Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તમે હવે માત્ર ટ્રોલ બનીને રહી ગયા છો, પોતાને શું ફર્સ્ટ ક્લાસ...

    ‘તમે હવે માત્ર ટ્રોલ બનીને રહી ગયા છો, પોતાને શું ફર્સ્ટ ક્લાસ નાગરિક સમજો છો?’: મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, ત્રણ પ્રશ્નો કર્યા

    સિંધિયાએ કહ્યું કે, રાહુલ ગાંધી એક ટ્રોલ તરીકે સીમિત થઇ ગયા છે. તેમણે આ સાથે ત્રણ પ્રશ્નો પણ કર્યા અને કહ્યું કે, રાહુલ અહંકારથી એટલા ગ્રસિત થઇ ગયા છે કે આ સવાલોનું મહત્વ પણ તેમની સમજ બહાર છે.

    - Advertisement -

    પોતાના જૂના સાથીઓને અદાણી સાથે જોડીને રાહુલ ગાંધીએ કરેલું ટ્વિટ હવે તેમના માટે મુસીબત બનતું જઈ રહ્યું છે. આસામ સીએમ હિમંત બિસ્વ સરમા અને પૂર્વ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા બાદ હવે કેન્દ્રીય મંત્રી અને એક સમયના રાહુલના નજીકના સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જવાબ આપ્યો છે. 

    સિંધિયાએ કહ્યું કે, રાહુલ ગાંધી એક ટ્રોલ તરીકે સીમિત થઇ ગયા છે. તેમણે આ સાથે ત્રણ પ્રશ્નો પણ કર્યા અને કહ્યું કે, રાહુલ અહંકારથી એટલા ગ્રસિત થઇ ગયા છે કે આ સવાલોનું મહત્વ પણ તેમની સમજ બહાર છે. 

    જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીના અદાણીવાળા ટ્વિટને ક્વોટ કરીને લખ્યું કે, ‘સ્પષ્ટ છે કે હવે તમે એક ટ્રોલ તરીકે સીમિત થઇ ચૂક્યા છે. મારી ઉપર પાયાવિહોણા આરોપો લગાવવા અને મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાની જગ્યાએ આ ત્રણ પ્રશ્નોના જવાબો કેમ નથી આપતા?’

    - Advertisement -

    જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂછ્યું કે, રાહુલ ગાંધી શા માટે એક સમુદાય માટેના પોતાના અપમાજનક નિવેદનની માફી નથી માંગી રહ્યા? સાથે તેમણે કહ્યું કે, ઉપરથી તેઓ કહે છે કે તેઓ સાવરકર નથી અને માફી નહીં માંગે. તેમણે તેને દેશના સેવકનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે આ રાહુલ ગાંધીનો અહંકાર છે. 

    બીજો પ્રશ્ન એ પૂછ્યો કે જે કોર્ટ પર કોંગ્રેસે સતત આંગળીઓ ઉઠાવી તેની ઉપર આજે પોતાના સ્વાર્થ માટે દબાણ કેમ બનાવી રહ્યા છે? ત્રીજા પ્રશ્નમાં કહ્યું કે શું રાહુલ ગાંધી પોતાને ફર્સ્ટ ક્લાસ નાગરિક માને છે અને એવું માને છે કે તેમના માટે નિયમો અલગ હોવા જોઈએ?

    અંતે સિંધિયાએ લખ્યું કે, તમે અહંકારથી એટલા ગ્રસિત છો કે કદાચ આ સવાલોનું મહત્વ પણ તમારી સમજની બહાર છે.

    રાહુલ ગાંધીએ જૂના સાથીઓને ટાર્ગેટ કર્યા હતા

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત 8 એપ્રિલે એક ટ્વિટ કરીને વર્ડ પઝલ મૂક્યું હતું. જેમાં એક સમયના કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, હિમંત બિસ્વ સરમા, કિરણ રેડ્ડી અને અનિલ એન્ટનીને અદાણી સાથે જોડીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. 

    રાહુલના આ ટ્વિટને લઈને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા તેમની સામે માનહાનિનો કેસ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીનું ટ્વિટ અપમાનજનક છે અને 14 એપ્રિલ પછી તેઓ ગુવાહાટીમાં રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કરશે. 

    બીજી તરફ, ગુલામ નબી આઝાદે રાહુલના આરોપોને લઈને જવાબ આપતાં તેમની પોલ ખોલી નાંખી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમના કોઈ ઉદ્યોગપતિઓ સાથે સબંધો રહ્યા નથી પરંતુ રાહુલ સહિત ગાંધી પરિવારના અનેક ઉદ્યોગપતિઓ સાથે સબંધો છે અને તેઓ વિદેશો જઈને એવા ઉદ્યોગપતિઓને મળે છે જેમને કોઈ મળવા માંગતું હોતું નથી. 

    બે નેતાઓએ જવાબ આપ્યા બાદ હવે કેન્દ્રીય મંત્રી સિંધિયાએ પણ રાહુલ પર પ્રહારો કર્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય અગાઉ કોંગ્રેસમાં હતા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા હતા. વર્ષ 2020માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા અને 2021ના કેબિનેટ વિસ્તરણ બાદ તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં