વોટ્સએપના યુઝરનેમ ફીચર મામલે મેટાને સરકારની નોટિસ, નિવેડો ન આવે ત્યાં સુધી રૉલઆઉટ ન કરવા સૂચના: વાંચો કંપની-સરકાર શું કહી રહ્યાં છે?

એક તરફ મેટાએ તેની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ માટે ‘યુઝરનેમ’ ફીચર લૉન્ચ કર્યું છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે ફ્રોડ અને છેતરપિંડીની ચિંતાઓને પગલે મેટાને નોટિસ મોકલાવી છે. સરકારે મેટાને યુઝરનેમ ફીચર બાબતે યોગ્ય જાણકારી પૂરી પાડવા અને ત્યાં સુધી ભારતમાં આ ફીચર રૉલ આઉટ ન કરવા માટે સૂચના આપી છે.

કેન્દ્ર સરકારે મેટાને આ બાબતે ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. સાથે કહ્યું કે આ મુદ્દે સરકારને સંતોષકારક જવાબ ન અપાય અને બંને પક્ષે વાતચીત બાદ મુદ્દાનો ઠોસ નિષ્કર્ષ ન આવે ત્યાં સુધી ફીચર પર આગળ કામ કરવામાં ન આવે.

મેટાને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેના આ નવા ફીચરથી સાયબર ક્રાઈમમાં વધારો થવાનું જોખમ દેખાય છે અને એ સંજોગોમાં આઇટી એક્ટ અને નિયમો હેઠળ શા માટે કાર્યવાહી કરવામાં ન આવે તેનો ખુલાસો રજૂ કરવામાં આવે. સરકારે નોટિસમાં ચિંતા વ્યક્ત કરી છે કે આ નવા ફીચરના કારણે ઓનલાઇન ફ્રોડ, ફિશિંગ, ડિજિટલ એરેસ્ટ જેવાં સ્કેમ અને છેતરપિંડીના બનાવો વધવાની સંભાવના છે.

વોટ્સએપે શું કહ્યું?

બીજી તરફ વોટ્સએપનું કહેવું છે કે તેઓ સ્કેમ થતાં અટકાવવા માટે અને યુઝરોની સુરક્ષા માટે પૂરતાં પગલાં લઈ રહ્યાં છે. સાથે જણાવ્યું છે કે યુઝરનેમ ફરજિયાત નથી અને વૈકલ્પિક ફીચર હશે. મોબાઇલ નંબર પણ ચાલુ જ રહેશે પરંતુ લોકો ફોન નંબર શેર કર્યા વગર કનેક્ટ થઈ શકે અને ખાસ કરીને ગ્રુપ ચેટ અને મોટાં ગ્રુપમાં પ્રાઇવસી જળવાય રહે તે માટે ફીચર લાવવામાં આવી રહ્યું છે.

વોટ્સએપે બાંહેધરી આપી છે કે જાણીતી હસ્તીઓ, સરકારી વિભાગો અને સંસ્થાઓ અને મેટા વેરિફાઈડ અકાઉન્ટનાં યુઝરનેમ પહેલેથી સુરક્ષિત કરી દેવામાં આવશે, જેથી બીજું કોઈ આ નામોનો ઉપયોગ ન કરી શકે. ઉપરાંત યુઝરનેમ સર્ચેબલ રાખવામાં નહીં આવે.

આ સિવાય પણ વોટ્સએપ અન્ય અમુક વ્યવસ્થાઓ કરશે તેમ જણાવવામાં આવ્યું છે. આ બધા જવાબો હવે સરકારને મોકલવામાં આવશે અને આગળ નિર્ણય કરવામાં આવશે.

વિવાદ ત્યાંથી શરૂ થયો જ્યારે વોટ્સએપે યુઝરનેમ નામના એક ફીચરની જાહેરાત કરી. આ એ જ ફીચર છે જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર વગેરે પ્લેટફોર્મ પર પહેલેથી ઉપલબ્ધ છે. વોટ્સએપે આ ફીચરની ઘોષણા કરીને કહ્યું કે લોકો મોબાઈલ નંબર શૅર કર્યા વગર યુઝરનેમની મદદથી એકબીજા સાથે જોડાઈ શકશે. પરંતુ તેનાથી બીજી એક ચર્ચા શરૂ થઈ– તેનાથી સ્કેમ વગેરે વધી જશે અને બીજી તરફ એજન્સીઓ માટે આવા ઠગોને ટ્રેક કરવા કઠિન બનશે, કારણ કે મોબાઇલ નંબર નહીં દેખાય.

આ બધી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મેટાને એક નોટિસ મોકલી અને વિગતવાર જવાબ માગ્યા હતા. ત્યાં સુધી યુઝરનેમ રૉલઆઉટ ન કરવા માટે કહ્યું છે. જોકે વોટ્સએપનું કહેવું છે કે તેઓ અત્યારે માત્ર યુઝરનેમ રિઝર્વ કરવા માટે કહી રહ્યા છે, ફીચર વર્ષના અંત ભાગ સુધીમાં ધીમેધીમે રૉલઆઉટ કરવામાં આવશે.