Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશદાઉદ ઇબ્રાહિમની સંપત્તિની હરાજી, દિલ્હીના વકીલે ₹2 કરોડ ચૂકવીને ખરીદ્યા 2 પ્લોટ,...

    દાઉદ ઇબ્રાહિમની સંપત્તિની હરાજી, દિલ્હીના વકીલે ₹2 કરોડ ચૂકવીને ખરીદ્યા 2 પ્લોટ, કહ્યું- ત્યાં હવે સનાતન સ્કૂલ ખોલીશ

    દાઉદની જે સંપત્તિની હરાજી કરવામાં આવી તે રત્નાગીરીના એક ગામમાં સ્થિત છે, જે તેની માતાના નામે નોંધાયેલી હતી. જેમાંથી એક ખેતીની જમીન 170.98 સ્ક્વેર મીટર જેટલી છે, જે ₹2.01 કરોડની કિંમતે વેચાઈ અને બીજી એક જમીનનો ટુકડો ₹3.28 લાખમાં વેચાયો હતો.

    - Advertisement -

    ભાગેડુ અને ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમની રત્નાગીરી ખાતેની જમીનની હરાજી કરવામાં આવી છે. દિલ્હીના એક વકીલ અજય શ્રીવાસ્તવે દાઉદની 2 પ્રોપર્ટી ખરીદી લીધી છે. ખરીદ્યા બાદ તેમણે કહ્યું કે તેઓ હવે આ જગ્યા પર સનાતન સ્કૂલ શરૂ કરશે. 

    અજય શ્રીવાસ્તવે ₹2.01 કરોડ અને ₹3.28 લાખની કિંમત આ બંને સંપત્તિ ખરીદી છે. હરાજી બાદ તેમણે કહ્યું કે, “મેં બે પ્લોટ ખરીદ્યા છે. આટલી મોટી કિંમત ચૂકવીને ખરીદવાનું કારણ એ કે હું એસ્ટ્રોલોજીમાં વિશ્વાસ ધરાવું છું અને પ્લોટના સરવે નંબર સાથે મારી જન્મ તારીખ મેળ ખાતી હતી. ઉપરાંત, તેની સાથેનો જે પ્લોટ છે તે પણ મેં જ આ પહેલાંની હરાજીમાં ખરીદ્યો હતો. બાકીના 2 પ્લોટ માટે મેં બોલી લગાવી ન હતી કારણ કે ત્યાં સુધી પહોંચવા માટે રસ્તા નથી.” 

    તેમણે કહ્યું કે તેઓ હવે આ જમીન પર સનાતન સ્કૂલ ખોલવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, “હું સનાતની છું અને હવે આ બંને પ્લોટ મારા નામે કરીને ત્યાં શાળાઓ શરૂ કરીશ. આ પહેલાં મેં હરાજીમાં દાઉદનો બંગલો ખરીદ્યો હતો, જ્યાં સનાતન ધર્મ પાઠશાળા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. તેનું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ત્યાં પણ સનાતન શાળા જ શરૂ કરાવીશ.”

    - Advertisement -

    દાઉદની જે સંપત્તિની હરાજી કરવામાં આવી તે રત્નાગીરીના એક ગામમાં સ્થિત છે, જે તેની માતાના નામે નોંધાયેલી હતી. જેમાંથી એક ખેતીની જમીન 170.98 સ્ક્વેર મીટર જેટલી છે, જે ₹2.01 કરોડની કિંમતે વેચાઈ અને બીજી એક જમીનનો ટુકડો ₹3.28 લાખમાં વેચાયો હતો. આમ તો ચાર સંપત્તિને હરાજીમાં મૂકવામાં આવી હતી, પરંતુ બાકીની બે વેચાઈ નહીં. 

    ઉલ્લેખનીય છે કે દાઉદ પાકિસ્તાન ભાગી ગયા બાદ પહેલી વખત વર્ષ 2000માં તેની સંપત્તિની હરાજી કરવામાં આવી હતી, પરંતુ કોઇ ખરીદનારું મળ્યું ન હતું. માર્ચ, 2001માં અજય શ્રીવાસ્તવ એકમાત્ર બોલી લગાવનાર વ્યક્તિ હતા અને હરાજીમાં તેમણે દાઉદની 2 દુકાનો ખરીદી હતી. જોકે, નીચલી કોર્ટના આદેશ છતાં તેમને કબજો હજુ મળ્યો નથી કારણ કે આ આદેશને બૉમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જ્યાં હાલ કેસ ચાલી રહ્યો છે. દાઉદની બહેન હસીના પાર્કરનાં સંતાનો આ કેસ લડી રહ્યાં છે. ત્યારબાદ 2020માં અજય શ્રીવાસ્તવે દાઉદના પૈતૃક ગામ સ્થિત ઘર ખરીદ્યું હતું. 

    આતંકી દાઉદ ઇબ્રાહિમ 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે, જેમાં સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા હતા. પછીથી તે પાકિસ્તાન ભાગી છૂટ્યો હતો. કહેવાય છે કે તે કરાંચીમાં રહે છે. તાજેતરમાં જ તેને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા. જોકે, આબરૂ ખોવાના ડરે પાકિસ્તાન ક્યારેય સ્વીકારતું નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં