Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર: 3 જુલાઈએ થશે સ્પીકરની ચૂંટણી, બે દિવસનું વિશેષ સત્ર બોલાવાયું; ઉદ્ધવ...

    મહારાષ્ટ્ર: 3 જુલાઈએ થશે સ્પીકરની ચૂંટણી, બે દિવસનું વિશેષ સત્ર બોલાવાયું; ઉદ્ધવ જૂથને વધુ એક ફટકો, 11 જુલાઈ સુધી સુનાવણી ટળી

    2 જુલાઈના રોજ સ્પીકર પદ માટે નામાંકન દાખલ કરવામાં આવશે. 3 જુલાઈના રોજ સ્પીકરની ચૂંટણી કરવામાં આવશે અને 4 જુલાઈના રોજ સરકાર વિધાનસભા ગૃહમાં બહુમત સાબિત કરશે.

    - Advertisement -

    એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ હવે રાજ્યપાલે તેમને ગૃહમાં બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આગામી 3 અને 4 જુલાઈના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં સ્પીકરની ચૂંટણી પણ કરવામાં આવશે. 

    2 જુલાઈના રોજ સ્પીકર પદ માટે નામાંકન દાખલ કરવામાં આવશે. 3 જુલાઈના રોજ સ્પીકરની ચૂંટણી કરવામાં આવશે અને 4 જુલાઈના રોજ સરકાર વિધાનસભા ગૃહમાં બહુમત સાબિત કરશે.

    મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ સ્પીકરનું પદ ખાલી છે. ફેબ્રુઆરી 2021 માં કોંગ્રેસના નાના પાટોલે પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ રાજીનામું આપી દીધું હતું, જે બાદ ડેપ્યુટી સ્પીકર ગૃહના અધ્યક્ષનું કામ સંભાળતા હતા. પરંતુ હવે નવી સરકાર બન્યા બાદ સ્પીકર પદની ચૂંટણી થશે, આ પદ ભાજપને મળી શકે છે. 

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર આયોજિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે, જેમાં વિધાનસભા સ્પીકરની ચૂંટણી મુદ્દે ચર્ચા થશે અને ઉમેદવારનું નામ પણ નક્કી કરવામાં આવશે. 

    બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના ચીફ વ્હીપ સુનીલ પ્રભુએ આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને તેમને બરતરફ કરવાની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની અરજી દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી 11 જુલાઈ સુધી ટાળી દીધી છે.

    ઉદ્ધવ જૂથ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે, “29 જૂનના આદેશ બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા, પરંતુ હજુ સુધી તેઓ કોઈ પાર્ટીમાં જોડાયા નથી. તેઓ કઈ રીતે ગૃહનું સંચાલન કરશે? કોના વ્હીપનું પાલન કરવામાં આવશે? તેઓ પાર્ટી નથી.” સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, આ ડેમોક્રેસીનો ડાન્સ ચાલી રહ્યો નથી.

    જોકે, સુપ્રીમ કોર્ટે જવાબમાં કહ્યું હતું કે કોર્ટ આંખ બંધ કરીને બેઠી નથી અને આ મામલે સતત નજર રાખી રહી છે અને આ અરજી ઉપર પણ આગામી 11 જુલાઈના રોજ જ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    અહીં નોંધવું જોઈએ કે કોર્ટે એકનાથ શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર પર 11 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને અરજી કરીને વ્હીપ ન અનુસરવા બદલ નોટીસ પાઠવી હતી. જે મામલે એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે બાદ કોર્ટે ડેપ્યુટી સ્પીકર અને સરકારને નોટીસ પાઠવી હતી અને શિંદે જૂથના ધારાસભ્યોને નોટીસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. તેમજ મામલાની સુનાવણી 11 જુલાઈ સુધી ટાળી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં