Tuesday, May 13, 2025
More
    હોમપેજગુજરાતGSRTCએ હોટેલો સામે કાર્યવાહી કરી, ન્યૂઝ એન્કરને સમુદાય વિશેષ સાથે ભેદભાવ દેખાયો:...

    GSRTCએ હોટેલો સામે કાર્યવાહી કરી, ન્યૂઝ એન્કરને સમુદાય વિશેષ સાથે ભેદભાવ દેખાયો: સેક્યુલર સવાલો અને કુતર્કોના આ રહ્યા જવાબ

    અહીં વાસ્તવમાં કુતર્ક કરવામાં આવ્યો છે. કોઈ આધાર-પુરાવા વગર વૉટઅબાઉટરી કરીને હવામાં વાતો કહી દેવામાં આવી છે અને ખરેખર તેમણે જે સવાલો કરવા જોઈએ એ કર્યા નથી, અથવા કરવાની દાનત નથી. 

    - Advertisement -

    ગુજરાતમાં થોડા-થોડા સમયે સેક્યુલર પત્રકારો જો કોઈ વાતે કકળાટ ન કરે તો આપણને લાગવા માંડે કે સાલું બધું ઠીકઠાક ચાલે છે કે કેમ. આ પત્રકારો જજ બનીને ગમે તે વાતે સરકારને ખખડાવી નાખે છે. બે-ચાર સારી સલાહો આપી દે છે. સ્ટુડિયોમાં બેસીને જ વૈશ્વિક મુદ્દાઓ નક્કી કરી નાખે છે. જોકે હવે સોશિયલ મીડિયાના જમાનામાં સંવાદો એકતરફી થતા નથી એટલો તેમના માટે ગેરફાયદો. આપણા માટે ફાયદો કહેવાય. એ લાભ લઈને આપણે તથ્યો તેમના માટે મારતા રહીએ એ જ 21મી સદીનું પુણ્યકર્મ.

    હમણાં એક સમાચાર આવ્યા કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે (GSRTC) હાઇ-વે ઉપરની લગભગ સત્યાવીસ હોટેલ સાથેના કરાર રદ કરી દીધા. આ હોટેલો કઈ હતી? એ હોટેલો જ્યાં ST બસ હૉલ્ટ કરતી હતી. આપણે ત્યાં નાના રૂટની બસને તો એવો પ્રશ્ન આવતો નથી પણ લાંબા રૂટ પર જતી બસ અમુક કિલોમીટર પર રોકાતી હોય છે. આ હૉલ્ટ સામાન્ય રીતે હાઇ-વે ઉપરની હોટેલો ઉપર થાય. 

    આના માટે બસચાલકને ઈચ્છા થાય ત્યાં બસ ઊભી રહેતી નથી. એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે. હોટેલો પાસેથી GSRTC ટેન્ડર મંગાવે છે, પછીથી રીતસર કરાર થાય છે. એ પૂરા થાય ત્યાં સુધી તમામ ST બસ જે-તે હોટેલો પર જ ઊભી રહે. બસમાં મુસાફરી કરનારા આ બાબતથી વાકેફ હોવાના. 

    - Advertisement -

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ, જેઓ વાહન વ્યવહાર મંત્રાલયનો કારભાર પણ સંભાળે છે,  કારણ આપતાં કહ્યું કે આ હોટેલોમાં ગંદકીની મૂળ સમસ્યા હતી અને એવી ફરિયાદો પણ મળતી રહેતી હતી, જેના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે નિગમને સૂચના આપવામાં આવી છે કે આગળથી તમામ હોટેલો પર પૂરતી સ્વચ્છતા જાળવવામાં આવે અને મુસાફરો માટે પૂરતી વ્યવસ્થા હોય તે સમયાંતરે સુનિશ્ચિત કરવામાં આવતું રહે. 

    આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર નિગમની પીઠ થાબડવામાં આવી રહી છે અને વાસ્તવમાં આવી કાર્યવાહી કરવા માટે ઘણા સમયથી માંગ ઉઠી જ રહી હતી. પણ ગુજરાતી મીડિયામાં કામ કરતા અમુક ‘પત્રકારો’ને તકલીફ પણ થઈ છે. તેમની તકલીફ એ છે કે કેમ એક જ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? 

    આ મુદ્દા પર ગુજરાતનાં એક ન્યૂઝ એન્કરે એક વિડીયો બનાવીને X પર પોસ્ટ કર્યો છે. ક્રિષ્ના પટેલ નામનાં આ બેન સંદેશની ચેનલમાં એન્કર તરીકે કામ કરે છે. પોસ્ટનું શીર્ષક છે- ‘ખોટું કામ કરતી 27 હોટેલને ગુજરાત સરકારે પ્રતિબંધિત કરી પણ એમાં સરકારની નીતિ ભેદભાવભરી કેમ? કેમ તમામ 27 હોટેલ્સ એક જ ધર્મમાંથી આવતા લોકોની?’ 

    લગભગ 3 મિનિટ 28 સેકન્ડના તેમના વિડીયોનો સાર એ છે કે જે 27 હોટેલોની યાદી છે તેમાંથી તમામ મુસ્લિમોનાં નામ છે. તેઓ સ્વીકારે તો છે કે હોટેલો પર ગંદકી હોય છે અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી હોટેલો સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ તેમની સમસ્યા એ છે કે કેમ સમુદાય વિશેષની માલિકીની હોટેલો સામે જ કાર્યવાહી થઈ? 

    તેઓ પૂછે છે, “પ્રશ્ન એ થાય કે શું અન્ય ધર્મમાંથી આવતા લોકોની હોટેલો સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે? ત્યાં નિયમોનું ઉલ્લંઘન નથી થતું? આ લિસ્ટ જોઈને પ્રશ્ન થાય કે આ કાર્યવાહી પૂર્વગ્રહભરી છે કે કેમ?” ત્યારબાદ તેઓ યાદીમાંથી અમુક નામો વાંચીને કહે છે કે તમામ નામો એક જ સમુદાયનાં છે. તો શું એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? 

    અહીં વાસ્તવમાં કુતર્ક કરવામાં આવ્યો છે. કોઈ આધાર-પુરાવા વગર વૉટઅબાઉટરી કરીને હવામાં વાતો કહી દેવામાં આવી છે અને ખરેખર તેમણે જે સવાલો કરવા જોઈએ એ કર્યા નથી, અથવા કરવાની દાનત નથી. 

    હકીકત એ છે કે ગુજરાતમાં નેશનલ હાઇવે 48 કે અન્ય નેશનલ હાઇવે ઉપર જે હોટેલો આવેલી છે એમાંથી મોટાભાગની ચેલિયા મુસ્લિમ સમુદાયના લોકોની છે. હવે હાઇવે ઉપર કુલ સો હોટેલ હોય, જેમાંથી 80 મુસ્લિમોની અને 20 હિંદુઓની કે બીજા સમુદાયના માલિકોની હોય અને તેમાંથી 30 સામે કાર્યવાહી કરવામાં આવે અને એ તમામ મુસ્લિમોની નીકળે તો એ બનવાજોગ છે. આ સામાન્ય બાબત છે. તેમાં હોબાળો મચાવવાનો ન હોય. 

    બીજું. કાર્યવાહી ખોટી રીતે અને પૂર્વગ્રહ રાખીને કરવામાં આવી હોવાનું ક્યારે કહી શકાય? જ્યારે હોટેલો ચળકાટ મારતી હોય અને સરકાર એમ કહીને કરાર રદ કરી દે કે ત્યાં ગંદકી બહુ હોય છે. પરંતુ અહીં તો હોટેલો ગંદકીથી ખદબદતી હતી એ હકીકત છે. તમે લાંબા રૂટ પર મુસાફરી કરનારા કોઈને પણ પૂછશો તો એ ઇન્સ્ટન્ટ ફેક્ટચેક કરી આપશે, એ પણ સ્વાનુભવના આધારે, કોઈ ડેટા ક્યાંયથી લેવા માટે પણ ન જવો પડે. 

    અહીં એવો પ્રશ્ન કરવો કે શું બીજા સમુદાયોની હોટેલમાં ગંદકી નથી હોતી?- એ વાસ્તવમાં કુતર્ક છે. આ એવું થયું કે એક મુસ્લિમ વ્યક્તિ ખૂનના આરોપસર પકડાઈ હોય અને એવો પ્રશ્ન કરવામાં આવે કે શું હિંદુઓ ખૂન નથી કરતા? એ કરતા હોય કે ન કરતા હોય એ પ્રશ્ન નથી, પ્રશ્ન એ છે કે અત્યારના કેસમાં જે પકડાયો છે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ કે કેમ. ત્યાં બીજા શું કરે છે ને શું નહીં એ પ્રશ્ન નથી. તેઓ પણ પકડાશે અને તેમની સામે પણ કાર્યવાહી થશે. તેમાં પહેલા માણસ સાથે ભેદભાવ ક્યાંથી થયો? 

    જો પત્રકાર અને આવા કુતર્ક કરનારાઓને લાગતું હોય કે હિંદુઓની હોટેલો, જેમની પાસે STનું લાયસન્સ છે, તેમને ત્યાં પણ ગંદકીનો પ્રશ્ન રહે છે અને છતાં સરકારે તેમની સામે કાર્યવાહી નથી કરી, તો જાય ગ્રાઉન્ડ ઉપર, આવા કિસ્સાઓ શોધી લાવે અને પુરાવા સાથે સરકારને ખુલ્લી પાડે. માત્ર કેમેરા ચાલુ કરીને ફાલતુ તર્કો આપ્યા કરવા એ ‘પત્રકારત્વ’ નથી. 

    આવા કુતર્કોને ગંભીરતાથી લઈએ તો અર્થ એ નીકળે કે સરકાર અમુક હોટેલો સામે નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં કાર્યવાહી એટલા માટે ન કરે કારણ કે તેનાથી એક તો સમુદાય વિશેષ પ્રત્યે પૂર્વગ્રહ દેખાશે અને બીજું તેનાથી પત્રકારોની તટસ્થતાને આંચ આવશે. તો શું પત્રકારો તટસ્થ રહી શકે એ માટે સરકારે હવે નિર્દોષોને પણ દંડ આપવાના ચાલુ કરી દેવાના? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં