મોહન ભાગવતના ન્યૂયોર્ક કાર્યક્રમથી અકળાયો મમદાની: RSSને ‘વિભાજનકારી’ ગણાવ્યું, કાર્યક્રમ રદ કરવાની સત્તા ન હોવા પર વ્યક્ત કર્યું દુઃખ

ન્યૂયોર્કના ઇસ્લામી કટ્ટરપંથી મેયર ઝોહરાન મમદાનીએ 25મી ઑગસ્ટે મેડિસન સ્ક્વેર ગાર્ડન (MSG) ખાતે યોજાનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સુનિશ્ચિત કાર્યક્રમ અને સંઘચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. તેણે દાવો કર્યો હતો કે તે આ આયોજનની વિરુદ્ધમાં છે, જોકે સાથે જ તેણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે ન્યૂયોર્ક શહેર પાસે કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાની કાનૂની સત્તા નથી.

પોતાના હિંદુવિરોધી અને ભારતવિરોધી વલણને ઢાંકવા માટે મમદાનીએ ફરી એકવાર બિનસાંપ્રદાયિકતાનો જૂનો અને જાણીતો આલાપ ગયો છે. તેણે ભારત પર પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું કે તે શહેરનો પ્રથમ ભારતીય-અમેરિકન મેયર છે અને તેની અમ્મીનો પરિવાર આજે પણ ભારતમાં રહે છે. તેણે ઉમેર્યું કે તેના પરિવારે તેને જે ભારત વિશે શીખવ્યું હતું તે અનુસાર ભારત એક બહુલવાદી અને બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક હતું, જ્યાં દરેક નાગરિકનો સમાન અધિકાર હતો.

પરંતુ બિનસાંપ્રદાયિકતાના આ દેખાડા પાછળનો તેનો સાચો એજન્ડા ત્યારે સામે આવી ગયો જ્યારે તેણે ‘હિંદુત્વ’ પર હુમલા શરૂ કર્યા. ભારતવિરોધી વાતોને આગળ ધપાવતા તેણે આરોપ લગાવ્યો કે આ વિચારધારા લોકોને અલગ-અલગ પાડવાનું કામ કરે છે અને તેથી જ તે આ સંગઠન અને તેના કાર્યક્રમનો વિરોધ કરે છે.

મમદાનીએ આગળ કહ્યું કે માત્ર એક ભારતીય-અમેરિકન તરીકે જ નહીં પરંતુ બધાને સમાન માનતા શહેરના મેયર તરીકે પણ તે આ રેલીનું સમર્થન નથી કરતો. જોકે, તેણે ફરી સ્વીકાર્યું કે કોઈ ખાનગી જગ્યાએ યોજાતા કાર્યક્રમને બંધ કરાવવાની સત્તા ન્યૂયોર્ક પ્રશાસન પાસે છે કે નહીં તેની તેને ખાતરી નથી.

નોંધનીય છે કે RSS પ્રમુખ મોહન ભાગવત હાલમાં અમેરિકા, કેનેડા અને બ્રિટનના ત્રણ દેશોના પ્રવાસે છે અને તેઓ 29મી ઑગસ્ટે ન્યૂયોર્કમાં આયોજિત વિશાળ કાર્યક્રમને સંબોધિત કરવાના છે. બીજી તરફ વૈશ્વિક ઇસ્લામો-લેફ્ટિસ્ટ નેટવર્ક અને તેના ખાલિસ્તાની સહયોગીઓ અમેરિકન સરકાર પર દબાણ લાવીને તેમના વિઝા રદ કરાવવા અને કાર્યક્રમ અટકાવવા સતત ષડયંત્રો રચી રહ્યા છે.

આ પહેલાં પણ આપી ચૂક્યો છે ભારતવિરોધી નિવેદનો

ઝોહરાન મમદાની પહેલાં પણ હિંદુઓ અને ભારત વિરુદ્ધ બોલીને વિવાદોમાં રહ્યો છે. એક રેલી દરમિયાન જ્યારે હિંદુ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી હતી ત્યારે તેણે વિરોધ કરવાને બદલે મૌન રહીને તે નફરતી તત્વોને ચૂપચાપ સમર્થન આપ્યું હતું, જેને કારણે તેની ભારે ટીકા થઈ હતી.

મમદાનીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે કરીને તેમને ‘યુદ્ધ અપરાધી’ ગણાવ્યા હતા. આ નિવેદનને કારણે ભારતીય-અમેરિકન સમુદાયમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ ઉપરાંત ગુજરાત રમખાણો અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા પીએમ મોદીને સંપૂર્ણ ક્લીનચિટ આપવામાં આવી હોવા છતાં મમદાનીએ સતત પાયાવિહોણા આરોપો લગાવ્યા છે અને ગુજરાતમાં મુસ્લિમો બચ્યા નથી તેવા કલ્પિત દાવા કરીને નફરત ફેલાવી છે.

આટલું જ નહીં મમદાની દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના મુખ્ય આરોપી ઉમર ખાલીદના સમર્થનમાં પત્ર લખી ચૂક્યો છે. તેના પર કટ્ટરપંથી અને યહૂદીવિરોધી સંગઠનો સાથે સંબંધો હોવાના પણ આરોપ છે. તેણે યહૂદીઓ વિરુદ્ધ હિંસા ભડકાવતા નારાઓની નિંદા કરવાની ના પાડી હતી અને પોતાના સત્તાવાર બંગલે ઇઝરાયેલવિરોધી કટ્ટરપંથી મહમૂદ ખલીલ માટે ઇફ્તાર પાર્ટી પણ રાખી હતી

મમદાનીના પરિવારનો ઇતિહાસ પણ વિવાદોમાં રહ્યો છે. તેની અમ્મી અને ફિલ્મ નિર્માતા મીરા નાયરનું નામ કૂખ્યાત એપસ્ટીન અને મેક્સવેલ કેસની ફાઇલોમાં આવ્યું છે. જ્યારે તેના અબ્બા મહમૂદ મમદાનીએ ભારતના હિંદુઓની સરખામણી રવાંડાના હિંસક ‘હુતુ’ સમુદાય સાથે કરી હતી, ઝીણાના વખાણ કર્યા હતા અને સ્યુસાઇડ બૉમ્બરને ‘સૈનિક’ કહીને આતંકવાદનો બચાવ કર્યો હતો.