ભવનાથ મહાદેવ મંદિર માત્ર એક તીર્થસ્થળ નથી, એ તે સ્થળ છે જ્યાં સનાતનની સન્યાસ પરંપરા આજે પણ જીવંત દેખાય છે. ગિરનારની તળેટીમાં આવેલું આ શિવધામ સદીઓથી તે સાધકોનું કેન્દ્ર રહ્યું છે જેમણે સંસારનો ત્યાગ કરીને માત્ર શિવત્વને સાધ્યું છે અને સમય આવ્યે ધર્મરક્ષાનું દાયિત્વ પણ ઉઠાવ્યું છે. મહાશિવરાત્રિના અવસરે જ્યારે દેશભરમાંથી નાગા અને અઘોરી સાધુ અહીં એકત્ર થાય છે, ત્યારે આ માત્ર ધાર્મિક આયોજન નથી હોતું, પરંતુ તે ઐતિહાસિક પરંપરાનું સ્મરણ હોય છે જેણે આધ્યાત્મિકતા અને પ્રતિરોધ બંનેને સાથે જીવ્યા છે.
આ સાધુ માત્ર તપસ્વી નથી. ઇતિહાસમાં તેમણે શાસ્ત્ર પણ સાધ્યા છે અને જરૂર પડ્યે શસ્ત્ર પણ ઉઠાવ્યાં છે. તેમને નાગા કહેવામાં આવે છે, સનાતનના રક્ષક. અને આ જ નાગા સાધુઓની વચ્ચે ક્યારેક દેખાય છે તે સાધક, જેમની સાધના સ્મશાનમાંથી પસાર થાય છે — અઘોરી. ભવનાથની ધરતી પર આ બંને પરંપરાઓનો સંગમ માત્ર ધાર્મિક નથી, પરંતુ ભારતની તે આધ્યાત્મિક અને પ્રતિરોધી પરંપરાનું સ્મરણ છે, જેણે આક્રમણ, ઉપહાસ અને વિકૃત ચિત્રણ છતાં પોતાને જીવંત રાખ્યો છે. તો આ નાગા અને અઘોરી સાધુ કોણ છે? તેઓ કેવી રીતે બને છે? તેમને સનાતનના રક્ષક કેમ કહેવામાં આવે છે? અને ગિરનારની તપોભૂમિ સાથે તેમનો શું સંબંધ છે? આ જ પ્રશ્નોનો ઉત્તર શોધવાનો પ્રયાસ છે આ લેખ.
ગિરનાર: તપ, ત્યાગ અને તંત્રની ભૂમિ
ગિરનારને પ્રાચીન ગ્રંથોમાં ‘રેવતાચલ’ કહેવામાં આવ્યો છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આ વિસ્તારને શિવભક્તિ અને તપસ્યાની ભૂમિ તરીકે વર્ણવવામાં આવ્યો છે. ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર શૈવ પરંપરાનું જીવંત કેન્દ્ર છે. સ્થાનિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિની રાતે સ્વયં શિવ અહીં વિચરણ કરે છે. આ જ કારણે આ અવસરે દેશભરના શૈવ સન્યાસી અહીં એકત્ર થાય છે અને તેમાં નાગા સાધુ અને અઘોરી પણ સામેલ થાય છે.
નાગા સાધુ: સનાતનના શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના ધારક
નાગા સાધુઓની પરંપરા દશનામી સંપ્રદાય સાથે જોડાયેલી માનવામાં આવે છે, જેની સ્થાપના આદિગુરુ શંકરાચાર્યએ કરી હતી. મધ્યકાલીન ભારતમાં જ્યારે વિદેશી આક્રમણોને કારણે મંદિરો અને તીર્થો પર સંકટ આવ્યું, ત્યારે નાગા સાધુઓએ માત્ર આધ્યાત્મિક ગુરુની જ નહીં, પરંતુ યોદ્ધાઓની ભૂમિકા પણ ભજવી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે કુંભ મેળાઓ અને તીર્થસ્થળોની રક્ષા માટે આ સન્યાસીઓએ શસ્ત્ર ઉઠાવ્યાં હતાં.
નાગા સાધુ બનવાની પ્રક્રિયા પણ અત્યંત કઠોર હોય છે. પહેલાં વ્યક્તિએ સાંસારિક જીવનનો ત્યાગ કરવો પડે છે. દીક્ષાના સમયે તેનું પ્રતીકાત્મક શ્રાદ્ધ કરાવવામાં આવે છે, એટલે કે તે પોતાના જૂના જીવનને સમાપ્ત જાહેર કરે છે. ત્યારબાદ વર્ષોની તપસ્યા, બ્રહ્મચર્ય, ગુરુસેવા અને અખાડા તાલીમ પછી નાગા દીક્ષા મળે છે.
નગ્નતા અહીં ત્યાગનું પ્રતીક છે. તે દર્શાવે છે કે સાધુ હવે કોઈ સામાજિક આડંબરથી બંધાયેલો નથી. ભસ્મ, જે શરીર પર લગાવવામાં આવે છે, તે મૃત્યુ અને અનિત્યતાની સ્મૃતિ છે, ‘ભસ્માંતં શરીરમ્’ની અનુભૂતિ.
અખાડા પરંપરા અને સંગઠન
નાગા સાધુઓ વિવિધ અખાડાઓ સાથે જોડાયેલા હોય છે, જેમ કે જૂના અખાડો, નિરંજની અખાડો, મહાનિર્વાણી અખાડો વગેરે. આ અખાડા માત્ર આધ્યાત્મિક સંસ્થાઓ નથી, પરંતુ અનુશાસિત સંગઠનો છે જેમની પોતાની પરંપરાઓ અને નિયમો હોય છે. મહાશિવરાત્રિ કે કુંભના અવસરે આ અખાડાઓની શાહી પેશવાઈ (રવાડી) નીકળે છે, જે માત્ર ધાર્મિક આયોજન નથી હોતું, પરંતુ સંગઠનાત્મક શક્તિનું પ્રદર્શન પણ હોય છે.
ધર્મની સ્થાપના બાદ આદિ શંકરાચાર્યે કરી હતી નાગા સૈન્યની સ્થાપના
હિંદુ ધર્મશાસ્ત્રો અને તત્કાલીન ઇતિહાસ અનુસાર ભારતવર્ષનો એક સમય એવો પણ હતો કે જ્યારે વૈદિક ધર્મનું અસ્તિત્વ ખતમ થવા આવ્યું હતું. હિંદુ ધર્મમાંથી ઉદ્ભવેલા સંપ્રદાયો જ મૂળ વટવૃક્ષ વૈદિક ધર્મ (સનાતન) પર પ્રહાર કરી રહ્યા હતા. સ્થિતિ એવી હતી કે મૂળ વૈદિક ધર્મ મરણ પથારીએ પડ્યો હતો અને સંપ્રદાય (જે પછીથી એક ધર્મ તરીકે આગળ વધ્યો) વિકસી રહ્યો હતો. વૈદિક પરંપરાને તુચ્છ ગણવામાં આવી રહી હતી. સંપ્રદાયના વિદ્વાનો સામે દલીલ કરી શકે અને સનાતનને શ્રેષ્ઠ સાબિત કરી શકે તેવો કોઈ સન્યાસી કે વિદ્વાન વૈદિક ધર્મ પાસે બચ્યો નહોતો.
દિવસે-દિવસે સનાતનની મૂળ પરંપરા સાથે જોડાયેલા લોકો વિવિધ ફાંટા અને અને સંપ્રદાયોમાં વિભાજિત થવા લાગ્યા હતા અને અંદરોઅંદર જ લડવા લાગ્યા હતા. આ બધી પરિસ્થિતિ વચ્ચે અચાનક પ્રગટ થાય છે આદિગુરુ શંકરાચાર્ય. સનાતન ધર્મને પાયામાંથી મજબૂત કરવાનું કાર્ય આ યુવા સન્યાસીએ કર્યું હતું. વિવિધ સંપ્રદાયોમાં ફંટાયેલા સનાતનને એક ભગવા ધ્વજ હેઠળ લાવવાનો તમામ શ્રેય શંકરાચાર્યને જાય છે. આદિગુરુએ દેશભરના વિદ્વાનો સાથે ગોષ્ઠી કરી અને સાબિત પણ કરી બતાવ્યું કે સનાતન મૂળ પરંપરા છે, શ્રેષ્ઠ છે. તેમણે દેશમાં અદ્વૈત વેદાંતની ફિલસૂફી પહોંચાડી અને સનાતનને ફરીથી વિશાળ અને શક્તિશાળી બનાવ્યો.
સનાતનમાં ફરીથી પ્રાણ ફૂંકીને આદિગુરુએ દેશને એક કરવા માટે ચારેય દિશામાં ચાર મઠની સ્થાપના કરી. જેમાં ઉત્તરમાં બદ્રિકાશ્રમ જ્યોતિર્પીઠ, પશ્ચિમના દ્વારકામાં શારદાપીઠ, પૂર્વમાં પુરીમાં ગોવર્ધનપીઠ અને કર્ણાટકના ચિક્કામગલુર જિલ્લામાં શૃંગેરી શારદાપીઠનો સમાવેશ થાય છે. આ ચાર મઠના સર્વોચ્ચ વડાને આજે પણ શંકરાચાર્ય કહેવામાં આવે છે અને તેમને જ હિંદુ ધર્મના સૌથી ઉચ્ચ આસનના પદાધિકારી પણ ગણવામાં આવે છે.
આ ચાર મઠોની સ્થાપના બાદ આદિ શંકરાચાર્યે ધર્મની રક્ષા માટે યોદ્ધાઓની ટુકડી તૈયાર કરી હતી. જે કોઈ પણ પરિસ્થિતિમાં સનાતન ધર્મ અને રાષ્ટ્રની રક્ષા કરી શકે છે. તેથી જ તેને પછીથી સનાતન ધર્મની રક્ષક સેના તરીકે જોવામાં આવી હતી. તે ટુકડીમાં એવા યોદ્ધાઓને લેવામાં આવતા હતા, જે નિર્મોહી અને ત્યાગી હોય. બાદમાં તેને નાગા સાધુ તરીકેનું નામ પણ આપવામાં આવ્યું હતું. સ્મશાનની પવિત્ર ભભૂત જ તેમના માટે વસ્ત્રનું કામ કરે છે. આ રીતે સનાતનના સૌથી મોટા યોદ્ધાઓના પહેલા અખાડાની સ્થાપના આદિગુરુ શંકરાચાર્યે કરી હતી. અહીં એ પણ નોંધવા જેવું છે કે આદિ શંકરાચાર્યને ભગવાન શિવના અંશ તરીકે જોવામાં આવે છે અને ધર્મના સર્વોચ્ચ આદિગુરુ તરીકે સન્માનિત કરવામાં આવે છે.
કેવી રીતે બનાય છે નાગા સાધુ?
અખાડાના સંન્યાસી બનવા માટે એક સંકલ્પ પૂરો કરવો પડે છે. આ સંકલ્પ 12 વર્ષ માટે હોય છે. આ સંકલ્પ લેનાર બ્રહ્મચારી કહેવાય. બ્રહ્મચર્ય દરમિયાન વ્યક્તિને અખાડાના નિયમો અને પરંપરાઓ શીખવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ગુરુની સેવા કરવાની હોય છે. જ્યારે બ્રહ્મચારીનો 12 વર્ષનો સંકલ્પ પૂર્ણ થાય ત્યારે તેને આવનાર કુંભમાં નાગા સાધુ તરીકે દીક્ષા આપવામાં આવે છે.
શરૂઆતમાં સંન્યાસની દીક્ષા ગુરુ દ્વારા આપવામાં આવે છે. મંત્રો વગેરેનો જાપ કરીને શરીર પર વિવિધ વસ્તુઓ ધારણ કરાવવામાં આવે છે. ત્યારપછી વિજય સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે. વિજય સંસ્કારમાં સંન્યાસ લેનાર વ્યક્તિ પિંડદાન અને અન્ય આહુતિઓ કરાવીને સંસારિક મોહ-માયાથી દૂર થાય છે. આહુતિ દીક્ષા પ્રાપ્ત કર્યા પછી નાગા સંન્યાસી બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.
આ સંસ્કાર દરમિયાન તમામ સાધુઓને ધર્મધ્વજ નીચે ભેગા કરવામાં આવે છે અને પછી નાગા સાધુને દીક્ષા આપવામાં આવે છે. આ દરમિયાન એક અલગ ગુરુ બનાવવામાં આવે છે, જે દિગમ્બર હોય છે. નાગા સંન્યાસીઓના હાથમાં સામાન્ય રીતે ત્રિશૂળ, તલવાર, શંખ હોય છે અને તેઓ તેમના ગળા અને શરીર પર રુદ્રાક્ષ વગેરે ધારણ કરે છે.
અઘોરી: ભયથી પરેની સાધના
અઘોરી પરંપરા પણ શૈવ તાંત્રિક ધારા સાથે જોડાયેલી છે. તેમનો મૂળ સિદ્ધાંત છે- ‘અઘોર’ એટલે કે જે ઘોર નથી, જે ભયાવહ નથી. તેઓ માને છે કે સૃષ્ટિમાં કંઈ પણ અપવિત્ર નથી. અઘોરી સાધક સ્મશાન સાધના, ભસ્મ અને તાંત્રિક અનુષ્ઠાનો માટે જાણીતા છે. પરંતુ લોકપ્રિય કલ્પનાઓથી અલગ તેમનું દર્શન અદ્વૈત અને શિવત્વની અનુભૂતિ પર આધારિત છે.
અવધૂત ગીતા અને તાંત્રિક ગ્રંથોમાં વર્ણિત અવધૂત પરંપરાને અઘોર સાધનાનું દાર્શનિક મૂળ માનવામાં આવે છે. જોકે ભવનાથ મેળામાં અઘોરી સાધુઓની સંખ્યા મર્યાદિત હોય છે, પરંતુ ગિરનારની તપોભૂમિ તેમને આકર્ષે છે. આ વિસ્તાર તંત્ર અને યોગ સાધના માટે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ રહ્યો છે.
જનસામાન્યમાં ઘણીવાર દરેક ભસ્મધારી સાધુને ‘અઘોરી’ કહી દેવામાં આવે છે, જ્યારે નાગા અને અઘોરી બે અલગ-અલગ પરંપરાઓ છે. નાગા સાધુ સંગઠિત અખાડા પ્રણાલી સાથે જોડાયેલા હોય છે અને ધર્મરક્ષાની ઐતિહાસિક ભૂમિકા ભજવી ચૂક્યા છે. અઘોરી વધુ વ્યક્તિગત, તાંત્રિક અને મર્યાદિત પરંપરાનો ભાગ હોય છે. બંનેનું કેન્દ્ર શિવ છે, પરંતુ સાધનાનો માર્ગ અલગ-અલગ છે.
ભવનાથની ધરતી પર નાગા અને અઘોરી સાધુઓની ઉપસ્થિતિ આપણને તે પરંપરાનું સ્મરણ કરાવે છે જેણે આધ્યાત્મિકતા અને સાહસને સાથે જીવ્યા છે. નાગા સાધુઓને ‘સનાતનના રક્ષક’ કહેવું માત્ર ભાવનાત્મક અભિવ્યક્તિ નથી, પરંતુ ઐતિહાસિક સંદર્ભો સાથે જોડાયેલું તથ્ય છે. અને અઘોરી પરંપરા આપણને શીખવે છે કે ભય અને વર્જનાઓથી પરે પણ શિવત્વની અનુભૂતિ શક્ય છે. ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ મહાદેવ આજે પણ આ અખંડ ધારાનું સાક્ષી છે, જ્યાં તપ છે, ત્યાગ છે, રહસ્ય છે અને સૌથી વધુ શિવની અનંત ઉપસ્થિતિ છે.


