સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરેલા 103 મિનિટના ઐતિહાસિક ભાષણમાં વડાપ્રધાન મોદીએ અનેક એવી વાતો કહી જે સાંભળીને તમને ‘દેશ સુરક્ષિત હાથોમાં છે’ એવું વાક્યે-વાક્યે લાગતું રહે. ઑપરેશન સિંદૂરથી માંડીને આત્મનિર્ભર ભારત ને બીજી ઘણી અગત્યની વાતો કહી તો સાથે ડેમોગ્રાફી અને ઘૂસણખોરી જેવા વિષયો પહેલી વખત લાલ કિલ્લા પરથી ચર્ચાયા. પહેલી વખતવાળામાં એક મુદ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ આવે.
શતાબ્દી ઉજવતા આ રાષ્ટ્રપ્રેમી સંગઠનની સેવાઓને, તેના સ્વયંસેવકોની નિઃસ્વાર્થ રાષ્ટ્રભક્તિને વડાપ્રધાને લાલ કિલ્લાના રાષ્ટ્રજોગ સંબોધનમાં યાદ કરી. તેમણે સંગઠનને, તેનાં કામને યાદ કરીને જે કહ્યું એ સાંભળવું જોઈએ. વાંચવું જોઈએ.
“આજે ગર્વ સાથે એક વાતનો ઉલ્લેખ કરવા માગું છું. આજથી 100 વર્ષ પહેલાં એક સંગઠનનો જન્મ થયો– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. તેની સો વર્ષની રાષ્ટ્રની સેવા એક ગૌરવપૂર્ણ, સ્વર્ણિમ અધ્યાય છે. વ્યક્તિનિર્માણથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ લઈને, મા ભારતીના કલ્યાણનો સંકલ્પ લઈને સંઘના સ્વયંસેવકોએ માતૃભૂમિની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સેવા, સમર્પણ, સંગઠન અને અપ્રતિમ અનુશાસન જેની ઓળખ રહી છે એવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દુનિયાનું સૌથી મોટું NGO છે.”
“આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સો વર્ષની આ રાષ્ટ્રસેવાની યાત્રામાં યોગદાન આપનારા તમામ સ્વયંસેવકોનું આદરપૂર્વક સ્મરણ કરું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષની આ ભવ્ય, સમર્પિત યાત્રા પર દેશને ગર્વ છે. સંઘ આપણને પ્રેરણા આપતો રહેશે.”
સો વર્ષની રાષ્ટ્રસેવાનો જેનો ઇતિહાસ હોય, રાષ્ટ્રકાજ માટે બલિદાન થવા તૈયાર થનારા સ્વયંસેવકોની જેની પાસે ફૌજ હોય તેવા સંગઠનને આદર સાથે, સન્માન સાથે સ્થાન મળવું જોઈએ. મળવું જોઈતું હતું. પણ ભારતના વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી આરએસએસની સેવાઓનો ઉલ્લેખ કરે, સંઘનાં કામોને બિરદાવે એ દૃશ્ય જોવા માટે પણ દેશે દાયકાઓ રાહ જોવી પડી. કારણ કે 2014 પહેલાંની સરકારોને સંઘ, સંઘના લોકોએ દીઠા ગમતા ન હતા. ખરેખર તેમને રાષ્ટ્રભક્તિની, હિંદુત્વની વાત કરનારાઓ અળખામણા લાગતા હતા, અને સંઘ તેમાંથી બાકાત ન જે રહે એ સ્વાભાવિક છે.
#WATCH | PM Narendra Modi says, "Today, I would like to proudly mention that 100 years ago, an organisation was born – Rashtriya Swayamsevak Sangh (RSS). 100 years of service to the nation is a proud, golden chapter. With the resolve of 'vyakti nirman se rashtra nirman', with the… pic.twitter.com/zGMb8H0arw
— ANI (@ANI) August 15, 2025
2014 પછી જે પરિવર્તનો આવ્યાં તેનું જ પરિણામ છે કે વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ આટલા મહત્ત્વપૂર્ણ સંબોધનમાં આરએસએસની સો વર્ષની ભવ્ય યાત્રાને યાદ કરે છે, સ્વયંસેવકોની સેવાને બિરદાવે છે. બાકી તે પહેલાંનો ઇતિહાસ પણ બહુ જૂનો નથી.
જે રાહુલ ગાંધી થોડા-થોડા દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામે તલવાર તાણીને ઊભા રહી જાય છે અને સંઘને પછાડવાની, તેની વિચારધારાને ખતમ કરી નાખવાની ફાલતુ ફાંકા ફોજદારી કરતા રહે છે તેમના બાપ-દાદાઓ ભૂતકાળમાં ત્રણ વખત RSS પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. આ સિવાય કોંગ્રેસના, વિપક્ષના નેતાઓએ સંઘ વિશે, સંઘના સ્વયંસેવકો વિશે જે અપપ્રચાર ફેલાવ્યો, અપમાનજનક નિવેદનો કર્યાં તેની ઉપર એક અલગ લેખ થઈ શકે તેમ છે.
પહેલી વખત મોહનદાસ ગાંધીની હત્યા બાદ સંઘ પર પ્રતિબંધ લાગ્યો એ જાણીતી વાત છે. પછી જોકે હટાવી લેવામાં આવ્યો હતો કે હટાવવો પડ્યો હતો. 1966માં સરકારી કર્મચારીઓને સંગઠનની ગતિવિધિઓમાં ભાગ લેવાથી રોકી દેવામાં આવ્યા હતા, જે પરિપત્ર છેક દાયકાઓ પછી મોદી સરકારે 2024માં રદ કર્યો.
1975ની ઇમરજન્સી સમયે તક શોધીને તત્કાલીન ઈન્દિરા સરકારે RSS પર ફરી પ્રતિબંધ લગાવી દીધો. 1977માં આપાતકાળ અને ઈન્દિરા સરકાર બંનેની વિદાય થઈ પછી પ્રતિબંધ હટાવાયો. પછી 1992માં બાબરી નામનો અયોધ્યાનો વિવાદિત ઢાંચો તૂટી પડ્યો ત્યારે ફરીથી પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો. આરોપો સંઘ પર લગાવાયા, મામલો ટ્રિબ્યુનલ સુધી પણ ગયો પણ પુરાવા ન મળ્યા તો પ્રતિબંધ હટાવી લેવાયો.
સંઘની સો વર્ષની યાત્રા સામે આવા પ્રતિબંધો કંઈ ન કહેવાય. તેનો ઇતિહાસ સંઘર્ષભર્યો પણ બહુ ઉજળો રહ્યો છે. ત્રણ નહીં ત્રીસ પ્રતિબંધો લાદ્યા હોત તોપણ સંઘ અડીખમ રહ્યો હોત, કારણ કે તેના મૂળમાં જે વિચારધારા છે તે સનાતન વિચાર છે અને સનાતનનો ક્યારેય નાશ થતો નથી.
કોંગ્રેસી કાવાદાવા અને અપપ્રચાર વચ્ચે પણ સંઘે કામ ચાલુ રાખ્યું અને તેઓ અહીં સુધી પહોંચ્યા છે. કુદરતી આફતો, દુર્ઘટનાઓ કે મહામારી… સંગઠન રાષ્ટ્રસેવામાં ક્યારેય પાછળ પડ્યું નથી. હિંદુત્વની લહેર આવી તેમાં આમ તો ઘણાનો ફાળો છે, પણ તેનો પાયો તૈયાર કરવામાં સંઘ પરિવારની ભૂમિકા હિમાલય જેવડી છે. રામ મંદિર નિર્માણ હોય કે ઢાંચામાં પરિવર્તિત થયેલાં અન્ય હિંદુ તીર્થસ્થળો વિશે હિંદુઓમાં આવતી જાગૃતિ, સંઘનું યોગદાન ભૂલી શકાય એમ નથી.
આ બધું કોંગ્રેસ પણ ભૂલી નથી. તેમને આ બધું આંખમાં કણાંની જેમ ખૂંચે છે. એટલે તેમની પાસે સંઘને ગાળો ભાંડવાનું કારણ છે. આપણી પાસે સંઘનું સન્માન કરવાનાં અનેક કારણો છે. બીજાં અનેક કારણો રાષ્ટ્રજોગ સંબોધનમાં નરેન્દ્રભાઈએ આપ્યાં છે. 2025માં સંઘને સો વર્ષ થશે. બીજાં સો વર્ષ પછી પણ સંઘ અહીં જ હશે. વધુ સમૃદ્ધ અને મજબૂત હશે. કોંગ્રેસ ક્યાં હશે? સુજ્ઞ વાચક જાણે છે.


