ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ આસામમાં પણ તેની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ સમાચાર સામે આવી રહ્યા છે કે, ગુજરાતની ભાજપ સરકાર (Gujarat Government) પણ ગુજરાતમાં UCC લાગુ કરવાને લઈને તૈયારી તેજ કરી રહી છે. મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંગળવારે (4 ફેબ્રુઆરી) બપોરે પ્રેસ કૉન્ફરન્સ યોજીને UCC માટેની કમિટીની (committee) જાહેરાત કરશે. આ સાથે જ એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકાર UCCના અમલીકરણ માટે એક કમિટી બનાવશે અને તેના રિપોર્ટના આધારે યોજના ઘડીને UCC લાગુ કરવામાં આવશે.
ગુજરાતમાં પણ લાગૂ થશે યુનિફોર્મ સિવિલ કોડ; આજે બપોરે 12.15 કલાકે CM અને HMની મહત્વની પત્રકાર પરિષદ#Gujarat #BreakingNews #News #UCC #uniformcivilcode pic.twitter.com/aDSMO6yGx6
— Zee 24 Kalak (@Zee24Kalak) February 4, 2025
વધુમાં કહેવાય રહ્યું છે કે, કમિટીની જાહેરાત કર્યા બાદ તેનું કામ લોકોના સૂચન લઈને એક રિપોર્ટ તૈયાર કરવાનું રહેશે. જોકે, ગુજરાતમાં UCCની વાત ખૂબ પહેલાંથી કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણી વખતે પણ ભાજપે UCCની વાત કરી હતી. જે બાદ હવે રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ કમિટીના રિપોર્ટના આધારે જ UCCનું અમલીકરણ કરવામાં આવે તેવી પણ સંભાવના છે.
#BreakingNow: गुजरात से इस वक्त की सूत्रों से बड़ी खबर.. गुजरात में भी UCC लाने की तैयारी.. UCC को लेकर बड़ा कदम उठा सकती है- सूत्र@HimanshDxt #GujaratNews #UCC #UniformCivilCode pic.twitter.com/kbAmpX2C4J
— Times Now Navbharat (@TNNavbharat) February 4, 2025
ગુજરાત સરકારે આધિકારિક રીતે કમિટી બનાવવાની કરી હતી જાહેરાત
નોંધનીય છે કે, આ પહેલાં ઑક્ટોબર, 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટે ગાંધીનગરમાં એક હાઇલેવલ બેઠક બોલાવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આધિકારિક રીતે UCC માટે કમિટી બનાવવા માટેની ઘોષણા કરી હતી. તે સિવાય 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભાજપ સરકાર રાજ્યમાં UCC લાગુ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી એ તો સ્પષ્ટ છે કે, ગુજરાતમાં UCC લાગુ થવા જઈ રહ્યું છે. જોકે, CM પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સંઘવી પ્રેસ કૉન્ફરન્સ કરીને કમિટીની આધિકારિક જાહેરાત પણ કરી શકે છે.
UCC બાદ ગુજરાતમાં શું બદલાશે?
ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ કાયદામાં ઘણો બદલાવ આવી ગયો છે. સૌપ્રથમ તો UCC લાગુ થયા બાદ રાજ્યના તમામ લોકો માટે સમાન કાયદા હશે, જેના કારણે કોઈ ભેદભાવ થવાની સંભાવના નહીં રહે. આ સાથે જ નિકાહ, તલાક જેવી બાબતોમાં પણ એક જ નિયમ લાગુ પડી શકે છે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ આપા, બેટી, ભતીજી, બુઆ, મોસી જેવા 76 જેટલા સંબંધોમાં નિકાહ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે. નૈતિકતાના ધોરણે જે સંબંધને પવિત્ર ગણવામાં આવે છે, તેવા એક પણ સંબંધમાં નિકાહ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવી શકે છે.
આ ઉપરાંત ગુજરાતમાં UCC બાદ વારસાઈના હક્કોમાં પણ કોઈ ભેદભાવ નહીં રહે. લિંગ અને જાતિને આધારે વારસામાં કોઈ ભેદભાવને અવકાશ નહીં રહી શકે. આ ઉપરાંત સમલૈંગિક લગ્ન જેવી પ્રથાઓને પણ કાયદેસર માન્યતા મળી શકશે નહીં. તે સિવાય બાલવિવાહ, બહુલગ્ન, ત્રિપલ તલાક અને દહેજ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. લિવ-ઇન-રિલેશનમાં પણ નિયમો કડક થઈ શકે છે.
નોંધનીય છે કે, 27 જાન્યુઆરી, 2025ના ઐતિહાસિક દિવસે ઉત્તરાખંડમાં UCC કાયદો લાગુ થયો છે. આ સાથે જ ઉત્તરાખંડ દેશનું પહેલું UCC લાગુ કરનારું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ 27 જાન્યુઆરીએ કહ્યું હતું કે, “અમે જનતાને આપેલું વચન પૂર્ણ કરી રહ્યા છીએ.” સાથે એ પણ નોંધવા જેવું છે કે, આસામ અને ગુજરાતમાં પણ UCCને ઝડપથી લાગુ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.