Sunday, June 16, 2024
More
    હોમપેજગુજરાતમદરેસાનો સરવે કરનાર શિક્ષક પર હુમલા મામલે પરવેઝ, સુફિયાન સહિત વધુ 4ની...

    મદરેસાનો સરવે કરનાર શિક્ષક પર હુમલા મામલે પરવેઝ, સુફિયાન સહિત વધુ 4ની ધરપકડ: ક્રાઇમ બ્રાન્ચે AMC પાસે માંગી મદરેસાની વિગતો

    આરોપીઓની ઓળખ મોહમ્મદ પરવેઝ ફારૂક મોહમ્મદ શેખ, મોહમ્મદ સુફિયાન અબ્દુલ મજીદ પઠાણ, ફૈઝાન શેખ અને અયાન શેખ તરીકે થઈ છે. જ્યારે અગાઉ ફરહાન અને ફૈઝલ નામના 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં NCPCRના નિર્દેશને પગલે શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યભરની મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવે દરમિયાન અમદાવાદના દરિયાપુરની એક મદરેસાનો સરવે કરવા પહોંચેલા સરકારી કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે FIR દાખલ કરીને 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને હવે વધુ ચારની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચે પણ વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. 

    આ મામલે FIR નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં 2 મુખ્ય આરોપીઓ ફરહાન અને ફૈઝાનની ધરપકડ કરી લીધી હતી. બંનેની ધરપકડ બાદ અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મળીને દરિયાપુરમાં મસ્જિદની આસપાસના વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આ ઑપરેશન દરમિયાન અન્ય 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા. 

    આરોપીઓની ઓળખ મોહમ્મદ પરવેઝ ફારૂક મોહમ્મદ શેખ, મોહમ્મદ સુફિયાન અબ્દુલ મજીદ પઠાણ, ફૈઝાન શેખ અને અયાન શેખ તરીકે થઈ છે. જ્યારે અગાઉ ફરહાન અને ફૈઝલ નામના 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. જેની સાથે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 6 પર પહોંચી છે. 

    - Advertisement -

    બીજી તરફ, આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ મહાનગરપાલિકાના સીટી સરવે વિભાગ પાસે આ મદરેસાને લગતી માહિતી પણ માંગી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. પોલીસે મદરેસા અંગેની તમામ માહિતી માંગી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    શું છે મામલો?  

    અમદાવાદમાં સ્થિત બાપુનગરની શ્રુતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા શિક્ષક સંદીપ પટેલ શનિવારે (18 મે, 2024) દરિયાપુર વિસ્તારના સુલતાન મહોલ્લામાં આવેલી એક મદરેસાનો સરવે કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન જ ઇસ્લામી ટોળાંએ તેમના પર હુમલો કરી દીધો હતો. દરમિયાન શિક્ષક વારંવાર કહેતા રહ્યા હતા કે, તેઓ સરકારી કામ માટે આવ્યા છે. પરંતુ ટોળાંએ તેમનું કઈ સાંભળ્યું નહીં અને માર મારવાનો ચાલુ રાખ્યો હતો.

    FIR અનુસાર, તેમણે સરવે દરમિયાન મદરેસા બંધ હોવાથી તેનો ફોટો પાડ્યો હતો. તે દરમિયાન જ કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. ત્યારપછી અચાનક જ તેમણે હુમલો કરી દીધો હતો. દરમિયાન ટોળાંમાંથી કોઈએ ફરહાન અને ફૈઝલના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમના હાથમાં રહેલા સરકારી ડોક્યુમેન્ટ પણ ઝૂંટવી લેવામાં આવ્યા હતા. જેમતેમ કરીને તેમણે ત્યાંથી નીકળીને સીધા પોલીસ સ્ટેશન જઈને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં