Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરામાં SRP જવાનની બંદૂક આંચકી લેવાનો પ્રયાસ કરનારા અબ્દુલ રસીદની ધરપકડ, રામનવમીની...

    વડોદરામાં SRP જવાનની બંદૂક આંચકી લેવાનો પ્રયાસ કરનારા અબ્દુલ રસીદની ધરપકડ, રામનવમીની શોભાયાત્રા દરમિયાન ત્રણ શખ્સોએ કર્યો હતો હુમલો

    ગત રામનવમીના દિવસે વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા કુંભારવાડામાં ગોધરા એસઆરપી ગ્રુપ-5ના જવાનોને સવારથી જ તહેનાત કરવામાં આવ્યા હતા. સાંજના સમયે શોભાયાત્રા આ વિસ્તારમાં પહોંચતાં જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ થયેલા તોફાનોમાં એસઆરપી જવાનની રાયફલ લૂંટવાનો પ્રયાસ કરનારા ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અબ્દુલ રસીદ અબ્દુલ સત્તાર શેખ તરીકે થઈ છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

    CCTVમાં SRP જવાનની રાયફલ લૂંટવાનો પ્રયાસ કરનારો ઈસમ દેખાયો

    દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, પથ્થરમારા દરમિયાન ફરજ પર હાજર એસઆરપી જવાનની રાયફલ લૂંટવાનો પ્રયાસ કરનારો ઈસમ સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો. આરોપી અબ્દુલ રસીદે જવાનને બે-ચાર લાફા પણ ઝીંકી દીધા હતા. પોલીસે ધરપકડ બાદ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું.

    SRP જવાનને ઘેરી લઈ ત્રણ ઈસમોએ હુમલો કર્યો

    ઉલ્લેખનીય છે કે, ગત રામનવમીના દિવસે વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા કુંભારવાડામાં ગોધરા એસઆરપી ગ્રુપ-5ના જવાનોને સવારથી જ તહેનાત કરવામાં આવ્યા હતા. સાંજના સમયે શોભાયાત્રા આ વિસ્તારમાં પહોંચતાં જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ફરજ બજવતા SRP જવાન પંકજ હિંમતસિંહ બારૈયા પર ત્રણ શખ્સોએ હુમલો કરી દીધો હતો, જેમની ઓળખ આરોપી અબ્દુલ રસીદ અબ્દુલ સત્તાર શેખ, બીદુ રફિકભાઈ બંગાળી, મોહસીન તરીકે થઈ છે.

    - Advertisement -

    ઘટના બાદ SRP જવાને ફરિયાદ નોંધાવી

    ઘટના બાદ SRP જવાન પંકજ બારૈયાએ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ વડોદરામાં કુંભારવાડા ડીપ પોઇન્ટમાં દરગાહની પાછળ આવેલા ગેટ નજીક ફરજ બજાવી રહ્યા હતા. સાંજે 5:30 આસપાસ મસ્જિદ પાસેની ગલીમાંથી ત્રણ યુવકો અચાનક તેમની તરફ ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો.

    એટલું જ નહીં, આ ઈસમોએ તેમને લાફા માર્યા અને ખભે લટકાવેલી બંદૂક પણ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જવાને પ્રતિકાર કર્યો અને આ દરમિયાન નજીકના પોલીસ કર્મચારીઓ પણ ત્યાં દોડી આવતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા.

    સીસીટીવીમાં પણ આ ઘટના સ્પષ્ટ દેખાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી આ ત્રણેય હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ IPCની કલમો 393, 353, 332, 323, 186 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. મોરીએ હાથ ધરી હતી.

    પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન

    પોલીસે એસઆરપી જવાનની રાયફલ લૂંટવાનો પ્રયાસ કરનારા અબ્દુલ રસીદ અબ્દુલ સત્તાર શેખ (ઉં.42) ની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે બાદમાં આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.

    રામનવમીના દિવસે બે શોભાયાત્રાઓ પર પથ્થરમારો થયો હતો

    વડોદરામાં રામનવમીના દિવસે બે શોભાયાત્રાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલાં શોભાયાત્રા જ્યારે ફતેપુરાના મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી નીકળી ત્યારે હુમલો થયો હતો અને ત્યારબાદ સાંજે કુંભારવાડામાંથી પસાર થતી રામયાત્રા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરીને જુદા-જુદા કેસોમાં કુલ ત્રીસેક લોકોની ધરપકડ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં