સંસદ ભવન સુધી ધસી ગયા કોકરોચ પ્રદર્શનકારીઓ, સુરક્ષાબળોએ સ્થિતિ કાબૂમાં લીધી: નવી દિલ્હી હાઇએલર્ટ પર

દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવા બેઠેલા કોકરોચ પ્રદર્શનકારીઓ હવે સંસદ ભવન સુધી ધસી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમ્યાન થોડી ક્ષણો માટે સંસદ ભવન ખાતે અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હાલ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે.

લગભગ વીસેક દિવસથી જંતર-મંતર પર પ્રદર્શન કરતા કોકરોચ જનતા પાર્ટીના માણસોએ સોમવારે (20 જુલાઈ) સંસદ ભવન સુધી કૂચ કરવાનું એલાન કર્યું હતું. જોકે આના માટે પરવાનગી મેળવવામાં આવી ન હતી. બીજી તરફ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે સત્ર શરૂ થતું હોઈ વિસ્તાર હાઇસિક્યુરિટી ઝોનમાં આવે છે અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 (અગાઉની સીઆરપીસી 144) લાગુ હોઈ કોઈને પણ પ્રદર્શન કે માર્ચની પરવાનગી આપવામાં નહીં આવે.

તેમ છતાં કોકરોચો સવારે જંતર-મંતર પર એકઠા થયા અને ત્યારબાદ સુરક્ષાબળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષાબળોએ લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબૂ મેળવવો પડ્યો હતો. અમુક ઠેકાણે ટીયરગેસના શેલ પણ છોડવા પડ્યા.

થોડી વારમાં અમુક કોકરોચ પ્રદર્શનકારીઓ સંસદ ભવન સુધી જવા માટે નીકળ્યા હતા. જેના કારણે ભવન પર સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ પોઝિશન લઈ લીધી હતી અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી દેવાઈ હતી.

સંસદ ભવનની બાજુમાં આવેલા રેલ ભવન સુધી પણ અમુક પહોંચી ગયા હતા, પરંતુ પછીથી સુરક્ષાબળોએ તગેડી મૂક્યા હતા.

હાલ રાજધાનીમાં તણાવપૂર્ણ માહોલ છે અને સંસદ ભવન અને અન્ય હાઇસિક્યુરિટી વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે.