Thursday, May 16, 2024
More
    હોમપેજગુજરાતમાંડલના વાલ્મિકી સમુદાયના લોકો સ્થાનિક મુસ્લિમ સમુદાયની ફરિયાદ લઈને દિલ્હી પહોંચ્યા, હત્યાનો...

    માંડલના વાલ્મિકી સમુદાયના લોકો સ્થાનિક મુસ્લિમ સમુદાયની ફરિયાદ લઈને દિલ્હી પહોંચ્યા, હત્યાનો ડર: સમીર, સલીમ સહિતના આરોપીઓએ કર્યો હતો જીવલેણ હુમલો, પથ્થરના હથિયાર બનાવતા હોવાનો દાવો

    મુસ્લિમ આરોપીના પક્ષના લોકો તલવાર અને ભાલાઓ જેવા પત્થરના હથિયાર બનાવી રહ્યા છે, જેથી આર્મ્સ એક્ટની કલમો સામે રક્ષણ મેળવી શકાય. આ પ્રકારના પત્થરોનો ઉપયોગ કરીને તેઓ કાયદામાંથી છટકી જાય છે.

    - Advertisement -

    અમદાવાદના માંડલ ગામે થોડા સમય પહેલા મુસ્લિમ યુવકો દ્વારા વાલ્મિકી સમાજના 2 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો, જે હજુ પણ પથારીમાં છે. જયારે અન્ય યુવકના હાથમાં ફ્રેકચર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીડિતોએ TDOને હિજરતની પરવાનગી માંગતો પત્ર પણ લખ્યો હતો. ત્યારે હવે માંડલના વાલ્મિકી સમુદાયના લોકો ફરિયાદ લઈને દિલ્હી પહોંચ્યા છે કે તેમને સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા હત્યાનો ડર સતાવી રહ્યો છે. વાલ્મિકી સમાજના આગેવાનોએ વડાપ્રધાન મોદીને મળવા માટે પણ પરવાનગી માંગી છે.

    અમારી હત્યા થવાની છે તેવા બેનરો સાથે માંડલ ગામના વાલ્મીની યુવકો: સાભાર ભાવિન સિરેસિયા

    સ્થાનિક કક્ષાએ થયેલી કાર્યવાહીથી અસંતોષ સાથે માંડલના વાલ્મિકી સમુદાયના લોકો ફરિયાદ લઈને દિલ્હી પહોંચ્યા છે. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની માંગ કરી છે. આ સાથે જ તેઓ પીએમ મોદીને પણ પોતાની તકલીફો અને ડરની રજૂઆત સાથે એક આવેદન પત્ર પાઠવવા માંગે છે. જેમાં પણ તેમણે તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. દિલ્હીમાં તેમણે ‘અમારી હત્યા થવાની છે, મોદીજી અમને સાંભળી લો’ તથા ‘માંડલ ગામમાં વાલ્મિકી સમાજનું અસ્તિત્વ જોખમમાં છે’ તેવા બેનરો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મુલાકાતનો સમય માંગ્યો છે. જોકે તેમના આ પગલાથી માંડલનો મુસ્લિમ સમુદાય વધુ ઉશ્કેરાઈ જશે તેવો ડર પણ તેઓ જતાવી રહ્યા છે. ઑપઇન્ડિયા પાસે આ પત્રની પણ નકલ ઉપલબ્ધ છે જેને તેઓએ ‘ગુજરાત વાલ્મિકી ફાઇલ્સ’ નામ આપ્યું છે.

    શું હતો આખો મામલો?

    2 મે 2023ના રોજ વાલ્મિકી સમાજના બાળકની મશ્કરી મુદ્દે થયેલી તકરાર બાદ સમીર સલીમ અડી અને અન્ય એક સગીર વયના મિત્રએ મશ્કરી કરતા અટકાવનાર 2 યુવકોને ગંભીર રીતે માર માર્યો હતો, જેમાં એક યુવકને માથામાં જીવલેણ ઈજા પહોંચી હતી અને બીજા યુવકને ગંભીર ફ્રેકચર થયા હતા. આ મામલે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ પણ કરી હતી. જે બાદ સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોએ આરોપીઓને કઠોર સજા આપવાની માંગ સાથે અમદાવાદ જિલ્લા કલેકટર સહિત અનેક જગ્યાએ આવેદન પત્રો આપ્યા હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે વાલ્મિકી સમાજના યુવાનો પર હુમલો થવાની ઘટનાને લઈને પીડિત યુવકની ફરિયાદના આધારે માંડલ પોલીસે સગીર આરોપી અને સમીર સલીમ અડી વિરુદ્ધ સામે IPC કલમો 323, 325, 337, 504 ,506(2) અને 114 ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમો 3(1) આર, 3(1) એસ, 3(2) (5-અ) તેમજ જી.પી એક્ટની કલમ 135 અંતર્ગત ગુનો દાખલ કરીને તપાસ કરી ધરપકડ કરી હતી છે. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ ઘટનામાં દાખલ થયેલી FIRની નકલ પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    આ ઘટનાક્રમમાં બન્ને આરોપીઓ પૈકી સગીર વયના આરોપીના (મહેબૂબભાઈ અડીનો પુત્ર) જામીન કોર્ટે મંજુર કરી દેતા તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જયારે સમીર સલીમ અડી નામના આરોપીની જામીન મામલે પીડિત પક્ષે વાંધા આરજી રજુ કરતા તેના જામીન નીચલી કોર્ટે નામંજૂર કર્યા હતા. ત્યારે આરોપીએ જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તો બીજી તરફ પીડિત વાલ્મીકી સમાજને આશંકા છે કે હાઈકોર્ટમાંથી સમીર સલીમ અડીને જામીન મળી જ જશે. જે બાદ માંડલના વાલ્મિકી સમુદાયના લોકો ફરિયાદ લઈને દિલ્હી પહોંચ્યા છે, તેમને મુસ્લિમ સમાજ દ્વારા હત્યાનો ડર સતાવી રહ્યો છે.

    મુસ્લિમ પક્ષના કેટલાક લોકો ટોળા બનાવીને કરે છે પીછો

    આ મામલે ઑપઇન્ડિયાએ દિલ્હી પહોંચેલા વાલ્મીકી સમાજના સ્થાનિક આગેવાન ભાવિન સિરેસિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વાલ્મિકી સમાજના પીડિત પરિવાર સહિત કેટલાક યુવકો અને મહિલાઓની ફરિયાદ છે કે મુસ્લિમ પક્ષના કેટલાક લોકો ટોળા બનાવીને તેમનો પીછો કરતા રહે છે. જાહેર જગ્યાઓ પર તેઓ આવતા હોય તો સમજ્યા, પણ કોઈ ખેતરે ગયું હોય કે પછી અન્ય કોઈ એકલી જગ્યાએ ગયું હોય ત્યાં પણ તેમના ટોળા પાછળ પાછળ જાય છે. જેવો તેમને મોકો મળશે તેઓ એકાદ વ્યક્તિની હત્યા કરી નાંખશે.” ભાવિન સિરેસિયાએ તેવો પણ દાવો કર્યો હતો કે અ ટોળા પાસે હથિયાર પણ હોય છે.

    ‘કેસ થવો કે જેલમાં જવું મુસ્લિમ પક્ષ માટે ગર્વની વાત, કોર્ટમાં પણ સેલીબ્રીટી જેવી ખાતરદારી’- ભાવિન સિરેસિયા

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ભાવિન આગળ જણાવે છે કે, “એમને કાયદાનો જરા પણ ડર નથી. કેસ થવો અને જેલમાં જવું તેમના માટે ગર્વ લેવા જેવી વાત છે. તેમના માતાપિતા માટે તેમના બાળકો કોર્ટે તારીખ ભરવા જાય તે વાતનો તેઓ ગર્વ લે છે. અમારા માટે કોર્ટે જવું તે એક સમસ્યા છે, અમારા ઘરે પોલીસ આવે તે અમને શરમજનક લાગે છે, જયારે તેમના ત્યાં પોલીસ આવે તેમને ઉઠાવી જાય તે તેમને ગૌરવ અપાવે છે.”

    “તેઓ કોર્ટમાં આવે ત્યારે પણ તેમના પરિવારના લોકો અને અન્ય સહયોગીઓ આરોપીઓ જાણે સેલીબ્રીટી હોય તે મુજબ વર્તાવ કરે છે. આરોપીએ જાને બહુ મોટું મહાન કામ કર્યું હોય તેમ તે રીતે લોકો ટોળા કરીને મળવા આવે, મીઠાઈઓ ખવડાવી મો મીઠું કરે તેમના જમવા માટે સારી સારી વાનગીઓ લઈને આવે છે. તેમના માટે જેલમાં પહેરવા સારા કપડા પણ લાવે છે. અમારા પક્ષે માત્ર 2 કે 3 જ જણા હોય છે. જયારે તેમના પક્ષે 2-4 ગાડીઓ ભરીને 20-25 લોકો તારીખ ભરવા આવે. અમે લોકો મોટર સાઈકલ લઈને તારીખ ભરવા જઈએ ત્યારે ઘણી વખત તેવું થયું છે કે તેઓ ગાડીઓ લઈને અમારી પાછળ આવી ડરાવતા હોય તેવું વર્તન કરે, અમારે ઘણી વખત કોઈ સુરક્ષિત જગ્યાએ ઉભા રહી જવું પડ્યું છે.” તેમ ભાવિને જણાવ્યું હતું.

    ‘જામીન મેળવનાર સગીર આરોપી પોતાને માફિયા સમજે છે, સાથે ગેંગ લઈને ફરે છે’

    જે સગીર વયના આરોપીને જામીન મળી ચુક્યા છે તેના વિશે જણાવતા ભાવિને કહ્યું હતું કે, “જે સગીર વયનો આરોપી છે તે પોતાની સાથે આખી ગેંગ લઈને ફરે છે. અમારા લોકો જ્યાં પણ જાય ત્યાં તે અમારો પીછો કરતો રહે છે. આ સગીર આરોપી પોતાને માફિયા સમજે છે. કોર્ટ 17 વર્ષના સગીરને એમ સમજે છે કે તે હત્યા કરવાનું ન વિચારી શકે, પણ તે અત્યારે ખુલ્લેઆમ અમારી સામે ફરે છે અને એક 40 કે 50 વર્ષનો પુખ્ત વ્યક્તિ પણ ન વિચારી શકે તેવું પે પ્રી-પ્લાનિંગ કરી રહ્યો છે. તે લોકો કાયદાનો ઉપયોગ કરીને કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે.”

    વધુમાં ભાવિને જણાવ્યું હતું કે “કોર્ટ જે માને છે કે 17 વર્ષના સગીર ગુનો ન કરી શકે, પણ તે અમારા બાળકો ન કરી શકે તેમના કરી શકે.” ભાવિને કહ્યું હતું કે, “તેઓ જાણીજોઈને નાના બાળકો પાસે ગુનાહિત પ્રવૃત્તિઓ કરાવડાવે છે. જેથી કાયદાની ભારે કલમોમાં રાહત તેમને મળી શકે અને કાયદાના ઓથા હેઠળ જેલમાંથી બહાર આવી શકાય”

    ‘કાયદાથી બચવા બનાવી રહ્યા છે પત્થરના ધારદાર હથિયાર’

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ભાવિન સિરેસિયાએ આશ્ચર્યજનક દાવો કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, “મુસ્લિમ આરોપીના પક્ષના લોકો તલવાર અને ભાલાઓ જેવા પત્થરના હથિયાર બનાવી રહ્યા છે, જેથી આર્મ્સ એક્ટની કલમો સામે રક્ષણ મેળવી શકાય. તેઓ ખાસ પ્રકારના પત્થરોને ઘસીને તલવાર અને ભાલા જેવા તીક્ષ્ણ હથિયાર બનાવી રહ્યા છે. જેના માટે પૂરતા સંસાધનો પણ તેમની પાસે છે. આ લોકો છત ઉપર અને માળીયામાં ઢગલાબંધ માત્રામાં પથ્થરો એકત્રિત કરીને મૂકી રાખે છે અને તેને ઘસીને ધારદાર હથિયાર બનાવે છે.” ભાવિને દાવો કર્યો હતો કે આ પ્રકારના પત્થર એટલા તીક્ષ્ણ ધાર ધરાવે છે કે તેનો છુટ્ટો ઘા કરવાથી કોઈ વ્યક્તિની ગરદન પણ કપાઈ શકે છે.

    ભાવિને જણાવ્યું કે, “આ પ્રકારના પત્થરોનો ઉપયોગ કરીને તેઓ કાયદામાંથી છટકી જાય છે. કોર્ટમાં જયારે પૂછવામાં આવે કે કયા હથિયારથી માર્યું? ત્યારે સામે જવાબમાં પત્થર કહેતાની સાથે જ તેમના પર આર્મ્સ એક્ટનો ગુનો નથી લાગતો. કારણકે પત્થર તે કોઈ હથિયાર નથી. પત્થર મારવા પાછળ હત્યા કરવાની માનસિકતા હોય તેવું કોર્ટ નથી માનતી. આરોપી પક્ષ સારી રીતે જાણે છે કે કાયદા અને કલમોમાંથી છટકબારી કેવી રીતે શોધી શકાય. જે પીડિત યુવકનું માથું ફાડી નાંખવામાં આવ્યુ હતું તેમાં પણ આ પ્રકારના પત્થરનો ઉપયોગ થયો હતો.” ભાવિને જણાવ્યું હતું કે તે લોકોના ઘરની જડતી લેવામાં આવે તો આ પ્રકારના પત્થરના બનેલા હથિયાર અને તેને બનાવવા માટેના સંસાધનો તેમના ઘરમાંથી મળી આવશે.

    ધારદાર પત્થરનું પ્રતીકાત્મક ચિત્ર સાભાર ભાવિન સિરેસિયા

    ‘આ પહેલા હિંદુ દરજી અને કુંભાર/સુથાર સમાજને પલાયન કરાવવામાં તેઓ સફળ રહ્યા, હવે અમને નિશાન બનાવાય છે’

    ભાવિને પોતાની વાતમાં ઉમેરો કરતા દાવો કર્યો હતો કે, “આ કોઈ પ્રથમવાર નથી કે માંડલમાં હિંદુ સમાજના ફિરકાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય. આ પહેલા મુસ્લિમ પક્ષે આવી જ રીતે માંડલના દરજી અને કુંભાર સમાજને પ્રતાડિત કરીને પલાયન કરવા મજબુર કર્યા હતા. તે લોકો એમના ઘર પાસે મરેલા પશુઓના વધેલા કચરા નાંખતા, કોઈ ને કોઈ બાબતે ઝઘડા કરતા અને દાદાગીરી ચલાવતા. જો કોઈ પ્રતિકાર કરવા જાય તો તેઓ પણ હુમલાનો શિકાર બનતા. અંતે તેમના ત્રાસથી ગામના દરજી અને કુંભાર/સુથાર સમાજે પલાયન કરવું પડ્યું છે. લોકો પોતાના આવાસ અને અન્ય મિલકત વેચી કે ભાડે આપી અન્યત્ર વસવા મજબુર બન્યા છે. હવે મુસ્લિમ પક્ષ ઈચ્છે છે કે માંડલનો વાલ્મીકી સમાજ પણ પલાયન કરે અને તેઓ અમારી જગ્યા પર કબજો જમાવી લે.” તેવો દાવો માંડલના વાલ્મિકી સમાજના આગેવાને કર્યો હતો.

    માંડલના વાલ્મિકી સમાજે હિજરતની પરવાનગી માંગી હતી

    ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમાજના કેટલાક લોકોના ત્રાસથી માંડલના વાલ્મિકી સમાજે પણ હિજરતની પરવાનગી માંગતો પત્ર તાલુકા TDOને પાઠવ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, “માંડલ જૂના વાલ્મિકી વાસમાં તેઓ વર્ષોથી વસવાટ કરે છે, જ્યાં વાલ્મિકી વસાહતના પ્રવેશ દ્વાર (ઝાંપા) સામે અને આજુબાજુ મુસ્લિમ સમાજની વસ્તી રહે છે. તેમના દ્વારા વાલ્મિકી સમાજનું વર્ષોથી ઉત્પીડન કરવામાં આવે છે.” આ પત્રમાં આગળ જણાવાયું છે કે, “વસાહતની સામે મુસ્લિમ સમુદાયના લોકોએ પંચાયતની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે દરવાજા પાડીને દુકાનો બનાવી છે. આ દુકાનોએ આખો દિવાસ અને રાત્રે મોડા સુધી લુખ્ખાતત્વો બેસી રહે છે. દુકાને વાલ્મિકી સમાજના ભાઈ-બહેનો,બાળકો કોઈ વસ્તુ લેવા જાય તો અપશબ્દો, જાતિવિષયક શબ્દો કહીને કનડગત કરે છે.”

    TDOને પાઠવવામાં આવેલા આ પત્રમાં પીડિતોએ જણાવ્યા અનુસાર સ્થાનિક મુસ્લિમ સમાજના કેટલાક લોકો વાલ્મિકી સમાજને વસાહત છોડીને પલાયન કરવું પડે તેટલો ત્રાસ આપે છે અને અવાર-નવાર ઝગડા કરવાના બહાના શોધી હુમલા કરવાના પ્રયત્ન કરે છે. તેમના ત્રાસથી વાલ્મિકી સમાજના પરિવારોનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. આ લોકોના શારીરિક અને માનસિક ત્રાસથી નાછૂટકે તેમને સામૂહિક હિજરત કરવાની ફરજ પડશે. ઑપઇન્ડિયા પાસે આ પત્રની નકલ ઉપલબ્ધ છે.

    હવે જોવાનું એ રહે છે કે દિલ્હી પહોંચેલા માંડલના આ વાલ્મિકી સમુદાયના લોકો કઈ રીતે પોતાની ફરિયાદ પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં સફળ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં