Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણજૂનાગઢ: ચોરવાડના યુવકના મૃત્યુ મામલે FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ; આત્મહત્યાની થઈ પુષ્ટિ, કોંગ્રેસ...

    જૂનાગઢ: ચોરવાડના યુવકના મૃત્યુ મામલે FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ; આત્મહત્યાની થઈ પુષ્ટિ, કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાની વધી શકે છે મુશ્કેલી

    ચુડાસમાએ કહ્યું કે "આ બધુ કાવતરું થઈ રહ્યું છે મને ફસાવવા માટે. ફોરેન્સિક રિપોર્ટ આવશે. પત્ર લખ્યો છે, કોલ ડિટેલ્સ આવશે ત્યારે સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે." જ્યારે હવે FSL રિપોર્ટ આવી ગયો છે અને સત્ય પણ બહાર આવી ગયું છે.

    - Advertisement -

    થોડા દિવસો પહેલાં જૂનાગઢ જિલ્લામાંથી એક ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવકે સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. સ્યુસાઇડ નોટમાં કોંગ્રેસ MLA વિમલ ચુડાસમા સહિત ત્રણ વ્યક્તિના નામ લખી, માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપતા હોવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ આપઘાત નહીં પણ હત્યા હોય શકે છે. ત્યારે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ફોરેન્સિક રિપોર્ટમાં સત્ય સામે આવશે. જ્યારે હવે મૃતક યુવકનો FLS રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં યુવકે ગળાફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને લઈને કોંગ્રેસ MLAની મુશ્કેલી વધી શકે છે.

    જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પાસે આવેલા ઝુઝારપુરના નીતિન જગદીશભાઈ પરમાર નામના યુવકે આપઘાત કર્યો હતો. જે મામલે હવે FSL રિપોર્ટ પણ સામે આવી ચૂક્યો છે. જેમાં યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે મૃતક યુવકના માસિયાઈ ભાઈ અને કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે કોંગ્રેસ ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સાથે જ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક નીતિને આપઘાત કર્યા પહેલાં પત્નિને વિડીયો કોલ પણ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    શું હતી સમગ્ર ઘટના?

    ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પાસે આવેલા ઝુઝારપુર ગામમાં રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે રવિવારે (29 ઓકટોબર) ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેણે આપઘાત કર્યા પહેલાં એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 3 વ્યક્તિઓનાં નામ લખવામાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે જૂનાગઢ પંથકમાં શોક વ્યાપી ગયો હતો.

    - Advertisement -

    યુવકે આપઘાત કર્યો હોવાની જાણ પરિવારને થતાં ચોરવાડ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસ કરતાં મૃતક યુવકે લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. સાથે એવું પણ લખ્યું હતું કે MLA સહિતના ત્રણ લોકો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા.

    શું લખ્યું હતું સ્યુસાઇડ નોટમાં?

    સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, “મારુ નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીમેદાર 3 વ્યક્તિ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.” આખી સ્યુસાઇડ નોટમાં લગભગ 6થી 7 વાર યુવકે તેની સહી પણ કરી છે. એ સિવાય તેણે સ્યુસાઇડ નોટમાં 29/10/23ની તારીખ પણ લખી હતી.

    યુવકની સ્યુસાઇડ નોટ (ફોટો સાભાર: VTV)

    યુવકની સ્યુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતક યુવકના પરિવાર તથા તેના સગા-સંબંધી અને મિત્રોની પૂછપરછ કરવામાં આવી હતી.

    કોંગ્રેસ MLA વિમલ દેસાઈએ આપ્યું હતું નિવેદન

    આ ઘટનાને લઈને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “તે યુવાન મારા સગા માસીનો છોકરો છે. તેમની સાથે મારા પરિવારને બે વર્ષથી કોઈ વ્યવહાર નથી. બે વર્ષથી ક્યારેય મેં તેની સાથે ફોનમાં પણ વાત કરી નથી, કે ક્યારેય હું સંપર્કમાં રહ્યો નથી. બે વર્ષ પછી આ બનાવ બન્યો ત્યારે હું નવરાત્રિ મહોત્સવમાં હતો.”

    ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે, “આ બનાવની જાણ મૃતકના સગા ભાઈને થઈ હતી અને ત્યારબાદ અમને જાણ થઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ યુવાને ફાંસો ખાધો છે. યુવાને કયા કારણે ફાંસો ખાધો? આ યુવાનને હોસ્પિટલ કોણ લઈ ગયું? તે બાબતને લઈને હોસ્પિટલના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળી રહ્યું હતું કે બ્લેક કલરની ગાડીમાં આઠથી નવ લોકો તેને લઈને આવ્યા અને ટેબલ પર મૂકીને જતાં રહ્યા હતા. જો કોઈએ ફાંસો ખાધો હોય તો પહેલાં પોલીસને જાણ કરવામાં આવે છે. જાણ કર્યા વિના બોડી નીચે ઉતારી શકાય નહીં. જ્યારે તેમના ભાઈને પણ શંકા છે કે યુવાનની હત્યા કરવામાં આવી જોઈએ. કારણ કે બોડી પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે સ્યુસાઇડ નોટમાં પણ અક્ષર તેમના જ છે કે કેમ તેની તપાસ કરવી પણ જરૂરી છે. ચુડાસમાએ કહ્યું કે “આ બધુ કાવતરું થઈ રહ્યું છે મને ફસાવવા માટે. ફોરેન્સિક રિપોર્ટ આવશે. પત્ર લખ્યો છે, કોલ ડિટેલ્સ આવશે ત્યારે સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે.” જ્યારે હવે FSL રિપોર્ટ આવી ગયો છે અને સત્ય પણ બહાર આવી ગયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં