દર વર્ષે નવરાત્રિ વખતે ગરબા મંડપોમાંથી હિંદુ સંગઠનોએ મુસ્લિમ યુવાનોને પકડીને બહાર કાઢવાના સમાચારો આવે એટલે તેની પાછળ આ એક પ્રશ્ન પણ વહેતો મૂકી દેવામાં આવે છે. સંગઠનોની કામગીરીની, મુસ્લિમોના ગરબામાં પ્રવેશ પર પ્રતિબંધની માંગણી કરતી દલીલોની ટીકા કરનારા હિંદુઓમાંથી પણ ઠીકઠાક પ્રમાણમાં મળી રહે છે એ આપણું સામૂહિક દુર્ભાગ્ય છે. આવી જ તટસ્થતા અને સેક્યુલરતાના કારણે ભોગવવાં પડેલાં દુષ્પરિણામોથી ઇતિહાસ ભરેલો પડ્યો છે.
પ્રશ્ન એ કરવામાં આવે છે કે નવરાત્રિમાં બિનહિંદુઓ કે મુસ્લિમોને પ્રવેશ આપવામાં આવે તેનાથી શું ખોટું છે? આવી દલીલો કરનારાઓ પછીથી પંથનિરપેક્ષતાની અને સર્વધર્મ સમભાવની ખોખલી વાતો લઈ આવે છે. મુસ્લિમોના પ્રવેશ નિષેધની માંગ કરનારાઓને કોમવાદી અને ધર્માંધમાં ખપાવી દેવામાં આવે છે. પ્રમાણપત્રો આપવામાં વામપંથી-ઇસ્લામીઓએ પીએચડી કરી રાખી છે. સેક્યુલરિયા હિંદુઓ પણ તેમની સાથે રહીને આ બધા પાઠ શીખી ગયા છે. પોતે વાંકમાં હોય ત્યારે પણ તેઓ બહુ સરળતાથી અને હિંમતભેર સામેના માણસને સર્ટિફિકેટ આપીને તેને જ અપરાધભાવમાં નાખી દે છે. આ બાબતમાં પણ ઘણુંખરું એ જ થયું છે.
જ્યારે-જ્યારે આવી ચર્ચાઓ ચાલે ત્યારે નવરાત્રિમાં ‘વિધર્મી મુક્ત અભિયાન’ ઉપાડતાં હિંદુ સંગઠનોને અપરાધી બનાવી દેવામાં આવે છે. તેમની ઉપર કટ્ટરતા ફેલાવવાનો અને સામાજિક શાંતિ અને સદભાવ બગાડવાનો આરોપ નાખી દેવાય છે. કારણ કે આ દેશમાં શાંતિ જાળવવાનો, સદભાવ રાખવાનો ઠેકો એક જ સમુદાયે લઈ રાખ્યો છે. બીજો રસ્તા પર ઉતરીને ‘સર તન સે જુદા’ના નારા લગાવે કે શહેરો બાનમાં લે તેમ છતાં તેની વિરુદ્ધ કશું બોલી શકાતું નથી, કારણ કે બોલવા પર તમને ફરી એક વખત કટ્ટર, ધર્માંધમાં ગણાવી દેવામાં આવશે. આપણને જોકે હવે આવાં પ્રમાણપત્રો સંઘરવાની અને તેનો લેશમાત્ર અફસોસ ન કરવાની આદત પડી ગઈ છે. સારી વાત છે.
દલીલો એવી અપાય છે કે મુસ્લિમ યુવાનો ગરબામાં આવે તેનાથી શું થઈ ગયું? આપણે તો ‘સર્વસમાવેશી’ છીએ અને ‘હિંદુઓ સહિષ્ણુ અને સેક્યુલર છે’ એવી બધી ઘસાઈ ગયેલી વાતો પણ આપણા માથે મારવામાં આવે છે અને અંતે સાબિત કરી દેવામાં આવે છે કે ગરબામાં મુસ્લિમોના પ્રવેશ નિષેધની માગ કરનારાઓ જ બદમાશો છે. ગરબામાં જતા મુસ્લિમ યુવાનો તો બિચારા છે, જેઓ કટ્ટર હિંદુ સંગઠનોના દ્વેષનો ભોગ બને છે.
નવરાત્રિ શું માત્ર મનોરંજનનો તહેવાર છે?
અહીં મૂળ પ્રશ્ન એ છે કે શું નવરાત્રિ એકમાત્ર મનોરંજન મેળવવાનો તહેવાર છે? ગરબા શું માત્ર નૃત્ય છે? નવરાત્રિનો એકમાત્ર ઉદ્દેશ્ય મોટી મ્યુઝિક સિસ્ટમો મૂકીને નૃત્ય કરવાનો છે? આ દરેકનો જવાબ ‘ના’માં છે.
એક તો આ પર્વ માતાજીની આરાધનાનું પર્વ છે. નવ દિવસ સુધી તેમાં માતાજીની પૂજા-પ્રાર્થના થાય છે. ગરબા એ માત્ર એક નૃત્ય નથી પણ એક માર્ગ છે મા શક્તિની આરાધના કરી તેની નજીક જવાનો. પ્રાચીન વૈદિક પરંપરામાં નૃત્યનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એવું કહેવાયું છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અનેક રસ્તાઓ છે. આ તમામ રસ્તાઓ તમને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે અને તેમાંનો એક રસ્તો છે નૃત્ય કે ગરબા. એટલે નવરાત્રિ પર થતા રાસ-ગરબા માત્ર મનોરંજન નથી પણ આપણી ધાર્મિક, સાંસ્કૃતિક અને મહાન વૈદિક પરંપરાનો એક ભાગ પણ છે. તેને સીધો સંબંધ ધર્મ સાથે છે. ધાર્મિક પરંપરાઓ સાથે છે. જ્યાં ધર્મને લાગતું-વળગતું હોય ત્યાં એ જ વ્યક્તિઓનું કામ છે જેઓ જે-તે ધર્મ પાળે છે.
પોતાના પંથ-મજહબનું પર્વ કઈ રીતે ઉજવવું એ નક્કી કરવાનું કામ જે-તે પંથનું છે. આપણે ત્યાં બાકીના તમામ પંથો માટે આ લાગુ પડે છે. હિંદુ ધર્મને આ વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. તેમાં હસ્તક્ષેપ કરવાની ચળ દરેકને ઉપડે છે. સૌએ સલાહ આપવી છે અને તેને મારીમચેડીને ‘સર્વસમાવેશી’ બનાવવા માટે મથ્યા કરે છે. ભારતનું તથાકથિત સેક્યુલરિઝમ કેટલી હદે વાહિયાત બની ચૂક્યું છે તેનું એક ઉદાહરણ આ પણ છે.
મૂળ વાત એ છે કે ઇસ્લામમાં નૃત્ય, સંગીત હરામ છે. ગરબા પણ ગાઈ શકાતા નથી. ઇસ્લામમાં મૂર્તિપૂજા પણ હરામ છે. અલ્લાહ સિવાય અન્ય કોઈ ભગવાન, ગોડ, ઈશ્વરની પૂજા કરી શકાતી નથી અને કુરાન પણ ના પાડે છે. આમ બાકીના 356 દહાડા જેમને પાક શિખામણોની, કુરાનમાં કહેવામાં આવેલી વાતોની ભરપૂર દરકાર રહે છે તેઓ આ નવ દિવસ કેમ આ ઉપદેશો સાથે સમાધાન કરવા તૈયાર થઈ જાય છે એ વાત ક્યારેય સમજાઈ નથી.
અમુકના કારણે સમુદાય પર પ્રશ્નો ન ઉઠાવવાની વાતો અને વિપરીત વાસ્તવિકતા
દલીલ એવી આપવામાં આવતી હોય કે મુસ્લિમ યુવકો અન્ય ધર્મનું પણ સન્માન કરે છે કે તેમના તહેવારોને પણ આદર આપે છે એટલે ભાગ લેવા માંગે છે, તો પછી જાહેરમાં ‘અહીં ગરબા રમવા નહીં’ એવું બોર્ડ કોણ લગાવે છે? નવરાત્રિમાં ચાલતા ગરબા પર પથ્થર કોણ ફેંકે છે? હિંદુઓને ગરબા ન રમવા માટે ધમકી કોણ આપે છે? હિંદુ યાત્રાઓ પર હથિયારો સાથે હુમલા કોણ કરે છે? અહીં એવી દલીલ હોય કે બધા મુસ્લિમો સરખા હોતા નથી અને થોડા લોકોના કારણે સમુદાયને ઘસડવો ન જોઈએ તો એ પ્રશ્નનો જવાબ ક્યાં છે કે આ થોડા જ્યારે ઉત્પાત મચાવતા હોય ત્યારે બાકીના કેમ ચૂપ રહે છે? ‘સર તન સે જુદા’ના નારા લગાવાય ત્યારે કેમ કોઈ બહાર આવીને હિંમત કરીને કહેતું નથી કે આ ખોટું છે. હિંદુ યાત્રાઓ પર થતા હુમલાઓને જાહેરમાં સમુદાય તરફથી કેમ વખોડવામાં આવતા નથી?
જ્યાં સુધી સમુદાયમાંથી જ આ કૃત્યો વિરુદ્ધ અવાજ ન ઉઠે ત્યાં સુધી આવી બધી ખોખલી દલીલોનું કોઈ ઔચિત્ય રહેતું નથી. ત્યાં સુધી હિંદુ સમુદાય (કે ફોર ધેટ મેટર બીજો પણ કોઈ સમુદાય) આવી વાતોમાં આવે પણ નહીં. કારણ કે આવી મોટભાગની વાતો કાગળ પર જ રહી જાય છે, અમલ ક્યારેય થતો નથી. સમુદાયમાંથી જેમણે-જેમણે અમલ કર્યો છે તેમની શું વલે થઈ છે એ પણ જોકે જગવિદિત છે.
બીજી એક નોંધવા જેવી બાબત એ પણ છે કે ગરબામાં માત્ર મુસ્લિમ યુવાનોને જ ભાગ લેવા માટે વકીલાત કરવામાં આવે છે, મહિલાઓને નહીં. સમાવેશકતા અને સમાનતાની વાતો થતી હોય તો મહિલાઓને બાકાત રાખવાનું કારણ શું છે? એટલા માટે અહીં પછી સુરક્ષાનો પણ મુદ્દો આવે છે, જેની ચર્ચા પણ બહુ જરૂરી છે અને જેને બિલકુલ અવગણી શકાય એમ નથી.
સુરક્ષાની ચર્ચા કેમ જરૂરી?
સેક્યુલર, બદમાશ વામપંથીઓ ભલે કહેતા રહેતા હોય કે ‘લવ જેહાદ’ જેવું કશું હોતું નથી અને આ બધું ‘કટ્ટરપંથી’ હિંદુઓના મગજની ઉપજ છે, પણ હકીકત શું છે એ સુજ્ઞ વાચક પણ જાણે છે. દૈનિક ધોરણે આ દેશમાં એવા અનેક કેસ આવતા રહે છે, જેમાં એક મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિંદુ યુવતીને ફસાવી હોય, ઓળખ છતી થઈ ગયા બાદ ભરપૂર ત્રાસ આપ્યો હોય અને અમુક કિસ્સાઓમાં મહિલાઓનો કરુણ અંત આવ્યાના પણ દાખલા બન્યા છે. આંખ બંધ કરી દેવાથી હકીકતો બદલાઈ જતી નથી. હકીકત આ જ છે કે લવ જેહાદનું અસ્તિત્વ છે. કોઈ એક-બે ખૂણામાં નહીં, બધે જ દૂષણ પ્રસરી ચૂક્યું છે.
ભૂતકાળમાં અઢળક કિસ્સાઓ બન્યા છે, જેમાં ગરબા રમવાની આડમાં મુસ્લિમ યુવાનોએ હિંદુ યુવતીઓને ફસાવી હોય. આવા સમયે કોઈ સમુદાય બેન-દીકરીઓનું બમણું ધ્યાન ન રાખે તો પ્રશ્ન સમુદાય પર ઉઠવા જોઈએ, જ્યારે અહીં સામા સમુદાયને પ્રશ્નો કરવામાં આવે છે. ગુજરાત પણ આમાંથી બાકાત નથી અને એટલે જ સંગઠનોએ ફરીફરીને અભિયાનો ઉપાડવાં પડે છે.
સપ્ટેમ્બર 2022માં નવરાત્રિ વખતે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક ગરબા કાર્યક્રમમાં અમુક મુસ્લિમ યુવકો ઘૂસી ગયા હતા અને હિંદુ મહિલાઓની છેડતી કરી હતી. પહેલાં તેમણે પોતાનાં નામ હિંદુ કહ્યાં, પછી કડકાઈથી પૂછપરછ કરી તો સાચું કબૂલ્યું હતું. ઇન્દોરમાં જ બે દિવસ પછી એક ગરબા મંડપમાં ઘૂસીને હિંદુ યુવતીઓના વિડીયો બનાવતા મુસ્લિમ યુવકો પકડાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં અમુક મુસ્લિમ છોકરાઓએ ગરબામાં ઘૂસીને હિંદુ યુવકને ચાકુ મારી દીધું હતું. ઉજ્જૈનમાં ઑક્ટોબર 2024માં ફિરોજ રાહુલ બનીને આવ્યો હતો. ઇન્દોરમાં આસિમ પંકજ બનીને ઘૂસ્યો હતો. આવા અઢળક કિસ્સાઓ ઉપલબ્ધ છે.
મુસ્લિમ યુવાનોએ ગરબામાં પ્રવેશ કરવો હોય તો સીધી અને સાદી વાત છે. પહેલાં તેઓ ઘરવાપસી કરે. માતાજી પ્રત્યે આદરભાવ દર્શાવે. તિલક લગાવવાની તૈયારી બતાવે અને ગરબા રમવા માટે આવે. આ બધી બાબતોમાં બેવડાં ધોરણો ચાલતાં નથી.


