નેપાળમાં બચાવાયેલા 21 ભારતીય નાગરિકો પરત ફર્યા, ચીન તરફ 400 નાગરિકો સુરક્ષિત, 320નો હજુ સંપર્ક નહીં

પાડોશી દેશ નેપાળમાં સર્જાયેલી ભારે પૂર અને ભૂસ્ખલનની હોનારત વચ્ચે અટવાયેલા ભારતીય નાગરિકોને સલામત રીતે પાછા લાવવા અને પડોશી દેશને મદદ પહોંચાડવા માટે ભારત સરકારે મોટાપાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. આ જ ક્રમમાં તમિલનાડુના 21 યાત્રીઓનો પહેલો સમૂહ કાઠમંડુથી ભારત પહોંચ્યો હતો. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને વિદેશ મંત્રાલયના (MEA) પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં આ ઑપરેશન વિશે જાણકારી આપી હતી.

જયશંકરે જણાવ્યા અનુસાર કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ભારતીય શ્રદ્ધાળુઓ પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. નેપાળી આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તેમને કાઠમંડુ પહોંચાડ્યા હતા. ત્યારબદ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસની મદદથી આ શ્રદ્ધાળુઓમાંથી 21 ભારતીયોનું પ્રથમ જૂથ સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયું છે. નોંધનીય છે કે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પોતે દિલ્હીમાં આ યાત્રીઓ સાથે મુલાકાત કરીને તેમની ક્ષેમકુશળ પૂછ્યા હતા.

દિલ્હી પહોંચેલા 21 ભારતીય નાગરિકો મુખ્યત્વે તમિલનાડુના રહેવાસી છે. વિદેશ મંત્રીએ નાગરિકોના સુરક્ષિત વાપસી બદલ ભારે રાહત વ્યક્ત કરી હતી અને આપત્તિ સમયે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેપાળી આર્મીનો ખાસ આભાર માન્યો હતો. કાઠમંડુમાં ભારતીય રાજદૂતે પણ આ યાત્રીઓની મુલાકાત લઈને તેમની તમામ જરૂરિયાતો પૂરી કરી હતી.

રેસ્ક્યૂ ઓપરેશનના આંકડા આપતા વિદેશ મંત્રી જણાવ્યું કે, તમિલનાડુના 21 યાત્રીઓ ઉપરાંત ત્રિશૂલી વન હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 63 ભારતીય નાગરિકોને પણ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ સિવાય, ચીન સરહદ તરફ અટવાયેલા અન્ય 96 ભારતીય નાગરિકો જમીન માર્ગે સુરક્ષિત રીતે નેપાળની સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તેમને પણ વહેલી તકે સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

આ સિવાય રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ચીન તરફના વિસ્તારમાં અટવાયેલા અન્ય 400 જેટલા ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેઓ પોતાના પરિવારના સતત સંપર્કમાં છે. બેઇજિંગ સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા ચાલુ કરવામાં આવેલી હેલ્પલાઇન દ્વારા પરિવારજનો સંપર્ક કરી રહ્યા છે. ચીનમાં સ્થાનિક પ્રશાસન સાથે મંત્રણા કરીને આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

જોકે, રાહત કામગીરી વચ્ચે હજુ પણ ચિંતાજનક બાબત એ છે કે લગભગ 320 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી. આ સિવાય કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા અન્ય દેશોના પાસપોર્ટ ધરાવતા 100 જેટલા ભારતીય મૂળના (PIO) નાગરિકો પણ હાલ અનકોન્ટેક્ટેબલ છે. ભારત સરકાર આ તમામ લોકોનો સંપર્ક સાધવા માટે દૂતાવાસ અને સ્થાનિક ટીમો પ્રયાસો કરી રહ્યાં છે.

ભારત સરકારે નેપાળમાં સર્જાયેલી આ કટોકટીમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. નેપાળના વિદેશ મંત્રી સાથે વાતચીત કરીને ભારતે તબીબી ટીમો, NDRFની ટીમો અને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોની મદદ માટે નિષ્ણાતો મોકલવાની ઓફર કરી છે. આ ઉપરાંત, તૂટી ગયેલા માર્ગોને પુનઃસ્થાપિત કરવા માટે બેઇલી બ્રિજ પણ મોકલવામાં આવી રહ્યા છે.

માનવતાવાદી સહાયના ભાગરૂપે ભારતે તાત્કાલિક રાહત સામગ્રી મોકલવાનું શરૂ કરી દીધું છે. 26 ઑગસ્ટે પ્રથમ ફ્લાઇટ દ્વારા 10 ટન સામગ્રી જેમાં અસ્થાયી શેલ્ટર, ધાબળા, હાઇજીન કિટ, સોલાર લેમ્પ અને દવાઓ વગેરે મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ 27 ઑગસ્ટે બીજી ફ્લાઇટથી 37.5 ટન સામગ્રી મોકલાઈ, જેમાં ટેન્ટ, વોટર પમ્પ, કિચન સેટ, જનરેટર અને ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે.

નેપાળની માંગણી મુજબ ભારત 12થી 13 ટન રાહત સામગ્રી સાથેની ત્રીજી ફ્લાઇટ પણ રવાના કરશે. આ ફ્લાઇટમાં પોર્ટેબલ જનરેટર સેટ, ડિગ્નિટી કિટ્સ, પીવાના વોટર પ્યુરિફિકેશન ટેબ્લેટ્સ અને જરૂરી દવાઓ મોકલવામાં આવી રહી છે. ભારત સરકાર નેપાળમાં ફસાયેલા તમામ નાગરિકોને સુરક્ષિત પાછા ન લાવે ત્યાં સુધી આ રેસ્ક્યુ અને રાહત અભિયાન સતત ચાલુ રહેશે.