દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં શરજીલ-ખાલિદની અરજી સુપ્રીમે ફગાવી, જેલમાં જ રહેશે: બાકીના 5 આરોપીઓને શરતી જામીન

સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી રમખાણો સાથે જોડાયેલા UAPA કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઈમામ સહિતના પાંચ અન્ય આરોપીઓની જામીન અરજી પર નિર્ણય સંભળાવ્યો છે. સામે આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે આ બંને આરોપીની ષડ્યંત્રમાં મુખ્ય ભૂમિકા હતી. વધુમાં કોર્ટે કહ્યું છે કે સાક્ષીઓની તપાસ પૂર્ણ થયા બાદ અથવા આજથી એક વર્ષની અંદર તેઓ ફરી નીચલી અદાલતમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે અન્ય પાંચ આરોપીઓને જામીન આપી દીધા છે. પરંતુ તેમાં પણ 12 શરતો જોડવામાં આવી છે.

આ નિર્ણય જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ અંજારિયાની બેન્ચે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે 10 ડિસેમ્બરના રોજ આરોપીઓ અને દિલ્હી પોલીસની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. ખાલિદ અને ઈમામ સિવાય ગુલફીશા ફાતિમા, મીરાન હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહમદ પણ કેસના આરોપીઓ છે.

નોંધવા જેવું છે કે ખાલિદ સહિતના અન્ય આરોપીઓએ 2 સપ્ટેમ્બરના રોજ દિલ્હી હાઇકોર્ટે આપેલા નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઇકોર્ટે તમામ આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. 

કોર્ટે નિર્ણય સાંભળવતા કહ્યું છે કે અભિયોજન પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાથી અરજદારો ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ આરોપ સિદ્ધ થાય છે. કાર્યવાહીના આ તબક્કે તેમને જામીન પર મુક્ત કરવા યોગ્ય નથી.