સાંસદ નિશિકાંત દુબેએ (Nishikant Dubey) ન્યાયપાલિકા (Judiciary) પર કરેલી ટિપ્પણીઓથી ભાજપે (BJP) અંતર બનાવી લીધું છે. પાર્ટી અધ્યક્ષ જે. પી નડ્ડાએ શનિવારે (19 એપ્રિલ) રાત્રે એક નિવેદનમાં કહ્યું કે, નિશિકાંત દુબે અને પાર્ટી સાંસદ દિનેશ શર્માએ ન્યાયતંત્ર અને ચીફ જસ્ટિસ પર કરેલી ટિપ્પણીઓથી ભાજપને કોઈ લેવાદેવા નથી અને આ તેમનાં વ્યક્તિગત બયાન છે.
જેપી નડ્ડાએ એક એક્સ પોસ્ટમાં લખ્યું, “ભાજપ આવાં નિવેદનોથી ન તો કોઈ સંબંધ ધરાવે છે ન તેનું સમર્થન કરે છે. ભાજપ આવાં નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢે છે.”
भाजपा सांसद निशिकांत दुबे और दिनेश शर्मा का न्यायपालिका एवं देश के चीफ जस्टिस पर दिए गए बयान से भारतीय जनता पार्टी का कोई लेना–देना नहीं है। यह इनका व्यक्तिगत बयान है, लेकिन भाजपा ऐसे बयानों से न तो कोई इत्तेफाक रखती है और न ही कभी भी ऐसे बयानों का समर्थन करती है। भाजपा इन बयान…
— Jagat Prakash Nadda (@JPNadda) April 19, 2025
આગળ તેમણે લખ્યું કે ભાજપે હંમેશા ન્યાયતંત્રનું સન્માન કર્યું છે અને તેમનાં આદેશો અને સૂચનોને સહર્ષ સ્વીકાર્યાં છે, કારણ કે એક પાર્ટી તરીકે અમારું માનવું છે કે સર્વોચ્ચ ન્યાયાલય સહિત દેશની તમામ કોર્ટ અમારા લોકતંત્રનું અભિન્ન અંગ છે અને બંધારણના રક્ષણના મજબૂત આધારસ્તંભ છે. તેમણે અંતે ઉમેર્યું કે તેમણે પાર્ટી અધ્યક્ષ તરીકે બંને સાંસદો અને અન્યોને આવાં નિવેદનો ન આપવા માટે નિર્દેશિત કર્યા છે.
વાસ્તવમાં નિશિકાંત દુબેએ એક પોસ્ટમાં ન્યાયતંત્ર પર આકરા પ્રહારો કરતાં લખ્યું હતું કે, જો કાયદાઓ દેશની સુપ્રીમ કોર્ટ જ બનાવવાની હોય તો પછી સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ વક્ફ એક્ટ પર સુનાવણી કરી રહી છે. ભૂતકાળમાં પણ સંસદે જે-જે નિર્ણયો લીધા હતા તેની ઉપર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યા અને અમુક નિર્ણયો કોર્ટે પલટાવી પણ દીધા. એટલું જ નહીં તાજેતરમાં એક કેસમાં કોર્ટે રાષ્ટ્રપતિએ કામ કઈ રીતે કરવું તેનાં પણ સલાહસૂચન આપ્યાં હતાં.
#WATCH | Delhi: "…Supreme Court is responsible for inciting religious wars in the country. The Supreme Court is going beyond its limits. If one has to go to the Supreme Court for everything, then Parliament and State Assembly should be shut…" says BJP MP Nishikant Dubey pic.twitter.com/ObnVcpDYQf
— ANI (@ANI) April 19, 2025
પછીથી ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં દુબેએ કહ્યું કે, “કાયદો બનાવવાનો અધિકાર સંસદને છે અને તેની વ્યાખ્યા કરવાનો સુપ્રીમ કોર્ટને. સુપ્રીમ કોર્ટ હવે કહી રહી છે કે રાષ્ટ્રપતિએ શું કરવું જોઈએ. આ દેશ સનાતન પરંપરાનો છે. તમે રામ મંદિર કેસમાં કહો છો કે કાગળ દેખાડો, કૃષ્ણ જન્મભૂમિ અને જ્ઞાનવાપી કેસમાં પણ કાગળ માંગવામાં આવે છે અને મુઘલો આવ્યા બાદ મસ્જિદો બની છે, તેના વિશે તમે કહો છો કે તેઓ કાગળ ક્યાંથી લાવશે?”
નિશિકાંત દુબેએ આગળ કહ્યું કે, “આ દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે એકમાત્ર સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટ પોતાની સીમાથી બહાર જઈ રહી છે. તેની મર્યાદા એ છે કે તેઓ સંસદે બનાવેલા કાયદાની વ્યાખ્યા કરે છે. અને જો બધી જ બાબતો માટે સુપ્રીમ કોર્ટ જ જવું હોય તો સંસદ કે વિધાનસભાનો કોઈ અર્થ નથી, તેને બંધ કરી દેવી જોઈએ.” તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં જેટલાં ગૃહયુદ્ધ થઈ રહ્યાં છે તે માટે જવાબદાર ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જ છે.
#WATCH | Lucknow, UP | On BJP MP Nishikant Dubey's statement on the Supreme Court, BJP MP Dinesh Sharma says, "…There is an apprehension among the public that when Dr BR Ambedkar wrote the Constitution, the rights of the Legislative and Judiciary were clearly… pic.twitter.com/B28SA04SM3
— ANI (@ANI) April 19, 2025
નિશિકાંત દુબેના આ નિવેદન પછી પાર્ટી સાંસદ દિનેશ શર્માએ પણ એક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, “જનમાનસમાં એવું છે કે બાબાસાહેબે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે વિધાયિકા અને ન્યાયપાલિકાનાં કામોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, નિયમો અને કાયદાઓ બનાવવાનું કામ વિધાયિકા કરશે. તેનું બરાબર પાલન થઈ રહ્યું છે કે નહીં તે જોવાનું કામ ન્યાયતંત્રનું.”
આગળ કહ્યું, “દરેક બાબત વર્ણિત છે. વક્ફ કાયદો બનાવવાનું વિધાયિકાનું જે કામ છે એ થઈ ગયું. હવે કોઈ સંસદને નિર્દેશિત ન કરી શકે. કારણ કે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઈ ગયા છે અને તેઓ સર્વોચ્ચ છે. આ લોકતંત્ર માટે પણ જરૂરી છે કે ન્યાયતંત્ર પ્રત્યે લોકોની ભાવના જળવાઈ રહે. એટલે આવી વિસંગતિઓ ન હોવી જોઈએ.”