દર વર્ષની જેમ આ વખતે પણ ઓડિશાના પુરીની સુપ્રસિદ્ધ અને અતિપવિત્ર જગન્નાથજીની રથયાત્રા (Rathyatra) ભવ્ય રીતે સંપન્ન થઈ. આ વર્ષે પણ મહાપ્રભુની નગરચર્યામાં દેશવિદેશથી લાખો સનાતનીઓ જોડાયા અને ઉત્સાહથી ભાગ લીધો. પરંતુ જેટલી ભવ્યતાથી આ રથયાત્રા યોજાય છે, બીજી તરફ તેનું આયોજન એટલી જ કપરી બાબત પણ છે, કારણ કે લાખો લોકો એકઠા થયા હોય ત્યાં ભીડ નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા, ભોજન-પાણીથી માંડીને અનેક બાબતો પડકાર બનીને આવે છે. પરંતુ ઈશ્વરના આશીર્વાદ હોય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ABVP, વિશ્વ હિંદુ પરિષદ જેવાં નિઃસ્વાર્થ સેવાભાવી સંગઠનો પડખે હોય તો આ કામ પણ પાર પાડી શકાય છે– એ આ સંગઠનોએ ફરી એક વખત પુરવાર કર્યું છે.
જગન્નાથજીની રથયાત્રા સુચારુરૂપે સંપન્ન થાય તે માટે પુરી પ્રશાસન, ઓડિશા સરકાર, પોલીસ વિભાગ વગેરે તમામ એલર્ટ મોડ પર હતાં, પરંતુ સાથેસાથે આ હિંદુ સંગઠનોએ પણ પોતાની રીતે શક્ય બને તેટલો તમામ સહયોગ પૂરો પાડ્યો અને પ્રશાસનના માથેથી ઘણોખરો ભાર હળવો કર્યો. સાથે અદાણી જેવાં ઉદ્યોગસમૂહો અને ઇસ્કોન જેવી ધર્મસંસ્થાઓ પણ પાછળ ન રહી, થોડું કામ તેમણે પણ પોતાના ખભે ઉપાડી લીધું અને આ રથયાત્રા સંપન્ન કરી.
RSSના લગભગ 1500થી વધુ સ્વયંસેવકો આ સમગ્ર યાત્રા દરમિયાન સેવામાં ખડેપગે હાજર રહ્યા. ઉત્કલ બિપન્ના સહાયતા સમિતિ સાથે સંકલનમાં રહીને સ્વયંસેવકોએ અગાઉથી જ સેવા માટે પ્લાન બનાવી રાખ્યો હતો અને તે અનુસાર કામની વહેંચણી કરી દેવામાં આવી હતી. કુલ નવ વિભાગ પાડવામાં આવ્યા હતા, જેથી કામની સરખા ભાગે વહેંચણી કરી શકાય.
સ્વયંસેવકોએ કામ વહેંચી લીધાં હતાં
રથયાત્રાના દિવસે સવારે 8:30 વાગ્યે સ્વયંસેવકો હાજર થઈ ગયા હતા. અહીં અન્ય હિંદુ સંગઠનોના કાર્યકરો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. તેમની ઉપસ્થિતિમાં તમામ કાર્યકરોને સેવાકાર્યો અંગે જાણકારી આપવામાં આવી. રથયાત્રા સંયોજકે સર્વિસ પ્લાનનો વિગતવાર ઓવરવ્યૂ આપ્યો. કઈ પરિસ્થિતિમાં શું કરવું, શ્રદ્ધાળુઓને કઈ રીતે મદદરૂપ થવું તેની જાણકારી આપવામાં આવી. સૌએ મહાપ્રભુના સ્મરણ સાથે ત્યારબાદ સેવાકાર્યોનો આરંભ કર્યો.
પુરી અન્ય શહેરોની સરખામણીએ નાનું નગર છે. આવા શહેરમાં એકસાથે લાખો લોકો આવે, યાત્રા યોજાય ત્યારે ટ્રાફિક નિયંત્રણ એક મોટો પડકાર બની રહે છે. પ્રશાસને તો પૂરતી વ્યવસ્થા કરી હતી, પરંતુ સંઘના સ્વયંસેવકો પણ આ કામમાં જોતરાયા અને ટ્રાફિક નિયંત્રણમાં પૂરતી મદદ કરી. આ કામ માટે કુલ 100 સ્વયંસેવકો જોડાયા હતા.
આ સિવાય 20 સ્વયંસેવકોને બે એમ્બ્યુલન્સ સાથે સેવામાં હાજર રાખવામાં આવ્યા, જેથી કોઈ શ્રદ્ધાળુને તબીબી સહાયની જરૂર પડે તો તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડી શકાય. અમુક સ્વયંસેવીઓ હૉસ્પિટલ ખાતે પણ હાજર હતા, જેથી ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરી શકે. સ્ટ્રેચર ઉપલબ્ધ કરાવવાનું કામ 80 સ્વયંસેવકોને સોંપવામાં આવ્યું હતું. બે મેડિકલ સેન્ટરો ઉપર 40 સ્વયંસેવકો તહેનાત હતા, જેથી આપાતકાલીન સ્થિતિમાં મદદરૂપ થઈ શકે.
પાણીની વહેંચણી માટે 25 સ્વયંસેવકોને કામ સોંપવામાં આવ્યું હતું, જેઓ પાંચ સ્થળો પર બે શિફ્ટમાં કામ કરતા હતા. 40 સ્વયંસેવકો પાણીના છંટકાવનું કામ કરતા હતા. 200 સ્વયંસેવકોએ મુખ્ય માર્ગની સાફસફાઈનું કામ ઉપાડી લીધું હતું.
निज स्वार्थ से परे, लोककल्याण की भावना ही सनातन धर्म की आत्मा है और यही भावना आज पुरी की पवित्र रथयात्रा में फिर प्रकट हुई।
— Dharmendra Pradhan (@dpradhanbjp) June 27, 2025
रथयात्रा के दौरान @RSSorg के स्वयंसेवकों ने एम्बुलेंस के लिए एक विशेष ‘सेवा-पथ’ बनाया है। यह अद्वितीय पहल सुनिश्चित करती है कि किसी भी अस्वस्थ श्रद्धालु को… pic.twitter.com/R6YOshTTKP
આ સિવાય જ્યારે રથયાત્રામાંથી એમ્બ્યુલન્સ પસાર થવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે RSS, ABVP, VHP અને ભાજપના 800થી વધુ સ્વયંસેવકોએ એકઠા થઈને એક હ્યુમન ચેઇન બનાવી અને રસ્તો કરી આપ્યો હતો. હિંદુ તહેવારોની, મેળાવડાઓની વિશેષતા એ છે કે ઉજવણી ગમે તેવી અને ગમે તેટલી ભવ્ય હોય, પણ આવી સ્થિતિમાં સૌ કોઈ મદદરૂપ થઈને આપાતકાલીન સેવાઓને માર્ગ કરી આપે છે અને ઉત્સવ તેમાં અડચણરૂપ ક્યારેય બનતો નથી.
આ સેવાકાર્યમાં RSS ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ, હિંદુ જાગરણ મંચ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વગેરેના સ્વયંસેવકો પણ ખડેપગે રહ્યા હતા. ABVPના કાર્યકરોએ પણ ક્રાઉડ મેનેજમેન્ટ, હ્યુમન ચેઇન, તબીબી સહાય વગેરેમાં યોગદાન આપ્યું અને રથયાત્રા સુચારુરૂપે આગળ વધે એ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બન્યા. ABVPએ આ સિવાય ‘પ્લાસ્ટિક-ફ્રી રથયાત્રા’ કેમ્પેઈન પણ ચલાવ્યું અને સફાઈ કામગીરીમાં પણ પ્રશાસનની મદદ કરી. જ્યારે વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ જાગરણ મંચે મુખ્યત્વે ફૂડ ડિસ્ટ્રિબ્યુશનનું કામ હાથ પર લીધું હતું.
#ABVPinRathaJatra
— ABVP Odisha (@abvpodisha) June 28, 2025
ପୁରୀ ରଥଯାତ୍ରାରେ ଏବିଭିପିର @SFDIndiaOrg ଗତିବିଧି ତରଫରୁ 'ପ୍ଲାଷ୍ଟିକ୍ ମୁକ୍ତ ରଥଯାତ୍ରା' ଅଭିଯାନ ମାଧ୍ୟମରେ କାର୍ଯ୍ୟକର୍ତ୍ତାମାନେ ପୁରୀ ବଡ଼ଦାଣ୍ଡରେ ସଫେଇ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି।#ABVPForSociety#ABVPOdisha #ABVP pic.twitter.com/gyEIGJlyPB
થોડા દિવસ પહેલાં અદાણી સમૂહે પણ જાહેરાત કરી હતી કે તેઓ પુરી રથયાત્રા દરમિયાન 40 લાખથી વધુ લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરશે. ઈસ્કોન સાથે સંકલનમાં રહીને આ કામ પાર પાડવામાં આવ્યું. અદાણીએ આ જ રીતે મહાકુંભમાં પણ શ્રદ્ધાળુઓ માટે દ્વાર ખોલી દીધા હતા અને સતત 45 દિવસ ચૂલો સળગતો રાખ્યો હતો.
RSS હોય કે VHP કે અન્ય કોઈ હિંદુ સંગઠનો, આ જ રીતે જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા પહોંચી જાય છે. કુદરતી આફત હોય કે અન્ય કોઈ આપત્તિ, સ્વયંસેવકો ક્યાંય પાછળ પડતા નથી. પોતાની વિરુદ્ધ ગમે તેટલો રાજકીય પ્રોપગેન્ડા ચલાવવામાં આવે, સંઘ પોતાનું કામ ચાલુ રાખે છે. હિંદુ સગઠનો તેમનું કામ ચાલુ રાખે છે. આ જ હિંદુ સંગઠનોની તાકાત છે. આ તાકાત સમગ્ર હિંદુ સમાજની છે.