ્ઞાન સિવાયનાં મોટાભાગનાં પુસ્તકો ઉપલબ્ધ થવા લાગ્યાં છે. આ સાથે જ બાકીનાં નવાં પુસ્તકો પણ ટૂંક સમયમાં જ માર્કેટમાં વેચાણ માટે આવવાનાં છે.

ત્રણ ભાષાઓની અનિવાર્યતાથી વિદ્યાર્થીઓ પરેશાન

ધોરણ-9માં આ વર્ષથી ત્રણ ભાષાઓ (માતૃભાષા, પ્રાદેશિક ભાષા અને વિદેશી ભાષા) ભણવાનું અનિવાર્ય કરાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. મોટાભાગની શાળાઓમાં હવે હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી જ ભણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે જર્મન, ફ્રેન્ચ કે સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓ બંધ થઈ ગઈ છે અને તેના શિક્ષકોને પણ છૂટા કરી દેવાયા છે. વાલીઓના જણાવ્યા અનુસાર લાંબા સમય બાદ માંડ મળેલા ગણિત અને વિજ્ઞાનના નવા પુસ્તકોનો સિલેબસ એટલો અઘરો છે કે બાળકો માટે તે જાતે સમજવો અશક્ય છે. આ સંજોગોમાં પાયા સમાન ગણાતા ધોરણ-9માં તંત્રની આવી બેદરકારી અને ત્રણ ભાષાઓનો બોજ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે.

અભ્યાસક્રમમાં અચાનક થયેલા ફેરફારને કારણે વાલીઓને આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે. ઘણા વાલીઓએ એપ્રિલ મહિનામાં શાળામાંથી જૂના પુસ્તકો ખરીદી લીધાં હતાં, પરંતુ હવે સિલેબસ બદલાતાં ફરીથી નવા પુસ્તકો ખરીદવાનો બેવડો ખર્ચ માથે પડ્યો છે. વાલીઓનું કહેવું છે કે સમય સાથે અભ્યાસક્રમ બદલાય તેમાં કોઈ વાંધો નથી, પરંતુ તે માટે યોગ્ય આયોજન હોવું જોઈએ. પુસ્તકો ન હોવાને કારણે બાળકોને મોબાઇલમાં PDFથી ભણવું પડે છે, જેના લીધે બાળકોને સ્ક્રીનથી દૂર રાખવાના વાલીઓના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. જો આ નવો સિલેબસ આગામી વર્ષથી લાગુ કરાયો હોત તો બજારમાં પુસ્તકો સમયસર મળી રહેત.

શિક્ષણ તંત્રની આવી બેદરકારી કોઈ નવી વાત નથી. વર્ષ 2025માં જ્યારે ધોરણ-4થી 8નો સિલેબસ બદલાયો હતો ત્યારે પણ વિદ્યાર્થીઓને જૂન મહિના સુધી પુસ્તકો માટે રાહ જોવી પડી હતી. આ ભૂતકાળના છબરડામાંથી કોઈ પાઠ ભણ્યા વિના NCERT એ વર્ષ 2026માં ફરી ધોરણ-9નો સિલેબસ બદલી નાખ્યો અને સમયસર પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહ્યું.

નકલી પુસ્તકોનું રેકેટ

એકતરફ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર પ્રાઇવેટ પબ્લિશર્સના મોંઘા પુસ્તકો ખરીદવાનું દબાણ કરાતાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે (NHRC) રાજ્ય સરકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે, તો બીજી તરફ બજારમાં NCERTનાં સાચાં પુસ્તકોની અછતનો ફાયદો ઉઠાવીને નકલી અને પાયરેટેડ પુસ્તકો વેચતું મોટું નેટવર્ક સક્રિય થયું છે. આ નકલી પુસ્તકો નબળી ગુણવત્તાવાળા કાગળ, આછી શાહી અને NCERTના સત્તાવાર લોગો વગરનાં હોય છે. ભૂતકાળમાં વર્ષ 2020માં મેરઠમાંથી ₹5.64 કરોડ અને વર્ષ 2025માં દિલ્હીના શાહદરામાંથી ₹2.4 કરોડની કિંમતનાં લાખો નકલી પુસ્તકો ઝડપાયાં હોવાના દાખલા બન્યા છે.

NCERTનાં પુસ્તકોમાં વિવાદિત સુધારા

NCERTનાં પુસ્તકોમાં તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક સુધારા અને વિવાદોને કારણે મોટો હોબાળો મચ્યો છે. ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ના મુદ્દે સુપ્રીમ કોર્ટે સખત વાંધો ઉઠાવતાં સંસ્થાએ માફી માંગીને પુસ્તક બજારમાંથી હટાવવું પડ્યું હતું. આ જ પુસ્તકના વર્ષ 1759ના એક નકશામાં રાજસ્થાનના જેસલમેર અને બીકાનેર જેવા સ્વતંત્ર રાજઘરાનાઓને મરાઠા સામ્રાજ્યમાં દર્શાવવા બદલ વિવાદ થતાં NCERTએ સ્વીકારવું પડ્યું હતું કે આ નકશાનો કોઈ સત્તાવાર સ્ત્રોત નહોતો અને તે એક મોટી ભૂલ હતી.

બીજી તરફ કોરોનાકાળ દરમિયાન ધોરણ-10ના વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી ‘ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ’ (Evolution) અને ‘આવર્ત કોષ્ટક’ (Periodic Table) હટાવી દેવા બદલ શિક્ષણવિદોએ સંસ્થાની આકરી ટીકા કરી હતી.

જોકે, NCERTએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકરણો સંપૂર્ણપણે હટાવાયાં નથી, પરંતુ ધોરણ-11 અને 12ના વિજ્ઞાનના વિસ્તૃત સિલેબસમાં તેને રાખવામાં આવ્યાં છે. આ સિવાય, પર્યાવરણ સાથે જોડાયેલાં પ્રકરણો જેવાં કે ‘ઉર્જાના સ્ત્રોત’ અને ‘કુદરતી સંસાધનોનું સંચાલન’ પણ હટાવી દેવાતાં શિક્ષણવિદોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આવા પગલાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને પ્રકૃતિની સાચી સમજથી દૂર રાખશે.

NCERTનાં પુસ્તકો સમયસર ન મળવાને કારણે બજારમાં નકલી પુસ્તકો અને કાળાબજારી વધે છે, જેનાથી વિદ્યાર્થીઓનો ભણવાનો ઉત્સાહ મરી જાય છે. આ પરિસ્થિતિમાં શાળાઓ પણ લાચાર બની જાય છે, પરંતુ સૌથી માઠી અસર ગામડાંના એ ગરીબ વિદ્યાર્થીઓ પર પડે છે જેઓ સંસાધનો અને પુસ્તકોના અભાવ વચ્ચે પણ ભણવાનો સંઘર્ષ કરી રહ્યા છે. તેથી તંત્રે પુસ્તકો સમયસર લાવવા યોગ્ય વ્યૂહરચના બનાવવી જરૂરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં