બંગાળની સાઉથ કોલકાતા લૉ કૉલેજની વિદ્યાર્થિની સાથે રેપની ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસ સાંસદ કલ્યાણ બેનર્જી (Kalyan Banerjee) અને ધારાસભ્ય મદન મિત્રાએ અમુક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. જેના કારણે પાર્ટીએ બંનેનાં નિવેદનોથી અંતર બનાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ બેનર્જીએ પોતાનો બચાવ કરતાં પાર્ટી સામે જ મોરચો માંડી દીધો છે.
TMCએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “સાંસદ કલ્યાણ બેનર્જી અને ધારાસભ્ય મદન મિત્રા દ્વારા સાઉથ કોલકાતા લૉ કૉલેજના ઘૃણાસ્પદ ગુના સંદર્ભે જે ટિપ્પણીઓ કરવામાં આવી એ વ્યક્તિગત ક્ષમતા અનુસાર કરવામાં આવી હતી. પાર્ટી આ નિવેદનોથી સંપૂર્ણપણે અંતર બનાવે છે અને બંનેને વખોડી કાઢે છે. કોઈ પણ રીતે આ નિવેદનો પાર્ટીની સ્થિતિ દર્શાવતાં નથી.”
The remarks made by MP Kalyan Banerjee and MLA Madan Mitra concerning the heinous crime at South Calcutta Law College were made in their personal capacities. The party unequivocally disassociates itself from their statements and strongly condemns the same. These views do not…
— All India Trinamool Congress (@AITCofficial) June 28, 2025
આગળ TMCએ લખ્યું કે, “અમારું વલણ સ્પષ્ટ છે– મહિલાઓ વિરુદ્ધના ગુના પર ઝીરો ટોલરન્સ અને જે કોઈ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલું હોય તેને કડકમાં કડક સજા.”
વાસ્તવમાં લૉ કોલેજ રેપની ઘટનાનો મુખ્ય આરોપી TMC સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આ મામલે જ્યારે પત્રકારો કલ્યાણ બેનરજીને પ્રશ્ન કર્યો તો તેમણે એવી ટિપ્પણી કરી હતી કે, “કોઈ મિત્ર જ બળાત્કાર કરે તો શું કરી શકાય? શું હવે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પોલીસ તહેનાત કરવામાં આવે? એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થિની સાથે એ કર્યું. તેની સુરક્ષા કોણ કરશે?”
મદન મિત્રાએ એક નિવેદનમાં પીડિતાને જ દોષ આપી દીધો હતો અને કહ્યું હતું કે તેણે એકલીએ કોલેજ જવું જોઈતું ન હતું. તેમણે કહ્યું હતું, “જો એ યુવતી ગઈ ન હોત તો આ બન્યું જ ન હોત. જો તેણે જવા પહેલાં કોઈને જાણ કરી હોત કે અમુક મિત્રોને સાથે લઈ ગઈ હોત તો આ ન થયું હોત.” આગળ કહ્યું કે જેણે આ દુષ્કૃત્યને અંજામ આપ્યો તને પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો.
બંને નેતાઓનાં આવાં નિવેદનોના કારણે TMCએ આખરે અંતર બનાવવાનો વારો આવ્યો અને પાર્ટીએ નેતાઓનાં નિવેદનો વખોડવા પણ પડ્યાં.
પાર્ટીએ અંતર બનાવ્યા બાદ કલ્યાણ બેનર્જીએ એક પોસ્ટ કરીને પાર્ટીની જ ટીકા કરી અને સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું, TMC દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટથી તેઓ બિલકુલ સહમત નથી.
I completely disagree with the post made by @AITCofficial on X. Are they indirectly supporting the leaders who are shielding these criminals? Mere academic statements won't bring any real change unless immediate action is taken against those leaders directly responsible. What's…
— Kalyan Banerjee (@KBanerjee_AITC) June 28, 2025
આગળ કહ્યું, “શું તેઓ આડકતરી રીતે એ નેતાઓને સપોર્ટ કરી રહ્યા છે, જેઓ ગુનેગારોને છાવરી રહ્યા છે? જ્યાં સુધી સીધી રીતે જવાબદાર નેતાઓ વિરુદ્ધ તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી આવાં નિવેદનોથી કંઈ બદલાવાનું નથી. વધુ ચિંતાજનક બાબત એ છે કે 2011 પછી આવેલા અમુક નેતાઓ પોતે જ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે. જેઓ ગુનેગારોને છાવરે છે તેવા નેતાઓથી હું સંપૂર્ણપણે અંતર બનાવી રહ્યો છું.”
બેનર્જીએ એમ પણ કહ્યું કે, તેમના શબ્દો સમજવા કે તે પાછળનો ખરો ભાવ સમજવા માટે એક નિશ્ચિત નૈતિક અને બૌદ્ધિક ક્ષમતા જોઈએ, જે અહીં હોય તેમ લાગતું નથી.