ત્રીજા વર્ગની સરકારી નોકરીમાં લાગુ ફિક્સ પેની પ્રણાલી બંધ કરવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર અવારનવાર ચળવળો ચાલતી રહે છે અને હાલમાં પણ આવું એક અભિયાન તેજ છે ત્યારે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશૉટ વાયરલ થયો છે, જેમાં ‘આંદોલનકારીઓ’ હાલ પૂરતો ભ્રષ્ટાચાર ન કરવાની વાતચીત કરતા જોવા મળે છે.
સ્ક્રીનશૉટ ‘ટીમ રિમૂવ ફિક્સ પે’ નામના એક ટેલિગ્રામ ગ્રુપનો છે. ત્યાં ચાલતી ચર્ચામાં એક વ્યક્તિ સલાહ આપીને કહે છે કે જ્યાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર ન કરે, કારણ કે સરકાર નજર રાખીને બેઠી છે.
ખાસ નોંધ: હમણાં આંદોલન ચાલે છે ત્યાં સુધી કોઈએ લાંચ લેવી નહીં. સરકાર તમારા ઉપર નજર રાખીને જ બેઠી છે. પકડાયા એટલે કાઢી મૂકશે. એક વાર ફિક્સ પે રિમૂવ થઈ જાય પછી જે કરવું હોય એ કરજો. https://t.co/JBsRaHqheY pic.twitter.com/FRFo2x81hk
— गई भैंस पानी में ? (@GaiBhainsPaniMe) July 22, 2025
‘ટીમ રિમૂવ ફિક્સ પે’માં કુલ 8,617 સભ્યો છે. જેમાં ‘વિજય પટેલ’ના એક આઈડી પરથી મેસેજ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ ભ્રષ્ટાચાર ન કરવો એવી સલાહ આપવામાં આવી છે. સાથે શહીદ થવાની પણ ઉશ્કેરણીજનક વાતો લખવામાં આવી છે.
મેસેજમાં લખ્યું છે– ‘બધા મિત્રોને એક જ વિનંતી છે, શહીદ બનવા માટે તૈયાર રહો અને આ ફિક્સ પે માટે આંદોલન કરો. બાકી અહીં બોલવાથી અથવા ટ્રેન્ડ ચલાવવાથી કશું થવાનું નથી. અને એક બીજી વાત, આપણા કોઈ પણ મિત્રએ હમણાં કરપ્શન કરવું નહીં, આ સરકાર આપણી પર નજર રાખીને જ બેઠી છે. કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ જ કરશે એ યાદ રાખવું.’
સાથે યુઝરે ACB ગુજરાતની એક પોસ્ટ ક્વોટ કરી છે, જેમાં જૂનાગઢના એક ગામના તલાટી જયદીપ ચાવડાની લાંચ તરીકે ₹1500 ઓનલાઇન સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર આપવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર આ મેસેજોના સ્ક્રીનશૉટ ફરતા થઈ ગયા હતા. અમુક યુઝરોની એવી પણ ફરિયાદ છે કે સ્ક્રીનશૉટ એડિટેડ છે, પરંતુ ઑપઇન્ડિયાએ ચકાસણી કરતાં આવું ગ્રુપ વાસ્તવમાં મળી આવ્યું હતું અને ઉપરોક્ત મેસેજો પણ ત્યાં જોવા મળે છે. વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અમુક યુઝરો હવે આ ગ્રુપમાં આવી ચર્ચા કરનારા લોકો પર તપાસ કરવાની પણ માંગ કરી રહ્યા છે.
આદરણીય @ACBGujarat,
— Sagar Patoliya (@kathiyawadiii) July 22, 2025
નીચે એક ટેલીગ્રામ ચેનલનો સ્ક્રીનશોટ પોસ્ટ થયો છે, જેમાં વાત ચાલે છે કે,
"હમણા કોઈએ કરપ્શન કરવું નહીં, સરકાર ધ્યાન રાખીને બેઠી છે."
હમણા આંદોલન ચાલે છે ત્યાં સુધી હપ્તા તેમજ કટકી જેવા કાર્યોને મુલતવી રાખવામાં આવ્યા છે. આશા છે કે આવા કાર્યો સદંતર મુલતવી જ… https://t.co/WdJI0RWOUH
લોકો પૂછી રહ્યા છે કે આ વાતોનો અર્થ શું થાય? માત્ર હાલ પૂરતો ભ્રષ્ટાચાર કરવામાં ન આવે અને જેવી સમસ્યાનો ઉકેલ આવી જાય કે ફરીથી ચાલુ કરી દેવામાં આવે? યુઝરો આવા વ્યક્તિઓની માનસિકતા પર પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ફરી એક વખત ફિક્સ પે વિરોધી અભિયાન શરૂ થયું હતું અને હૅશટેગ હેઠળ પોસ્ટ પણ ઘણી થઈ હતી. કર્મચારીઓ આ પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. સરકાર તરફથી સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આવી નથી.


