Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાત'કોંગ્રેસની માનસિકતા રાષ્ટ્રવિરોધી, અન્ય ધારાસભ્યો પણ ગૂંગળાઈ રહ્યા છે': રાજીનામાં બાદ ચિરાગ...

    ‘કોંગ્રેસની માનસિકતા રાષ્ટ્રવિરોધી, અન્ય ધારાસભ્યો પણ ગૂંગળાઈ રહ્યા છે’: રાજીનામાં બાદ ચિરાગ પટેલના ખુલાસા, કહ્યું- આવનારા સમયમાં મિત્રો પણ પાર્ટીને કરી શકે અલવિદા

    તેમણે ઉમેર્યું કે, "કોંગ્રેસ લીડરને સવારથી લઈને સાંજ સુધી બસ એક જ કામ છે કે, જે પણ સત્તાધારી પાર્ટી છે તેનો વિરોધ કરવો."

    - Advertisement -

    લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટીઓમાંથી એક-એક ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે. આપનેતા અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું છે. રાજીનામું આપ્યા બાદ પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. આ ઉપરાંત તેમણે અનેક ખુલાસા પણ કર્યા છે. તેમણે કોંગ્રેસની માનસિકતા રાષ્ટ્રવિરોધી હોવાનું કહ્યું છે. સાથે તેમણે એવો પણ કહ્યું છે કે, તેમના અન્ય સાથી મિત્રો પણ કોંગ્રેસમાં ગૂંગળાઈ રહ્યા છે. તેઓ પણ આવનારા સમયમાં કોંગ્રેસને અલવિદા કહી દે તેવી શક્યતા છે.

    મંગળવારે (19 ડિસેમ્બર) કોંગ્રેસના ખંભાત બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમના સૂર બદલાયા છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર રાષ્ટ્રવિરોધી માનસિકતાનો આરોપ લગાવ્યો છે. તેમણે રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે. આ સાથે જ તેમણે અનેક ખુલાસાઓ પણ કર્યા છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી ભગવાન રામના મુદ્દે એક શબ્દ બોલવા પણ તૈયાર નથી. આ સિવાય પણ તેમણે ઘણા ખુલાસા કર્યા છે.

    ‘કોંગ્રેસની માનસિકતા રાષ્ટ્રવિરોધી’- ચિરાગ પટેલ

    રાજીનામું આપ્યા બાદ મીડિયાને સંબોધતી વખતે ચિરાગ પટેલે અનેક ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે, “કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના અનેક કારણો છે. તેમાં મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસની માનસિકતા રાષ્ટ્રવિરોધી છે. હમણાં આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બની રહ્યો છે. તમે સૌ જોઈ રહ્યા છો.” તેમણે વધુમાં કહ્યું કે, “દેશમાં કેટલો વિકાસ થઈ રહ્યો છે, દેશમાં કેટલા કામો થઈ રહ્યા છે અને બધા સમાજ માટે જ્યારે દેશ કામ રહી રહ્યો છે, ત્યારે પણ કોંગ્રેસના કોઈ લીડર સકારાત્મક દ્રષ્ટિકોણવાળા નથી.”

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, “કોંગ્રેસ લીડરને સવારથી લઈને સાંજ સુધી બસ એક જ કામ છે કે, જે પણ સત્તાધારી પાર્ટી છે તેનો વિરોધ કરવો.” તેમણે કહ્યું કે, પાર્ટીમાં તેમને એક વર્ષ પૂર્ણ થયું છે અને તેઓ સતત ગૂંગળામણ અનુભવી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, “પાર્ટીમાં ન તો કોઈ સંકલન છે અને ન તો કોઈ સંચાલન છે. સંચાલનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.”

    કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ AC કેબિનમાંથી બહાર નથી આવતું

    ચિરાગ પટેલે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસમાં હજુ પણ ઘણા ધારાસભ્યો નારાજ છે. મારા અનેક સાથી મિત્રો કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે આવનારા સમયમાં મારા સાથી મિત્રો પણ કોંગ્રેસને અલવિદા કહેશે.” આ ઉપરાંત તેમણે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “દિલ્હી કોંગ્રેસના નેતાઓ AC કેબિનમાંથી બહાર આવતા જ નથી. પાર્ટીમાં જુથવાદ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. જ્યારે દેશહિતની વાત થાય છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પાછળ જ ઊભી રહે છે.”

    ચિરાગ પટેલે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટીને તમામ બાબતે માત્ર વિરોધ કરવાની આદત પડી ગઈ છે. તેને દેશનો વિકાસ નથી દેખાઈ રહ્યો.” તેમણે આગળ કહ્યું કે, “કોંગ્રેસના સિનિયર નેતાઓ ઘરડા થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી સુધી કોંગ્રેસમાં કોઈ નહીં રહે. દેશનો વિકાસ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને નથી દેખાતો.” આ સાથે ચિરાગ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી દેશહિતમાં નિર્ણય લે છે. જ્યારે કોંગ્રેસ દેશહિતની વાતમાં પાછળ જ રહે છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં