કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રીએ કહ્યું– ઇસ્લામ અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ, વિજ્ઞાન આધારિત… ભાજપનો વિરોધ, રાજીનામાની માંગ

કર્ણાટકની કોંગ્રેસ સરકારના વધુ એક મંત્રી પોતાના વિવાદિત નિવેદનને કારણે ઘેરાયા છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી બસવરાજ રાયરેડ્ડીએ ઇસ્લામને ‘અન્ય તમામ ધર્મો કરતાં શ્રેષ્ઠ’ અને વૈજ્ઞાનિક મજહબ ગણાવતાં મોટો વિવાદ ઊભો થયો છે. આ નિવેદનને સનાતન હિંદુ ધર્મનું અપમાન ગણાવીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) મંત્રીના ત્યાગપત્ર અને હિંદુ સમાજની માફીની માંગ કરી છે.

આ વિવાદની શરૂઆત કોપ્પલ જિલ્લાના કુકનૂર શહેરમાં મુસ્લિમ સમાજના સામૂહિક નિકાહના એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. કાર્યક્રમને સંબોધતા મંત્રી રાયરેડ્ડીએ દાવો કર્યો હતો કે ઇસ્લામ વિશે સમાજમાં ખોટી ધારણાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, “ઇસ્લામ માનવતા પર આધારિત હોવાથી તે અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ છે. તે એક વૈજ્ઞાનિક મજહબ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત શીખવે છે”. આ સિવાય તેમણે કુરાન વાંચવાની ઈચ્છા દર્શાવી હતી અને કહ્યું હતું કે પયગંબર મોહમ્મદે સમગ્ર વિશ્વ માટે કુરાન આપ્યું છે.

કોંગ્રેસી મંત્રીની મક્કા જવાની ઈચ્છા..

પોતાના સંબોધનમાં મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ મંદિરો કે મઠોમાં નથી જતા. આટલું જ નહીં તેમણે મક્કા જઈને હજ કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરતાં ઉમેર્યું કે, “મારે મક્કા જવું છે, પરંતુ ત્યાં જવા માટે ધર્મપરિવર્તન કરવું પડે તેવી પરંપરા હોવાથી હું જઈ શકતો નથી”. મંત્રીના આ નિવેદનો બાદ કોંગ્રેસ સરકારની તુષ્ટીકરણની નીતિ ફરી એકવાર સામે આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

મંત્રી રાયરેડ્ડીના આ નિવેદન સામે ભાજપના નેતાઓ અને હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કર્ણાટક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આર. અશોકે આકરા પ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસ સરકારની હિંદુ વિરોધી માનસિકતાનો કોઈ અંત નથી. તેમણે મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પર નિશાન સાધતાં પ્રશ્ન કર્યો કે, “કેમેરા સામે મંદિરોના ચક્કર લગાવીને ભક્તિનું નાટક કરનારા નેતાઓ જ્યારે પોતાના જ કેબિનેટ મંત્રી સનાતન ધર્મ અને મંદિરોનું અપમાન કરે છે ત્યારે શા માટે મૌન ધારણ કરી લે છે?”

ભાજપે કરી રાજીનામાની માંગ

ભાજપે માંગ કરી છે કે મંત્રી બસવરાજ રાયરેડ્ડી તુરંત જ પોતાનું નિવેદન પાછું ખેંચીને રાજ્યના કરોડો હિંદુઓની જાહેરમાં માફી માંગે અથવા મુખ્યમંત્રી તેમને કેબિનેટમાંથી બરતરફ કરે. ભાજપના નેતાઓએ ઉમેર્યું કે જો કોંગ્રેસ સરકાર આ કાર્યવાહી નહીં કરે તો એ બાબત સ્પષ્ટ થઈ જશે કે નેતાઓની મંદિર યાત્રાઓ અને ધાર્મિકતા માત્ર હિંદુઓના વોટ મેળવવાનું એક ઢોંગ અને નાટક જ છે.

બીજી તરફ, ચોમેરથી ઘેરાયા બાદ અને રાજકીય ગરમાવો વધતાં મંત્રી રાયરેડ્ડીએ સફાઈ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમણે કોઈ ધર્મને નીચો દેખાડ્યો નથી અને તેઓ માત્ર ઇસ્લામના સારા વિચારોની વાત કરી રહ્યા હતા. જોકે, ભાજપે સ્પષ્ટ કર્યું છે કે સનાતન ધર્મને અન્ય ધર્મથી ઓછો ગણાવીને તુષ્ટીકરણનું રાજકારણ રમવાની કોંગ્રેસી માનસિકતા હવે ચલાવી લેવામાં નહીં આવે.