Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સાવરકર અમારા દેવતા, તેમનું અપમાન સહન નહીં કરીએ’: ઉદ્ધવ ઠાકરેની રાહુલ ગાંધીને...

    ‘સાવરકર અમારા દેવતા, તેમનું અપમાન સહન નહીં કરીએ’: ઉદ્ધવ ઠાકરેની રાહુલ ગાંધીને ચેતવણી, કહ્યું- આપણે લોકતંત્ર બચાવવા સાથે આવ્યા હતા, પણ…

    ઉદ્ધવ ઠાકરેએ એક રેલીમાં કહ્યું કે, સાવરકર તેમના માટે દેવતા સમાન છે અને રાહુલ ગાંધી તેમનું અપમાન કરવાથી દૂર રહે અને તેઓ ક્યારેય સાવરકરનું અપમાન સહન કરશે નહીં. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર પોતાનાં નિવેદનોમાં હિંદુત્વ નેતા, સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને વચ્ચે લાવતા રહે છે. તાજેતરમાં પણ એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સાવરકર પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સાવરકર નથી અને માફી નહીં માંગે. જેને લઈને હવે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. 

    ઉદ્ધવ ઠાકરેએ એક રેલીમાં કહ્યું કે, સાવરકર તેમના માટે દેવતા સમાન છે અને રાહુલ ગાંધી તેમનું અપમાન કરવાથી દૂર રહે અને તેઓ ક્યારેય સાવરકરનું અપમાન સહન કરશે નહીં. 

    ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “હું રાહુલ ગાંધીને એક વાત કહેવા માગું છું. તમે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા કરી, સંજય રાઉત તમારી સાથે આવ્યા, હું પણ તમારી સાથે આવ્યો. પરંતુ આજે હું જાહેરમાં તમને કહું છું, આ લડાઈ લોકશાહીની લડાઈ છે. મહેરબાની કરીને…હું રાહુલ ગાંધીને જાહેરમાં કહું છું…સાવરકર અમારા દેવતા સમાન છે અને તેમનું અપમાન અમે સહન કરીશું નહીં.

    - Advertisement -

    તેમણે રાહુલ ગાંધીને ચેતવણી આપતાં કહ્યું કે, તેમની પાર્ટી મહાવિકાસ આઘાડીમાં એટલા માટે છે કારણ કે તેઓ લોકતંત્રની રક્ષા માટે એક થઈને ભાજપ વિરુદ્ધ લડી રહ્યા છે. તેમણે કહ્યું કે જો તમે લડવા માંગતા હોવ તો સ્પષ્ટ છે કે અમારા ભગવાનનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આગળ ઉમેર્યું કે, “તેમની વિરુદ્ધ એક લાઈન પણ સહન નહીં થાય આ જાહેર મંચ પરથી ચેતવણી આપું છું.”

    ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પોતાનું લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ માફી માંગશે નહીં કારણ કે તેઓ ગાંધી છે અને સાવરકર નથી. તેમને માનહાનિના એક કેસમાં સજા મળી છે, જેને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેઓ માફી માંગશે કે કેમ. જેનો જવાબ આપતાં તેઓ સાવરકરને વચ્ચે લઇ આવ્યા હતા. જોકે, આ પહેલી વખત નથી જ્યારે રાહુલ ગાંધીએ આમ સાવરકરનું અપમાન કર્યું હોય. 

    આમ તો શિવસેના અને કોંગ્રેસ એક સમયે બે અંતિમો ગણાતા હતા પરંતુ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ બંને પાર્ટીઓ સાથે આવી ગઈ હતી અને NCP સાથે મળીને સરકાર બનાવી હતી. જોકે, જૂન 2022માં શિવસેનાના જ એક જૂથમાં બળવો થતાં ઉદ્ધવે રાજીનામું આપવું પડ્યું હતું અને હવે તો તેમની પાસે પાર્ટીનાં નામ-નિશાન પણ તેમના હાથમાં રહ્યાં નથી. 

    અગાઉ રાહુલ ગાંધીએ વીર સાવરકરનું અપમાન કર્યું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે કે શિવસેનાએ આક્રમક પ્રતિક્રિયાઓ આપી ન હતી કે કોઈ પગલાં પણ લીધાં ન હતાં. હવે જ્યારે ગઠબંધન સત્તામાંથી બહાર થઇ ગયું છે ત્યારે શિવસેનાને જોશ આવ્યું છે પરંતુ હવે કોંગ્રેસ કે રાહુલ ગાંધી તેમને ગંભીરતાથી લે તેવી શક્યતાઓ ઓછી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં