Thursday, April 25, 2024
More
    હોમપેજરાજકારણપહેલા મુખ્યમંત્રી પદ અને હવે મનગમતી બેઠક; ગોપાલ ઈટાલીયા પાસે હજુ કેટલા...

    પહેલા મુખ્યમંત્રી પદ અને હવે મનગમતી બેઠક; ગોપાલ ઈટાલીયા પાસે હજુ કેટલા બલિદાન લેશે આપ: શું આ ‘વેદના’નો કોઈ અંત નથી

    ઇસુદાન ગઢવીનું નામ જાહેર થયા બાદ જાણે ગોપાલ ઈટાલિયાની મનની વાત બહાર આવી હોય તેમ તેઓ લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા. ત્યારે જોવા જેવી થઈ હતી. જોકે, બાદમાં તેમણે આ શબ્દો સુધાર્યા હતા.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની 11મી યાદી બહાર પાડી દીધી છે. આ યાદીમાં કુલ 12 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ યાદીમાં એક બેઠક અને તેના ઉમેદવારનું નામ સૌનું ધ્યાન ખેંચનારું છે અને તે છે સુરતની વરાછા રોડ વિધાનસભા બેઠક અને તેના ઉમેદવાર છે અલ્પેશ કથીરિયા.

    થોડા દિવસો પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. હવે પાર્ટીએ પોતાના ઉમેદવારોની 11મી યાદીમાં તેમના નામનો સમાવેશ કર્યો છે અને તેમને વરાછા રોડ વિધાનસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.

    એ કોઈનાથી છૂપું નથી કે આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની નજર ઘણા સમયથી સુરતની વરાછા બેઠક પર હતી. પરંતુ આજકાલમાં જ પાર્ટીમાં જોડાયેલ અલ્પેશ કથીરિયાએ તેમના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે.

    - Advertisement -

    કથીરિયાની સાથે જ આપમાં જોડાયેલા ધાર્મિક માલવિયાનું નામ પણ આ લિસ્ટમાં છે. તેમને ઓલપાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

    આ પહેલા મુખ્યમંત્રી પદની દાવેદારી પણ ગુમાવી હતી

    આ પહેલીવાર નથી કે ગોપાલ ઇટાલિયાને પાર્ટી માટે પોતાના સપનાઓનું બલિદાન એવું પડ્યું હોય. આ પહેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત વખતે પણ આ જ થયું હતું.

    ગોપાલ ઇટાલિયાને પુરી આશા હતી કે તે જ ગુજરાત માટે આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો બનશે, પરંતુ જયારે જાહેરાત કરવામાં આવી ત્યારે ઈસુદાન ગઢવી ઇટાલિયાથી આગળ નીકળી ગયા હતા.

    શુક્રવારે આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં સીએમ પદનો ચહેરો જાહેર કર્યા બાદ ગોપાલ ઈટાલિયાની સ્પીચ ચર્ચાના ચગડોળે ચઢી હતી. ઇસુદાન ગઢવીનું નામ જાહેર થયા બાદ જાણે ગોપાલ ઈટાલિયાની મનની વાત બહાર આવી હોય તેમ તેઓ લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા. ત્યારે જોવા જેવી થઈ હતી. જોકે, બાદમાં તેમણે આ શબ્દો સુધાર્યા હતા.

    હવે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી લડવી હોય તો તેમના માટે ડિપોઝીટ બચાવી શકે તેવી એક જ બેઠક છે, કતારગામ વિધાનસભા. જો કતારગામ બેઠક પરથી ઇટાલિયાનું નામ જાહેર ના થાય તો તેમના માટે તકલીફ વધી શકે છે. નોંધનીય છે કે 11 યાદીઓ બહાર પડ્યા બાદ પણ હજુ સુધી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં