બાંગ્લાદેશમાં (Bangladesh) દેશદ્રોહના (Treason) આરોપસર ધરપકડ કરાયેલા ISKCONના પૂર્વ સંત ચિન્મય કૃષ્ણ દાસને (Chinmoy Krishna Das) જામીન (Bail) મળી ગયા છે. બાંગ્લાદેશની હાઇકોર્ટે તેમને જામીન આપ્યા છે. હિંદુઓના અધિકારો માટે અવાજ ઉઠાવવા બદલ મોહમ્મદ યુનુસની સરકારે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી. જે બાદ હિંદુઓએ મોટાપાયે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.
માહિતી અનુસાર, ચિન્મય કૃષ્ણ દાસને બુધવારે (30એપ્રિલ, 2025) બાંગ્લાદેશની હાઇકોર્ટે જામીન આપ્યા છે. જસ્ટિસ અતાઉર રહેમાન અને જસ્ટિસ મોહમ્મદ અલી રેઝાએ તેમના જામીનનો આદેશ આપ્યો હતો. અગાઉ 23 એપ્રિલ, 2025ના રોજ તેમને જામીન આપવાનો ઇનકાર કરતા આદેશ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
ચિન્મય કૃષ્ણ દાસ હજુ સુધી જેલમાંથી મુક્ત થયા નથી, કોર્ટનો આદેશ જેલ અધિકારીઓ સુધી પહોંચ્યા પછી તેમને મુક્ત કરવામાં આવશે. હિંદુ સંત માટે જામીન અરજી દાખલ કરનારા વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ કોર્ટને જણાવ્યું હતું કે, ચિન્મય કૃષ્ણ દાસ જેલની અંદર બીમાર છે અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ચિન્મય કૃષ્ણ દાસને ધરપકડના 6 મહિના પછી આ જામીન આપવામાં આવ્યા છે. તેમની ધરપકડ પછી તેમની મુક્તિની માંગ કરી રહેલા હિંદુઓ પર પણ હુમલાઓ કરવામાં આવ્યા હતા. જેલની અંદર તેમને ભોજન આપવા ગયેલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં ચિન્મય કૃષ્ણ દાસને જામીન ન આપવા માટે બાંગ્લાદેશમાં સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. એક વખત 30 મિનિટની સુનાવણી બાદ તેમને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને બીજી વાર તેમની અરજી ખામીયુક્ત હોવાનું કહીને ફગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેમના વકીલ પર પણ હુમલો થયો હતો.
હિંદુઓનો અવાજ ઉઠાવવા પર થઈ હતી ધરપકડ
નોંધનીય છે કે, 25 ઑક્ટોબર, 2024ના રોજ બાંગ્લાદેશના ચટગાંવમાં હિંદુઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નેતૃત્વ ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી ચટગાંવના ઐતિહાસિક લાલ દીધી મેદાનમાં યોજાઈ હતી. જેમાં હજારો હિંદુઓએ ભાગ લીધો હતો. ચટગાંવમાં આ રેલીનું આયોજન ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓ પર થતાં હુમલાઓના વિરોધમાં કરવામાં આવ્યું હતું.
આ રેલી દરમિયાન હિંદુઓએ ભગવા ધ્વજ લહેરાવ્યા હતા અને સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. ચટગાંવમાં થયેલી આ રેલીના કારણે ઇસ્લામી કટ્ટરપંથીઓ ભડકી ઉઠયા હતા અને ભારે ઉત્પાત મચાવવા લાગ્યા હતા. મુસ્લિમ કટ્ટરપંથીઓએ એક જગ્યાએ બાંગ્લાદેશના ઝંડા કરતાં ભગવા ધ્વજને ઊંચો લગાવેલો જોયો હતો અને તેના કારણે ટોળાંઓ ભડકી ઉઠ્યા હતા.
આ ઘટનાને આધારે ફિરોઝ ખાન નામના વ્યક્તિએ ચટગાંવમાં જ ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકો સામે FIR નોંધાવી હતી. ફિરોઝ ખાને આરોપ લગાવ્યો હતો કે, બાંગ્લાદેશનો ધ્વજ નીચે લહેરાતો હતો જે તેનું અપમાન અને દેશદ્રોહનું કૃત્ય હતું. ફિરોઝે આરોપ લગાવ્યો હતો કે, આના દ્વારા ચિન્મય કૃષ્ણ દાસ દેશમાં અશાંતિ ફેલાવવા માંગે છે.