
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ‘ચલો સંસદ’ માર્ચ કાઢવાની જાહેરાત કરનાર કોકરોચ જનતા પાર્ટીના (CJP) વંદાઓએ સોમવારે (20 જુલાઈ) સવારે દિલ્હીના જંતર-મંતર ખાતે હોબાળો મચાવ્યો હતો. પોલીસ સાથે ધક્કામુક્કી અને પરિસ્થિતિ બેકાબૂ બનતા રેપિડ એક્શન ફોર્સ (RAF) અને દિલ્હી પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર સંસદ વિસ્તાર અને નવી દિલ્હીમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
CJP દ્વારા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની માંગ સાથે સંસદ સુધી માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું. રવિવાર સાંજથી જ દેશભરમાંથી વંદાઓ જંતર-મંતર પર એકત્ર થવા લાગ્યા હતા.
કથિત આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે અગાઉથી જ સ્પષ્ટ કર્યું હતું કે સંસદ તરફ કોઈપણ પ્રકારના માર્ચ અથવા સરઘસ માટે ન તો પરવાનગી માગવામાં આવી છે અને ન તો મંજૂરી આપવામાં આવી છે. નવી દિલ્હીમાં BNSSની કલમ 163 લાગુ કરવામાં આવી છે, જેના કારણે પાંચ કે તેથી વધુ લોકોના એકત્ર થવા, રેલી, સરઘસ અથવા વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ છે. માત્ર પૂર્વ મંજૂરી સાથે જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ કરવાની છૂટ આપવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનારાઓ સામે BNSની કલમ 223 સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી પણ પોલીસે આપી હતી.
#WATCH | Delhi | Protesters gathered for CJP's protest march clash with RPF personnel at Jantar Mantar; RPF personnel & police use lathis for crowd control pic.twitter.com/gijaCjJksW
— ANI (@ANI) July 20, 2026
સુરક્ષા માટે જંતર-મંતર, પાર્લામેન્ટ સ્ટ્રીટ, સેન્ટ્રલ વિસ્ટા, કનોટ પ્લેસ અને શંકર ચોક સહિતના વિસ્તારોમાં ત્રણ સ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી હતી. દિલ્હી પોલીસની બે પરતો ઉપરાંત પેરામિલિટરી દળોની એક પરત પણ તહેનાત કરવામાં આવી હતી, જ્યારે રેપિડ રિસ્પોન્સ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સમગ્ર નવી દિલ્હીને 15 સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવી હતી અને CAPFની 25થી વધુ બટાલિયન સહિત 5,000થી વધુ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.
માર્ચને ધ્યાનમાં રાખીને રાજીવ ચોક, સેન્ટ્રલ સેક્રેટરિયેટ સહિત પાંચ મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ પણ કેટલાક સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. મેટ્રો સ્ટેશનો, હોસ્પિટલો અને VVIP વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા તેમજ સંસદ માર્ગ, વિજય ચોક, રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ અને વડા પ્રધાન તથા ગૃહમંત્રીના નિવાસસ્થાન આસપાસ વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
ઘટના બાદ CJPના પ્રવક્તા સૌરવ દાસને ડેપ્યુટી કમિશનરના કાર્યાલય લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ CJPના સ્થાપક અભિજીત દિપકેએ દાવો કર્યો હતો કે તેમને સંસદ તરફ જતાં કોઈ રોકી શકશે નહીં

