ભાજપ સાંસદ (BJP MP) નિશિકાંત દુબે (Nishikant Dubey) વિરુદ્ધ કોર્ટની અવમાનનાની (Contempt of Court) કાર્યવાહી શરૂ કરવા માટે દેશના એટર્ની જનરલ આર વેંકટરમણીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર સુપ્રીમ કોર્ટના વકીલ દ્વારા લખવામાં આવ્યો છે. વકીલે કહ્યું છે કે, સાંસદ દુબેના આ નિવેદનો ભડકાઉ અને અપમાનજનક છે. નિશિકાંત દુબે સામે આ કેસ ચલાવવા માટે AG વેંકટરમણી પાસેથી પરવાનગી માંગવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પત્ર સુપ્રીમ કોર્ટના વકીલ અનસ તનવીરે લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે, “તેમણે દેશમાં અશાંતિ માટે બેદરકારીપૂર્વક CJIને જવાબદાર ઠેરવ્યા છે અને આમ તેમણે દેશની સર્વોચ્ચ અદાલતને બદનામ કરી છે. તેમણે જનતામાં ગુસ્સો અને અસંતોષ ભડકાવવાનો પ્રયાસ કર્યો છે.”
AG વેંકટરમણીને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સાંસદ નિશિકાંત દુબેનું નિવેદન પાયાવિહોણું છે અને તે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સ્વાયત્તતા પર હુમલો છે. આ દાવો કરીને નિશિકાંત દુબે પર કેસ ચલાવવા માટે AG વેંકટરમણી પાસેથી પરવાનગી માંગવામાં આવી છે.
અનસ તનવીરે દુબેના સુપ્રીમ કોર્ટ પર તાજેતરના નિવેદનો અંગે અવમાનનાનો આ પત્ર લખ્યો છે. નિશિકાંત દુબે તાજેતરના સમયમાં સુપ્રીમ કોર્ટના રાષ્ટ્રપતિ માટે ડેડલાઈન સેટ કરવા અને વક્ફ કાયદાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશને લઈને અવાજ ઉઠાવી રહ્યા હતા.
શું કહ્યું હતું નિશિકાંત દુબેએ?
રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરવાના મુદ્દા પર ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, “જો સુપ્રીમ કોર્ટ જ કાયદો બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.” આ ઉપરાંત, ANIને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટમાં નિમણૂકો કરે છે તો કોર્ટ તેમને કેવી રીતે આદેશ આપી શકે છે.
આ ઉપરાંત, નિશિકાંત દુબેએ વક્ફ મુદ્દાની કેટલીક જોગવાઈઓ રોકવા બદલ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું હતું કે, “દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટ તેની મર્યાદાઓ ઓળંગી રહી છે. જો આપણે દરેક બાબત માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો સંસદ અને વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ.”
નિશિકાંત દુબેના આ નિવેદનો પછી ન્યાયિક હસ્તક્ષેપ અંગેની ચર્ચા તેજ બની છે. જોકે, ભાજપે આ બંને નિવેદનોથી પોતાને દૂર રાખ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે, આ નિશિકાંત દુબેનો વ્યક્તિગત અભિપ્રાય છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી.