
2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનું સોશિયલ મીડિયા પર સમર્થન કરવા બદલ કેરળના એક 26 વર્ષીય શખ્સની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોહમ્મદ સનૂફ નામના આ યુવક વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેના આધારે સાઉદી અરેબિયાથી પરત ફરતાં જ કેરળના કોઝીકોડ સ્થિત કરિપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની અટકાયત કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલો ગયા વર્ષે BJYMના એક નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ શરૂ થયો હતો. પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા કોચ્ચિના રહેવાસી એન. રામચંદ્રનની પુત્રીના એક વિડીયો નીચે આરોપી સનૂફે અત્યંત વાંધાજનક અને આતંકી હુમલાને યોગ્ય ઠેરવતી કમેન્ટ કરી હતી. આ ફરિયાદના આધારે કેરળ પોલીસે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પરથી ધરપકડ કર્યા બાદ સનૂફની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરીને તપાસવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ અને મોબાઈલમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓને આધારે પોલીસે આ કેસમાં UAPA ઉમેર્યો છે. આ ઉપરાંત તેની સામે વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવા બદલ પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તેને ન્યાયિક કસ્ટડીમાં (જેલમાં) મોકલી દેવાયો છે.
પોલીસ આગામી સમયમાં વધુ પૂછપરછ માટે સનૂફની કસ્ટડી મેળવવા કોર્ટમાં અરજી કરશે. કેસની ગંભીરતાને જોતાં સત્તાધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ મામલાની ઊંડી તપાસ માટે કેસ ટૂંક સમયમાં જ ક્રાઈમ બ્રાન્ચ અથવા એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) જેવી વિશેષ એજન્સીને સોંપવામાં આવી શકે છે. જોકે, પોલીસે તેના ફોનમાંથી કયા પ્રકારના પુરાવા મળ્યા છે તેની વિગતો હજુ જાહેર કરી નથી.

