ખંભાત પોલીસે એક પોલીસકર્મી પર હુમલો કરવા મામલે 6 મુસ્લિમ શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરીને ચારની ધરપકડ કરી લીધી છે. 6 સિવાય બાકીના 20થી 25 ઇસમોનાં ટોળાં સામે પણ FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે આરોપીઓએ ટોળું રચીને પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે પોલીસ મથકે એકઠા થઈને હોબાળો કર્યો અને એક પોલીસકર્મીને ગાળો આપીને, નગ્ન કરીને ઢોર માર માર્યો હયો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
રવિવારે (17 નવેમ્બર) ઘટેલી આ ઘટનાને લઈને પોલીસે 6 મુસ્લિમ શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે. જેમાં ઝુબૈર લિયાકત મલેક, શકીલ ભઠીયારો (ચાંદમિયાંનો પુત્ર), ઝુબૈર ભઠીયારો, આદિલ શેખ, સોહેલ સિદ્દિક શેખ અને માજિદ અકીકવાળોનો સમાવેશ થાય છે. તે સિવાય તેમની સાથે આવેલા 20-25 માણસોના ટોળાં સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 189(2), 191(2), 190, 121, 115(2), 352, 221, 223, 61(2) હેઠળ FIR નોંધી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
પોલીસ સ્ટેશને પહોંચી કર્યો હોબાળો, કોન્સ્ટેબલને નગ્ન કરી માર્યો માર
ફરિયાદી, પીડિત પોલીસકર્મી કોન્સ્ટેબલ અલ્કેશભાઈ શુક્રવારે (22 નવેમ્બર) ખંભાત સિટી પોલીસ સ્ટેશમમાં પોતાની ફરિયાદ દાખલ કરી હતી. FIR અનુસાર, આ ઘટના રવિવારે (17 નવેમ્બર) બનવા પામી હતી. ઘટનાની વિગતો એવી છે કે, રવિવારના દિવસે ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડમાં નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકો મસ્તી-મજા માટે એકઠાં થયાં હતાં. તે દરમિયાન ચકડોળમાં બેઠેલાં નાની ઉંમરનાં ચાર બાળકોએ કાગળના ટુકડા હવામાં ઉડાડ્યા હતા. આ ટુકડાઓમાં ઉર્દૂમાં કોઈ લખાણ લખેલું હતું, જેને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ કુરાનની આયાત સમજી લઈને ભારે હોબાળો કર્યો હતો.
ફરિયાદમાં કહેવાયું છે કે, મુસ્લિમ સમુદાયના ટોળાંએ પોલીસ સ્ટેશને આવીને પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. જે બાદ પોલીસે તરત જ તે ચાર સગીર બાળકોની અટકાયત કરી હતી અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયાં હતાં. તે દરમિયાન અચાનક જ ઝુબૈર મલેક, શકીલ ભઠીયારો, ઝુબૈર ભઠીયારો, આદિલ શેખ, સોહેલ સિદ્દિક શેખ અને માજિદ સહિતના 20-25 લોકો પોલીસ સ્ટેશન ઘસી આવ્યા હતા. આરોપ છે કે, તેઓ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે ટોળું એકઠું કરીને આવ્યા હતા અને પોલીસ સાથે હોબાળો કરવા લાગ્યા હતા.
ફરિયાદ અનુસાર, ટોળાંએ ‘ચાર શકમંદોને અમને સોંપી દો, ફેંસલો અમે કરી નાખીશું. આજે એમને પૂરા કરી નાખવાના છે’ કહીને હોબાળો શરૂ કરી દીધો હતો. જે બાદ પોલીસકર્મીઓએ તેમને સમજાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ પર હુમલો કરી દીધો હતો. આરોપ છે કે, ટોળાંએ ખરાબ ગાળો આપીને પોલીસકર્મીનો કોલર પકડ્યો હતો અને કપડાં ફાડીને તેમને નગ્ન કરીને માર પણ માર્યો હતો.
ફરિયાદી પોલીસકર્મીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ટોળાંએ તેમનો કોલર પકડીને છાતીમાં લાત મારી હતી અને કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. જે બાદ ત્યાં હાજર અન્ય પોલીકર્મીઓએ ટોળાંને વિખેરવા માટે પ્રયાસો કર્યા હતા. વધુમાં જણાવાયું છે કે, અન્ય સ્થળોની પોલીસ ફોર્સ ઘટનાસ્થળે આવી જતાં તમામ આરોપીઓ વિખેરાઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી ભાગી ગયા હતા. ત્યારબાદ ઘટનાના પાંચ દિવસે પોલીસકર્મીએ પોતે ફરિયાદી બનીને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
‘બાળકોએ ઈરાદાપૂર્વક નહોતું કર્યું કૃત્ય, ચારની થઈ છે ધરપકડ’- પોલીસ
આ સમગ્ર ઘટનાને લઈને ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં ખંભાત પોલીસે જણાવ્યું કે, ચાર બાળકો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે અને પસ્તીની દુકાનમાંથી તેમણે પુસ્તકો ખરીદ્યાં હતાં. તે દરમિયાન તેમને ઉર્દૂ ભાષાનું પણ એક પુસ્તક મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ બાળકોને જાણ પણ નહોતી કે, તે પુસ્તક શાનું છે. બાળકોએ તે પુસ્તકના કાગળના ટુકડા કરીને પોતાની બેગમાં ભરી રાખ્યા હતા. જે બાદ મેળામાં ચકડોળ દરમિયાન તેમણે માત્ર મોજ-મસ્તી માટે તે કાગળના ટુકડા ઉડાવ્યા હતા.
પોલીસ અનુસાર, આ કૃત્ય બાળકોએ ઈરાદાપૂર્વક નહોતું કર્યું, જોકે, બાળકોને તો તે પુસ્તક વિશે પણ કોઈ ખ્યાલ પણ નહોતો. તેમ છતાં મુસ્લિમ ટોળાંએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને નાની ઉંમરના બાળકોનો હવાલો માંગ્યો હતો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસકર્મી પર હુમલો કર્યાના આરોપસર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીઓને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) શાહી જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર સ્થાનિક મુસ્લિમોએ પથ્થરમારો (Stone Pelting) કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અધિકારીઓની ટીમ રવિવાએ (24 નવેમ્બર) વહેલી સવારે સાડા સાતની આસપાસ પહોંચી હતી, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમની ઉપર પથ્થર ફેંક્યા અને ઉત્પાત મચાવ્યો હતો. ત્યારબાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ સ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયાસ કર્યા હતા.
કોર્ટના આદેશ બાદ બીજી વખત સરવે કરવા માટે ટીમ પહોંચી હતી. પરંતુ જેવી ટીમ પહોંચી કે તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે, જેમાં પોલીસ પર પથ્થર ફેંકાતા જોવા મળે છે. અધિકારીઓ હેલમેટ પહેરીને હુમલાથી બચતા પણ દેખાય છે. પછીથી અધિકારીઓ ભીડ વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડે છે. વિડીયોમાં રસ્તા પર પથ્થર અને ઈંટોના ટુકડાઓ પડેલા જોવા મળે છે.
#WATCH | Uttar Pradesh: An incident of stone pelting took place in Sambhal when a survey team reached Shahi Jama Masjid to conduct a survey of the mosque. Police used tear gas to control the situation.
જાણવા મળ્યા અનુસાર, વહેલી સવારે ટીમ પહોંચી ત્યારે જ મુસ્લિમ સમુદાયના હજારો માણસોનું ટોળું મસ્જિદની સામે એકઠું થઈ ગયું હતું. અધિકારીઓએ મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તો ટોળાએ બબાલ કરી અને ત્યારબાદ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. જેના કારણે પોલીસકર્મીઓએ ભાગવું પડ્યું હતું. જોકે, પછી વધારાની ફોર્સ બોલાવીને સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી.
પથ્થરમારા બાદ તરત પોલીસે ભીડ વિખેરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આંસુગેસ છોડ્યા બાદ માઇકથી શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી હતી. સ્થળ પર એસપી અને ડીએમ સહિતના અધિકારીઓ પણ દોડી ગયા હતા. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હોવાનું કહેવાય છે.
રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓ શાંત કરાવવા માટે પહોંચ્યા તો ટોળાએ મજહબી નારાબાજી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ મસ્જિદની આસપાસથી ટોળાં વિખેરવા માટે મસ્જિદની અંદરથી પણ એલાન કરાવવામાં આવ્યું, પણ તેમ છતાં ટોળું ન હટ્યું.
ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના DGP પ્રશાંત કુમારે કહ્યું કે, “કોર્ટના આદેશથી સંભલમાં સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે. જ્યાં અમુક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે. પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ પથ્થરબાજોને શોધી કાઢીને કડક કાર્યવાહી કરશે.
On the stone pelting incident in Sambhal, DGP UP Prashant Kumar says "A survey is being conducted in Sambhal on the orders of the court. Some anti-social elements have pelted stones. Police and senior officers are present on the spot. The situation is under control, the police… https://t.co/2kGeeR8FKlpic.twitter.com/WNBnyOPPpL
ઉલ્લેખનીય છે કે એડવોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા સંભલ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સંભલ મસ્જિદનો સરવે કરવાની માંગ કરવામાં આવી હતી. અહીં મસ્જિદના સ્થાને પહેલાં મંદિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અરજી પર કોર્ટે એડવોકેટ કમિશનર સરવેનો આદેશ આપ્યો છે. આ પહેલાં 19 નવેમ્બરના રોજ પણ એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. કોર્ટે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સરવે કરીને કોર્ટમાં જમા કરવા માટે આદેશ આપ્યો છે.
વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, “સંભલ અમારી આસ્થાનું કેન્દ્ર છે. અમારી ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં દશાવતારમાંથી એક કલ્કી અવતાર અવતરશે. વર્ષ 1529માં બાબરે મંદિર તોડીને મસ્જિમાં બદલવાના પ્રયાસ કર્યા હતા. આ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં કોઈ પણ પ્રકારનું અતિક્રમણ ન થઈ શકે. અહીં અનેક નિશાન હિંદુ મંદિરનાં છે. આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને કોર્ટે આદેશ આપ્યો છે.” નોંધવું જોઈએ કે આ કેસમાં UP સરકાર, જામા મસ્જિદ સમિતિ અને સંભલ પ્રશાસન તેમજ ASIને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કાંગડા જિલ્લામાં 22 નવેમ્બર, 2024ના રોજ પરાગપુરના બલાહરમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના (Rashtriya Sanskrit Sansthan) વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન (Students Protest) કર્યું હતું. એક પ્રોફેસરે માથા પર પર તિલક (Tilak) લગાવવાનો અને ‘જય શ્રીરામ’ (Jay Shri Ram) બોલવાનો કથિત રીતે ઇનકાર કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.
વિદ્યાર્થીઓએ અગાઉ સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર સત્યમ કુમારીને ફરિયાદ કરી હતી. તેમણે અનુશાસન સમિતિને આ મામલે તપાસ કરવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, પ્રોફેસરે તેમને તિલક લગાવવા અને ‘જય શ્રીરામ’ કહેવાથી રોક્યા હતા.
પ્રોફેસરે કહ્યું છે કે, જય શ્રીરામ કહેવું રાજકીય છે. પ્રોફેસર તરફથી આવી હરકત કરવાને લઈને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે પ્રોફેસર પર ગેરવર્તન અને ભેદભાવનો આરોપ પણ લગાવ્યો છે. હિંદુ સંગઠનોએ પણ આ મામલે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. વિદ્યાર્થીઓની સાથે હિંદુ સંગઠનોએ પણ ઘટનાસ્થળે વિરોધ પ્રદર્શન કર્યું છે.
વિશ્વ હિંદુ પરિષદ (VHP), બજરંગ દળ અને બ્રાહ્મણ સભા જેવા અન્ય હિંદુ સંગઠનોએ સંસ્થાના મુખ્ય દ્વાર પર વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમણે જય શ્રીરામના નારા લગાવ્યા અને ભગવાન રામના ભજન પણ ગાયા હતા. આ મામલે ચર્ચા કરવા માટે તેઓ પ્રોફેસર કુમારીને પણ મળ્યા હતા અને આરોપી પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી.
સંસ્કૃત સંસ્થાનના પ્રોફેસર કુમારીએ કહ્યું, “અમને વિદ્યાર્થીઓની ફરિયાદ મળી છે અને એક અનુશાસન સમિતિની રચના પણ કરવામાં આવી છે. પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ બંનેને કમિટી સમક્ષ તેમના નિવેદનો આપવા માટે કહેવામાં આવ્યું છે. પ્રોફેસરને પહેલાં જ નોટિસ જારી કરવામાં આવી છે.”
તેમણે આશ્વાસન આપ્યું કે, આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. આ ઉપરાંત તેમણે પરિસ્થિતિ માટે ગેરસમજને જવાબદાર ગણાવી હતી. અનુશાસન સમિતિનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. હિંદુ જાગરણ મંચના નેતાઓ પણ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના કેમ્પસમાં પહોંચ્યા હતા અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું.
VHP કાર્યકર્તાઓએ પ્રોફેસરના વર્તનની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, પ્રોફેસરે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. VHPના એક સભ્યએ કહ્યું, “અમે કોઈપણ રીતે અમારા ધાર્મિક અધિકારોનું દમન સહન નહીં કરીએ.” દરમિયાન, વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે, જો કાર્યવાહી નહીં થાય તો તેઓ પ્રદર્શન ચાલુ રાખશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections) મહાયુતિ (Mahayuti) (ભાજપ, શિંદે જુથની શિવસેના અને અજીત પવારની NCP)એ પ્રચંડ વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે. 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિએ 200થી વધુ બેઠકો જીતી લીધી છે. ભાજપે એકલા હાથે 130 બેઠકો પર લીડ મેળવી છે, જ્યારે શિંદે જુથની શિવસેના 55 અને અજીત પવારની NCP 40 બેઠકો પર આગળ છે. પરંતુ, આ ઐતિહાસિક આંકડા બાદ હવે મહાવિકાસ અઘાડીમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. ઉદ્ધવસેનાના સંજય રાઉત બાદ હવે NCP (શરદ પવાર)ના ઉમેદવાર ફહાદ અહેમદની પત્ની સ્વરા ભાસ્કરે પણ EVM તરફ ઈશારો કરીને વિલાપ શરૂ કરી દીધો છે.
હાર બાદ બોખલાયેલા વિપક્ષી નેતાઓ EVM, સરકાર અને ચૂંટણી પંચ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. તે જ અનુક્રમે હવે સમાજવાદી પાર્ટીમાંથી NCP-શરદ પવારમાં જોડાયેલા ફહાદ અહેમદની પત્ની અને અભિનેત્રી સ્વરા ભાસ્કરે તો EVMના ચાર્જને લઈને પણ સવાલો ઊભા કર્યા છે અને EVM ખરાબ હોવાનો વર્ષો જૂનો વિલાપ પણ શરૂ કરી દીધો છે. તે સિવાય શિવસેના-UBTના નેતા સંજય રાઉત પહેલાં જ સિસ્ટમને દોષ આપી ચૂક્યા છે.
સ્વરા ભાસ્કરે EVM પર ઉઠાવ્યા સવાલો
ચૂંટણીના પરિણામો વચ્ચે અણુશક્તિ નગર બેઠક પર સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ પર હાર મંડરાઈ રહી છે. 19મા રાઉન્ડની મતગણતરીમાં ફહદ અહેમદ 3378 મતોથી પાછળ ધકેલાઇ ગયા છે. જ્યારે NCP નેતા સના મલિક તેમના કરતા આગળ વધી ગયા છે. આ સ્થિતિને જોતાં હમણાં સુધી શાંત રહેલી ફહાદ અહેમદની પત્ની સ્વરા ભાસ્કરે EVMની કાર્યપ્રણાલી પર સવાલો શરૂ કરી દીધા છે.
ફોટો- ચૂંટણી પંચ
સ્વરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “આખો દિવસ મતદાન બાદ પણ EVM મશીન 99% ચાર્જ કઈ રીતે હોય શકે છે? ઇલેક્શન કમિશન જવાબ આપે. અણુશક્તિ વિધાનસભામાં જેવી 99% ચાર્જ મશીનો ખોલવામાં આવ્યાં કે તરત જ ભાજપ સમર્થિત NCPને મત મળવા લાગ્યા. આખરે આવું કેમ?”
पूरा दिन वोट होने के बावजूद EVM मशीन 99% कैसे चार्ज हो सकती है ? इलेक्शन कमीशन जवाब दे.. @ECISVEEP@SpokespersonECI अणुशक्ति नगर विधानसभा में जैसे ही 99% चार्ज मशीने खुली उसके बीजेपी समर्थित एनसीपी को वोट मिलने लगे आख़िर कैसे ? @NCPspeaks
સાથે એ પણ નોંધવા જેવું છે કે, હારને નજર સમક્ષ આવતી જોઈને શિવસેના (UBT) નેતા સંજય રાઉત પણ રઘવાયા થઈ ગયા હતા. શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા સંજય રાઉતે દર વખતની જેમ જનાદેશ માનવાના સ્થાને ગોળગોળ વાતો કરવા માંડી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે આ જનતાનો આદેશ છે તેવું માનવા જ તૈયાર નથી અને ભાજપે ગડબડ કરી છે.” રાઉતે વધુમાં કહ્યું હતું કે, “મહારાષ્ટ્રની જનતાનું મન અમને ખબર છે. આ મહારાષ્ટ્રની જનતાનો નિર્ણય ન હોય શકે. હું એટલું જ કહીશ કે આ જનતાનો નિર્ણય નથી.”
99%વાળું તૂત અગાઉ પણ નીકળ્યું હતું, ચૂંટણી પંચ કરી ચૂક્યું છે સ્પષ્ટતા
સ્વરા ભાસ્કરે જે EVM મશીનને લઈને સવાલો ઊભા કર્યા છે, તેના જવાબો ચૂંટણી પંચ પહેલાં જ આપી ચૂક્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સિસ્ટમમાં કે પ્રક્રિયામાં કોઈ ખામી નથી અને હાર ન પચાવી શકવાના કારણે સ્વરા અને તેમના પતિએ ડ્રામા શરૂ કર્યો છે.
હરિયાણા ચૂંટણી પછી આવા સવાલો સર્જાતા ચૂંટણી પંચે સમજાવ્યું હતું કે, EVMમાં જે વૉટિંગ નંબર બતાવવામાં આવે તે અને બેટરી ચાર્જ લેવલ વચ્ચે લિંક હોય છે. અધિકારીઓએ સમજાવ્યું હતું કે, EVMના કંટ્રોલ યુનિટમાં આલ્કલાઇન બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે અને ચૂંટણી માટે EVMનો ઉપયોગ શરૂ કરવામાં આવે તે પહેલાં તેની અંદર નવી બેટરી નાખવામાં આવે છે અને તે કામ ઉમેદવારો કે તેમના એજન્ટોની હાજરીમાં થાય છે.
બેટરી 7.5થી 8 વૉલ્ટ વચ્ચેનો વોલ્ટેજ પૂરો પાડે છે. જ્યારે વોલ્ટેજ 7.4 હોય ત્યારે બેટરી કેપિસિટી 99% દર્શાવવામાં આવે છે. EVMના ઉપયોગ સાથે બેટરી ચાર્જ વપરાય તેમ-તેમ તે નીચે આવતું જાય છે. EVM ત્યાં સુધી કામ કરે છે, જ્યાં સુધી બેટરીમાં 5.8 વૉલ્ટ ન હોય. 10% પર પહોંચવા પહેલાં કંટ્રોલ યુનિટ લૉ બેટરી વૉર્નિંગ આપવા માંડે છે.
ચૂંટણી પંચે એ પણ સમજાવ્યું હતું કે, પરિણામના દિવસે બેટરીની કેપેસિટી મૉકપોલ, પોલ અને બેટરીના શરૂઆતના વોલ્ટેજ પર પણ આધાર રાખે છે, જે 7.5થી 8 વૉલ્ટની વચ્ચે હોય છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા સાથે ગુજરાતની વાવ વિધાનસભા બેઠક (Vav By election) પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી, જેનાં પરિણામો પણ જાહેર થઈ રહ્યાં છે. અહીં મતગણતરી શરૂ થઈ ત્યારથી જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા, પરંતુ અંતિમ ત્રણ રાઉન્ડમાં બાજી પલટાઈ ગઈ અને આખરે ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે (Swaroopji Thakor) જીત મેળવી લીધી.
વાવ બેઠક પર ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2500ની લીડથી વિજયી બન્યા છે. 23 રાઉન્ડની ગણતરીમાં અંતિમ ત્રણ રાઉન્ડમાં તેમણે જંગી લીડ મેળવી લીધી અને કોંગ્રેસ ઉમેદવારને ઓવરટેક કરીને આગળ નીકળી ગયા.
સ્વરૂપજી ઠાકોરની જીત બાદ હવે શુભકામનાઓ પણ આવવાની શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
સીએમ પટેલે લખ્યું કે, “વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન. ભાજપાની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.”
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન.
ભાજપાની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.
આ બેઠક પર વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોરે ઉમેદવારી કરી હતી અને જીત મેળવી લીધી હતી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગેનીબેનને બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ આપી હતી, ત્યારબાદ તેમણે અહીં જીત પણ મેળવી. જેથી ધારાસભ્ય પદેથી વાવ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. જેથી પેટાચૂંટણી કરવાની ફરજ પડી હતી.
પેટાચૂંટણીમાં ભાજપે 2022માં ગેનીબેન સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે થરાદના પૂર્વ MLA ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. અહીંથી ભાજપના પૂર્વ નેતા માવજીભાઈ પટેલે પણ ઉમેદવારી કરતાં પાર્ટીની ચિંતા વધી હતી. બીજી તરફ, બનાસકાંઠામાં જાતિગત સમીકરણો પણ કામ કરતાં હોવાથી ચૂંટણી રસપ્રદ બની હતી.
પરિણામો જાહેર થયાં ત્યારે ગુલાબસિંહ રાજપૂતે પહેલા રાઉન્ડથી લીડ મેળવી હતી. 20 રાઉન્ડ સુધીમાં તેઓ 8 હજાર મતોની લીડ મેળવી ચૂક્યા હતા અને મીડિયામાં તો અનૌપચારિક રીતે તેમની જીતનું અનુમાન પણ લગાવવાનું શરૂ કરી દેવાયું હતું. પરંતુ 20મા રાઉન્ડથી બાજી પલટાઈ ગઈ.
ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની મતપેટીઓ ખુલતી ગઈ તેમ સ્વરૂપજી ઠાકોર લીડ મેળવતા ગયા અને 21મો રાઉન્ડ આવતાં સુધીમાં તેઓ આગળ નીકળી ગયા. 23 રાઉન્ડને અંતે તેઓ 2500થી વધુ મતની લીડ સાથે જીતી ચૂક્યા છે.
તાજેતરમાં જ પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તૂનખ્વાના (Khyber Pakhtunkhwa) પેશાવરમાં (Peshawar) એક હુમલામાં (Terrorist Attack) 50 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના લોકો શિયા મુસ્લિમો હતા. આ ઘટના ગુરુવારે (21 નવેમ્બર) પેશાવરના એક ગ્રામીણ વિસ્તારમાં બનવા પામી હતી. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, હુમલા બાદ ભડકી ઉઠેલા લોકોએ બે પોલીસ સ્ટેશનો પણ સળગાવી દીધા છે. આ સાથે રસ્તાઓમાં પણ તોડફોડ કરીને આગ લગાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
માહિતી અનુસાર, પાકિસ્તાનના પેશાવરમાં થયેલા હુમલા બાદ સ્થાનિક લોકો શુક્રવારે (22 નવેમ્બર) વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાની સરકારનો વિરોધ કર્યો હતો. જે બાદ અચાનક જ ટોળું ભડકી ઉઠ્યું હતું અને બજાર તરફ ભાગવા લાગ્યું હતું. બગ્ગન મુખ્ય બજાર પર પહોંચીને લોકોએ રસ્તા પર જ તોડફોડ શરૂ કરી દીધી હતી. મુખ્ય બજારના પ્રવેશ દ્વાર ‘બાબ-એ-કુર્રમ’માં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ પલચિનારમાં 2 પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કરી દીધો હતો અને આગ લગાવી દીધી હતી.
આદિવાસી નેતાઓએ વ્યક્ત કરી ચિંતા
જલાલ બંગશ સહિત તુરી અને બંગશ સમુદાયના આદિવાસી નેતાઓએ આ હુમલાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા દોઢ મહિનાથી તેઓ સરકારને સુરક્ષિત રસ્તા સુનિશ્ચિત કરવા માટેની માંગણી કરી રહ્યા છે. બે અઠવાડિયા પહેલાં મુખ્ય રાજમાર્ગને ફરીથી ખોલવા અને તેને સુરક્ષિત કરવા માટેની એક શાંતિ પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી. જે બાદ તેમણે જણાવ્યું કે, સરકારે તેમને સુરક્ષાનું માત્ર આશ્વાસન જ આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સપ્ટેમ્બરમાં કુર્રમ જિલ્લામાં એક જમીનના ટુકડાને લઈને શિયા અને સુન્નીઓ એકબીજા પર તૂટી પડ્યા હતા અને તેમાં 50 લોકો માર્યા ગયા હતા.
નોંધવા જેવું છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના પેશાવરમાં ગુરુવારે (21 નવેમ્બર) મોટો હુમલો થવા પામ્યો હતો. જેમાં ભારે હથિયારોથી લેસ હુમલાખોરોએ યાત્રિકોને લઈ જઈ રહેલા ડઝનેક વાહનો પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં હમણાં સુધીમાં લગભગ 50 લોકોના મોત થઈ ગયા હતા અને મોટાભાગના લોકો શિયા મુસ્લિમ સમુદાયના હતા. આ સાથે જ 20 લોકો ઘાયલ હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી.
બાંગ્લાદેશમાં (Bangladesh) આવેલા રંગપુર ડિવિઝનમાં વિરોધ પ્રદર્શન રેલીમાં સામેલ થવા જઈ રહેલા હિંદુઓ (Hindus) પર ઇસ્લામી કટ્ટરપંથીઓના ટોળાએ હુમલો (Muslim Mob Attack On Hindus) કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલા શુક્રવાર (22 નવેમ્બર 2024)ના રોજ થયા હતા, જ્યારે હિંદુઓ મહિગંજ કોલેજ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા. કટ્ટરપંથીઓના ટોળાએ હિંદુઓને બસોમાં મુસાફરી કરતા અને વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચતા અટકાવ્યા હતા. હુમલામાં ઘણા હિંદુઓ ઘાયલ પણ થયા, પરંતુ ધાકધમકી આપી હોવા છતાં મોટી સંખ્યામાં હિંદુઓ પ્રદર્શનમાં જોડાયા હતા.
પીડિત હિંદુઓ ‘બાંગ્લાદેશ સમ્મિલિત સનાતની જાગરણ જોટ’ દ્વારા આયોજિત પ્રદર્શન રેલીમાં જોડાવા માંગતા હતા. આ રેલીનું આયોજન મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારને લઘુમતીઓના અધિકારો અને રક્ષણ માટેની 8 માંગણીઓ લાગુ કરવાની અપીલ કરવા માટે કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ ઇસ્લામી છાત્ર શિબિર સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓએ હિંદુઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને લોહીલુહાણ પણ થયા હતા.
Muslim groups and police attacked Hindus who had gone to a rally in Rangpur division today to protest the ongoing Hindu persecution and temple vandalism in Bangladesh and to demand eight-point demands to protect the existence of Hindus@UtsavSanduja@BanglaRepublic#Bangladeshpic.twitter.com/v1y4BUuRyK
સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, હિંદુઓને બસમાં મુસાફરી કરતા અને વિરોધ પ્રદર્શનના સ્થળ પર પહોંચતા અટકાવવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક બસો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશની પોલીસ અને સૈન્ય અધિકારીઓએ કટ્ટરપંથી ઇસ્લામી ટોળા સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.
#Bangladesh Overcoming all the barriers, right now nearly one lac Hindu minorities arrived in #Rangpur.
Today's rally is part of nationwide rallies in support of 8-point demands for the rights and dignity of the Hindu minorities in #Bangladesh.
જોકે, ડરાવવા-ધમકાવવાના આ પ્રયાસો છતાં હિંદુઓ પ્રદર્શનમાં જોડાયા હતા અને તેમની 8 માંગણીઓના અમલ માટે અપીલ કરી હતી. આ માંગણીઓ હતી:
લઘુમતીઓ સામેના અત્યાચારના કેસોનો ઝડપી નિકાલ અને પીડિતોને યોગ્ય વળતર અને પુનર્વસન.
લઘુમતી સંરક્ષણ અધિનિયમની રચના.
લઘુમતી બાબતોના મંત્રાલયની રચના.
હિંદુ વેલફેર ટ્રસ્ટને હિંદુ ફાઉન્ડેશનમાં અપગ્રેડ કરવું.
પ્રોપર્ટી રિકવરી એન્ડ પ્રિઝર્વેશન એક્ટ અને ટ્રાન્સફર ઓફ એન્ટ્રાસ્ટેડ પ્રોપર્ટી એક્ટનો યોગ્ય અમલ.
દરેક શૈક્ષણિક સંસ્થામાં લઘુમતીઓ માટે ધર્મસ્થાનોનું નિર્માણ અને દરેક હોસ્ટેલમાં પ્રાર્થના રૂમની ફાળવણી.
સંસ્કૃત અને પાલી શિક્ષણ બોર્ડનું આધુનિકીકરણ.
દુર્ગા પૂજા પર 5 દિવસની ફરજિયાત રજા.
નોંધવા જેવું છે કે, શેખ હસીનાના રાજીનામાં બાદથી બાંગ્લાદેશમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે સમયે પણ વિદ્યાર્થી આંદોલનની આડમાં અનેક હિંદુઓના ઘરો અને મંદિરો સળગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક હિંદુ વ્યક્તિઓની હત્યા પણ કરવામાં આવી હતી. તે જ સ્થિતિ હવે નવી સરકાર બન્યા બાદ પણ જોવા મળી રહી છે.
“રાજસ્થાનની (Rajasthan) મદરેસાઓમાં (Madrasa) દલિત હિંદુ (Dalit Hindu) બાળકોને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે ઈસ્લામિક શિક્ષણ દ્વારા તેમનું ધર્માંતરણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.”- એક RTI સામે આવ્યા બાદ બજરંગ દળ અને RTI એક્ટિવિસ્ટ દ્વારા આ આરોપો લગાવવામાં આવ્યા છે.
બજરંગ દળે જણાવ્યું છે કે, હાલમાં જ મદરેસામાં સકીના નામની હિંદુ દલિત યુવતીનું રજિસ્ટ્રેશન થયું હતું. તેના પિતાનું નામ હજુ પણ હિંદુ છે. બજરંગ દળે એક જ મદરેસા પર 6 હિંદુ વિદ્યાર્થીઓના ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ એક RTI સામે આવતાં ચિંતા વધી ગઈ છે.
RTIમાં ખુલાસો થયો છે કે રાજસ્થાનની મદરેસાઓમાં 3000થી વધુ બિનમુસ્લિમ બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. આ બાળકોમાં મોટાભાગનાં હિંદુ બાળકો હોવાનું કહેવાય છે. સરકારી કે ખાનગી શાળાઓમાં જવાને બદલે મદરેસામાં ભણતાં લગભગ 50% બાળકો છોકરીઓ છે.
આ RTIથી જાણવા મળ્યું છે કે આ મદરેસાઓમાં બિનમુસ્લિમ બાળકોની સંખ્યા સેંકડોમાં છે પરંતુ બિનમુસ્લિમ શિક્ષકોની સંખ્યા નહિવત્ છે. આ મામલામાં RTI એક્ટિવિસ્ટો અને બજરંગ દળના લોકોએ ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો. ઉપરાંત તેમને ઇસ્લામ તરફ ઢાળવાનું મોટું ષડ્યંત્ર ગણાવ્યું હતું.
કેવી રીતે સામે આવી માહિતી?
રાજસ્થાન હાઇકોર્ટના વકીલ સુજીત સ્વામીએ રાજસ્થાન મદરેસા બોર્ડને RTI દાખલ કરી હતી. જેમાં તેમણે પૂછ્યું હતું કે રાજસ્થાનના તમામ જિલ્લાઓની મદરેસાઓમાં કેટલાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય તેમણે રાજસ્થાનમાં મદરેસાઓમાં કેટલા બિનમુસ્લિમ શિક્ષકો છે તેની પણ માહિતી માંગી હતી. મદરેસા બોર્ડે સુજીત સ્વામીને જિલ્લાવાર આ માહિતી આપી છે. આમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. આ RTI ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. આ માહિતી સામે આવ્યા બાદ બજરંગ દળ અને સુજીત સ્વામીએ સવાલો ઉભા કર્યા છે.
શું જાણકારી આવી સામે?
રાજસ્થાન મદરેસા બોર્ડે માહિતી આપી છે કે શૈક્ષણિક સત્ર 2024-25માં રાજ્યની મદરેસાઓમાં કુલ 3056 બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. જેમાંથી 1600 છોકરાઓ જ્યારે 1456 છોકરીઓ છે. કોટા જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ મદરેસાઓમાં અભ્યાસ કરે છે. કોટામાં 184 વિદ્યાર્થીનીઓ છે જ્યારે 156 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ પછી ટોંક જિલ્લાની મદરેસાઓમાં 161 બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ અને 147 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ચિત્તોડગઢમાં 115 બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ અને 98 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.
(ફોટો: ઑપઇન્ડિયા)
બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ હોઈ શકે, શિક્ષક નહીં?
આ RTIમાં જે ચોંકાવનારી બાબત સામે આવી છે તે એ છે કે મદરેસાઓમાં ભણતા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં હોવા છતાં બિનમુસ્લિમ શિક્ષકો લગભગ નહીંવત છે. RTIમાં જણાવવામાં આવ્યું છે કે કોટામાં જ્યાં સૌથી વધુ સંખ્યામાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ મદરેસામાં છે, ત્યાં મદરેસામાં ભણાવતા માત્ર એક શિક્ષક જ બિનમુસ્લિમ છે. RTIમાં ચોંકાવનારી હકીકત એ છે કે રાજસ્થાનના 33માંથી 15 જિલ્લામાં મદરેસાઓમાં બિનમુસ્લિમ શિક્ષકોની સંખ્યા શૂન્ય છે.
જ્યારે બાકીના 10 જિલ્લાઓમાં બિનમુસ્લિમ શિક્ષકોની સંખ્યા માત્ર 1 છે. તેવી જ રીતે, એવા જિલ્લાઓ છે જ્યાં બિન-મુસ્લિમ પુરૂષ શિક્ષકો કાં તો 0 અથવા માત્ર 1 છે. બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં અને શિક્ષકોની સંખ્યા બે આંકડામાં પણ નથી તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે. સમગ્ર રાજસ્થાનમાં મદરેસાઓમાં કુલ 261 બિનમુસ્લિમ શિક્ષકો ભણાવી રહ્યા છે. આ બિનમુસ્લિમ પુરૂષ શિક્ષકોમાંથી 170 શિક્ષક માત્ર 10 જિલ્લાઓમાં છે.
આ અંગે સુજીત સ્વામીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે મદરેસામાં અભ્યાસ કરવો અસામાન્ય છે કારણ કે મોટાભાગની જગ્યાઓ સરકારી શાળાઓ પણ આવેલી છે. આ વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે તેમાંથી ઘણી મદરેસાઓ મસ્જિદો ચલાવી રહી છે. અહીં નમાજ પણ અદા કરવામાં આવે છે. ભલે મદરેસા સંચાલકો દાવો કરે છે કે બિનમુસ્લિમ બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવતું નથી, શું તમે તેમના માટે અલગ વર્ગો ચલાવી રહ્યા છો? આવી સ્થિતિમાં તેમનું બ્રેઈનવોશ નહીં થાય તેની શું ગેરંટી છે? જો આવું હોય તો બિનમુસ્લિમ શિક્ષકો કેમ ઓછા છે?”
વિદ્યાર્થીનીનું નામ સકીના, પિતાનું નામ લેખરાજ, શું છે મામલો?
બજરંગ દળે જણાવ્યું કે, કોટાના અનંતપુરામાં મદરેસા દારુલ ઉલૂમ તહરીક-એ-હિંદમાં અભ્યાસ કરતી દલિત વિદ્યાર્થીની મળી આવી હતી જેનું નામ સકીના હતું. આ મામલે બજરંગ દળના યોગેશ રેનેવાલે કહ્યું, “સકીના બૈરવા સમુદાયમાંથી આવે છે, જે દલિત છે. સકીનાનો પરિવાર પણ ગરીબ છે, તેના પિતા લેખરાજ પરિવારનું ભરણપોષણ કરવા ખૂબ મજૂરી કરે છે. તેમને આ મદરેસા અને તેની પ્રવૃત્તિઓ વિશે કોઈ જાણકારી નથી. સકીનાએ અગાઉ મુસ્લિમ દ્વારા ચલાવવામાં આવતી શાળામાં પણ અભ્યાસ કર્યો હતો. બાદમાં તેને મદરેસામાં દાખલ કરવામાં આવી હતી.”
(ફોટો: ઑપઇન્ડિયા)
યોગેશ રેનેવાલનો આરોપ છે કે, “આ માત્ર સકીનાનો મામલો નથી, આ મદરેસામાં આવા 6 વિદ્યાર્થીઓ છે. અમારી માંગ છે કે ગંભીર તપાસ થવી જોઈએ. યુવતીનો પરિવાર ગરીબ છે અને અમને શંકા છે કે તેને આર્થિક મદદના બહાને અથવા સારું શિક્ષણ અપાવવાના બહાને વિશ્વાસમાં લેવામાં આવી છે. મોટાભાગના લક્ષ્યાંકો દલિત અને ગરીબ વર્ગના પરિવારો છે. અમે આ બાબતની ફરિયાદ જિલ્લા વહીવટીતંત્રને પણ કરી હતી પરંતુ ત્યારે આ મદરેસાના લોકોએ ફોન પણ ઉપાડ્યો ન હતો. જિલ્લા વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓ પણ તેમને સુરક્ષા આપી રહ્યા છે.”
અનંતપુરા મદરેસામાં જ એક કાગળ જોતાં ખબર પડે છે કે આ મદરેસામાં બે બાળકો એવાં પણ ભણે છે જેનું પોતાનું નામ ઇસ્લામી છે પરંતુ તેમના પિતાનું નામ અભિષેક ખાન છે. યોગેશ રેનેવાલે કહ્યું કે આનાથી આપોઆપ પ્રશ્નો ઉભા થાય છે. તેમણે કહ્યું કે જો આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણી ગેરરીતિઓ સામે આવશે. સુજીત સ્વામીએ માંગ કરી છે કે કોટાને લઈને વિશેષ તપાસ થવી જોઈએ કારણ કે અહીં સૌથી વધુ સંખ્યામાં બિનમુસ્લિમ બાળકો છે.
જિલ્લા લઘુમતી અધિકારી પર પણ આરોપ
યોગેશ રેનેવાલે કોટા જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારી નાહિદા ખાન પર પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પણ મદરેસા પર ગેરરીતિનો મામલો આવે છે ત્યારે નાહિદા ઢાંકપિછોડો કરે છે. નોંધનીય છે કે નાહિદા ખાને ઑક્ટોબર, 2023માં જ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ અંગે સ્ટેટસ પોસ્ટ કર્યું હતું.
નાહિદા ખાને પોતાના સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું જેમાં ગાઝા માટે દુઆ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ઘણી કંપનીઓનો બહિષ્કાર કરવાની તેમજ સમર્થન અને દાનની માંગ કરી હતી. આ અંગે તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પછીથી તેમણે બચાવમાં એમ કહ્યું હતું આ સ્ટેટસ તેમના 8 વર્ષના પુત્ર દ્વારા મૂકવામાં આવ્યું છે. આ મામલે તેમને નોટિસ પણ મોકલવામાં આવી હતી.
NCPCRએ અગાઉ પણ ઉઠાવ્યા હતા મામલા
આ પહેલીવાર નથી કે જ્યારે મદરેસાઓમાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હોય. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ આ મદરેસાઓ અને તેના બિનમુસ્લિમ બાળકોને આપવામાં આવતા ઈસ્લામિક શિક્ષણ અંગે મુદ્દા ઉઠાવી રહ્યું છે. આવા જ એક કિસ્સામાં NCPCR ચીફ પ્રિયંકા કાનુનગોએ જણાવ્યું હતું કે સહારનપુરની એક મદરેસામાં એક હિંદુ બાળકની સુન્નત કરવામાં આવી હતી. આ પહેલાં તેમણે અન્ય મદરેસાના અભ્યાસક્રમ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા, જેમાં હિંદુઓને ‘મુશરિક’ અને ‘કાફિર’ ગણાવવામાં આવ્યાં હતાં.
ઑપઇન્ડિયાએ રાજસ્થાનની મદરેસાઓમાં બિનમુસ્લિમ બાળકોના અભ્યાસ અને તેમના પર આ શિક્ષણની અસર અંગે કોટાના ધારાસભ્ય અને શિક્ષણ પ્રધાન મદન દિલાવરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વ્યસ્તતાના કારણે વાતચીત થઈ શકી ન હતી. ઑપઇન્ડિયાએ બૈરવા સમુદાયના રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથે પણ વાતચીત થઇ શકી નહોતી. આ મામલે શિક્ષણ મંત્રી કે નાયબ મુખ્યમંત્રીનો પ્રત્યુત્તર મળવાના કિસ્સામાં રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.
19 નવેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશના સંભલ ખાતે (Sambhal) જામા મસ્જિદમાં (Jama Masjid) કોર્ટના આદેશ પર એક સર્વે (Survey) કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્ય સાત લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના (Petition) જવાબમાં કોર્ટે સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો, જે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હાલ જ્યાં મસ્જિદ છે ત્યાં ભગવાન કલ્કિને સમર્પિત મંદિર હતું.
વિવાદાસ્પદ મસ્જિદ પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ 1904 હેઠળ સંરક્ષિત સ્મારક છે. આ સર્વે એડવોકેટ કમિશનની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે શાંતિપૂર્ણ રીતે કરી શકાય તે માટે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જો કે, સર્વે દરમિયાન આ વિસ્તારમાં રહેતા મુસ્લિમો જામા મસ્જિદની બહાર એકઠા થયા હતા અને મજહબી સૂત્રોચ્ચાર કર્યા હતા. સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટે પુષ્ટિ કરી કે સર્વેક્ષણ લગભગ બે કલાકમાં પૂર્ણ થયું હતું જેનો એક રિપોર્ટ સિવિલ કોર્ટમાં સબમિટ કરવામાં આવશે. કોર્ટ સુનાવણીની આગામી તારીખ, 29 નવેમ્બરે ના આ રિપોર્ટની સમીક્ષા કરશે. ઑપઇન્ડિયાએ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મેળવી હતી.
કોણ છે અરજીકર્તા
સુપ્રીમ કોર્ટના વકીલ અને એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના પિતા હરિ શંકર જૈન અને નોઈડાના પાર્થ યાદવે કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. અન્ય અરજીકર્તાઓમાં સંભલના મહંત ઋષિરાજ ગિરિ, રાકેશ કુમાર, જીતપાલ યાદવ, મંડન પાલ, દીનાનાથ અને નોઇડાના વેદ પાલ સિંઘનો સમાવેશ થાય છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સંભલની જામા મસ્જિદ બાબર દ્વારા નષ્ટ કરવામાં આવેલ સદીઓ જૂના ભગવાન કલ્કિને સમર્પિત શ્રી હરિ હર મંદિર પર બનાવવામાં આવી હતી. દાવો કર્યો કે હિંદુઓ માટે મહત્વપૂર્ણ સ્થળને મુઘલકાળ દરમિયાન બળજબરીથી મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. અરજી મુજબ પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ 1904 મુજબ આ સંરક્ષિત સ્મારક છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા મહત્વના સ્મારક તરીકે સૂચિબદ્ધ છે.
અરજદારોએ એવી પણ દલીલ કરી હતી કે, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના ભક્ત હોવાના કારણે તેમણે પૂજા કરવા મંદિરમાં જવાનો અધિકાર છે પરંતુ મસ્જિદ કમિટીએ તેના માટે મંજૂરી આપી નહોતી. અરજીકારોએ ASI પર સ્મારકને સાર્વજનિક ઉપયોગના અધિકારોની ખાતરી ન કરવાનો આરોપ લગાવ્યો છે. અરજીકર્તાઓએ કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ તેમના ધર્મનું પાલન કરવાના તેમના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન કરે છે.
ઐતિહાસિક તથ્યો
અરજીમાં શ્રી હરિ હર મંદિરના પ્રાચીન અને ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તથા કહેવામાં આવ્યું છે કે આ જ સ્થાન પર ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર કલ્કિઅવતરશે. જે કળયુગનો અંત કરી સતયુગની શરૂઆત કરશે. રોહિલખંડની મધ્યમાં મહિષ્મત નદીના કિનારે વસેલું સંભલ શહેર વિવિધ નામો ધરાવે છે, જેમ કે સત્યયુગમાં સબરીત અથવા સંભલેશ્વર, ત્રેતાયુગમાં મહાદગિરી, દ્વાપર યુગમાં પિંગલા અને કળિયુગમાં સંભલ.
એવું કહેવાય છે કે ભગવાન કલ્કિને સમર્પિત શ્રી હરિ હર મંદિર સૃષ્ટિની શરૂઆતમાં ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવ અને વિષ્ણુની એકતાનું પ્રતિક છે. “યથા શિવસ્તથા વિષ્ણુ, યથા વિષ્ણુસ્તથા શિવ” જેનો અર્થ થાય છે “જેમ શિવ છે, તેમ વિષ્ણુ છે; જેમ વિષ્ણુ છે. શિવ પણ છે.” અરજીમાં અનુસાર આ મંદિર આધ્યાત્મિક મહત્વ અને વિશિષ્ટ ડિઝાઇનનું સંયોજન છે.
અરજી અનુસાર, મુઘલ આક્રમણ દરમિયાન મંદિરને વ્યાપક નુકસાન થયું હતું. બાબરના લેફ્ટનન્ટ હિંદુ બેગે કથિત રીતે આંશિક રીતે મંદિરને તોડી પાડ્યું અને તેને 1527-28માં મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. આ કૃત્ય કથિત રીતે બાબરની સૂચના પર ઇસ્લામિક સર્વોપરિતા સ્થાપિત કરવા અને સ્થાનિક હિંદુ વસ્તીને નિરાશ કરવા માટે કરવામાં આવ્યું હતું.
હિંદુ પક્ષે કહ્યું હતું આ મંદિરને મુઘલ કાળ દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું. તથા 1527-28માં આ સ્થાને બળજબરીથી મસ્જિદ બનાવવામાં આવી હતી. આ અંગે હિંદુ પક્ષે બાબર અને અકબર સહિત અંગ્રેજોના સમયના ત્રણ ઐતિહાસિક તથ્યો કાઢીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
બાબરનામા છે મંદિર ધ્વસ્ત કર્યાનો ઉલ્લેખ
આ ઘટનાનો સંદર્ભ બાબરનામામાં જોવા મળે છે. જે અનુસાર 1527-28માં બાબરના સેનાપતિએ હિંદુ મંદિરને આંશિક રીતે તોડી પાડ્યું અને તેની જગ્યાએ મસ્જિદ બાંધી દીધી હતી. આ કામ ઇસ્લામિક સર્વોપરિતા સ્થાપિત કરવા અને સ્થાનિક હિંદુ વસ્તીને ડરાવવા માટે બાબરના આદેશ પર કરવામાં આવ્યું હતું.
Source: rarebooksocietyofindia
બાબરનામા અનુસાર, “હિંદુ બેગ કુચીન 932 હિજરી (ઇસ્લામિક વર્ષ) માં હુમાયુનો શિષ્ય હતો અને તેણે હુમાયુ માટે સંભલ કબજે કર્યું હતું. તેથી, એવું લાગે છે કે કાબુલથી મહિલાઓને લઈ જતી વખતે તેમને સંભલ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો… અહીં વાત એ છે કે સંભાલમાં 933 હિજરીમાં તેણે એક હિંદુ મંદિરને મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. આ બાબરના આદેશ પર કરવામાં આવ્યું હતું અને મસ્જિદમાં મુકાયેલ એક શિલાલેખમાં આજે પણ તેનો ઉલ્લેખ છે. એવું લાગતું નથી કે બાબરે પોતે જ તે લખાવેલું છે, કારણ કે તેમાં તેની પ્રશંસા કરવામાં આવી છે.”
આઈન-એ-અકબરીમાં તેનો ઉલ્લેખ
આ ઉપરાંત આઈન-એ-અકબરીમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. જે અનુસાર “સંબલ (સંભાલ)ની સરકારમાં ઘણો શિકાર થાય છે, જ્યાં ગેંડા જોવા મળે છે! તે એક નાનું હાથી જેવું પ્રાણી છે, જેની સુંઢ નથી અને શિંગડા છે. જેના દ્વારા તે પ્રાણીઓ પર હુમલો કરે છે. તેની ચામડીથી ઢાલ બનાવવામાં આવે છે અને શિંગડાથી ધનુષ્યના તાર અને અન્ય સમાન વસ્તુઓ બનાવવામાં આવે છે સંબલ શહેરમાં હરિ મંડળ (વિષ્ણુનું મંદિર) નામનું મંદિર છે જે એક બ્રાહ્મણનું છે, જેના વંશજોમાંથી દસમો અવતાર પ્રગટ થશે. હાંસી એક પ્રાચીન સ્થાન છે, શેખ ફરીદ-એ-શકર ગંજના ઉત્તરાધિકારી જમાલનું વિશ્રામ સ્થળ છે.”
Source: rarebooksocietyofindia
બ્રિટીશ ઓફિસરના રિપોર્ટમાં પણ ઉલ્લેખ
બ્રિટિશ અધિકારી દ્વારા કરવામાં આવેલા સર્વેની વિગતો પણ અરજીમાં આપવામાં આવી છે. અરજદારોએ કહ્યું છે કે 1874-76 દરમિયાન મેજર-જનરલ એ. કનિંગહમ દ્વારા સંભલમાં અનેક પુરાતત્વીય સર્વેક્ષણો કરવામાં આવ્યા હતા, જેઓ તે સમયે ASIના વડા હતા. તેમણે ‘ટ્રાવેલ્સ ઇન ધ સેન્ટ્રલ દોઆબ એન્ડ ગોરખપુર’ નામનો અહેવાલ લખ્યો હતો. આમાં મંદિરના સ્થાપત્યની પણ વાત કરવામાં આવી હતી. આ મંદિરના તે ભાગો હતા જે મસ્જિદના નિર્માણ દરમિયાન બચી ગયા હતા અને કનિંગહામના સર્વેક્ષણ દરમિયાન પણ હાજર હતા.
સંભાલ પર લખાયેલા પુસ્તકના કેટલાક ભાગોમાં લખવામાં આવ્યું છે, “સંભાલની મુખ્ય ઇમારત જામી મસ્જિદ છે, જે માટે હિંદુઓ દાવો કરે છે કે તે મૂળ હરિ મંદિર હતું. તેમાં 20 ચોરસ વર્ગ ફૂટનો કેન્દ્રીય ગુંબજદાર રૂમનો સમાવેશ થાય છે, જેના 2 ભાગો છે. ઉત્તર બાજુનો એક ભાગ 500 ફૂટ 6 ઇંચ છે, જ્યારે દક્ષિણ બાજુ માત્ર 38 ફૂટ 1½ ઇંચ છે. બંને ભાગમાં ત્રણ કમાનવાળા દરવાજા છે. તે તમામ અલગ-અલગ પહોળાઈના છે, જે 7 ફૂટથી 8 ફૂટ સુધીના છે.”
Source: Archive.org
પુસ્તકમાં આગળ લખેલું છે કે, “મુસ્લિમો માને છે કે આ ઈમારત સમ્રાટ બાબરના સમયમાં બનાવવામાં આવી હતી અને તેઓ મસ્જિદની અંદરના શિલાલેખ તરફ ઈશારો કરે છે. આ શિલાલેખમાં ચોક્કસપણે બાબરનું નામ છે, પરંતુ હિંદુઓ કહે છે કે તે નકલી છે. હિંદુઓ અનુસાર, આ સ્લેબની પાછળ મંદિર સંબંધિત મૂળ હિંદુ શિલાલેખ છે. સંભાલના ઘણા મુસ્લિમોએ મારી સમક્ષ કબૂલ્યું કે બાબરના નામવાળો શિલાલેખ નકલી હતો.”
કનિંગહમના પુસ્તક અનુસાર, “મુસલમાનોએ 1857ના વિદ્રોહ સુધી અથવા તેના લગભગ 25 વર્ષ પહેલાં આ ઇમારતનો કબજો મેળવ્યો ન હતો. તેઓએ બળજબરીથી ઈમારત પર કબજો જમાવ્યો અને પછી ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ ટ્રાયલ ચાલી અને મુસ્લિમો કેસ જીતી ગયા કારણ કે બનાવટી શિલાલેખ અને બધા મુસ્લિમોએ મળીને હિંદુઓ વિરુદ્ધ ખોટી જુબાની આપી હતી. આ સમયગાળા દરમિયાન અહીં હિંદુઓ લઘુમતીમાં હતા.”
પિટિશનમાં જણાવાયું છે કે કનિંગહામે મૂળ હિંદુ બંધારણ અને પછીના મુઘલ ફેરફારો વચ્ચેના નોંધપાત્ર તફાવતો જોયા હતા, જેમાં નાની ઈંટો અને માટીના મોર્ટારનો ઉપયોગ સામેલ હતો. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુઘલ બિલ્ડરો દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટર હેઠળ હિંદુ શિલ્પો અને કોતરણીના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. તેમણે હિંદુ મંદિર સ્થાપત્યની વસ્તુઓ અને વાસ્તુકળા અનુસારની કલાકૃતિઓ મળી આવી હતી.
મંદિરનો ઈતિહાસની કડીઓ પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલી છે. જેઓ સંભલના દાનવીર હતા. તેમણે કથિત રીતે ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર બનાવ્યું હતું, જેના કેટલાક ભાગો અકબરના શાસનકાળ દરમિયાન પણ બચી ગયા હતા. અરજીમાં જણાવાયું હતું કે મંદિર રાજપૂત-કાળના સ્થાપત્યનું અનોખું ઉદાહરણ રજૂ કરે છે, જેણે મસ્જિદમાં રૂપાંતર કરવાના પ્રયાસો છતાં તેના હિંદુ ચરિત્રને જાળવી રાખ્યું હતું.
પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ 1904 હેઠળ આ સ્થળને સત્તાવાર રીતે સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું અને ASI દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. અરજદારોએ દલીલ કરી હતી કે આ સ્થળ એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે અને દાવો કર્યો હતો કે તેમની પાસે પૂજા અને વારસાના સંરક્ષણ માટે તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
ASIને પણ ઘેરી લેવામાં આવ્યા હતા
અરજીમાં વિવાદિત મસ્જિદના ASI નિયંત્રણની પણ વાત કરવામાં આવી છે. 22 ડિસેમ્બર, 1920ના રોજ મસ્જિદને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હતી. હિંદુ પક્ષે દલીલ કરી હતી કે ત્યારથી તે સ્થળ ASIની દેખરેખ અને નિયંત્રણ હેઠળ છે. ASIના નિયમો અનુસાર, તેને સાચવવાની સાથે, જનતાને પણ અહીં આવવાની પરવાનગી આપવી જોઈએ. હિંદુ પક્ષે દલીલ કરી હતી કે ASI જાહેર જનતાને પ્રવેશ આપવા માટે તેની ફરજમાં નિષ્ફળ રહી છે.
હિંદુ પક્ષની માંગ
હિંદુ પક્ષે મસ્જિદમાં પ્રવેશવાની અને તેનું સંચાલન ASIને સોંપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કોર્ટે આ અંગે આદેશ જારી કરવો જોઈએ. વધુમાં, તેઓએ ગૃહ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય સહિત ASI અને સંબંધિત સરકારી અધિકારીઓને મસ્જિદમાં પ્રવેશ આપવા માટે નિયમો બનાવવાની માંગ કરી છે. તેમની સર્વે કરવાની માંગ પૂર્ણ કરવામાં આવી છે. આ સિવાય હિંદુ પક્ષે કહ્યું છે કે મસ્જિદ કમિટી લોકોની અવરજવર બંધ ન કરાવી શકી તે માટે પણ આદેશ જારી કરવાનું કહ્યું છે.
વડોદરા (Vadodara) શહેરમાં તાજેતરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની (Tapan Parmar) હત્યા કરી નાખવામાં આવી હતી, જે મામલે મુખ્ય આરોપી બાબરખાન પઠાણ અને અન્ય ઇસમોની ધરપકડ કરવામાં આવી અને હજુ પણ કાર્યવાહીનો દોર ચાલી જ રહ્યો છે. બીજી તરફ, અગાઉના કિસ્સાઓની જેમ આ કેસમાં પણ મુસ્લિમ સંગઠન જમીયત ઉલમા-એ-હિન્દને ‘લઘુમતીઓની હેરાનગતિ’ દેખાઈ છે.
જમીયતે તાજેતરમાં ગુજરાતના રાજ્ય પોલીસ વડા (DGP)ને એક પત્ર લખીને વડોદરા પોલીસ દ્વારા શહેરમાં મુસ્લિમોને કાર્યવાહીના નામે હેરાન કરવામાં આવતા હોવાનાં રોદણાં રડ્યાં છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ છે.
પત્રમાં કહેવામાં આવ્યું કે, તપન પરમાર નામના વ્યક્તિની બાબર પઠાણ દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ વડોદરા શહેરમાં જે માહોલ સર્જાયો છે તેના કારણે લઘુમતી સમાજ ભયના ઓથાર તળે જીવી રહ્યો છે.
જમીયતનો આરોપ છે કે, કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લઘુમતી સમુઆદાયના લોકોના ઘરે કોમ્બિંગના નામે પોલીસ દ્વારા લોકોનાં ઘરોમાં ઘૂસીને નુકસાન પહોંચાડવામાં આવે છે અને ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે.
જમીયત ઉલમા-એ-હિન્દનો પત્ર
આગળ પત્રમાં ‘કોમ્બિંગના નામે લઘુમતી સમુદાયના લોકોને હેરાનગતિ’ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પત્ર પર 19 નવેમ્બર, 2024ની તારીખ છે અને હસ્તાક્ષર નિહાર અહેમદ અન્સારીના કરવામાં આવ્યા છે, જેઓ જમીયત ગુજરાતના જનરલ સેક્રેટરી હોવાનું લખ્યું છે.
પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે, જમીયત એક સામાજિક સંસ્થા છે અને કોઈ પણ જાતના ધર્મ, જાતિના ભેદભાવ વગર નિઃસ્વાર્થ સેવા આપે છે!
અહીં નોંધવું રહ્યું કે તપન પરમારની હત્યાની ટીકા કે પછી તેની ઉપર ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હોય તેવું એક પણ વાક્ય આ પત્રમાં લખવામાં આવ્યું નથી. ક્યાંય પણ બાબર પઠાણને કે તેની સાથે સંડોવાયેલા અન્ય ઇસમોને પકડીને સજા કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી નથી. જ્યારે ધર્મ અને જાતિના ભેદભાવ વગર કામ કરતી સંસ્થાઓ સામાન્ય રીતે આવું કરતી હોય છે.
બીજી તરફ, વડોદરા પોલીસે કાર્યવાહી દરમિયાન મુસ્લિમોની પ્રતાડના કરી હોય કે કોમ્બિંગના નામે તેમનાં ઘરોને નુકસાન પહોંચાડ્યું હોય તેવી પણ કોઈ બાબત સામે આવી નથી. આ મામલે વધુ માહિતી મેળવવા માટે વડોદરા પોલીસનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળવાના કિસ્સામાં રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.
ગત સોમવારે (18 નવેમ્બર) વડોદરાની સયાજી હોસ્પિટલના પરિસરમાં તપન પરમારની હત્યા કરી નાખવામાં આવી હતી. પીડિતના પિતાની ફરિયાદ અનુસાર, હત્યા પોલીસની હાજરીમાં થઈ હતી. તપન અને તેનો મિત્ર તેમના મિત્રના ખબરઅંતર જાણવા માટે હોસ્પિટલ ગયા હતા, જ્યાં બાબર ખાન પઠાણે આવીને બબાલ કર્યા બાદ ચાકુ મારી દીધું હતું અને હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
વધુ જાણકારી અનુસાર, તપન અને તેનો મિત્ર જેને મળવા માટે ગયા હતા તેની બાબર સાથે જ બબાલ થઈ હતી, જેમાં બાબરે તેને ચાકુ મારી દીધું હતું. પોલીસ પછીથી બાબરને તે જ હોસ્પિટલમાં લાવી હતી, જ્યાં તેણે તપનની પણ હત્યા કરી નાખી હતી. આ મામલે પછીથી અનેક ધરપકડ કરવામાં આવી.