Tuesday, May 21, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બિપરજોયે’ ફરી દિશા બદલી, કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધતાં એલર્ટ: ગાંધીનગરમાં બેઠકોનો...

    ‘બિપરજોયે’ ફરી દિશા બદલી, કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધતાં એલર્ટ: ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ

    હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, વાવાઝોડું આગામી 15 જૂને કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

    - Advertisement -

    અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયે ફરી ગુજરાતની મુશ્કેલીઓ વધારી છે. તાજા જાણકારી અનુસાર, વાવાઝોડાએ દિશા બદલી છે અને હવે આગામી 15 જૂને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે, જેને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઇ છે. 

    હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, વાવાઝોડું આગામી 15 જૂને કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ પહેલાં ગઈકાલે વાવાઝોડાની દિશા જોતાં વિભાગે જાણકારી આપી હતી કે વાવાઝોડું ગુજરાત કાંઠે ટકરાશે નહીં અને પાકિસ્તાનમાં જઈને લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે થોડી રાહત મળી હતી પરંતુ હવે ફરી ચક્રવાતે દિશા બદલી નાંખી છે. 

    હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે એલર્ટ જારી કર્યું છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 460 કિમી, દ્વારકાથી 510 કિમી અને કચ્છના નલિયાથી 600 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. 15 જૂનની બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ટકરાય ત્યારે 125થી 135 કિમી/કલાકની ઝડપે પવન વાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

    - Advertisement -
    તસ્વીરો સાભાર- Windy.com

    14 અને 15 જૂન, બે દિવસ દરમિયાન ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 14મીએ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 15મીએ કચ્છ, જામનગર અને દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.

    વાવાઝોડાએ દિશા બદલ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તંત્રની તૈયારી અને હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે એક બેઠક યોજી હતી. તેમણે કન્ટ્રોલ રૂમમાંથી અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી તેમન દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓના કલેક્ટરો સાથે પણ વિડીયો કોન્ફરન્સિંગથી બેઠક યોજી સ્થાનિક સ્તરે થતી તૈયારીઓને લઈને માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને પૂરતી તૈયારીઓ કરવા માટે અને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. 

    ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં ઉદભવેલું ચક્રવાત ‘બિપરજોય’ છેલ્લા ઘણા દિવસથી દિશા બદલી રહ્યું છે. પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠા તરફ આગળ વધ્યા બાદ તે વાયવ્ય ખૂણે પાકિસ્તાન તરફ ફંટાયું હતું. હવે ફરી બિપરજોયે ગુજરાત તરફ દિશા બદલી હોવાના કારણે તંત્ર સતર્ક થયું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં