વક્ફ કાયદાને (Waqf Act) પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે (17 એપ્રિલ) બીજા દિવસે સુનાવણી હાથ ધરી હતી. દરમ્યાન કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દાખલ કરેલો જવાબ ધ્યાનમાં લીધો અને આદેશ પસાર કર્યો. કોર્ટે મામલાની વધુ સુનાવણી 5 મેના રોજ મુકરર કરી છે.
સરકાર તરફથી SG મહેતાએ કોર્ટને જણાવ્યું કે, વક્ફ એક્ટ 2025ની અમુક જોગવાઈઓ, જેમકે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિનમુસ્લિમોની નિમણૂક અને વક્ફ બાય યુઝર સંપત્તિઓના ડિનોટિફિકેશન, વગેરે પર હાલ પૂરતો અમલ કરવામાં આવશે નહીં. કોર્ટે આ નિવેદન નોંધીને વધુ જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો અને આગળની સુનાવણીની તારીખ નક્કી કરી હતી.
આદેશમાં કોર્ટે કહ્યું કે, “સુનાવણી દરમિયાન SG મહેતાએ જણાવ્યું કે પ્રતિવાદીઓને (સરકારને) જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય જોઈએ છે અને તેમણે બાંહેધરી આપી છે કે આગળની સુનાવણી સુધી બોર્ડ કે કાઉન્સિલમાં 2025ના એક્ટ મુજબ કોઈ નિમણૂક થશે નહીં. તેમણે એ પણ આશ્વાસન આપ્યું છે કે, વક્ફ, વક્ફ બાય યુઝર કે નોટિફિકેશન અથવા ગેઝેટથી જે સંપત્તિ વક્ફ ઘોષિત કરવામાં આવી હોય, તેના સ્ટેટસમાં કોઈ ફેરફાર આવશે નહીં.
#BREAKING ORDER
— Bar and Bench (@barandbench) April 17, 2025
CJI Sanjiv Khanna: During course of hearing SG Mehta states that the respondents would like to file a short reply within 7 days and assured that till next date no appointment shall take place to board and councils under 2025 act. He also assures that waqfs…
કોર્ટે કાયદો અટકાવવાની માંગ કરતી અરજી પર જવાબ દાખલ કરવા માટે કોર્ટને સાત દિવસનો સમય આપ્યો છે. ત્યારબાદ અરજદારો પાંચ દિવસમાં પ્રત્યુત્તર દાખલ કરી શકશે. મામલાની આગલી સુનાવણી 5 મેના રોજ હાથ ધરવામાં આવશે. આગલી સુનાવણીમાં વચગાળાના આદેશ કે નિર્દેશો પર ચર્ચા કરવામાં આવશે તેવી પણ બેન્ચે સ્પષ્ટતા કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ સાથે એમ પણ જણાવ્યું કે આગલી સુનાવણીમાં માત્ર પાંચ અરજદારોના વકીલો જ કોર્ટમાં હાજર રહેશે અને તેમને જ સાંભળવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વક્ફ કાયદાને પડકારતી લગભગ 70થી વધુ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી ચૂકી છે. પરંતુ કોર્ટ પાંચ જ અરજી ધ્યાનમાં લેશે, અને બાકીની તેની એપ્લિકેશન તરીકે ગણવામાં આવશે. જોકે આ પાંચ અરજીઓ કઈ હશે એ નક્કી કરવા માટે અરજદારોને છૂટ આપવામાં આવી છે.
આ સિવાય કોર્ટે બંને પક્ષોને એક નોડલ કાઉન્સેલ નક્કી કરવા માટે નિર્દેશ આપ્યા છે, જેઓ બંને પક્ષો સાથે નિયમન કરવામાં મદદરૂપ થશે.
મામલાની હવે વધુ સુનાવણી 5 મેના રોજ થશે.
પહેલા દિવસની સુનાવણીમાં શું બન્યું હતું?
વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે 16 એપ્રિલથી સુનાવણી હાથ ધરી હતી. પહેલા દિવસે અરજદાર તરફથી કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને રાજીવ ધવન વગેરે વકીલોએ દલીલો કરી હતી.
દલીલોમાં તેમણે મુખ્યત્વે બોર્ડ-કાઉન્સિલમાં બિનમુસ્લિમ સભ્યોની નિમણૂક પર વાંધો ઉઠાવ્યો. ત્યારબાદ વક્ફ બાય યુઝર પર પણ ચર્ચા થઈ. જેના સરકાર તરફથી SGએ વિસ્તૃત જવાબો પણ આપ્યા હતા. પછીથી કોર્ટે એક વચગાળાનો આદેશ પ્રસ્તાવિત કર્યો, જેની ઉપર હાલ ચર્ચાઓ ચાલી રહી છે. 5 મેના રોજ વચગાળાના આદેશ પર વધુ ચિત્ર સ્પષ્ટ થશે.